આંગણું અને પરસાળ/પર્વત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પર્વત


મીરાંબાઈનું પેલું જાણીતું પદ આપણને સૌને બરાબર યાદ છે :

મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ

ગોપાલ. ગાયોને પાળનાર ને ચરાવનાર. પણ કેવો ગોપાળ? ગિરિ ધારણ કરનાર, ઉપાડનાર. કેમકે એ પર્વત ગોવર્ધન પર્વત હતો. કૃષ્ણનો મહિમા મીરાંએ ગાયો છે ગિરધર તરીકે. હનુમાને પણ પર્વતને મૂળસોતો ઉખાડીને ઉપાડેલો ને? સંજીવની વૃક્ષ ન જડ્યું તો લો આખો પર્વત! વિન્ધ્યાચલ પર્વત પહેલાં અ-ચળ ન હતો પણ ચળ હતો. – ઉડ્ડયનશીલ? અગસ્ત્ય મુનિએ એને રાહ જોવડાવીજોવડાવીને અ-ચળ, સ્થિર-સ્થગિત કરી દીધો. આપણી માયથોલૉજીની, આપણા પૌરાણિક સાહિત્યની આ તો કમાલ છે – ચમત્કારના રૂપમાં એ અદ્ભુત રસ આપે છે આપણને. અને એની પાછળ કલાના, કવિતાના સંકેતો હોય એ પકડવાનો વળી બીજો રસ. પર્વતની સામે આપણે સમુદ્રને મૂકવો હોય, તો કઈ રીતે મૂકી શકીએ? એક આકાશ તરફ વિસ્તરતો, ઊંચો; બીજો ક્ષિતિજ તરફ સરતો, જમીનસરસો. પર્વત ઘન બલકે સઘન; અને સમુદ્ર પ્રવાહી જલરાશિ. એક સ્થિર અચલ; બીજો મોજાંની ગતિથી સતત ચંચલ. પણ આપણા કવિ કાન્તે બંનેને એકાકાર કરી દીધા છે. જુઓઃ

ઝાંખાં ભૂરાં ગિરિ ઉપરનાં એકથી એક શૃંગ
વર્ષાકાલે જલધિજલના હોય જાણે તરંગ!

સાંજના આછા અજવાસમાં ઊંચાં-નીચાં શિખરો, ઊંચાં-નીચાં થતાં મોજાં જેવાં, તરંગો જેવાં ભાસે છે. કવિ નર્મદને વિશાળ કબીરવડ પર્વત જેવો લાગ્યો હતો. સાંભળોઃ ભૂરો, ભાસ્યો ઝાંખો, દૂરથી, ધૂમસે, પહાડસરખો. સાંભળ્યો આ શિખરિણી છંદ? શિખરિણી એટલે જ ઊંચાંનીચાં શિખરોની આકૃતિ રચતો છંદધ્વનિ. તમને નથી લાગતું કે ધર્મને પર્વત સાથે ઘણો નજીકનો સંબંધ છે? લોકગીતમાં પણ જુઓ ને? – ‘ડુંગર ઉપર દેરડી’. ધર્મને મૂળે તો કુદરત સાથે નજીકનો સંબંધ. અને પર્વત? કુદરતના ઉન્નત ને વિશાળ સૌંદર્યને આપણી સામે સાક્ષાત્ કરી આપે છે. પ્રકૃતિનું એ ઐશ્વર્ય – એ જ ઈશ્વર નહીં? આપણાં ચાર યાત્રાધામો હિમાલયમાં વિરાજેલાં છે. હિમાલયને કાલિદાસે નગાધિરાજ કહ્યો છે. નગ-અધિરાજ એટલે કે પર્વતોમાં શ્રેષ્ઠ. એ જ આપણું ધર્મયાત્રાધામ અને એ જ સૌંદર્યયાત્રાધામ. અનેક મંદિરો, અનેક ઋષિ-આશ્રમો અને વળી અઘોરીઓની કેટલી ગુફાઓ! (મને વિચાર આવે છે, પર્વત પર ચડીને વળી પાછો ગુફાવાસ કેમ સ્વીકાર્યો હશે એ અઘોરીઓએ?) આપણે તો પર્વતનાં શિખરો જોનારા, એનાં સઘન જંગલોમાં વિચરનારા, એવાં વિશાળ મેદાનોની ખુલ્લી હવા શ્વાસમાં ભરનારા. માતરિશ્વા એટલે કે પવનનો દેવ પહેલાં તો પર્વત પર મળે પછી બીજે. પર્વતમાં ગરિમા છે, ગૌરવ છે ને ચિત્તનો વિસ્તાર પણ ત્યાં જ છે. એટલે જ તો બાઈબલમાં સર્મન્સ ઑન ધ માઉન્ટેનનો મોટો મહિમા છે. મંદિરનું શિખર એ જાણે પર્વતના શિખરની જ પ્રતિકૃતિ. ને એ મંદિર પાછું પર્વતના શિખર પર હોય, ને એની ધજામાં સતત ફરફરતો હોય પેલો માતરિશ્વા! અદ્ભુત. ધજા એ વિજયનું, પૂર્ણ પ્રાપ્તિનું પ્રતીક છે. ઍવરેસ્ટ સર કરનારે પણ ત્યાં ધજા રોપી હતી ને? આધુનિક માનવે પર્વતો પર હીલ સ્ટેશનો ને હોલી ડે હોમ્સ કર્યાં, પણ એ પહેલાંથી જ પર્વત કેટકેટલાંનું નિવાસસ્થાન ને પ્રભવસ્થાન હતો! એણે વરસાદ ઝીલીને ઝરણાં વહેતાં કર્યાં ને એણે જ સરોવર લહેરાતાં કર્યાં; એણે અડાબીડ વૃક્ષોનાં જંગલો ઉગાડ્યાં, ને એમાં ઝીણાં જંતુઓ ને પંખીઓ ઊડતાં થયાં; પશુઓને એણે આશ્રય આપ્યો. જંગલોવાળા પર્વતો વચ્ચેનું પ્રભાત જોયું છે ને? અજવાસ અને અંધાર; રંગ અને ગંધ; ધ્વનિ અને સ્પર્શ – એનો સ્વાદ બલકે આસ્વાદ જો માણ્યો હોય, તો જ હીલસ્ટેશને ગયાનો અર્થ; બાકી તો અમુક હજાર ફૂટ ઊંચેના બજારમાં ફરી આવ્યા ને ચીજવસ્તુઓ કોથળીમાં નાખતા આવ્યા – એમ જ કહેવાય. લૅન્ડ સ્કેપનો, ભૂદૃશ્યનો પૂરો અંદાજ પણ પર્વત પરથી જ. પર્વત પરથી જોતાં કેટલા વ્યાપક ફલકવાળો વિસ્તાર આપણી આંખને ને આપણા મનને ભરી દે છે! સમાધિ-અવસ્થા કંઈ આંખ મીંચી દેવાથી જ પ્રાપ્ત થાય એવું થોડું છે? – સૃષ્ટિસમગ્રનો આંખદ્વારા ચિત્ત-સાક્ષાત્કાર કરવો એ પણ સમાધિ છે. પર્વત પોતે જ એક મહારૂપ સમાધિસ્થ ઋષિ છે. એને પ્રણામ.

૩૦.૧૧.૨૦૧૧