અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાળાશંકર કંથારિયા/જિગરનો યાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જિગરનો યાર

બાળાશંકર કંથારિયા


જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે;
બધા સંસારથી એ યાર બેદરકાર જુદો છે.

અરે શું જાણશે લજ્જત, પવિત્રીમાં પડી રહેતાં?
પ્રિયાની પ્યાલીની મસ્તી તણો કંઈ બ્હાર જુદો છે.

ગણું ના રાવ રાયાને, ગણું ના આખી દુનિયાને,
પરંતુ જાન આ પર પ્યારીનો અખત્યાર જુદો છે.

હજારો બોધ મંદિરો મહીં નિત્યે ભલે થાજો,
અમો મસ્તાનના ઉસ્તાદનો દરબાર જુદો છે.

નથી તુજ બાપ માર્યો મેં, અરે મૂર્ખા કહાં નિંદે;
સમજ રે બેસમજ કે પ્રેમીનો આચાર જુદો છે.

બધા પરકાર તોફાને થઈ ચંચળ ચૂકે નિશાન,
અમારા ચિત્તનો ચારુ, અચળ પલકાર જુદો છે.

લીધો જે પંથ તે હું કેમ ત્યાગું છો ભર્યો દુઃખે;
પ્રિયાનો માહરી ગરદન ઉપર તો આ ભાર જુદો છે.

ઘડીભર બેસ બતલાવું, શિખાવું પ્રેમનો જાદૂ,
અમો જાદૂગરોનો યાર, જો બાજાર જુદો છે.

શીખે જો પ્રેમ પૂરો તો જ, અચળ અભેદ પામે તું,
નથી ત્યાં પ્રેમ જ્યાં છે ભેદ, એ વ્યવહાર જુદો છે.

થશે શ્રીમંત ઇન્દ્રાદિ થકી, મુજ પંથ પર જાશે;
અરે એ કીમિયાની યાર કંઈ બ્હાર જુદો છે.

કરું શું મોતીમાલા હું? અનુપમ મારી પ્યારીયે
કર્યો નક્ષત્રનો મારે ગળે શણગાર જુદો છે.

ભલે છો માહરા પંથે બધા યે દુ:ખને દેખે,
મને તો સુખસાગર લ્હેરીનો કંઈ બ્હાર જુદો છે.

થયો જે પ્રેમમાં પૂરો, થયો છે મુક્ત સર્વેથી,
મહામસ્તાન જ્ઞાનીના મગજમાં તાર જુદો છે.

નજર મારી પ્રિયા વિના, ન દેખે કંઈ જગત આંખે;
બીજાના બંધકારી પ્રેમનો તો જાર જુદો છે.

ગુરુ-આદેશ છે અમને, અવળ પંથે પળ્યા જઈએ;
દુનિયાથી પછી આ બાલ બેદરકાર જુદો છે.
(ક્લાન્ત કવિ, પૃ. ૬૮-૬૯)