અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાધેશ્યામ શર્મા/હાંફતાં સરઘસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હાંફતાં સરઘસ

રાધેશ્યામ શર્મા

૧.


ભાગતી જતી રીક્ષાઓ ને મોટરોના બેકપાઈપમાંથી
છૂટેલો ઝેરી ધુમાડો, પાછળ પડી ગયેલી, ઘવાયેલી
એક ચરણને અધ્ધર ઉઠાવી ત્રણ પગે ચાલતી ગાયના
નાકમાં ગૂંગળામણ પેદા કરે છે ને તેથી ભૂલથી
ચોથો પગ હેઠે મૂકી દેવાતાં ગાયથી નંખાઈ
ગયેલો ભાંભરડો
તેલઊંડ્યા વગરની સાયકલના બોબડા બબડાટ
સાથે ઘર તરફ વળતા મિલમજૂરોના મુખમાંથી
તમાકુની ગંધથી મિશ્રિત; સરી પડેલાં વાક્યો
મિલની એક લાંબી કાળી ચીમની ઉપર શ્વાસ
ખાવા બેઠેલા ચન્દ્રના મુખ ઉપર અંદરથી
આવતી ધુંવાડી છવાતાં તેની સકલંક છાતીમાંથી
ખાંસીનું એક ઠૂંઠિયું નીકળી, ચીમની ઉપરથી
ઠેઠ નીચે પડી આપઘાત કરે છે તેનો ચિત્કાર
‘ઝૂ’મંથી પ્રથમ ઝાડવાંને અફળાઈને, પછી
શહેરમાં પ્રસરતી સિંહની સભ્ય ગર્જનાઓ;
હૉસ્પિટલના ‘ઇનડોર’ પેશન્ટની પીળા ગફાથી
સોઢાતી ખાંસી
અધરાતે, ડબ્બા વગર જતાં એકલાં એન્જિનોની
તીણી વ્હીસલો
આશ્લેષમાં લેતાં જ તેના વૃદ્ધ ધણીને વળેલા
પ્રસ્વેદની દુર્ગંધથી ત્રાસ પામેલી જુવાન
સ્ત્રીનો નિઃશ્વાસ
ગાંડા કેદીઓના તીખા ટાઢા ઉદ્ગારો
સ્લોટર હાઉસના ટાઢાં મશીનોની ડહાપણની
દાઢના ભચરડાટ
મોટો વીમો વસૂલ કરવાના ઇરાદે લગાડવામાં આવેલી
આગને બુઝાવરા, હાંફળાફાંફળા દોડેલા બંબાઓની કીકિયારીઓ
પાંચ મિનિટ કાયમ પાછળ પડી જતા, ટાવરના ઝોકે
ચઢેલા સેકન્ડ કાંટાને ચામાચીડિયું જોસથી
ભટકાતાં ઘણા વખતે – અરધોકલાક પૂરી થવાનો
એક ખરો ટકોરો વાગે છે,
રેડિયો ઉપરથી મધરાતે અજ્ઞાત ભાષાઓમાં જોતાં
થયેલાં ગીતો અને ‘રીલે’ થયેલા ન્યૂઝ
પ્રસૂતિગૃહમાં ખાટલે પડેલી કન્યાઓ
વેણની વેદનાથી કરે છે અસ્પષ્ટ પ્રલાપો
નવજાત શિશુનાં બેસમજ રુદન
અવકાશના કાળમીંઢ ખડકોને ભેદીને ધસતાં વિમાનો
હામ હારીને હવે રોગિષ્ઠ ઉદરને ગોતતી બિલાડીના
કાચ-આંખોના પલકારા
મોંમાં આવી પડેલાં જંતુને મમરાવીને ગળી
ગયા બાદ ઘરડા ઘુવડે ગાયેલું ઘૂ ઘૂ ગીત
ખાઉધરી સ્ત્રીની સોડમાં સૂતેલા શિશુનું માતાના
વજન હેઠળ ચગદાવું ને છોકરીની કાળી રાડ
કાંચળી કાઢી ક્યાંક નીકળી પડેલા સાપનો
સુંવાળો સળવળાટ
વિષવમન કરતા – લોહી-લાળ-ઝરતા
મુખમાંથી અંધારામાંયે પ્રકાશ
પ્રસારતી દંતપંક્તિઓના તેજમાં,
હડકાયા કૂતરાના છેલ્લાં ડચકાં
લેતા ડોળા આગળ ક્યાંકથી
ઊડી આવેલા તારક સમા એક
ફુદાનો રેશમી-શુભ્ર સંસાર
‘રોન’ ફરવા નીકળેલા સિપાઈની ઘસાયેલી બૂટજોડીનો
અસ્તવ્યસ્ત આરોહ-અવરોહ
નાસતો ફરતો પવન
ખીલીથી વિખૂટું પડેલું દુકાનનું પાટિયું
આસોપાલવનાં સૂકાંખખ પાંદડાંમાં મોં ઘાલી
વિધવાનાં ડૂસકાં લે તેના રુદનધ્વનિ
ત્રીજાવર્ગના વેશ્યાગૃહમાં પ્રથમ રાતે જ, સંવનન સમયે
ઉછીની માગી આણેલી પેટ્રોમેક્ષનો ઓલવાઈ જતાં પૂર્વેનો
ભપ ભપક અવાજ
મંદિરોના ઊંડા ગર્ભગૃહમાં સોનાના પારણે
પોઢેલા ભગવાન બાલમુકુન્દનાં નસકોરાંની વાગતી
વેણુ-
(જેનાથી ધીમી, સ્થિર વાટે જલતા એક પ્રદીપના કાન
પાકી જાય છે!)
શતાયુ થવા કરતા ને શય્યા ભોગવવા આજાર
વિપ્રનો, ઊંઘમાં અભાનપણે ગળાના હૈડિયાની
આસપાસ જનોઈ વીંટઈ જતાં નીકળી પડેલો
વેદનાસિક્ત ઉદ્ગાર
ખખડી પડેલી એક મસ્જિદના, ફૂલેલા પેટ શા
એક માત્ર સાબૂત ગુંબજ ઉપર કેટલાક તારાઓની–
કોઈ પયગંબર પેદા થશે કે કેમ તેની ચિંતામાં
રાતભર ચાલતી – શિખરમંત્રણાના વિશ્રંભ વાર્તાલાપ
કાટ ખાઈ ગયેલી પાઈપોમાં પાણીની સેરના
એકાએક આગમનથી થતો પ્રકંપ-રણકાર


રાતે આ અવાજોનાં હાંફતાં સરઘસ-
ખુલ્લી રહેલી બારી
બંધ બારણાંની તિરાડો
વાતાયન
ઊંઘતા ખુલ્લા નળ અને
છાપરાના ચૂવામાંથી
(જ્યાંથી અજવાળિયું હોય ત્યારે ચાંદરડાં પણ અવતરે છે!)
– ઘરના અસબાબ ઉપર
અને ખાસ તો,
કાતિલ ઠંડીથી બચી જવા આપણે ઓઢી લીધેલા
ચોફાળ કે ધાબળા ઉપર ઊતરે છે!
સોડમાં લઈ હૂંફ આપીને-ના આપીએ
ત્યાં તો એકદમ સવારે
કોર્ટના પટાવાળાની જેમ
છાતી ઉપર ઝગારા મારતો પિત્તળનો બિલ્લો લગાવી
‘ફલાણા ફલાણા’ એમ દીર્ઘ સ્વરે નાનોચ્ચાર કરી
આ સૌને, સૂર્ય ક્યાંક હાજર કરી દે છે!
(ઝાકળબિંદુઓનાય આવા હાલ એ નહિ કરતો હોય તેની શી ખાતરી?)
એ શું કરી રહ્યો છે
તેની એને ખબર હશે કે બસ...?
(‘આંસુ અને ચાંદરણું’)



આસ્વાદ: ‘નગરકાવ્યોમાં યાદ રહે એવું દીર્ઘકાવ્ય’ – ચન્દ્રકાન્ત ટોપીવાળાર્મા

દીકરો ગુમ થઈ જાય અને એની શોધમાં બાપની રખડપટ્ટી શરૂ થાય એને ભવના ફેરામાં પલટી નાખતી ‘ફેરો’ જેવી લઘુનવલ કે કિશોરની આંખે ડાકોરયાત્રાની નોંધમાંથી જુદું જગત ઊભું કરતી ‘સ્વપ્નતીર્થ’ જેવી લઘુનવલથી ગુજરાતભરમાં જાણીતા રાધેશ્યામ શર્માની મહત્ત્વની ખાસિયત એ છે કે કોઈ પણ નવા બહાર પડતા ગુજરાતી પુસ્તકને તેઓ ચીલઝડપે અવલોકનમાં ઝડપી લે છે, એમની વાંકીચૂંકી ચાંચની છાપ સાથેનું વિવેચન એમનો મુદ્રાલેખ છે પણ અમદાવાદ શહેરને, શહેરનાં વરવાં દૃશ્યોને શહેરની ગંદી અને ગોબરી છબીઓને ઝડપતા રાધેશ્યામને જોવા એ એક લ્હાવો છે. રાધેશ્યામ શર્મા અમદાવાદ શહેરને ‘હાંફતાં સરઘસો’માં બરાબર ઝીલે છે. એ એમનું જાણીતું દીર્ઘકાવ્ય છે. નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક તરીકે ખૂબ જાણીતા રાધેશ્યામે વર્ષો પહેલાં ‘આંસુ અને ચાંદરણાં’ કાવ્યસંગ્રહ બહાર પાડેલો એમાં એ કાવ્ય ગોઠવાયેલું છે.

‘હાંફતાં સરઘસ’ની વિશેષતા એ છે કે એમાં અમદાવાદ શહેરનાં દૃશ્યો ઝડપવા સાથે એના અવાજો પણ ઝાલી બતાવ્યા છે. સિનેરસિયા રાધેશ્યામ માટે કહી શકાય કે ‘હાંફતાં સરઘસ’માં એમણે જુદાં જુદાં દૃશ્યોની પટ્ટીને અવાજની પટ્ટી સાથે કુશળતાથી જોડી છે. એમ કહેવાય કે કવિ દૃશ્યો બતાવવા કરતાં અવાજ સંભળાવવામાં વધુ રસ ધરાવે છે, ઘોંઘાટ સંભળાવવા કરતાં ઘોંઘાટના પ્રદૂષણ તરફ ધ્યાન ખેંચવામાં વધુ રસ ધરાવે છે અને ઘોંઘાટના પ્રદૂષણ કરતાંય ઉદ્યોગોને કારણે બેફામ વિસ્તાર પામેલા મહામસમોટા શહેરના નર્કજીવનને બતાવવામાં વધુ રસ ધરાવે છે. આધુનિક વિકાસના વરદાનની સાથે સાથે મનુષ્યજાતિની શાંતિ સદંતર છિનવાઈ ગઈ છે – આ છિનવાઈ ગયેલી શાંતિની યાદ કવિએ કોલાહલ અને ઘોંઘાટની ભીડથી ઊભી કરી છે.

કોલાહલ અને ઘોંઘાટની ભીડ બતાવવા કવિએ ‘સરઘસ’ને યાદ કર્યા છે. સરઘસ એક નથી, અનેક છે; અને એય પાછાં હાંફતાં સરઘસ છે. ‘હાંફતાં સરઘસ’માં ‘હાંફતાં’ના થાકેલાં, મરણતોલ કે દમિયલ એમ અનેક અર્થ થઈ શકે. અને બધા જ અર્થ અહીં કામમાં લાગે તેવા છે. અમદાવાદ મહાનગરનાં રાતનાં દૃશ્યો છે. આ દૃશ્યો લગભગ બીમાર દૃશ્યો છે. દિવસને અંતે કાળી મજૂરી પછીના અવાજો છે. અને ક્યાંક ક્યાંક મરણની નજીકના અવાજો છે. તેથી ‘હાંફતા’ના ત્રણ અર્થ અહીં બંધ બેસે છે.

વળી ‘હાંફતાં સરઘસ’માં અમદાવાદનું જે દૃશ્ય ઝડપાયું છે તે આજના કોઈ પણ મોટા શહેરનું દૃશ્ય હોઈ શકે. આગળ વધીને કહીએ તો આજના જગતનું એ દૃશ્ય હોઈ શકે. કદાચ માનવજાતના ઇતિહાસમાં મનુષ્યજાતિએ આ તબક્કે આવડો મોટો શોરબકોર, ઘોંઘાટ અને કોલાહલ એક જગ્યાએ પહેલીવાર સાંભળ્યો છે.

‘હાંફતાં સરઘસ’ આમ જોઈએ તો દીર્ઘકાવ્ય છે. અને બે ભાગમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં જેમ કેલિડૉસ્કોપમાં દૃશ્યો એક પછી એક બદલાય તેમ આપણી આગળ અહીં દૃશ્યો બદલાયાં કરે છે. પણ દૃશ્યોમાંથી તરાપ મારીને બહાર તો અવાજો આવે છે. કાવ્યની શરૂઆતનું ચિત્ર જુઓ: ‘ભાગતી જતી રિક્ષાઓ ને મોટરોના બૅકપાઇપમાંથી છૂટેલો ઝેરી ધુમાડો, પાછળ પડી ગયેલી, ઘવાયેલા એક ચરણને અધ્ધર ઉઠાવી ત્રણ પગે ચાલતી ગાયના નાકમાં ગૂંગળામણ પેદા કરે છે ને તેથી ભૂલથી/ચોથો પગ હેઠે મૂકી દેવાતાં ગાયથી નંખાઈ ગયેલો ભાંભરડો’… અહીં ‘ગાય’થી થયેલી કાવ્યની શરૂઆત વિચારો. તપોવનમાં વૃક્ષો અને ઘાસ વચ્ચે તંદુરસ્ત ફરતી ગાયની શહેરમાં સ્વાર્થી મનુષ્યજાતિ વચ્ચે થયેલી દુર્દશાથી કવિ ગાયની દુર્દશા તો વર્ણવે છે પણ આડકતરી રીતે મનુષ્યજાતિની દુર્દશાનું ચિત્ર છે. ગાય અપંગ નથી, સમસ્ત માનવજાત ઘવાયેલી અને અપંગ છે. ‘ભાંભરડો’ લેતી નથી, સમસ્ત માનવજાત ભાંભરડો લઈ રહી છે.

આ પછી કવિ મિલમજૂરોનાં વાક્યો, કાળી ચીમટી ઉપરથી ઠેઠ નીચે પડી આપઘાત કરતા ચન્દ્રની ખાંસીનો ચિત્કાર, ડબ્બા વગરના એકલા એન્જિનોની તીણી વ્હિસલો સંભળાવે છે. ‘એકલાં’ એન્જિનો દ્વારા ઘણા એકલા માણસોની તીણી વ્હિસલ કવિએ યાદ કરી છે. આ પછી ‘ભચરદાટ’, ‘કાળી રાડ’, ‘છેલ્લાં ડચકાં’ જેવી અનેકાનેક અવાજસામગ્રી કવિએ ખપમાં લીધી છે. પણ એમ કરતાં કવિ ભગવાનને પણ અડફટમાં લે છે: ‘મંદિરના ઊંડા ગર્ભગૃહમાં સોનાના પારણે / પોઢેલા ભગવાન બાલમુકુન્દના નસકોરાંની વાગતી/વેણુ.’ ‘પોઢેલા ભગવાન’ અને ‘નસકોરાંની વાગતી વેણુ’ દ્વારા કવિએ જગતનાં અંધેર તંત્રને સૂચવીને ખાસ્સો કટાક્ષ કરી લીધો છે.

આ જગત આખામાં ક્યાંય શાંતિ નથી. જગતની ચિંતા કરતાં તારાઓના શિખરમંત્રણાના વાર્તાલાપમાં કવિએ રાજકારણ અને રાજકારણીઓને તેમજ ધર્મના બંદાઓને પણ છોડ્યા નથી. કહે છે: ખખડી ગયેલી એક મસ્જિદના ફૂલેલા પેટ શા એકમાત્ર સાબૂત ગુંબજ ઉપર કેટલાક તારાઓની – કોઈ પયગંબર પેદા થશે કે કેમ તેની ચિંતામાં – રાતભર ચાલતી શિખરમંત્રણાના વિશ્રંભ વાર્તાલાપ’

કાવ્યના બીજા ભાગમાં કવિએ આ અવાજોને ઠેકઠેકાણેથી અને ખાસ તો ‘ચાંદરડા’ ઊતરે એવા છાપરાના ચૂવામાંથી ઘરના અસબાબ ઉપર ઊતરતા બતાવ્યા છે. ‘ચાંદરડાં’ દ્વારા કવિએ ફરીને અવાજોની સામે શાંતિને યાદ કરી લીધી છે. પણ રાતે ધાબળો ઓઢીને સૂતેલા પર પણ અવાજો ઊતરી આવે છે. આખી રાત રહે છે અને સવારે સૂરજ અને ક્યાંક, હાજરી કરી દે છે. પણ સૂરજ અહીં ‘સૂર્યનારાયણ’ નથી. સૂરજ તો ‘કોર્ટના પટાવાળાની જેમ છાતી ઉપર ઝગારા મારતો પિત્તળનો બિલ્લો લગાવી’ને ઊભો છે. સૂરજ ઝાકળને ઉડાડે તેમ અવાજોને અન્ય ક્યાંય હાજર કરી દે છે. દિવસ અમદાવાદમાં ઊગ્યો તો પછી પૃથ્વી પર ક્યાંક રાત તો પડવાની જ છે! સૂર્ય ‘કોર્ટના પટાવાળા’ની દશામાં મુકાયો છે એના જેવો જગતનો વિકાસ બીજો કયો હોઈ શકે?

નગરકાવ્યોમાં લાંબા ગાળા સુધી યાદ રહે એવું રાધેશ્યામ શર્માનું આ કાવ્ય છે. (રચનાને રસ્તે)