આત્માની માતૃભાષા/19

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘સદ્ગત મોટાભાઈ’ વિશે

ચિનુ મોદી

સદ્ગત મોટાભાઈ

અરધીપરધી મ્હોરી હતી આયુષ્યવેલડી,
પડ્યું હિમ અચિંત્યું ને નિશ્ચેતન ઢળી પડી.
હજી તો જામતા'તા જ્યાં હૈયૈ કોડ જીવ્યા તણા,
ઢોળાયું જિંદગી કેરું પાત્ર ને કૈં ન ર્હૈ મણા.

વિતાવ્યું બાલ્ય લથડી, પડતાં ઊઠંતાં,
કોડે કિશોરવય સ્વપ્ન રૂડાં રચંતાં,
ને યૌવને કંઈ ભગીરથ કીધ યત્ન;
આશા થતી ફલવતી ક્ષણ તો જણાઈ.

આયુષ્યની હતી વસંતબહાર મીઠી,
ઉલ્લાસથી મઘમઘંત હતું જ હૈયું,
ને તોય રે સભર જીવનથાળ ઠેલી
કાં ક્રૂરતાથી મુખ ફેરવી લીધ આડું?

આ સૃષ્ટિની અજબસુંદર લોકલીલા
આશા, હુલાસ, રસ, ઊર્મિ, ગિરા પ્રસન્ન, —
એ સર્વ એક ક્ષણમાં જ તજી સદાનાં
જાનારની મૂંઝવણો લહીશું અમે શે?


અમારે તો રહ્યાં રોણાં; રુદનોથીય ક્રૂર તે
રહ્યું મૃત્યુમીઢું મૌન તમારાં પગલાં જતે.
ના અહીંના પદાર્થોની તમે છો ગણના કરી,
અમારે તો તમારી ર્હૈ રટણા જ ફરી ફરી.

ન્હોતી જગન્નયન આંજતી રૂપશોભા,
ન્હોતી સભાજયિની વાક્પ્રતિભા યશસ્વી,

લોકોત્તર પ્રકૃતિદત્ત હતી ન શક્તિ,
સત્તાપ્રમત્ત વિભવો વળી પદ્મજાના.

એ સર્વ તો અહીં નિરર્ગળ છે ભરેલ,
ને તોય આ પ્રકૃતિનું — વસુધાનું — પાત્ર
જાતાં તમે બની ગયું રસશૂન્ય રંક,
નિ:સત્ત્વશાં થઈ ગયાં સહુ સૃષ્ટિતત્ત્વ!

શોભા ભલે જગની કૈં રચતા પદાર્થ,
શોભા ભલે જગની ના મુજ હો પદાર્થ.
એ મારું તો કિમપિ દ્રવ્ય, અકલ્પ્ય શોભા.
ક્યાં એ હવે અલભ દ્રવ્ય અધન્યનું રે!


આષાઢી આભનો ભેદે વીજળી ઘનમંડપ,
બળતી જળતી તેવી ચિત્તમાં સ્મૃતિવિદ્યુત.
શ્વાસે શ્વાસે રહે જાગી ડંખ અંતરછેદના,
પલકે પલકે ઊંડી ટપકે ગૂઢ વેદના.

ક્યાં મૂર્તિ એ નીરખવી ફરી કાર્યશીલ
એકાગ્ર જે નિયતિદત્ત પ્રવાહધર્મે?
સંતોષી એ મુખની આકૃતિ સુપ્રસન્ન,
ઘૂંટેલ અશ્રુકણશી વળી આંખ આર્દ્ર?

વ્હેતા અબોલ મુખડે અપશબ્દ કોના.
વ્હેતા પ્રસન્નમન સર્વ કુટુમ્બભાર,
સ્હેતા અબોલ હૃદયે અપકાર્ય કોનાં.
વ્હેવું સહેવું બસ એક હતી જ ધૂન.

સંસારની વહી ધુરા પડી કાંધ, વેઠી.
હોમ્યાં સુખો નિજ કરી નિત અન્યચિંતા.
સ્વીકારી આતુર ઉરે વડીલે દીધેલ
સાધ્યો સુકોમલ વયે પટુ કર્મયોગ.


કાળને તે કહીએ શું? જરીકે નવ ચૂકિયો,
પાંચ આંગળીઓમાંથી અંગૂઠે વાઢ મૂકિયો.
પાંડુના પાંચ પુત્રોએ હેમાળે હાડ ગાળિયાં,
રહ્યા'તા ધર્મ છેવાડે, તમે આગળ શે થયા?

છે મૃત્યુ તો પ્રકૃતિ જીવિતમાત્રની, એ
સત્યે ઠરે મન ઘણું; પણ જો વસંતે
પર્ણો ખરે શિશિરમાં ખરવાનું જેને,
તો સત્ય ક્યાં, ઋત કહીં, પ્રકૃતિક્રમો ક્યાં?

ઉલ્લંઘિયા શું મનુજે પ્રકૃતિક્રમો એ?
કે કોઈ દી પ્રકૃતિએય વિલોપી માઝા?
ક્યાંથી અરે મનુજ પે ઊતરે અકસ્માત્?
શાને, કશી વરણી ત્યાં, વળી શા જ ન્યાય?

કોડેથી જીવનલતા મૃદુ સીંચવી કાં,
આકસ્મિક પ્રલય જો નિરમેલ એનો?
કે અંધ શું નિયતિને શિર નામી ર્હેવું,
જ્યાંથી દ્રવે અકલ શક્તિ ભર્યા અકસ્માત્?


નિયતિ, નિયતિ, એક ઋત તું, વર સત્ય તું.
વિશ્વે જે છે નથી તે કૈં, હું ન, છે એકમાત્ર તું.
કાળમીંઢ અંધ ભિત્તિ, નિયતિ ઊભજે ભલે!
અફાળી શિર સિંચાવું રક્તથી મનુજે ભલે!

છે મૃત્યુ જો અફર સત્ય, વૃથાશ્રુ શાને?
શાને વિલાપ, કકળાટ, અરણ્યરોણાં?
જે કૈં પડે, નિયતિને શિર નામી સ્હેવું.
રે તોય ક્યાંયથી અનર્ગળ અશ્રુ વ્હેતાં.

ના અન્યથા હતું બની શકવાનું કાંઈ,
તો અન્યથા ચહી વૃથા વખ ઘોળવાં કાં?
ને તોય તે અગનથી કકળી જ ઊઠી
આ આયખાભરની આંતરડી અમારે.

ભેટીશું અન્ય ભવમાં, વધુ રમ્ય લોકે —
એ ઇન્દ્રજાળ મહીં તત્ત્વની કૈં ન શ્રદ્ધા.
આયુષ્ય અલ્પ હતું, સ્નેહ ન અલ્પ ભાઈ!
આયુષ્ય અલ્પની ગયા મૂકી એ કમાઈ.

કમાઈ એ ગયા મૂકી: ઉરની મૂક ભાવના,
શતકંઠે બજી ઊઠી જે મૃત્યુ તણી મીંડમાં.
મુંબઈ, માર્ચ ૧૯૩૮

કવિશ્રી ઉમાશંકરને નજીકથી ઓળખે એ જાણે જ કે આ વિચક્ષણ વ્યક્તિ ચાહે સૌને; પણ, એ ‘ચાહું તને’ એવું કોઈને કહે નહીં. એમનો પ્રેમ, એમનું વ્હાલ બધું જ બધું ગુપ્ત ગંગા જેવું; વહે; પણ કલકલ સુધ્ધાં ન સંભળાય. પણ, મેં ઉમાશંકરભાઈને એક-બે વાર ભાવભીના થયેલા જોયા છે. એક વાર હું વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ, અમદાવાદના ‘બસ’ સ્ટૉપ પર સાંજે એમ. જે. લાઇબ્રેરીથી પહોંચ્યો; તો જોયું લાકડાના ખોખા પર ઉમાશંકરભાઈ ટેસથી બેઠેલા છે અને પૉલિશ કરનારા ભાઈ સાથે વાતો કરે છે. બૂટને પૉલિશ કરતો કરતો મોચી એટલા જ ભાવથી ઉમાશંકરભાઈ સાથે વાત કરતો હતો. હજી એમનું મારા પર ધ્યાન નહોતું. એ પૉલિશવાળાને કહેતા હતા: ‘પૉલિશ કરેલા બૂટ પર મારું મોં દેખાવું જોઈએ — એવા ચકચકિત કરજો —’ અને અચાનક મારા પર દૃષ્ટિ પડી એટલે ચહેરા પર આવેલા સૌ ભાવને વિદાય આપી, મેં ‘નમસ્તે’ કહ્યું — એટલે મને પૂછે: ‘ક્યાં આટલામાં રહો છો?’ મેં કહ્યું: ‘વિશ્વકુંજ. એન.આઈ.ડી.ની બાજુમાં; શંકર આશ્રમ સામે —’ બસ એટલે એમણે એ પ્રદેશના બે મહાનુભાવો વિશે વાત કરી. સંસ્કૃતના વિદ્વાન ભગવતાચાર્ય અને શંકર મહારાજ ઉનાવાવાળા વિશે. પછી મને કહે —  ‘શંકર મહારાજના ભજનો વાંચજો — ક્યાંક ક્યાંક કાવ્યના ચમકારા હોય છે.’ અને મારી સાથેની વાત આટોપી, મોચીને બતાવી મને કહે: ‘આ અમારી બાજુના છે. મને નાનપણથી ઓળખે — ખરું ને?’ અને મોચીનું ગૌરવભર્યું હાસ્ય મારાં મનોજગતમાં હજી અંકિત છે.

આ પ્રસંગ આલેખવાનું કારણ એક જ: ઉમાશંકર નાળિયેર જેવા, બહારનું કોચલું કઠોર; પણ, એ ભેદો તો અમૃત જેવા જળથી સંચિત કોપરું મળે. મારા બાપુજીના મૃત્યુ વખતે મારા ઘરે આવી મને કહે: ‘હવે મારે ઘેર બપોરે બપોરે વાંચવા આવી જાવ — અહીં નહીં વંચાય—’ હું ૧૧ વર્ષનો અને પિતાનું છત્ર ખોતાં જે સંવેદના અનુભવતો હોઈશ — એની એમને જાણ હતી એની બાતમી ‘સદ્ગત મોટાભાઈને’ કવિતા વાંચતી વખતે સમજાયેલી. આજે એ ઢબૂરી રાખેલી વાતો ઉકેલવાનો અવસર મને મળ્યો છે; તો — 

મૃત્યુ એ કોઈ પણ સ્વમાની વ્યક્તિને કઠે. એ આપણી ચિંતા કર્યા વગર આવતો, જીવનમાં એક જ વાર આવતો અતિથિ છે. એનું આચરણ તર્કબદ્ધ નહીં — ટાઇમટેબલમાં મૃત્યુ માને જ નહીં. એ પોતાની ઇચ્છાનુસાર આવે અને સમગ્ર વિશ્વથી, અખિલ બ્રહ્માંડથી, આપણને અલગ કરી દે. પરિચિત આખેઆખો પરિવેશ એ ભૂંસી નાંખે. એના આગમન-ગમન પછી તમને કોઈ મળી ન શકે, જોઈ ન શકે. પંચેન્દ્રિયથી તમે પામ્યા ન પમાવ. મારી ઇચ્છાથી જ ચાલેલો હું — માણસ — મૃત્યુની આવી દાદાગીરી ક્યાંથી સહન કરી શકું? જો હું ન સહી શકું તો મારા કરતા બાર ખાંડી વધારે મિજાજ ધરાવતા ઉમાશંકરભાઈ આ મૃત્યુ નામક ઘટનાનો સ્વીકાર ક્યાંથી કરી શકે? જગતભરમાં સ્વજનના મૃત્યુ સંદર્ભે થયેલ રચનાઓનો પાર નથી. નાનાલાલ તો દલપતરામના મૃત્યુ પછી ખાસ્સા સમયે ‘પિતૃતર્પણ’ લખે છે. આપણા કવિ ઉશનસ્ તરત React થાય છે — પિતાના મૃત્યુ ટાણે. હું એક વર્ષ — પહેલી મૃત્યુતિથિએ પિતાને સ્મરું છું અને સમયે મને એમનાથી કેવો દૂર દૂર ધકેલ્યો એનું ભાવચિત્ર આપું છું. ઉમાશંકરભાઈ ઉશનસ્ જેમ મોટાભાઈના મૃત્યુ વિશે તરત કાવ્ય કરે છે. એમના મોટાભાઈ ટૂંકી માંદગીમાં માત્ર ૩૨ વર્ષની વયે જાન્યુઆરી ૧૯૩૮માં ગુજરી જાય છે અને કવિ માર્ચ માસમાં આ કાવ્ય લખીને પૂરું કરે છે. આવું દીર્ઘકાવ્ય એકબેઠકે કદાચ ન પણ લખાયું હોય. જોકે જે પ્રકારે અહીં ખંડ છે, એ બધા ખંડ ક્રમે પણ આંતરા દિવસોએ લખાયેલા હોય, એવું અચૂક લાગે છે. આ હું કઈ રીતે સિદ્ધ કરીશ એની મને વિમાસણ નથી. આપણે સાથે જ એક પછી એક ખંડમાંથી પસાર થઈએ. આ રચનાને શ્રી યશવંત શુક્લ કરુણપ્રશસ્તિ નથી કહેતા, એ યોગ્ય છે. અહીં મોટાભાઈના અકાળ અવસાને કવિ ચિત્તને મૃત્યુ સંદર્ભે ચિંતવન કરતાં કરી મૂક્યા છે. હા, વિચ્છેદે સર્જેલી વેદનાનાં અનેક શીકરથી ભાવક ભીંજાય એવી પંક્તિઓ છે જ; પણ, અલ્પ પ્રમાણમાં છે. આ રુરુદશાનું કાવ્ય નથી, પણ, સ્વજનના અકાળ અવસાને કવિને જન્મેલા પ્રશ્નોની આ રચના છે. પહેલો આખો ખંડ મોટાભાઈના અકાળ અવસાનને રૂપકથી આપણને પમાડે છે. એ કહે છે કે મોટાભાઈના આયુષ્યની વેલ હજી મ્હોરી ન મ્હોરી ત્યાં એના પર મૃત્યુનું હિમ પડ્યું અને વેલ નિશ્ચેતન થઈ ગઈ. સંસ્કૃતકાવ્યશાસ્ત્ર મુજબ આ સાંગરૂપક થયું લેખાય. આ વાત પહેલી બે પંક્તિ પછી બીજી બે પંક્તિઓમાં અલંકારની મદદથી પુન: વર્ણવી, અકાળ મૃત્યુની ઘટનાને ઘૂંટવામાં આવે છે. આ વાત વધુ પડતી ઘૂંટાવાને કારણે તીક્ષ્ણતા ખોઈ દેશે — એમ લાગે ત્યાં તો મોટાભાઈએ પોતે વસંતે જીવનથાળને ધક્કો માર્યો અને ક્રૂરતાથી મુખ ફેરવી લીધું — એમ કહેવા કવિ પ્રેરાય છે. પોતાની આ વાત તર્કબદ્ધ નહીં હોવાની પ્રતીતિ થતાં જ કવિ યોગ્ય રીતે પહેલા ખંડના સમાપનમાં કહે છે:

આ સૃષ્ટિની અજબસુંદર લોકલીલા
આશા, હુલાસ, રસ, ઊર્મિ, ગિરા પ્રસન્ન — 
એ સર્વ એક ક્ષણમાં જ તજી સદાનાં
જાનારની મૂંઝવણો લહીશું અમે શે?

મોટાભાઈ સર્વવૈભવ ત્યજી એક ક્ષણમાં કેમ ચાલ્યા ગયા? સૃષ્ટિની એ તો અજબ સુંદર લોકલીલા છે. જનારાને શું મૂંઝવણો થઈ હશે — એની તો કોને જાણ થાય? પાન ખર્યાની નહીં, વૃક્ષ કડડભૂસ તૂટી પડ્યાની વાત ‘વસંતતિલકા'માં? એને તો કહે છે contrast matching. બીજા ખંડનો પ્રારંભ ‘પિતૃતર્પણ'ના અનુષ્ટુપની યાદ આપે એવો છે. મૃત્યુને ‘મીઢું’ કહી ઉમાશંકરભાઈ એમની વિલક્ષણતાની ઝાંખી કરાવે છે. નાનો ભાઈ મોટાભાઈએ કરેલા અન્યાયની જે રીતે લાડ સાથે ફરિયાદ કરે એવા સ્વરમાં કવિ મોટાભાઈને કહે છે:

ના અહીંના પદાર્થોની તમે છો ગણના કરી,
અમારે તો તમારી ર્હૈ રટણા જ ફરી ફરી.

જોકે આ પંક્તિઓથી ઉમાશંકરભાઈ જેને ઓળખતા હતા એવા મોટાભાઈને જ ફરિયાદ કરે છે — જે કોઈને નથી ઓળખાયું એ મૃત્યુને આડકતરી રીતે, પરોક્ષ રીતે, મોટાભાઈના માધ્યમથી ઠપકો આપે છે. એ પછી ફરી વસંતતિલકા દ્વારા કવિ છટાથી મોટાભાઈને ‘નેતિ’ ‘નેતિ'ની પદ્ધતિએ વર્ણવે છે. ‘આ નહીં’ ‘આ નહીં’ એમ કહી વેદોએ દિવ્યશક્તિને ઓળખવા મથી છે, એમ ઉમાશંકર મોટાભાઈમાં આંજી નાખે એવી પ્રતિભા નહોતી, સભાને મંત્રમુગ્ધ કરે એવી વાક્પ્રતિભા નહોતી; કોઈ લોકોત્તર શક્તિ નહોતી (આ બધું ઉમાશંકરભાઈમાં હતું જ, એ સૌ જાણે છે) કે નહોતી સત્તા અંગેની લાલસા. અને આમ છતાં મોટાભાઈના જતાં — વસુધાનું પાત્ર ‘રસશૂન્ય’ અર્થાત્ ‘રંક’ બની ગયું. ઉમાશંકરનું આગવું ચિંતન અને નોખા દૃષ્ટિકોણની ચાર પંક્તિઓ, ઉમાશંકરને ‘મેજર પોએટ’ બનાવે છે.

શોભા ભલે જગની કૈં રચતા પદાર્થ,
શોભા ભલે જગની ના મુજ હો પદાર્થ.
એ મારું તો કિમપિ દ્રવ્ય, અકલ્પ્ય શોભા.
ક્યાં એ હવે અલભ દ્રવ્ય અધન્યનું રે!

‘કિમપિ દ્રવ્યં’ જેવું સુપરિચિત સંસ્કૃત શબ્દયુગ્મ આ શ્લોકના શોકને ગૌરવની કક્ષાએ લઈ જાય છે. અ-લભ અને અ-ધન્ય જેવા નવા શબ્દ પણ ઉમાશંકર coin કરે છે. આ ખંડ કવિની ઉત્તરોત્તર એક ઘટના પછીની પ્રક્રિયાને સુપેરે વર્ણવે છે.

ત્રીજો ખંડ પણ પૂર્વેના બે ખંડના જ છંદ-આયોજનને સાચવે છે. પહેલી ચાર પંક્તિ અનુષ્ટુપ અને બાકીની ૧૨ પંક્તિ વસંતતિલકામાં; ખંડે ખંડે ‘પૂંછડિયું સૉનેટ’. ત્રીજો ખંડ અશ્રુનો પર્યાય છે. કવિએ પરિચિત અલંકાર આયોજનથી સૌને મૃત્યુથી પરિચિત સંવેદનાને વ્યક્ત કરી છે. જેમ ઘોર અંધારા આકાશમાં વીજળી ઝબકે એમ સૃતિ વીજ જેમ માત્ર ઝબૂકતી નથી, કડાકા સાથે પડે છે ને હૃદયને બાળીને ખાખ પણ કરે છે. મોટાભાઈના મૃત્યુ પછી લેવાતા પ્રત્યેક શ્વાસ કવિને ડંખીલા સાપ જેવા લાગે છે. છેક અંદર થયેલા છેદ — મૂળગામી છેદનાં આ સંવેદનો છે. અને પછી કવિ મોટાભાઈના આંતરબાહ્ય વ્યક્તિત્વને શબ્દબદ્ધ કરતાં કરતાં, હવે એ નથી એનો અભાવો અનુભવે છે. મોટાભાઈના જીવનને બે શબ્દમાં જ એ સુપેરે આલેખે છે — એ બે શબ્દો છે: ‘વ્હેવું’ ‘સહેવું.’ કલાપી કહે છે ને ‘વ્હાલી બાળા, સહન કરવું એય છે એક લ્હાણું'? એમણે વેઠાય ત્યાં સુધી સંસારધુરા વેઠી — પોતાનાં અંગત સુખ કોળીને. હવે એ ધુરાનો ભાર કવિની કાંધે આવે છે અને એ કહે છે:

સ્વીકારી આતુર ઉરે વડીલે દીધેલ
સાધ્યો સુકોમલ વયે પટુ કર્મયોગ.
ચોથા ખંડમાં વારંવાર ટાંકવામાં આવતી પંક્તિઓ છે:
કાળને તે કહીએ શું? જરીકે નવ ચૂકિયો,
પાંચ આંગળીઓમાંથી અંગૂઠે વાઢ મૂકિયો.

મૃત્યુની ક્રૂરતાને કવિએ અલંકારઆયોજનથી સાદૃશ કરી આપી છે. ચાર આંગળીઓ અંગૂઠા વગર કશું સાહી શકે નહીં, પકડી શકે નહીં અને અંગૂઠા વગરના બાકીના ભાઈઓ સાથે પોતે આ જગતને કઈ રીતે ગ્રહી શકશે? એવો તીવ્ર પ્રશ્ન સાંગની જેમ ભાવકો પર પ્રહાર કરે છે. ‘મહાપ્રસ્થાન'ના કવિ કહે છે:

પાંડુના પાંચ પુત્રોએ હેમાળે હાડ ગાળિયાં
રહ્યા'તા ધર્મ છેવાડે, તમે આગળ શે થયા?

ધર્મરાજ દ્રૌપદી અને ચાર ભાઈઓના મૃત્યુ પછી પૃથ્વી પરથી વિદાય લે છે. પુરાણમાં તો આ ચાલ પ્રસિદ્ધ છે — તમે એ ચાલ કેમ તોડ્યો? ભાવવિવશ ચિત્તનો આ તર્ક છે, એ તરત સમજાય. માત્ર આ તર્ક પાસે કવિચિત્ત અટકતું નથી. એ કહે છે વસંતમાં શાનું ખરવાનું? પ્રકૃતિમાં કોઈ ક્રમ ખરો કે નહીં? માણસ પ્રકૃતિના ક્રમ ઉલ્લંગે; છોરું કછોરું થાય; પણ પ્રકૃતિએ આમ ક્રમને ઉલ્લંઘન કરવાનું? કાન્તની જેમ આ કવિ પણ આ સૃષ્ટિમાં ન્યાય નથી એમ તીવ્ર ચીસ સાથે કહે છે. સીંચી ચીંચીને વેલ ઉછેરી એનું આમ ઉચ્છેદન? શું અંધ નિયતિને અમારે શિર ઝુકાવી સહી લેવાની? ગ્રીક નાટકના નાયકને થાય એવો આ પ્રશ્ન છે. આવાં અકસ્માત અમારા જીવનમાં જ શું કામ? આખોય ખંડ આક્રોશયુક્ત છે અને એટલે કાવ્યમય છે.

પાંચમા ખંડમાં પણ કવિ પ્રથમ ચાર પંક્તિમાં અનુષ્ટુપને ઉપયોગમાં લે છે. જે તત્ત્વને વર્ણવવું છે એ માટે અનુષ્ટુપ અ-નિવાર્ય બને છે.

નિયતિ, નિયતિ, એક ઋત તું, વર સત્ય તું.
વિશ્વે જે છે નથી તે કૈં, હું ન, છે એકમાત્ર તું — 

વેદ જેવી વાણી માટે અનુષ્ટુપ જ ખપ લાગેને! સરવા કાનના જ્ઞાની કવિની આ તો મઝા હોય છે. અને એ પછીની બે પંક્તિઓમાં ‘ભિત્તિ’ જેવો નવો શબ્દ કવિ Coin કરે છે. ‘ભિતિ’ નહીં ‘ભિત્તિ’ જ કવિના ઋતને યથાતથ પ્રગટ કરે એમ છે.

કાળમીંઢ અંધ ભિત્તિ, નિયતિ ઊભજે ભલે!
અફાળી શિર સિંચાવું રક્તથી મનુજે ભલે.

પ્રાસને ‘તું’ ‘તે’ ‘ભલે’ ‘ભલે’ એમ રિપીટ કરી, કવિએ જતો કરી, કેવળ જે કહેવું છે એને ભારપૂર્વક, અશેષ રીતે કહ્યું છે — એ મને વિશેષે ગમ્યું. આવે ટાણે પ્રાસમોહ જતો કરવો કેટલો અઘરો, ભગતસાહેબ? પછીની બાર પંક્તિઓમાં ૯થી ૧૨ પંક્તિઓ જ કાવ્યકારક છે. છેલ્લી બે પંક્તિઓ આયોજનને અતિક્રમીને આવે છે. ઉમાશંકરનાં ઘણાં કાવ્યોમાં પ્રમય જેમ ઇતિ સિદ્ધમ અંતે આવે જ. મારામાંના અધ્યાપકને ‘ચૂપ’ હું કરું છું…