અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભારતી રાણે/પિયરઘર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પિયરઘર

ભારતી રાણે

હજીય એ ત્યાં જ ઊભું છે
ઉદાસ-ઝાંખું, એકલું-અટૂલું
એનાં બારી-બારણાં બંધ થયાં, ત્યારથી અંધકાર એમાં હળી ગયો છે,
અને સ્મરણોનું ચોમાસું થઈ વરસતા વહાલના ઝામા
એની જર્જરિત દીવાલો પર ભેજ થઈને તગતગે છે.
પપ્પાના અવસાન પછી
અણધાર્યા જ બિડાઈ ગયેલાં એનાં દ્વાર
હવે ફક્ત ક્યારેક જ
માનાં માંસલ પગલે ખૂલે છે,
માનાં પગલાં એમાં પડે છે ત્યારે,
અંતરાલની ગુમસૂન પડેલું એ ઘર,
મિલનઘેલી કિલકારીઓથી ગુંજી ઊઠે છે,
મા હીંચકાનાં કડામાં તેલ પૂરે છે,
વીતેલો સમય ફરી હીંચકે ઝુલવા આવી ચડે છે,
ને દુર્ભાગ્યનો પડછાયો જાણે માની ઠેસેઠેસે
દૂર ને દૂર હડસેલાતો જાય છે.
હું એ જોવા જઈ શકતી નથી.
ફોન પર મારા કાન માની ખુશીને ટટોળતા રહે છે.
મા કહે છે, ‘આ ઘર નથી, જાણે એક સપનું છે!’
હું જવાબ દઉં છું: હા, આપણું સહિયારું સપનું!
મા એને ખુલ્લી આંખે જુએ છે, ને હું જોઉં છું એને બંધ આંખે!
લાગે છે કે, પપ્પાના મરણ પછી સ્મરણ થઈ ગયેલ એ ઘર કદાચ,
મારામાં ઘર કરતું જાય છે;
કારણ કે, આજકાલ કંઈ કેટલીય વાર
પેલો હીંચકો કિચૂડતો કલકલી ઊઠે છે, મારી ભીતર!


(હૃદયલિપિ, પૃ. ૪૩૮)



આસ્વાદ: હીંચકાની હૃદયલિપિ ઉકેલતી કૃતિ – રાધેશ્યામ શર્મા

‘પિયરઘર’ શીર્ષક વાંચતાં જ, ભૂલતો ન હોઉં તો – વિવેચક સર્જક બ.ક.ઠાકોરનું કાવ્ય ‘જૂનું પિયરઘર’ સ્મરણપટ પર ઝલમલી ગયું. ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’માં પણ કુમુદપાત્રના સંબંધમાં એક પંક્તિ પ્રસિદ્ધ થયેલી: આ મારા પિયરનો પંથ…

ભારતી રાણેની સર્જકચેતના પણ પોતાની મૌલિક રીતેભાતે પિયરના ઘરને, નૉસ્ટેલ્જિયા સાથે પિતાના મરણ સાથોસાથ માતાના મંગલ પગલાંથી વધાવે છે, સજાવે છે.

કૃતિનો પ્રારમ્ભ એકલતા, અન્ધકાર અને ઉદાસીનતાને આગળ મૂકી થયો છે પણ એક પંક્તિ રસપ્રદ અવતરી છે:

અને સ્મરણોનું ચોમાસું થઈ વરસતા વહાલના ઝામા એની જર્જરિત દીવાલો પર ભેજ થઈને તગતગે છે‘

અહીં ‘વહાલના ઝામા’ જેવો તળપદો પ્રયોગ ભાવકને સ્પર્શી જાય.

રચનાનો બીજો સ્તબક, પિતાના અણધાર્યા દેહાવસાન બાદ પિયરઘરનાં બિડાઈ ગયેલાં બારણાંનો ઉલ્લેખ કરી માતાનાં મંગલ પગલાંનો ચમત્કાર વર્ણવે છે:

‘અંતરાલથી ગૂમસુમ પડેલું એ ઘર, મિલનઘેલી કિલકારીઓથી ગુંજી ઊઠે છે’

મિલનઘેલી કિલકારીઓ આ ભાવકને સર્જક થોમસ મૂરની પદાવલિ પ્રત્યે દોરી જાય છે:

ફૉન્ડ મેમરી બ્રિન્ગ્‌ઝ ધ લાઇટ /

ઑફ અધર ડેઝ ઍરાઉન્ડ મી; /

ધ સ્માઇલ્સ, ધ ટીઅર્સ, /

ઑફ બૉયહૂડ ઇઅર્સ /

ધ વડ્ઝ ઑફ લવ ધૅન સ્પોકન…

‘ફૉન્ડ મેમરી’ – મિલનઘેલી કિલકારીઓમાંય ગુંજી ઊઠી છે. શુદ્ધ સ્નેહના ઉદ્ગારો એક ગતિશીલ કલ્પન(કાઇનેટિક ઇમેજરિ)માં વાસ્તવિક વર્ણન દ્વારા પ્રત્યક્ષ થયું છે:

‘મા હીંચકાના કડામાં તેલ પૂરે છે ને હીંચકો ફરી રણઝણી ઊઠે છે. વીતેલો સમય ફરી અહીં ફરી હીંચકે ઝૂલવા આવી ચડે છે’

કવયિત્રી દ્વારા અત્રે તદ્દન સહજ રીતિએ હીંચકાનો સબળ પ્રતીક રૂપે વિનિયોગ થયો છે. બિડાઈ ગયેલાં દ્વાર અને બન્ધ પડેલો હીંચકો એવો રણઝણ્યો કે વ્યતીત કાળ (એટલે કે કાવ્યનાયિકાના પપ્પા!) ફરી હીંચકે ઝૂલવા જાણે આવી ચઢ્યા!

‘જાણે’ શબ્દ પાસેથી કેવો યથાર્થ ઉપયોગ લીધો તે જુઓ: ને દુર્ભાગ્યનો પડછાયો (શેડો ઑવ ઇવિલ?) જાણે માની ઠેસે ઠેસે દૂર ને દૂર હડસેલાતો જાય છે.

પિતાનું મરણ, જે દુર્ભાગ્યનો ઓછાયો લાવ્યું હતું તે માની ઠેસે ઠેસે દૂર-સુદૂર લઈ હડસેલાઈ જાય છે.

હવે રચનામાં એક વાંકવળાંક ઊપસી આવ્યો છે કે પિયરઘર છોડી (તરછોડી નહીં) સાસરિયે સિધાવેલી, વ્યવસાયમાં અતિ વ્યસ્ત દીકરીનું નિખાલસ નિવેદન પ્રમાણીએ; દૂર હડસેલાતો દુર્ભાગ્યનો પડછાયો નીરખવા પણ તે ગઈ નથીઃ હું એ જોવા જઈ શકતી નથી!

વાસ્તવની અનિવાર્ય પકડને, આધુનિક માધ્યમ–ફોન ઢીલી કરવા વહારે ચઢે છે,

‘ફોન પર મારા કાન માની ખુશીઓને ટટોળતા રહે છે.’

‘મા કહે છે, ‘આ ઘર નથી, જાણે એક સપનું છે! હું જવાબ દઉં છું: હા, આપણું સહિયારું સપનું!’

માતા–પુત્રીના ભાવનાત્મક ઐક્યની આ પદાવલિ સ્મરણશીલવંતી છે!

અહીં એક ભેદ છે, તફાવત છે એ કાવ્યનાયિકાએ સ્પષ્ટરેખ કર્યો છે: મા એને ખુલ્લી આંખે જુએ છે ને હું જોઉં છું એને બંધ આંખે!

પરિસ્થિતિ પૃથક્તાની છે. મા પિયરઘરના હીંચકે બિરાજમાન, એટલે ખુલ્લી આંખના સ્વપ્નમાં છે, જ્યારે સાસરીઘરમાં વસી ચૂકેલી દીકરી પિયરઘરથી વિ–દૂર છે.

આવી નિરુપાયતાનું, ભૌગોલિક દૂરતાનું અંતર પણ મધુર આશ્વાસનથી દૂ…૨ થઈ જાય છે: ‘લાગે છે કે પપ્પાના મરણ પછી સ્મરણ થઈ ગયેલ એ ઘર કદાચ, મારામાં ઘર કરતું જાય છે…’

કૃતિનો કરિશ્મો જુઓ: પૂરું પિયરઘર ટ્રાન્સપૉર્ટ થઈ પુત્રીના સાસરા ઘરે ઊડી આવ્યું. (અહીં ‘કદાચ’ શબ્દ બિનજરૂરી બેસી ગયો છે) ;

હવે મરણનું સ્મરણ, વિસ્મરણમાં પરિણમ્યું. પિયરઘર મા પાસેથી જાણે પુત્રીઘરમાં પરકાયા પ્રવેશ કરવા માંડ્યું!

‘કારણ કે, આજકાલ કંઈ કેટલીય વાર પેલો હીંચકો કિચૂડતો કલકલી ઊઠે છે, મારી ભીતર!’

‘કારણ કે’ પ્રયોગ ગદ્યાળુ, અપ્રસ્તુત છે, છતાં ‘કલકલી’ શબ્દ ‘કલબલી’ કરતાં પંખીના કલરવ જેવો ‘કલરવી’ વિશેષ લાગે છે; અને તોય હીંચકો કર્કશ કિચૂડતોપણ છે જ! ભીતરની ભીંતને ભેદીને પેલો હીંચકો ઘણી વાર કલકલી ઊઠે એનું તાત્પર્ય–નાયિકાની સબ- કૉન્શ્યસ–અર્ધચેતનામાં સિમ્બોલ રૂપે પ્રતિષ્ઠિત થઈ રહ્યો છે!

ક્વયિત્રી ભારતી રાણે, જાણે કે હીંચકાની ‘હૃદયલિપિ’ને પિયરઘરમાં પરોવી એક માતૃમંગલ યાદગાર અછાંદસ કૃતિ રચી લાવ્યાં–વાસ્તે સ્વાગતમ્…

સચિત્ર દૃશ્યમંડિત ‘હૃદયલિપિ’ કાવ્યસંરચના ચોથા આવરણ પર યથાભાગ પંક્તિ છે:

પ્રેમ છે ભાષા હૃદયની,

ના લિપિ

ના વ્યાકરણ… (રચનાને રસ્તે)