આત્માની માતૃભાષા/16

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્વીકારની ભવ્યતા

માધવ રામાનુજ

સખી મેં કલ્પી 'તી –

સખી મેં કલ્પી'તી પ્રથમ કવિતાના ઉદય શી,
અજાણી ક્યાંથીયે ઊતરી અણધારી રચી જતી
ઉરે ઊર્મિમાલા, લયમધુર ને મંજુલરવ,
જતી તોયે હૈયે ચિર મૂકી જતી મોદમદિરા.

સખી મેં ઝંખી'તી જલધરધનુષ્યેથી ઝૂલતી,
અદીઠી શી મીઠી અવનવલ રંગોની લટ શી.
પ્રતિબિંબે હૈયે અણુ અણુ મહીં અંકિત થતી,
સ્ફુરંતી આત્મામાં દિનભર શકે સ્વપ્નસુરભિ.

સખી મેં વાંછી'તી વિરલ રસલીલાની પ્રતિમા,
સ્વયંભૂ ભાવોના નિલય સરખી કોમલતમ,
અસેવ્યાં સ્વપ્નોના સુમદલ-રચ્યા સંપુટ સમી,
જગે મર્દાનીમાં બઢવતી જ ચિત્તે તડિત શી.

મળી ત્યારે જાણ્યું: મનુજ મુજ શી, પૂર્ણ પણ ના.
છતાં કલ્પ્યાથીયે મધુરતર હૈયાંની રચના.
૧-૧૨-૧૯૩૭


કલ્પનાથી આરંભાઈને ઝંખના અને વાંછનાને સ્પર્શતી આ રચના અત્યંત લાગણીપૂર્વક આપણને વાસ્તવ સુધી લઈ જાય છે. જોકે ખરેખર તો એમ કહેવું જોઈએ કે વાસ્તવના માધુર્ય સુધી લઈ જાય છે. આમ જોઈએ તો વાંછના સુધીની યાત્રા તો સહુ કોઈના હૃદયમાં ક્યારેક ને ક્યારેક તો જન્મી જ હોય છે. પણ આ સૉનેટની છેલ્લી બે પંક્તિઓમાં પ્રગટ થયેલી લાગણી અનુભવવાનું, એને આ રીતે પ્રગટ કરવાનું અને આ રીતે સ્વીકાર કરવાનું સહુ કોઈને માટે શક્ય નથી બનતું. સખી — જીવનસાથીની રમણીય કલ્પના… કેવી? ‘પ્રથમ કવિતાના ઉદય શી’ આથી ઉત્તમ સરખામણી બીજી કઈ હોઈ શકે! પ્રથમ કવિતાનો એ ઉદય કેવો? જ્યાંથી એ આવે છે એ સ્થળ — એ પ્રદેશ અજાણ્યો છે. એટલું જ નહીં, એ સ્વયં પણ આવે છે ત્યારે આરંભે અપરિચિત હોય છે. અજાણી છે ને ક્યાંથી ઊતરી આવે છે? ખબર નથી પડતી. અણધારી આવે છે. આવે છે ને હૃદયમાં ઊર્મિમાલા રચી જાય છે. મધુર લય અને મંજુલ રવવાળી એ સરવાણી આવે છે ત્યારે તો પરિપ્લાવિત કરે જ છે — એ આવે છે ને સમગ્ર અસ્તિત્વને આરપાર ઝંકૃત કરી મૂકે છે… જાય છે ત્યારે પણ ચિરંતન પ્રસન્નતાની મત્ત મ્હેક મૂકતી જાય છે. હે સખી! તું આવી હોઈશ એવું મેં કલ્પ્યું'તું. હે સખી, મેં તને કેવી ઝંખી'તી!… જલધર ધનુષ્યેથી ઝૂલતી. સ્વયં સૌંદર્ય જ હોઈશ તું. દેખાય નહીં છતાં જેનો અણસાર આવે એવી મીઠી અવનવલ રંગોની લટ જેવી. હૃદયમાં પ્રતિબિંબિત થઈને મારા અણુએ અણુમાં આલેખાતી જતી. આત્મામાં — મારા અંતરમાં સ્ફુરતી કોઈ સ્વપ્નસુરભિ સમી. — અને હે સખી! તારે માટેની મારી વાંછના કેવી હતી? તું જાણે વિરલ રસલીલાની સાક્ષાત પ્રતિમા હોય… હૃદયમાં જ પ્રગટતા રહેતા સ્વયંભૂ ભાવોનું જાણે નમણું નિવાસસ્થાન! જે સ્વપ્ન હજુ અધૂરાં છે, એમ નહીં, હજુ જે સ્વપ્ન સેવવાનાં જ બાકી છે એવા સ્વપ્નોના સુમધુર સંપુટ જેવી તું હોય! આવી આવી કલ્પના-ઝંખના-વાંછના જેને વિશે હતી એ માધુર્યની મૂર્તિના આગમનનો અવસર આવ્યો. એ ક્ષણ આવી. કલ્પનાને બદલે વાસ્તવિકતાનો સ્પર્શ થયો. ત્યારે… એ વાસ્તવિકતા કેવી હતી? એની અનુભૂતિ —  ‘મળી ત્યારે જાણ્યું: મનુજ મુજ શી…’ ઓહ! આ તો મારા જેવી જ — સામાન્ય મનુષ્યો હોય છે એવી જ છે. એટલું જ નહીં, — ’…પૂર્ણ પણ ના. છતાં કલ્પ્યાથીય મધુરતર હૈયાંની રચના.’ મારી કલ્પનાથીય વિશેષ મધુરતર તારા હૈયાની રચના છે એમ કહેતાંની સાથે જ આ સ્વીકારને પણ કેવી ભવ્યતા આપી દીધી!