અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામનારાયણ વિ. પાઠક 'શેષ'/જ્યારે આ આયખું ખૂટે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જ્યારે આ આયખું ખૂટે

રામનારાયણ વિ. પાઠક 'શેષ'

જ્યારે આ દેહ મહીં દેવે
                  ધીરેલું આયખું ખૂટે,
                  જીવનનો તાંતણો તૂટે.

જેવી રીતે માત નીંદરતું બાળ
         ધીમેથી અંકમાં લિયે,
માસે માસે અમાસને દિન
         દેવો મયંકને પિયે;
         તેવી રીત ગોદમાં લેજે,
         તારામાં સમાવી દેજે;
         જ્યારે આ આયખું ખૂટે,
         જીવનનો તાંતણો તૂટે.

જેવી રીતે બાપ ખંખેરી ધૂળ
         બાળકના શીશને સૂંઘે,
થાકેલું બાપને ખભે ડોક
         નાખી નિરાંતે ઊંઘે;
         તેમ ખંખેરી લેજે,
         મને તું તેડી લેજે;
         જ્યારે આ આયખું ખૂટે,
         જીવનનો તાંતણો તૂટે.

જેવા મહાન કવિના બસ જરા
         એક શબ્દને સ્પર્શે,
ભાવક પ્રવેશે તેને વિશ્વ
         સ્વયં બસ રસને હર્ષે;
         તેવો આકર્ષજે મુને,
         તારે રસ વર્ષજે મુને;
         જ્યારે આ આયખું ખૂટે,
         જીવનનો તાંતણો તૂટે.

જેવી રીત માળી ખરેલાં પાન
         ક્યારામાં વાળી લિયે,
નવા અંકુર પાંગરવા કાજ
         એ પાનને બાળી દિયે;

તેમ મુજ જીવનના સૌ શેષનું
         કોઈને ખાતર કરજે,
         કો’માં નવજીવન ભરજે,
         મારો કો’ને લોપ ન નડશો,
         મારો કોઈ શોક ન કરશો;
         જ્યારે આ આયખું ખૂટે,
         જીવનનો તાંતણો તૂટે.

(શેષનાં કાવ્યો, પૃ. ૧૩૦-૧૩૧)