અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ જોષી/કદાચ (કવિનું વસિયતનામું)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કદાચ (કવિનું વસિયતનામું)

સુરેશ જોષી

કદાચ હું કાલે નહીં હોઉં —
કાલે જો સૂરજ ઊગે તો કહેજો કે
મારી બિડાયેલી આંખમાં
એક આંસુ સૂકવવું બાકી છે;
કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોરવયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળ
હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે;
કાલે જો સાગર છલકે તો કહેજો કે
મારા હૃદયમાં ખડક થઈ ગયેલા
કાળમીંઢ ઈશ્વરના ચૂરેચૂરા કરવા બાકી છે;
કાલે જો ચન્દ્ર ઊગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તરફડે છે;
કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રકટાવવી બાકી છે.
કદાચ હું કાલે નહીં હોઉં.

(ઇતરા, પૃ. ૧૨)



આસ્વાદ: જીવનનો સંકેત – હરીન્દ્ર દવે

કવિ પહેલી જ પંક્તિમાં કહે છેઃ ‘કદાચ હું કાલે નહીં હોઉં…’ પણ એ પછીની બધી જ પંક્તિઓ કવિ કાલે જ નહીં, પણ ચિરકાળ સુધી આપણી વચ્ચે રહેવાનો છે એ જ વાત ભારપૂર્વક કહે છે. આમ કવિનું આ વસિયતનામું એ કવિના મૃત્યુનો નહીં, જીવનનો સંકેત બની રહે છે.

જગત કવિનું ઋણી છે. લોકોએ ભાષા નીપજાવી. કવિએ એમાંથી શબ્દો તારવી લીધા. એ શબ્દોમાં રહેલી અર્થની અપાર છાયાઓને કવિ શાંત ચિત્તે સાંભળે છે. કવિને મન સૂરજ એટલે ભૂગોળના પહેલા પાઠમાં પૂર્વ દિશાની ઓળખ આપવા માટે વપરાતા અવકાશી પદાર્થનું નામ નથીઃ પ્રાતઃકાળે ઉદ્યાનમાંના પર્ણો પર ઠરેલા ઝાકળબિંદુ પી જતા સૂર્યને કવિ બંધ આંખોમાં રહી ગયેલા અશ્રુબિંદુને સૂકવવા માટે પડકાર કરે છે. યુગો પહેલાં ભવભૂતિની સીતાએ કહેલાં રુદનને કોઈ સૂર્ય સૂકવી શક્યો છે? સીતાની આંખનું એ અશ્રુબિંદુ હજી યે તાજું જ છે. પુત્રોના રક્તથી ખરડાયેલા હસ્તિનાપુરના સિંહાસન પર સામ્રાજ્ઞીપદે બિરાજતી પાંચાલાની આંખનું આંસુ સમયના સૂર્યનો આકરો તાપ પણ ક્યાં શોધી શક્યો છે! સમાચાર-ચિત્રમાં દુશ્મનના બોમ્બથી તરડાઈ ગયેલા ચહેરાને બંને કાન પર હાથ દાબી એકઠો રાખવા મથતા સૈનિકને જોઈ નવકવિ હાઈડન કારૂથની આંખમાંથી વહેલા અશ્રુપ્રવાહને કોણ સૂકવી શકે છે?

કવિની કવિતામાં પ્રગટેલા અશ્રુને શોષવાનું બળ સૂર્યમાં નથી.

વર્ડ્ઝવર્ષે જેને ‘હરિયાળી ધરતી પર ગાતી’ સાંભળી હતી એ કન્યા તો પછી વૃદ્ધા પણ થઈ હશે અને એનો ચહેરો સમયના રૂક્ષ ઉઝરડાઓથી વરવો પણ બન્યો હોઈ શકે. પણ કવિતામાં એ કન્યાના મધુર ગીતનું જે સ્પંદન કવિએ મઢી લીધું છે એને શાશ્વત યૌવન સાંપડ્યું છે. કવિ જેને પ્રેમ કરે છે એ નારીનું યૌવન સમયના સંદર્ભમાંથી ખસી જઈને નિરપેક્ષતાના સંદર્ભમાં મુકાઈ જાય છે. એટલે જ કવિ એમની વસિયતમાં દૃઢતાથી કહી શકે છે કે પવન, ગમે તેવો ઝાંઝાવાત પણ કવિએ એની કવિતામાં મઢી લીધેલા કન્યાના સ્મિતના પક્વ ફળને ખેરવી શકે એમ નથી.

શ્રદ્ધા અને અશ્રદ્ધા વચ્ચે સતત ઝોલાં ખાતી સર્જકતાનો એક ઉદ્ગાર આયરિશ કવિ પેટ્રિક કાવાનાગમાં સાંભળ્યો ત્યારે અપ્રતિમ લાગ્યો હતોઃ

My Soul was an old horse Offered for sale in twenty fairs

લગભગ એ જ કાવ્યત્વના શિખરે પહોંચતો ઉદ્ગાર અહીં કવિની ‘વસિયત’માં સાંભળવા મળે છે; સાગરના તરંગો હૃદયમાં ખડક થઈ ગયેલા કાળમીંઢ ઈશ્વરના ચૂરેચૂરા કરવા મથે છે—છતાં ફાવતા નથી.

સુદ આઠમનો ચન્દ્ર ઊગે છે ત્યારે એની સાથે સંલગ્ન થવા આપણી ભીતરમાંનું કોઈ તત્ત્વ બેચેન બની ઊઠે છે. એ તાર ક્યારેય સંધાતો નથી. જાળના આંકડા જેવો ચંદ્ર હમેશાં ઝૂકે છે, ભીતર હમેશાં ઊછળે છે, તરફડે છે. પણ મુક્તિ એના ભાગ્યમાં નથી. અને એ જ રીતે, હમેશાં અજંપો અનુભવતું આ સ્થૂલ દેહ કરતાં કાંઈક જુદું જ અસ્તિત્વ-જેને કવિ વિરહી પડછાયો કહે છે એ—ની ચિતા કયો અગ્નિ પ્રકટાવી શકશે?

એટલે જ છેલ્લે જ્યારે કવિ ફરી વાર ‘કદાચ હું કાલે નહીં હોઉં’ એ પંક્તિ મૂકે છે ત્યારે ‘કદાચ’ એ એક શબ્દ મટી સૃષ્ટિ બની જાય છે. બીજા બધા શબ્દો પર ‘કદાચ’ છાવરી જાય છે. પહેલી પંક્તિ વાંચતી વખતે ‘કદાચ હું કાલે નહીં હોઉં’ એ શબ્દો માની લેવા જેટલા આપણે ભોળા બન્યા હોઈએ તો છેલ્લી પંક્તિ વખતે ‘કદાચ’ એ શબ્દ ‘હું કાલે નહીં હોઉં’ એ શબ્દોને ઢાંકી દે છે. અને આપણે શેલીની વારંવાર ઉદ્ધૃત થઈ થોડી ચવાઈ ગયેલી કાવ્યપંક્તિનો નવો મર્મ પામીએ છીએ. Till future dared forget the past ભવિષ્ય ભૂતકાળને ભૂલવાની હિંમત ન કરે ત્યાં સુધી, એટલે કે પ્રલયકાળ-કયામત-આવે ત્યાં સુધી કવિ રહેશે.

એટલે જ કવિનું વસિયતનામું મૃત્યુના સંકેત તરીકે નહીં, જીવનના સંકેત તરીકે આવે છે. (કવિ અને કવિતા)



આસ્વાદ: આ સૃષ્ટિ મને નાસ્તિક થવા દે તેમ નથી – ઉદયન ઠક્કર

જે દસ્તાવેજ વડે સંપત્તિની વારસદારો વચ્ચે વહેંચણી થાય તે Will. જેમાં મરણોત્તર વ્યવહારની અન્ય સૂચનાઓ હોય તે Codicil of Will. આ કાવ્ય વસિયતનામાનું ‘કોડિસિલ’ છે.

ભાવકની ઉત્કંઠાને ઉત્તેજિત કરવા કવિઓ ભાતભાતનાં માળખાં — Structures — ઊભાં કરે. ‘બારમાસી’ પદમાં કારતક, માગશર, પોષ ઇત્યાદિ મહિનાઓમાં નાયિકાની મનોદશાનું આલેખન હોય. ઋતુકાવ્યોમાં હેમંત, શિશિરાદિ ઋતુઓ ક્રમે ક્રમે વર્ણવાય. ‘મારી વેણીમાં ચાર ચાર ફૂલ’ એવું માળખું સ્વીકાર્યા પછી કવિ નવીનવેલી વહુને મુખે દેરાણી, સાસુ, સસરા અને પતિનાં વર્ણન કરાવે. અહીં કવિએ વસિયતનામાનું માળખું સ્વીકાર્યું છે અને તેની કલમો એક પછી એક રજૂ કરતાં જઈને ભાવકની અપેક્ષાપૂર્તિ કરી છે.

હવે આપણે કાવ્યની રચનારીતિ તપાસીએ. અહીં પાંચ સંભાવના લેવાઈ છે — કાલે જો સૂરજ ઊગે તો, પવન વાય તો, સાગર છલકે તો, ચન્દ્ર ઊગે તો, અગ્નિ પ્રકટે તો. પ્રત્યેક સંભાવનામાં અકેકું પ્રકૃતિતત્ત્વ લીધું છે — સૂરજ, પવન, સાગર, ચન્દ્ર, અગ્નિ. આ થયો કાવ્યનો તર્ક, Poetic Logic. ‘કાલે જો મગનલાલ મારફતિયા મળે તો કહેજો કે’ એવી પંક્તિ અહીં ન મુકાય. મોટાં મોટાં કાવ્યો સર્જવા માટે નાના નાના નિયમો પાળવા પડે.

‘કાલે જો સૂરજ ઊગે તો’ — તમે પૂછશો, ‘જો’ અને ‘તો’ વળી શું? સૂરજ તો ઊગવાનો જ છે! પણ કવિની આંખ બિડાયેલી હશે, સૂરજ તેમને માટે નહીં ઊગે. આપ મૂએ ફિર ડૂબ ગઈ દુનિયા. ‘એક આંસુ સૂકવવું બાકી છે.’ — સંવેદનશીલ વ્યક્તિની આંખ સદા ભીની હોય. જૉન ડન કહે છે, ‘Any man’s death diminishes me, becuase I am involved in mankind’ — મનુષ્યમાત્રનું દુઃખ મારું દુઃખ છે. ‘And therefore never send to know for whom the bell tolls; it tolls for thee.’ દેવળના ડંકા કોના મૃત્યુ નિમિત્તે વાજી રહ્યા છે એ ન પૂછશો, એ તમારા માટે વાજી રહ્યા છે. પ્રસન્નતા વસંતમાં પમરે છે, પરંતુ વેદના તો બારમાસી છે.

‘એક કન્યાનું ચોરી લીધેલું સ્મિત’ — કન્યાનું નામ નથી પાડ્યું. નામ પાડી શકાય એવો સંબંધ જ ક્યાં હતો? સ્મિત કાંઈ અધિકારપૂર્વક નહોતું મેળવ્યું, એ તો ચોરી લીધેલું, સુસ્મિતા બેધ્યાન હતી ત્યારે. કાચી વયનું સ્મિત કવિની ડાળ પર પક્વ થઈને ઝૂલે છે.

‘ખડક થઈ ગયેલો કાળમીંઢ ઈશ્વર’. — ઈશ્વર પથ્થર થઈ ગયો છે, જીવતો ક્યાં રહ્યો છે? પણ રહ્યો છે ખરો, કવિની શ્રદ્ધાના ચૂરા થયા નથી. સુરેશ જોષીએ અન્યત્ર લખ્યું છે:

ઊડતાં પંખીની પાંખમાંથી ખરતું પીછું જોયું ને એણે હવામાં, ખરતાં ખરતાં, જે અદૃશ્ય રેખાઓ આંકી તે વડે જાણે નિરાકાર ઈશ્વરનું જ ચિત્ર અંકાઈ ગયું. બોલતાં બોલતાં, બોલવાના આવેગમાં જ, બોલવાનું ભૂલી જઈને આંખોને વિસ્મયથી વિસ્ફારિત કરીને જોઈ રહેલા શિશુને જોઈને ઈશ્વરના રૂપની ઝાંખી થઈ; ગુલાબની પાંખડીઓની ગોઠવણીમાં ઈશ્વરના અંગુલિસ્પર્શનો અનુભવ થયો. ના, આ સૃષ્ટિ મને નાસ્તિક થવા દે તેમ નથી.

‘એક મત્સ્ય હજી મારામાં તરફડે છે’. — મૃત્યુ મળે તો તરફડાટ શમે. ચન્દ્રના ગલમાં ભેરવાઈને મત્સ્ય ક્યાં જવા માગે છે? સિતારોં કે આગે જહાં ઔર ભી હૈ. ‘કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો’ — સુરેશ જોષી ૧૯૮૬માં ગયા. તેમનું કાવ્ય આપણે આજે માણીએ છીએ, ૨૦૮૬માં પણ માણતા હશું. અગ્નિ કવિની ચિતા પ્રકટાવી શક્યો પરંતુ તેમના પડછાયાની નહીં.

આપણને પ્રશ્ન થાય, કાલે જો કવિ જ ન રહે તો એમનું આંસુ કેમ રહે અને સ્મિત પણ કેમ રહે? કવિએ કદાચ કહેવું એમ હોય કે તેમના જીવનપર્યંત આંસુ સુકાશે નહીં, સ્મિતનું ફળ ખરશે નહીં, ઈશ્વરના ચૂરા થશે નહીં અને મત્સ્ય તરફડતું રહેશે.

સુરેશ જોષીના વસિયતનામાની શાહી હજી સુકાઈ નથી. સાક્ષી તરીકે તમે દસ્તખત કરશો?

(‘હસ્તધૂનન’)