અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/સમજ્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સમજ્યા

લાભશંકર ઠાકર

સૂરજ આ અમથું ઊગ્યો ને અમથું ખીલ્યું ફૂલ...સમજ્યા.
અમથું છે આ ઝાકળટીપું, અમથી ઊગી શૂલ...સમજ્યા.
અમથું આ પંખી બોલે છે, અમથું ઊડે કાગ...સમજ્યા.
અમથું આ એકલતા જેવું, અમથો ખીલ્યો બાગ...સમજ્યા.
અમથા આ શબ્દો જાગે છે, અમથો એનો અર્થ...સમજ્યા.
અમથી અમથી કરું કવિતા, અમથો બનો અનર્થ...સમજ્યા.
તેમ છતાં આ અમથું ના કંઈ, અમથો થતો સવાલ...સમજ્યા.
ઉપર નીચે, નાના મોટા, ફરકે અમથા ખ્યાલ...સમજ્યા.
કાગળનો ડૂચો છે અમથો, અમથો આ ઘોંઘાટ...સમજ્યા.
અમથા અમથા તારા ઊગે, અમથી સળગે વાટ...સમજ્યા.
અમથી અમથી શરૂ થઈ છે, અમથો એનો અંત...સમજ્યા.
અમથું અમથું સમજ્યો જે કંઈ, અમથો બાંધું તંત...સમજ્યા.



આસ્વાદ: શબ્દની સ્ફૂર્તિની કવિતા — જગદીશ જોષી

સમાજશાસ્ત્રીઓ એમ કહેતા આવ્યા છે કે ભીતરનો કોઈ સ્વ-અર્થ ન હોય ત્યાં સુધી માણસ પ્રવૃત્તિ માટે પ્રેરાય નહીં. દરેક પ્રવૃત્તિને જરા ખણશો, ખોતરશો તો કોઈક કારણ હાથે ચડવાનું. પણ કલા એ તો માત્ર નિર્હેતુક લીલાની પ્રવૃત્તિ છે. માત્ર क्रीडनार्थ છે એવું આપણને ઠસાવવામાં આવ્યું છે. ‘નિરુદ્દેશે’ કે ‘હું તો બસ ફરવા આવ્યો છું!’ કે પેટ્રિક કાવાનાઘની જેમ ‘My purpose in life is that I have no purpose–’ આવી સીધી રીતે આજનો કવિ વાત નહીં કરે.

લાભશંકરે આ કાવ્યનો પ્રારંભ પ્રકૃતિથી કર્યો છે. પ્રકૃતિમાં યોજના હોય, પ્રયોજન નહીં. પણ મનુષ્યમાં પ્રયોજન વિના કોઈ પ્રવૃત્તિ જ નથી. વૃત્તિના ભેદના આ બે અંતિમોને ઠસાવીને ઉપસાવવા માટે ‘સમજ્યા’ શબ્દને કવિ કાકુથી એવી રીતે પ્રયોજે છે કે જાણે આ વાત છે અને છતાં નથી.

સૂરજના ઊગવામાં, ફૂલના ખીલવામાં કે ઝાકળનાં ટીપાંના અસ્તિત્વમાં કે પંખીના ઊડવામાં — બોલવામાં જે નિર્હેતુકતા છે તે માનવપ્રવૃત્તિમાં છે ખરી? અને જો કોઈ એમ કહે તોપણ એ વાત ભોળા ભાવે માની લેવા જેવી નથી. એમ કવિ ફરી ફરીને આપણને કહેવા માગે છે.

કોઈ પણ વસ્તુનો નિતાન્ત સાક્ષાત્કાર પણ મનુષ્ય કરી શકતો નથી. નરી એકલતાનું વરદાન પણ એને ક્યાં છે? એકલતા ‘જેવું’ – નિર્ભેળ એકલતા પણ નહીં. કવિ પૂરતા સજાગ છે અને એટલે જ આ શબ્દો, આ અર્થ-અનર્થ, અરે, ખુદ કવિતાપ્રવૃત્તિ માટે જ્યારે તેઓ વિચારે છે ત્યારે ‘તેમ છતાં આ અમથું ના કંઈ,’ એવી પ્રતીતિ તેમને થાય છે અને તરત જ ‘અમથો થતો સવાલ’ એમ કહીને વાતની કોર વાળી લે છે. આવી પ્રવૃત્તિમાં પણ ઊંચા-નીચા, ઉત્તમ-મધ્યમ, નાના-મોટાના ખ્યાલોનું ગણિત ‘ફરકી’ જાય છે ત્યારે મનુષ્યને મળેલો સંવેદનતંત્રનો કોરો કાગળ પણ ઓચિંતો ડૂચો થઈ જાય છે અને ઘોંઘાટમાં ક્યાંક ખોવાઈ જાય છે. મનુષ્ય ‘જે કંઈ’ થોડુંઘણું સમજ્યો છે એમ પોતે માને છે એના માટે પોતે તંત બાંધી બેસે છે અને તંતીલી વૃત્તિ-પ્રવૃત્તિની તાણતૂસમાં સમજણની બારાખડી ભૂંસાઈ જતી હોય છે.

લાભશંકરનું આ કાવ્ય કવિ વિશેની કવિતા છે, કવિતા વિશેની કવિતા છે. કવિતા લખતાં લખતાં વણસી જતી કલમની પણ આ કવિતા છે. આપણે ત્યાં ઠાકોર, ઉમાશંકર, નિરંજન વગેરે કવિઓએ કવિતાની પ્રક્રિયા વિશે કાવ્યાત્મક કૃતિઓ આપી છે. લાભશંકરની આ કૃતિ ‘અમથું અમથું’ અને ‘સમજ્યા’ કહી કહીને પણ સાવ અમથી નહીં એવી કવિતાની હસ્તીની વાત કરી જાય છે.

આ કૃતિ સરળ લાગે છે પણ એ ગહનતાની નીપજ છે. પંક્તિઓની સફાઈ છે તે બૌદ્ધિકતા કરતાં પણ લયની ઊંડી સૂઝને વધુ આભારી છે.

અદ્યતન કવિઓમાં જેને major poet કહી શકીએ એવા આ કવિ કવિકર્મ માટે કેટલા સજાગ છે! શબ્દને અનેક રીતે અને ઉત્તમ સ્વરૂપે પામવા મથતા કવિ અન્યત્ર કહે છે ‘(શબ્દનો) કયા ઍંગલથી ફોટો પાડું?’ ભાષાને વળગેલા મેદનું નિરસન કરીને (કે વસ્ત્રગાળ ચૂરણ કરીને!) કવિને તો રસ છે શબ્દસ્ફૂર્તિ સિદ્ધ કરવામાં.

‘શબ્દ વિના હું દીન’ કહેનાર કવિ શબ્દસ્મૃદ્ધિને કેવી સમૃદ્ધ રીતે લયમાં રજૂ કરી શક્યા છે! (‘એકાંતની સભા'માંથી)



આસ્વાદ: અમથાને સમજીને થતું અમથું મહિમાગાન – સંજુ વાળા

ગુજરાતી ભાષામાં વીસમી સદીના મધ્યભાગથી લઈને એકવીસમી સદીના પૂર્વાર્ધ સુધીની કવિતાને એક ભાવક તરીકે જોતાં એવું તારણ આપી શકીએ કે, એ અનુગાંધીય વિચારધારામાંથી ઊંચકાઈને આધુનિક પ્રવાહમાં મુકાઈ અને આજે, એટલે કે ૨૦૧૬માં આપણે ઊભા છીએ ત્યારે એ અનુ-આધુનિકના ચમકારા કરે છે. આપણે અહીં જે કાવ્યની વાત કરવી છે તે, આ કવિના કાવ્યસંગ્રહ ‘બૂમ કાગળમાં કોરા’ (૧૯૭૪, દ્વિતીય આવૃત્તિ-૧૯૯૬)માં પ્રથમ વખત ગ્રંથસ્થ થાય છે. એટલે એને કાળના સંદર્ભમાં જોઈએ તો એ આધુનિકકાળની રચના છે. આપણે એ પણ જાણીએ છીએ કે માત્ર આ સમયમાં એ પ્રગટી તેટલાં કારણોસર જ એ આધુનિક ના ગણાય. કારણ કે આ કાળમાં પ્રગટેલી કોઈ રચના મધ્યકાળની રચનારીતિએ ભજનભાવની હોય તો એ આધુનિક ના જ કહેવાય. પણ પ્રસ્તુત રચના કાળ, ભાવ, ભાષા, રચનારીતિ, સંવેદન, અભિવ્યક્તિ અને કાવ્યપુરુષાર્થની રીતે આધુનિક છે. આટલું સૌપ્રથમ અંકે કરી લઈએ.

લાભશંકર ઠાકર(હવે પછી ક્યાંક આપણે લા૰ઠા૰ તરીકે, જે સંજ્ઞા કવિનામ તરીકે આ પહેલાં સ્થાપિત થઈ ચૂકી છે તે પણ પ્રયોજશું)ને આપણે સામાન્ય રીતે આપણા સમયના અછાંદસ કવિતાના કવિ તરીકે જાણીએ-પ્રમાણીએ-ઓળખીએ છીએ. પરંતુ આ કવિની સર્જનનાભિમાં વિવિધ તરીકા, વેગ, આરોહ-અવરોહ, ભાત-પોત અને રીતિ-રિદ્ધિએ લય વહેતો-ઘૂમરાતો-અથડાતો અને અવતરતો રહ્યો છે. અછાંદસ કુળ-મૂળની તેમની અનેક ટૂંકી અને દીર્ઘ રચનાઓમાં, અનેક પંક્તિઓ લયખચિત જ નહિ, લયના વાંક-વળાંકથી કાવ્યત્વ અને કાવ્યની પઠનક્ષમતાને આલોકિત કરતી આપણે પ્રમાણી છે. આ કવિએ અનેકાધિક વખત કવિતા, લય, લયપલટા અને ભાષાના વિવિધ સ્તરોથી રચાતી કાવ્યભાષા, ભાષાનું સંયોજન અને તોડફોડ વિશે વાત કરી છે. લય વિશે તેઓ કહે છે : ‘પોષાયો છું લયના અવિરત સિંચનથી’ (સર્જકની આંતરકથા, સં. ઉમાશંકર જોશી, પૃ.૧) એટલે લય એ લા૰ઠા૰ની કવિતામાં અનેક આયામથી વહેતો, જીવંત વેગ છે. ગદ્ય કે પદ્યલયનું પ્રયોજન અને સિસૃક્ષા એ બંને આ કવિના રસ અને આનંદનો વિષય છે. ભાષાના તોર, તરીકા અને આંતરસ્રોત સુધી પહોંચવું અને ભાષાદ્વારના અર્થની કોટીઓ રચવી એ આ કવિમાં સૌથી વધુ સર્જનાત્મક રીતિએ પ્રગટે છે. આવી કેટલીક સાવ પ્રાથમિક અને સર્વ વિદિત વાત પછી ‘સમજ્યા’–ને લા૰ઠા૰ રીતિએ કહું તો સાંભળીએ.

કોઈ પણ ઉદ્દેશ્ય સાથે થતી વૃત્તિ-પ્રવૃત્તિને આપણે સકારણ કહીએ છીએ. એની સાથે કર્તાનાં હિત સંકળાયેલાં હોય. બરાબર એની સામેની બાજુ એટલે પ્રાકૃતિક પ્રચલન. બધું થતું રહે, છતાં બધું આપમેળે અને આપબળે. જ્ઞાનીઓ એને જરા જુદી રીતે જુએ. કહે : અકર્તાપણું. એવું લાગે છે કર્મનો ભાવ અને ભાર ઓગળી જાય ત્યારે આ અકર્તાપણું શગે ચડતું હશે. સાધનાના કે પ્રાપ્તિના છેક છેડાની વાત હશે? પણ પ્રકૃતિ માટે તો સાવ સ્વાભાવિક. આ પ્રકૃતિએ કઈ સાધના કરી હશે તે આવું સ્વાભાવિકપણું એને સિદ્ધ ના કરવું પડ્યું અને જન્મતાની સાથે જ મળ્યું? યોગીઓ કહે છે જ્યાં જાપ પૂરો થાય ત્યાંથી અજપાજાપ શરૂ થાય. કબીર કહે : ‘લેખ સમાના અલખમેં, આપા માંહી આપ.’ એટલે વસ્તુજગતનાં સત્યોના ઇન્દ્રિયવ્યાપારનો જ્યાં અંત આવે ત્યાંથી શરૂ થાય તે અનુભૂતિના ભાવવિસ્તારમાં સ્થિર થતાં સત્યો. એક સ્થિતિએ પહોંચ્યા પછી થતું સ્વયંભૂ પ્રકટીકરણ. આ જ્ઞાનપરિધિના ચક્કરમાં ઊંડા ઊતરશું તો કાવ્યનો આસ્વાદ બાજુમાં રહી જશે. પરંતુ, ગંગાસતી એક જ પંક્તિમાં આપણો રસ્તો સરળ કરી આપે છે : ‘ભાઈ રે કરતાપણું કોરે મૂકશો પાનબાઈ, ત્યારે આવશે પરપંચનો અંત.’ કાવ્યને પણ એક પ્રકારનો ભાષાપ્રપંચ આપણે ત્યાં કહેવાય છે. વ્યવહારજગતમાં તો હું કરું છું કે મારું કરેલુંની સઘળી ભ્રામકતા. એને ગાયા, વગાડ્યા કરવું એ પણ નર્યો પ્રપંચ. આપણા આ કવિ જે કાંઈ સહજ, સ્વાભાવિક અહેતુક કે અમથું થાય છે એને વર્ણવીને પંક્તિના અંતે કહે છે : ‘સમજ્યા.’ એટલે ઘણુંબધું સમજી લીધા પછી, એનાં પ્રચલન, વિચલન અને વ્યાવર્તકતા જાણી લીધા પછી કહેવાયું છે આ ‘સમજ્યા.’

પ્રથમ ચાર પંક્તિઓમાં સાવ સહજ, નૈસર્ગિક રીતે આંખ સામે તરવરતી અને તરી આવતા પ્રકૃતિના રૂપનો કાવ્યનિષ્પત્તિ માટે લયસભર ટેકઓફ લેવાયો. જેવું સહજ એનું અવતરણ થતું હોય છે, એવી જ લાક્ષણિક પણ અકૃત્રિમ અભિવ્યક્તિ. પરંતુ આ પંક્તિઓ કવિને જે સ્થાપના કરવી છે તેનું રૂપક કે ઉપમા તો ના કહીએ પણ નિર્દેશિકા બનીને અવતરી. જે માત્ર વાચ્યાર્થ કરવા ટેવાયેલા હોય એને તો એમ જ થાય કે કવિતાનું કયું મોટું કામ આમાં થયું? સૂરજ ઊગે, ફૂલ ખીલે, ઝાકળ પડે, પંખી બોલે કે બાગ ખીલે આ બધું સાવ અમસ્તું. આમ કહેવાથી કેવા રસાનંદ કે કાવ્યાનંદનો ઊભરો આવે? પરંતુ વાત આટલેથી અટકતી નથી. સૂરજ જેવી શાશ્વતીનો રોજિંદો સાક્ષાત્કાર ભલે પૃથ્વીની ભ્રમણનિયતિને કારણે હોય પણ આપણા માટે તો એ ઊગે છે. એની બરાબર બાજુમાં એકાદ ફૂલનું ખીલવું જુઓ. આ બે ઘટનામાં આધાર પૃથ્વી છે. છતાં બંનેની સ્થિતિ જુદી છે. એકની પ્રચંડ તાકાતથી સર્જાતી વૈશ્વિકતા અને બીજાની રમણીય પણ સ્થળવિશેષની સાભિપ્રાયતા. ઝાકળનું બાઝવું કે ડાળખી પર ફૂલની બાજુમાં જ કાંટાનું હોવું, પંખીઓના ચહેકાટથી વાતાવરણની સભરતા અને એની સામે એકલતા. કવિની ચૈતસિક અવલોકના કહે : બધું અમથું. આ બધાં નિર્દેશાયેલ સાયુજ્યોની લક્ષણાગત સહોપસ્થિતિઓની બારીકીઓ નિરૂપી શકાય. એની ઝીણવટ અને લક્ષ્યગતિ આલેખવી શક્ય પણ છે. પરંતુ આસ્વાદમાં પણ, આરોપિત અર્થ કરી કરીને કૃત્રિમ નથી કરવા. રસસ્થાનનો ખપ પૂરતો ઇશારો જ કરવાનો હોય. હવે ભાવક એની રીતે આગળ વધે. આ બધાં ઉપમાનોની સાથે જોડાયેલી એની વિશેષતાને જરાક ઝીણી નજરે જુએ એને કવિતા મળે. એ ભાવકનો પોતીકી વાચનાનો અબાધિત અધિકાર. તેમ છતાં પણ આ પ્રથમ ચાર પંક્તિ એ કાવ્ય માટે લેવાતો ટેકઓફ છે. પછીથી જે શબ્દના જાગવાની પ્રક્રિયા થવાની છે એના સાપેક્ષમાં.

અમથા આ શબ્દો જાગે છે, અમથો એનો અર્થ… સમજ્યા. અમથી અમથી કરું કવિતા, અમથો બધો અનર્થ… સમજ્યા.

એક અન્ય કાવ્યમાં આ કવિ ભાવકને પ્રશ્ન કરે છે. ‘શબ્દ/વિશેષણની ચાદર ઓઢીને ઊંઘી ગયો છે ઘસઘસાટ./ જગાડું એને?’ જવાબ નહીં મળ્યો હોય અને જગાડી દીધો હશે કે એમ જ ઊંઘવા દીધો હશે એ ભાવકપ્રદેશ છે. અહીં જાગ્રત શબ્દ છે. પરંતુ, અહીં ખબર પડી કે એની સાથેની આવી પ્રક્રિયા તો નિર્હેતુક છે. ભાષા સાથે લયલીલા કરતા અને શબ્દને ભાષાનું એકમ ગણતા કવિ માટે શબ્દ મહત્ત્વનો છે. એ વિશેષણથી ઢબૂરાયેલો હોય ત્યારે નિર્વસ્ત્ર કરવો અને ધબકતો હોય તો, કે ત્યારે પણ એની સ્વાભાવિક અને મૂલગત પ્રક્રિયામાં છે એમ સમજીને એની સાથે કામ પાડવું બંને એક જ છે. ઊંઘતો કે જાગતો શબ્દ બંને સ્થિતિએ અમથો, અને એની આ સ્થિતિમાં વળગેલો અર્થ પણ અમથો. આવા શબ્દનું પ્રયોજન, એને પ્રજ્વલિત કરી રચાતો અજવાસમય આલોક હોય કે યથાતથના શબ્દજાળામાં ફસાયેલી અડાબીડતા હોય, બધું અમથું. શબ્દ જેવો છે તેવો જ સાર્થક છે. કોઈ સકારણતા કે હેતુપરસ્તી આ શબ્દના સાન્નિધ્યમાં રહીને પાર પાડવી નથી. જે કંઈ પ્રક્રિયા થાય કે કરવામાં આવે છે તે અહેતુક અને અકારણ છે. બસ માત્ર શબ્દની સ્વકીય લીલા. આટલી તો ખબર પડી. પણ અહીંની મઝા, પછી આવતા ‘સમજ્યા.’ આ નિવેદનમાં છે. આ સમજનું ધરાતલ છે, અને વિકસિત કેન્દ્ર પણ છે. બસ, આ શબ્દની સપાટી અને પરિપાટી, કર્મ અને કાકુ, વ્યંજના અને વ્યાવૃત્તિ તરફનું અભિજ્ઞાન. અને એનું આ લયાભિધાન. નર્યા કુતૂહલ અને વિસ્મયથી ભર્યાં, પણ સાવ સહજ સાદૃશ્યો પડખે પડખે બેસીને જે સ્થિતિ રચે, એને સુજ્ઞ ભાવક અને કાવ્યત્વના જાણકાર કવિતા કહે, પણ નરી નિર્લેપતાથી શબ્દની ત્રિવિધાને સાક્ષીભાવે અનુભવતો સર્જક તો હા, હશે, આમ પણ હોયનું સમાધાન શોધીને ઉદ્ગારે ‘સમજ્યા’. આ સર્જકના ચિત્તની અવસ્થા અને ભાવકના મનના ઉડ્ડયનને એક દોરે પરોવતી અભિવ્યક્તિની રમણા નહીં તો બીજું શું?

શબ્દ પાસેથી કાંઈ પામવું નથી, તો પછી શા માટે શબ્દ સુધી જવું કે આસપાસ ફરકવા દેવો? એનું આ કર્મણી રૂપ કે ચૈતસિક અવબોધન સાવ નકામું? આવો પ્રશ્ન થાય ત્યારે સમજાય કે સાવ આવું તો નથી. આ શા માટે? કે શું કામ? એવો પ્રશ્ન થવો એ મનની ચંચળતા છે. શબ્દની પારબ્રાહ્મિક સ્થિતિને એ પ્રયોજાય કે ના પ્રયોજાય એનાથી પણ કોઈ ફેર પડતો નથી. આપણી ચેતનાના વિવિધ સ્તર પર ઊઠતા આ ખ્યાલ, એક ભ્રમ માત્ર છે. શબ્દ સ્થિર છે, એક સ્થિતિ છે. એને પ્રમાણવા, પ્રયોજવા કે પામવાની આપણી માનસિક અસ્થિરતા સાથે એ સંક્રમણ રચે છે, અને એને કારણે ઉદ્ભવતી મનની હાલકડોલક સ્થિતિ આ પ્રશ્નોની જનેતા છે. આવું નરાતાળ સત્ય લાધ્યું અને સાથે જ પરમ જ્ઞાનની ઉપલબ્ધિ થઈ એકમાત્ર શબ્દ ‘સમજ્યા.’માં. સાવ સરળ રીતે મોટી વૈચારિક અવધારણા કવિએ રચી. ‘તેમ છતાં આ અમથું ના કંઈ, અમથો થતો સવાલ’ આ પંક્તિમાં ‘અમથું’ અને ‘અમથો’-ની વ્યાવર્તક લક્ષણા પ્રમાણવા જેવી છે. ‘અમથું’-નો છેદ ઉડાડવા ‘અમથો’-નું પ્રયોજન ભાષાનો બરાબર કસ કાઢે છે. પ્રશ્નનું ઉદ્ભવવું પણ અકારણ અને આવા પ્રશ્નોના ઉદ્ભવકેન્દ્ર તરીકેના વિચાર પણ સાવ અમથા. આવી ઘણીબધી નિયોજના સાથે મળીને, ભાષાના મોટા કવિ તરીકેની સ્થાપના કરતી હશે.

કાગળનો ડૂચો છે અમથો, અમથો આ ઘોંઘાટ… સમજ્યા. અમથા અમથા તારા ઊગે, અમથી સળગે વાટ… સમજ્યા.

સમગ્ર પ્રક્રિયા પછી કશું નીપજે નહીં, ત્યારે કાગળ પરની બધી મથામણ સમેટાઈને કાગળને ડૂચો થવા તરફ ધકેલે. અસફળતાનો બબડાટ છે આ? કે એકસામટા હલ્લો કરતા શબ્દના કાફલાનો? જેમાંથી એક પણનો ચહેરો સ્પષ્ટ નથી, એટલે એક પણ ઉપયોગાતો નથી. અહીં પણ સમાધાનનો કર્તા, ‘સમજ્યા.’ આશ્વાસનરૂપ છે. એ એક હોય કે અનેક બંને સ્થિતિ સમાન જણાય છે. એના ટેકા માટે, એક સરસ સાયુજ્ય કવિએ નિરૂપ્યું. એક બાજુ તારાઓથી ખીચોખીચ ભર્યું આકાશ અને એની પડકે ઝીણી ઝબૂકતી જ્યોત. અહીં પણ આગળ આપણે જોઈ એવી આ સહોપસ્થિતિ ખપમાં લેવાઈ. એક બાજુ પ્રાકૃતિક પરિવેશ તો બીજી બાજુ નિર્મિત ઉપાદાન. બંને અહેતુક. અતિ દૂર ટમટમતા તારાઓ અને પડખે જ દૂરના કોઈ ગવાક્ષમાં ટમટમતી દીવડી. બંનેની સાભિપ્રાયતાથી અજાણ કાવ્યનો નાયક. અને ઠાવકાઈથી ‘સમજ્યા.’ કહીને, બધા જ હોવાને અકારણ, અહેતુક અને અકર્તેયપણાને ધરમૂળથી પામી ગયાના દૃઢ વિશ્વાસ સાથે ઊપસી આવતો કવિઅવાજ. બંને પંક્તિના સ્વાભાવિક સંતુલનને કે પારસ્પરિક સાભિપ્રાયતાને પણ મરોડીને એક પ્રકારની અસમંજસતા પણ અહીં ઊભી કરવામાં આવી. આવું વિચલન પણ કાવ્યની અને જગતની કેટલીય રહસ્યમયતાને ચીંધી આપે છે. અને આ રહસ્યોને જેમ જગતના હોવાની નિયતિ એક દોરે પરોવી રાખે છે, એમ જ અહીં લય આ અસંબંધી પ્રયોજનાને તાલમાં રાખે છે. આ પણ કવિવિશેષ છે તે આપણે સૌ સારી પેઠે આ કવિના સંદર્ભે જાણીએ છીએ. એમ કહીએ આ પણ અમથું. અમથાનું જ શાસ્ત્ર રચવું છે તો પછી ભલે ને અમથું જ સર્વોપરિતા ભોગવે. કવિતાનો હેતુ ખુદ કવિતા. દડો હવામાં ઉછાળી દીધો. હવે પછીના પરિણામની રાહ જોવાની.

અમથી અમથી શરૂ થઈ છે, અમથો એનો અંત… સમજ્યા. અમથું અમથું સમજ્યો જે કંઈ, અમથો બાંધું તંત… સમજ્યા.

કવિ લા૰ઠા૰ને કોઈ પૂછે કે તમે શું કામ કવિતા કરો છો? કવિતાનો ઉદ્દેશ્ય શું? નવી ભોંય ભાંગીને કાવ્યસર્જન કરવું છે? તો આ પંક્તિઓ કવિને યાદ આવવા સંભવ છે? હા, છે. ‘કવિતા અને હું’ (સં. હર્ષદ ત્રિવેદી)માં કેફિયતના અંતે લા૰ઠા૰ કહે છે : ‘ના કાવ્યસર્જન એ હારજીતની ભાષાની બહાર છે. હોય તો સર્જક કવિની, હોવાના સકલ પણ અ-કલ સંદર્ભો સાથે સહજ અને ઉત્કટ નિસબત છે. એ સંદર્ભો હજી અ-કલ છે.’

આ પંક્તિઓ પણ કેફિયત જેવી છે. જેને સમજાઈ ગયું છે કે કવિતા એ ભાષામાં રહીને ભાષા સાથે થતો સંવેદનવ્યાપાર છે, આમાં કોઈ હેતુઓ પાર પાડવાના નથી હોતા, એ આમ જ કહે. સકારણ અને સહેતુક હોય એના માટે કવિતા સાધન. આવા કવિ માટે તો આ લીલા. આવી સમજના આગ્રહનો પણ જ્યાં તંત ના હોય એને બધું અમથું જ હોય. ના કોઈ આરંભ, ના કોઈ અંત. સહજ વહન માત્ર. પ્રકૃતિગત પદાર્થો ઊગે, મહોરે, વધે, ખરે કે વહે અને વિલીન થાય પરંતુ એને પોતાને એવી કોઈ સભાનતા નહીં હોય. એને પોતાને આનંદ કે અફસોસ સાથે કોઈ લેવા-દેવા નહીં. એક સાહજિક પ્રક્રિયાના ભાગ રૂપે આ બધું થતું રહે. આપણી એની સાથેની અંગત રાગ-દ્વેષમય ગ્રાહકતા વિવિધ ભાવસ્થિતિઓ જન્માવે છે. એટલે એ પ્રતિક્રિયા છે, અને હેતુપરક છે. અહીં તો સહજતાની છડી પોકારવામાં આવી. છેવટે એવું પણ કહેવાયું કે આવી સમજ હોવી એ પણ એક આગ્રહ છે. આ આગ્રહનો પણ નિષેધ. તો આ નિષેધ શું? લાભશંકરીય રીતે કહીએ તો, કોઈ અંત નથી આવા તંતનો.

કાવ્યપ્રકારના આગ્રહીઓ માટે આ ગીત છે. બધી ધ્રુવપંક્તિઓ કે મુખડાઓ. ગીત- પ્રકારની ક્રમિક વિકાસરેખા કે ઊમિર્મય સંવેદનની લયછોળ કે હૃદયકોશની ભાષાનો લયસભર વિનિયોગ ગીત, એવી નિયત સમજનો છેદ ઉડાડવો કે જવાબ દેવાની પણ આ પ્રયુક્તિ નથી. કવિતા કરતા કરતા સર્જકની આંતરચેતનામાં કાવ્યદ્રવ્ય તરફની, એમાં નિહિત સૌંદર્ય તરફની સમજ કેળવાતી જાય, વિકસતી જાય, ત્યારે અંદર ઉદ્ભવતા ઠાવકાઈભર્યા જાતસંવાદનું આ કાવ્ય છે. એટલે સિદ્ધ કરવું તે કાવ્ય છે, ફોર્મ નહીં. છતાં અહેતુક કે અનિણિર્ત રીતે જે કંઈ થયું છે તે પણ નોંધનીય છે. અમથત્વની ખેવના અને ખાંખત પછી જે સમજ નામનું દ્રવ્ય હાથ લાધ્યું તેને અંકે કરી લેવા માટેની આ મથામણ છે. એક બાજુ આખી પંક્તિમાં પ્રયોજાયેલ પ્રાકૃતિક કે વસ્તુનિષ્ઠ ઉપદાનોનો પ્રક્રિયાગત ભાર અને બીજા પલ્લામાં સમજણ નામે સ્વકીય જાગૃતિની હળવાશ હોવા છતાં કૃતિને સમતોલ રચનાબંધ સાંપડ્યો એ આવી કૃતિના વિશેષ તરીકે જોઈ શકાય. એની ભાવઘટનાને ભાવકપક્ષની સક્રિય ભાગીદારીમાં ઊગવાની અપેક્ષા અને શક્યતા અહીં વધુ છે.

આખા કાવ્યમાં વિવિધ સ્તરની વસ્તુપરક ક્રિયા-પ્રક્રિયા સાથે અમથા-અમથી-અમથોનું વિગલન એક સ્વસ્થતાપૂર્વકની નિદર્શનાનાં કે કવિના નવ્ય દર્શનનાં ક્યાંક વાસ્તવદર્શી, તો કૈંક અંશે રમતિયાળ છતાં બોલકાં નહીં તેવાં ચિત્રો રચી આપે છે. એ પછી તરત અને વારંવાર સંભળાતો એક જ શબ્દ ‘સમજ્યા.’ સમજનું નવું સોપાન ખૂલ્યું હોય કે વ્યંગસભર દાઢમાંથી બોલાતું હોય એવો મિશ્ર ભાવ રજૂ કરે છે. એટલે આ અમથા-અમથાને સમજી લીધા પછીય થતું અમથું-અમથું મહિમાગાન છે. (‘પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ 2016’)