અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુવીર ચૌધરી/દર્દ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દર્દ

રઘુવીર ચૌધરી

આ દર્દ મૌનમાં જ છવાતું ભલે હવે,
મેં તો કહ્યું હતું મને ને સાંભળ્યું તમે.

આ સાંજની હવાને યાદ સૌમ્ય ઉદાસી,
ચાલી ગયાં એ સંગ સમયની, ઊભા અમે.

મેં મિત્રોને જુદા ગણીને ઓળખ્યા નથી,
જોયું કે એમને જ અજાણ્યા થવું ગમે.

ભૂલી જવાય તોય ગુમાવાનું કૈં નથી,
એ ભૂતકાળ તો જગતમાં સર્વદા ભમે.

મેં તો વિદાયનો જ અનુભવ સદા કર્યો,
ખાલી બતાવ્યું આભ જનારા વિહંગમે.
(તમસા, પૃ. ૯૩)