અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /નાયકનું પ્રાયશ્ચિત : મોગરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નાયકનું પ્રાયશ્ચિત : મોગરો

બળવંતરાય ક. ઠાકોર

પ્રિયે, તુજ લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો,
નહીં નિકટ એથી પર્સહક આ સમે માહરો.
બને ચકિત? ના, ખરું જ કહું, — ના, દયા ના સહું!
ક્યાં વચન શોધું? આ જિગર ખોલી દેવા ચહું.
કુટુંબ વચમાં સુરક્ષિત ઊગી, ન જગ જાણતી,
સુકોમલ પવિત્ર મૂર્તિ, મુજ એક દેવી છતી!
નિહાળ દલ મોગરે, મુજ ઉરે પડો એટલાં!
અને કહ્યું શી રીત જાય, સખી મ્લાન એ કેટલાં;
‘દુરિત’ ‘અપરાગ’ ‘મોહ’ વચનો સુણ્યાં તો હશે;
કરે મલિન કેટલું ઉર ન તું કદા જાણશે.
પરંતુ પ્રિય દેવી તું ઊતરી હાથ મુજ સાહવા,
— જરા ધીરજ! જરા વખત! તલસું પોત પ્રકટાવવા :
દલેદલ વિશુદ્ધ આ કચ વિશે દીપે મોગરો,
દલેદલ ઉજાળું આ ઉર, — પછી જ હું તાહરો.

(ભણકાર, પૃ. ૧૯૯-૨૦૦)