આચમની/૬
ચન્દ્ર ૫ર પગ મૂકનાર છઠ્ઠા આદમી તરીકે એડગર ડી. મિશેલનું નામ સદા માટે સ્મરણીય રહેશે. પણ એથી વધારે તો તેણે ચન્દ્ર પરથી પૃથ્વીનું દર્શન કરતાં જે ભાવસમાધિ અનુભવી તે માનવ માટે પ્રેરણારૂપ બની રહેશે. એક અવકાશયાત્રીના મુખમાંથી જાણે ઋષિવાણી સરી પડી છે. તે પોતાના અનુભવનું વર્ણન કરતાં લખે છે :
‘પૃથ્વીને જોતાંની સાથે જ સહુથી પહેલી છાપ પડી તેની અકલ્પ્ય સુંદરતાની. રંગભરી ઉત્તમ તસવીરો પણ આ શોભા બરાબર ઝીલી ન શકે. એ એક ભવ્ય દૃશ્ય હતું. ભભકભર્યા ભૂરા અને શ્વેત રંગનું રત્ન મખમલી શ્યામ આકાશની પાર્શ્વભૂમિમાં અધ્ધર ઝૂલતું હતું. કેવી પ્રગાઢ શાંતિથી, સંવાદિતાથી, કેટલી અદ્ભુત રીતે એ સમગ્ર વિશ્વને ટકાવી રાખતી ઉત્ક્રાન્તિની ગૂંથણીમાં જડાઈ ગયું હતું! આ ઉત્કટ અનુભવની ક્ષણે દિવ્ય તત્ત્વના અસ્તિત્વનો ધબકાર જાણે હું પારખી શક્યો.’ |
આ શબ્દો એક વિજ્ઞાનીના છે, અત્યંત શિસ્તબધ્ધ અને કઠિન પરીક્ષણોમાંથી પસાર થયેલા અવકાશયાત્રીના છે. ક્ષિતિજ પર ઉદય પામતી આપણી પૃથ્વીના આ અદ્ભુત રોમાંચકારી દર્શન પછી બીજી જ પળે તેને કેવી લાગણી થાય છે? એડગર મિશેલના શબ્દોમાં :
‘પછી મારા વિચારો પૃથ્વીના રોજિંદા જીવન તરફ વળ્યા અને તે સાથે મારે અહોભાવ લગભગ વિષાદમાં પલટાઈ ગયો. કારણ કે મને ત્યારે ભાન થયું કે જે ગ્રહને ૨૪૦,૦૦૦ માઈલ દૂરથી અવકાશમાં આમ નિરખવાનો મને લ્હાવો મળ્યો છે તે ગ્રહ પર લોકો યુદ્ધમાં પડ્યા છે. એ છેતરપિંડી કરે છે, સત્તા ને હોદ્દા માટે ખેંચતાણ કરે છે. હવા-પાણીને પ્રદૂષિત કરીને, પ્રાકૃતિક સંપત્તિ વેડફીને, લાલસા અને સ્વાર્થથી લથબથ એ સહુ પૃથ્વીના ઐશ્વર્યને અપમાનિત કરે છે... માણસ પોતાની વ્યક્તિગત ફરજથી સદંતર અભાન છે અને આ ગ્રહના ભાવિ જીવન પરત્વે પોતાની જાતની જવાબદારી અંગે પણ એ એટલો જ ગાફેલ છે.’ |
| (‘સાઈકિક એક્સપ્લોરેશન, એડગર ડી. મિશેલ, પાનું ૨૯) |
સમગ્ર બ્રહ્માંડની સંકલનામાં રહેલી આપણી પૃથ્વીની સુંદરતા, સંવાદિતા અને ભવ્યતાનાં દર્શન સાથે માનવજાતના અક્ષમ્ય અપરાધોનું આ સચોટ બયાન છે. આ સુંદર પૃથ્વીને સુંદરતમ કરવાનું કે પછી આત્મવિનાશ નોતરવાનું માણસના હાથમાં છે. અણુશસ્ત્રોએ તો કાલાગ્નિની લાલ આંખ બતાવી છે. પણ માણસ સમયસર ચેતશે ખરો?
***