અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિપિન પરીખ/પાગલખાનું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પાગલખાનું

વિપિન પરીખ

અહીં
હિટલર પોતાનીબંધ મુઠ્ઠીથી
હજી પણ હચમચાવે છે વિશ્વની સત્તાઓ.

કોઈ સીઝર પાછું ફરીને જુએ છે ત્યારે
ચિત્કારી ઊઠે છે: ‘બ્રુટ્સ, તું પણ?’
ને ચોધાર આંસુએ તૂટી પડે છે ફરી ફરી.

સોનાના શિખર ઉપરથી ગબડી પડેલો કુબેર
હજી પણ વ્હેંચ્યા કરે છે દાન છુટ્ટે હાથે.

કોઈ રોમિયો હવામાં શોધ્યા કરે છે રૂપેરી લટ,
ને પુકાર્યા કરે છે ‘જુલિયટ, જુલિયટ, તું ક્યા છે જુલિયટ?’

પિંગળાને અમરફળ આપી પસ્તાયેલો ભર્તૃહરિ
ધિક્કારે છે હજી પણ મદનને ખડખડાટ હસી હસી.

અહીં
અનંગનું બાણ ભાંગી ગયું છે.
અને તીર તૂટી ગયું છે.
અને સહુની આસપાસ
ફૂટપાથ પર બેઠેલા જ્યોતિષીની ચકલી
ચીં...ચીં...ચીં...ચીં...
કર્યા કરે છે...

‘આશંકા’



આસ્વાદ: NEUROSISનાં કૂંડાળાં — જગદીશ જોષી

તમે પાગલખાનું જોયું છે? ત્યાં માણસ પશુના સ્તર ઉપર જીવે છે. જોકે પશુને એખ વાતની તો નિરાંત કે તેને પોતાના સ્તરની સભાનતા કે અભાનતા નથી. સ્વ. જવાહરલાલ નેહરુની સામે ધા નાખનાર પાગલખાનાના એક અંતેવાસીનો ટુચકો યાદ આવે છે. અંતેવાસીએ સ્વ. નેહરુને એવી ફરિયાદ કરી હતી કે પોતે લોકપ્રિય હોવાથી તેને કાવતરાંખોરોએ પાગલ સાબિત કર્યો હતો. સ્વ. નેહરુએ સચિંત ને વ્યથિત હૃદયે એ ભાઈને એમનો વ્યવસાય પૂછ્યો ત્યારે અંતેવાસીએ કહ્યું: “હું ભારતનો વડો પ્રધાન હતો. મારું નામ જવાહરલાલ, પણ હું ગંદી રાજરમતનો ભોગ બન્યો છું!” શાણપણ અને પગલાઈ વચ્ચે એક સ્થૂળ રેખા છે, તો એક એવી જ સૂક્ષ્મ રેખા પણ છે. આ બે રેખાઓની વચ્ચે અદલાબદલી ક્યારે થાય, કઈ ઘડીએ શાણપણ કરવટ બદલી બેસે, એનો કોઈ ચોક્કસ નિયમ કે નકશો નથી.

એક જ માણસમાં કેટલા બધા માણસો છે – હિટલર, સીઝર, બ્રુટસ, કુબેર, રોમિયો, ભર્તૃહરિ… આપણે બધા – આ બધા – ચોવીસે કલાક નસીબની ઠીબમાંથી પાણી પીતાં દિવાસ્વપ્નદ્રષ્ટા નથી? આપણામાં જ રહેલા આ બધા એકીસાથે કે અલગ અલગ પોતપોતાની ભૂમિકા ભજવે છે.

મહત્ત્વાકાંક્ષાના જંગલમાં જીવતો સીઝર દરેક જાતનાં રાની પશુઓના ભય સામે સજાગ, તૈયાર હતો. પરંતુ મૈત્રીના આંબાવાડિયામાંથી મિત્રનું ખંજર તેને પરાસ્ત કરી ગયું. પાછળ વળેલી સીઝરની ડોક અને તેની આંખમાંથી શતશત ધારે ઊઠેલો પ્રશ્ન: “બ્રુટ્સ તું… પણ?” આજે માનવજાતના વિશ્વાસના વિશ્વમાં એક પ્રેતની જેમ ઘૂમે છે. મૈત્રીને ચૂપ કરી, મહત્ત્વાકાંક્ષાના સર્વકાલીન અવાજને ચૂપ કરી દેવાના ભામક ખ્યાલથી, બ્રુટસે જે કરવું પડ્યું એની વેદના, એ ચીસ, એ આંસુ પણ હજી લગી મૈત્રીના કપોલ પરથી ભૂંસાયાં નથી. પણ હિટલરની મહત્ત્વાકાંક્ષા સામે સીઝર તો શી વિસાતમાં! પોતાની મુઠ્ઠી “બંધ” રાખીને દરેકની મહેચ્છા જગત પર શાસન કરવાની છે અને એમાં જ એનું આંતરજગત હિજરાઈ જાય છે.

‘ગબડી પડેલા’ કુબેરો પોતાની આદત છોડી શકતા નથી અને દાન કરવાના સદ્ગુણી દુર્ગુણને વળગી રહેવા મથે છે; પરંતુ ખીસામાં પડેલા ગાબડામાંથી, તેમની ખુલ્લી મુઠ્ઠીમાંથી હસ્તરેખાઓ ઓગળી જાય છે! money-neurosis અને power-neurosis બન્ને પગલાઈનો પ્રારંભ અને અંત છે.

માનવીના ભાવજગતમાં જ્યારે પ્રણયનો વિફલતાનો ભાણ (ભાન) ઊગે છે ત્યારે હતાશાના ઉત્તુંગ શિખરો નજરને ધરબી દે છે. આ હતાશા એ જ ચિત્તભ્રમનું કારણ. મજબૂર જુલિયેટને શોધતી ગાફેલ રોમિયોની ભ્રાંતિ કે પછી જાગ્રત ભર્તૃહરિને જકડી રાખવા મથતી દાફેલ પીંગળાની ભ્રાંતિ – આ બધાના હૃદયમાં ખૂંપેલું પડ્યું છે અનંગનું તૂટેલું, બુઠ્ઠું તીર.

આ બધાં પાત્રોની કલ્પના કરો આ બધાં નાસીપાસોની આસપાસ કહો કે માનવજાતની પગદંડી પર માનવીના ભાવજગતને પ્રણયની વિફળતાનો અંધકાર હતાશાના ઉત્તુંગ શિખરો થઈને ભીંસે છે. એ ભીંસ જ તેના ચિત્તભ્રમનું કારણ અને પરિણામ. જ્યોતિષીની ચકલી ફૂટપાથ પર માનવજાતની પગદંડી પર–બહેરી ચિચિયારી કર્યા કરે છે. કાવ્યનો પહેલો શબ્દ ‘અહીં’ છે. આ જગત જ એક વિકરાળ પાગલખાનું છે. એટલે જ પેસો પ્રશ્ન ફરી ફરી પૂછવાનું મન થાય છે… “તમે પાગલખાનું જોયું છે?” આપણી ભીતર, આપણી આસપાસ, જે કંઈ છે તે પાગલખાનું તો નથી ને!

પાંજરામાંથી નીકળી, સૌને પોતાના ભવિષ્યનું કોરું પરબીડિયું પરખાવીને, ફરી પાછી પોતાના ભવિષ્યના પાંજરામાં ભરાઈ બેસતી ચકલીને અને ફૂટપાથ પર પોતાના ભવિષ્યનું પ્રદર્શન કરતા જ્યોતિષીને આપણે સૌએ જોયાં છે; પણ આપણે બધાં જ આપણા પાંજરામાં પુરાયેલાં છીએ એવું વેધક સત્ય તારવી લેતી આ કવિની દૃષ્ટિ જ એમની કવિતાની કરોડરજ્જુ છે. (‘એકાંતની સભા'માંથી)