અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/મૃત્યુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મૃત્યુ

હરીન્દ્ર દવે

મ્હેકમાં મ્હેક મળી જાય તો મૃત્યુ ન કહો,
તેજમાં તેજ ભળી જાય તો મૃત્યુ ન કહો,
રાહ જુદો જ જો ફંટાય તો મૃત્યુ ન કહો,
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને,
એક મંઝિલની લગન આંખે ઊતરવા દઈને,
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને,
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.

જે નરી આંખે જણાયાં ન એ તત્ત્વો કળવા,
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાનાં રહસ્યોનો તાગ મેળવવા,
દૃષ્ટિ જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નીરખવા માટે,
ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે,
કોઈ મહેફિલથી ઊઠી જાય, તો મૃત્યુ ન કહો.