અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક અગ્રાવત/પ્રવાહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રવાહ

રમણીક અગ્રાવત

પાંદડાંઓનું જો ચાલે
તો આખેઆખો પીપળો લઈને ઊડે
સાંજની વ્યાકુળતામાં પાંદડાં બીજું કરે શું?
કદી થવી નથી એવી થઈ છે
આની આ સાંજ
વગડતા રંગો ઊમટે છે
અને ઓસરે છે અવનવી ઝાંયમાં
અવાજો સ્વપ્નમાં તરવરતાં દુઃખ જેમ
હળવે હળવે ગ્રસે છે
સાંજનો કંપ હચમચાવી ગયો છે
સઘળાં મકાનોને પણ
શક્ય છે જે બારણે જઈ ઊભો રહીશ
એ સાવ અજાણ્યું ઘર નીકળે
સાંધ્ય પ્રવાહમાં
આ સમગ્ર સૃષ્ટિ
કઈ યાત્રાએ નીકળી છે?



આસ્વાદ: અપરિચિત કલ્પનાસૃષ્ટિમાં કળાયાત્રા – રાધેશ્યામ શર્મા

કૃતિનું શીર્ષક ‘પ્રવાહ’, રચનાના અન્તે પ્રકટ થયું છે:

‘સાંધ્ય પ્રવાહમાં
આ સમગ્ર દૃષ્ટિ
કઈ યાત્રાએ નીકળી છે?’

‘પ્રવાહી’નો સંકેત પાણીની કલ્પના પ્રેરે પણ અહીં તો દિનાન્ત સમય સંધ્યાના પ્રવાહની કવિતા છે. કદાચ જળરૂપ સંધ્યાની અથવા સંધ્યારૂપ જળની આ યાત્રામાં સમગ્ર સૃષ્ટિ એકરૂપ થઈ વહી છે!

કૃતિનો પ્રારંભિક ત્રણ પંક્તિનો પરિચ્છેદ પ્રવાહ કરતાં તદ્દન તાજો, અવનવો અને છતાં ‘હ્યુમન કન્સર્ન’થી ભર્યોપૂર્યો છે.

પાંદડાંઓ વૃક્ષને વશ હોય છે, એમની સત્તા કેટલી? એમની હેસિયત શી? પરંતુ એમનું જો ચાલતું હોત તો આખેઆખા અશ્વત્થને ઉપાડીને ઊડત! મસમોટા પારસપીપળાને પણ લઈ ઊડી શકે પાંદડાંઓ.

ભલે પછી ગીતાકથિત ઊર્ધ્વમૂલ અધઃશાખ સમગ્ર સંસારસૃષ્ટિ શું અશ્વત્થ વૃક્ષ હોય, પર્ણસમૂહનું બળ હોય તો પોતાની સાથે તાણીને ઊડી શકે. બન્ધન પાંદડાઓને પણ ગમતું નથી, ઝાડના દેહને ચોંટી રહેવું.

પહેલા પદનો ભાવલય જુઆ, પાંદડાંઓનું ‘જો ચાલે’, તાત્પર્ય કે પર્ણો સત્તાશૂન્ય છે. પહોંચ નથી એમની. અહીં પહેલી બે પંક્તિ, મારા કર્ણરન્ધ્રમાં ‘કૅપિટલ’ના કાર્લ માર્ક્સનો બુલંદ નારો ગજવી ગઈ, ‘વર્કર્સ ઑવ ધ વર્લ્ડ યુનાઇટ’ પણે બધાં ભેગાં થાઓ અને આખેઆખા પીપળાની સમગ્ર સિસ્ટમને ઉડાવી દો!

કર્તાની, કાવ્યકળાની સંકેતક્ષમતાનું સામર્થ્ય ભાવકને જેમ માર્ક્સના નારા પાસે તેમ પ્રચલિત બોધકથા તરફ પણ નિર્દેશ કરે. પારધીની જાળમાં સપડાયેલાં પંખીઓનું ચાલે તો આખેઆખી જાળને લઈ આકાશમાં ઊડી જાય… અહીં કરુણ અફર શરત છે પૂંછડીએ, ‘જો ચાલે’ તો ને? ખબર છે ચાલ્યું નથી અને કદાચ ભવિષ્યે એવો જ ઇતિ–હ–આસ દોહરાશે એટલે પર્ણ–પરિસ્થિતિને જસ્ટિફાય કરવાની નિરાશ હદે કવિને ઊતરવું પડ્યું છે. ‘સાંજની વ્યાકુળતામાં માત્રની દમિત વ્યાકુળતાને કુશળ કર્તાએ સાંજમાં પરોવી આપી.

પ્રથમ ગુચ્છના સંદર્ભથી બીજો ગુચ્છ સાર્થક અનુભવાય, ‘કદી થવી નથી એવી થઈ છે’ – (આ પ્રયોગ તળપદ બોલીનું સરસ ઉદાહરણ છે.) આજની આ સાંજ. બિચારાં પાંદડાંનું કશું ના ચાલ્યું અને સાંજની વ્યાકુળતામાં એમને જે સત્તાશૂન્યતાનો અનુભવ થયો એને ન્યાય્ય ઠેરવવામાં બચાવ પક્ષે કર્તાને ઉપસ્થિત થવું પડ્યું!

રમણીક રંગરેખાના કવિ છે. એ દરિયાઈ દૃશ્યોને ધ્વનિમાં અને અવાજોને ચિત્રોમાં ઢાળવાની મહત્ત્વાકાંક્ષાને પાર પાડવાના મનસૂબાવાન સૂબા છે! ત્રીજા ગુચ્છમાં ઊમટતા રંગોને એ ‘વગડતા’ વર્ણવે છે. રંગોમાં વાજાં સંભળાય અને ઊમટતા રંગો અવનવી ઝાંયમાં ઓસરે છે. ત્રીજી–ચોથી કડીનો વળાંક રંગસૃષ્ટિમાંથી દુ:સ્વપ્નસંસારમાં ભાવકને સરકાવી લે છે. ત્યાં ઊમટેલા પૂર્વ રંગતરંગો જાણે ઊમટી જઈ ઊડી જાય છે અને શેષ રહે છે ‘અવાજો’, જે – અજગરની જેમ – સ્વપ્નમાં હળવે હળવે ગ્રસે છે. અહીં કવિએ અવાજોને વિશિષ્ટ ઉપમા આપી છે એની પ્રક્રિયામાં, ‘તરવરતાં દુ:ખ જેમ.’

દુઃસ્વપ્ન જેવી સાંજ ભૂ–કમ્પ વડે મનુષ્યોને તથા સઘળાં મકાનોને પણ હચમચાવી જાય એમાં શું આશ્ચર્ય! ‘સાંજનો કંપ’ સાંજને જ ભૂ–કમ્પસદૃશ બનાવી રહી. આવું બધું થાય ત્યારે સંવેદનપટુ કર્તા–નાયક વિસ્મય સાથોસાથ અજ્ઞાત ભયના યુગપત્ ભાવનો ભોગ બને. એવી પસંદીદા પંક્તિઓ આ રહી:

પાંદડાં બીજું કરે શું?

— મનુજ

શક્ય છે જે બારણે જઈ ઊભો રહીશ
એ સાવ અજાણ્યું ઘર નીકળે.

આશ્ચર્યચિહ્ન વગર પણ ભાવક અહીં ભાવશબલતાનો અનુભવ ભયવિસ્મયમાં પામે છે એને કૃતિની સિદ્ધિ કહેવી ઘટે. આમેય ક્યાંય વિરામચિહ્નો નથી, સમખાવા જોગ બે પ્રશ્નાર્થો છે – આરમ્ભે અને અન્તે. હવે ખ્યાલ આવી જાય કે સમગ્ર સંસાર સમેત સાંધ્ય પ્રવાહમાં કવિશ્રી રમણીક અગ્રાવત એમની અને આપણી અપરિચિત કલ્પનાસૃષ્ટિમાં સફળ કળાયાત્રા કરાવી ગયા…

છેલ્લે, ડબ્લ્યુ. બી. યેટ્સની એક સાંધ્ય સૃષ્ટિ માણી લઈશું?

‘And evening full of the linnet’s wings.’…

(The lake Isle of Innisfree)

– ‘લિનિટ’ એક ગાનારું પંખી છે. કવિજનો પણ મોટે ભાગે ગીત ગાતાં પંખીઓ જ હોય ને! (રચનાને રસ્તે)