અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલેશ દેસાઈ/પગરવોની પાનખર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પગરવોની પાનખર

બકુલેશ દેસાઈ

એમના આવ્યા વગર,
લો, ટકોરા દ્વાર પર!

વેદના છે ઘાવમાં,
ફૂંકની કેવી અસર!

પથ્થરોથી ચેતજો!
કાચનું આ શ્વાસઘર!

આંખ તો લાગ્યા કરે,
આંસુઓનું માનસર!

સાદ કોને પાડવો?
જે દીવાલોનું નગર!

નેજવે બળતી પળો :
પગરવોની પાનખર!

શ્વાસના આકાશમાં —
રક્તવરણી છે ટશર.
(અવાન્તર, ૧૯૮૩, પૃ. ૩૫)