આત્માની માતૃભાષા/26

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘આત્માનાં ખંડેર’: ક્યાંક ક્યાંક રચાતા કવિતાના દ્વીપ

ચન્દ્રકાન્ત ટોપીવાળા

આત્માનાં ખંડેર: સૉનેટમાલા
૧. ઊગી ઉષા

આયુષ્યની અણપ્રીછી મધુપ્રેરણા-શી
ઊગી ઉષા સુરભિવેષ્ઠિત પૂર્વ દેશે,
આગંતુકે પુરમહેલઅગાશીઓમાં
ઊંચે રહી નીરખી મ્હાલતી પદ્મવેશે.
ને ટેકરીશિખર રંગપરાગછાયું
પ્રેરી રહ્યું ઉર મહીં નવલા જ ભાવ.
નીચે, ઉછાળી જરી ફેનિલ કેશવાળી
ઘુર્રાટતો વિતરી જોમ પુરાણ સિંધુ.

આગંતુકે નીરખી ટેકરી વીંટી ર્હેતી
લીલા શહેર તણી વિસ્તરતી સુદૂર;
ઊંચે સર્યો ક્ષિતિજધુમ્મસ ભેદી સૂર્ય.
કોલાહલો પુર તણા ચગવા જતા, ત્યાં
ગર્જી રહ્યો અતિથિનો પુલકંત આત્મા:
‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા.’
મુંબઈ, ૨-૯-૧૯૩૫

૨. અહમ્

ગુહા અંતર્ કેરી ભરી ભરી અહંઘોષ સ્ફુરતો,
જવા વિશ્વે વ્યાપી અદકી વધતી આત્મની વ્યથા;
થતું હૈયાને જે સ્થલ સ્થલ કહું મારી જ કથા,
પ્રયાણાર્થે ઘેલો કદમ ભરવા પ્રાણ ઝૂરતો.
ચહે અંગો મીઠા સુમસુરભિના પુંજ લચતા,
અને શીર્ષે વાંછે મુકુટ ધરવા શૃંગ ગિરિનાં;
ઊડી ઊંચે, મૂઠી ઉડુની ભરીને માલ્ય રચવા,
લઘુ ચિત્તે મોટા ઉરછલકતા કોડ મચતા.

મહા વિસ્તારો આ અમિત વિહરે કાલસ્થલના,
ખચેલા સૌન્દર્યે; પણ હું-વિણ સૌ શૂન્ય-સરખા.
અહીં ઊભીને મેં કરી જ રચના ભાવિ-ભૂતની,
અને મારે જોયે સ્થલ સકલને જીવની મળી.
હતું સૌ: એ સાચું! હતી પણ ખરી હુંની જ મણા;
વિના હું બ્રહ્માંડે કવણ કરતે વિશ્વરમણા?
મુંબઈ, ૬-૯-૧૯૩૫


૩. સત્ત્વ-પુંજ

મ્હેરામણો ગરજતા અહીં સામસામે:
આ એક ગેબી કંઈ તાલથી નર્તનારો,
હીંચોળતો હૃદયમાં અણમૂલ રત્ન,
ઉલ્લાસહાસભર મેઘપિતા સમુદ્ર;
ને આ વિરાટ વળી માનવસિંધુ નિત્યે
ગર્જંત, ઓટભરતી મહીં મસ્ત, લ્હેરે.
દે યંત્ર તાલ, અણથંભ પ્રવૃત્તિગર્ભે
છૂપાં કંઈ હૃદયરત્ન ઝુલાવી ર્હેતો.

ઝૂકી શશાંક નભમધ્ય છટાથી જેવો
આકર્ષતો સુભગ સાયરવારિ ઊંચે,
છીપો મહીં મૂકી જતો કદી મોતી શુભ્ર;
એવો મહા વિરલ પ્રેરક સત્ત્વ-પુંજ
સંક્ષુબ્ધ આ તરલ માનવરાશિ માગે,
કે કૈં કર્યે જીવન જાગી ચગે હુલાસે.
મુંબઈ, ૬-૯-૧૯૩૫

૪. અશક્યાકાંક્ષા?

મહત્ત્વાકાંક્ષાનાં વિવિધવરણાં મેઘધનુની
છટા ફેલે ચક્ષુ રીઝવી, પજવી આત્મબળને.
તરે દૃષ્ટિ સામે કણ થકી થયા મેરુ દ્યુતિના,
પૂરે સાક્ષી કૂડી અફર ઇતિહાસે સ્મૃતિ ભરી.
વિશાળે નાનોશો જગફલક ઈસ્કંદર ઘૂમ્યો,
અને બાળે વેશે તખતતખતે બાબર રમ્યો;
ખરી વેળાની ગૈ ફરજ બજવી જોન કુમળી,
યુવાનીમાં શામ્યું પણ વિઘન ના કીટ્સ-ઉરને.

શ્વસે મારે હૈયે પણ તણખ તે ચેતન તણી,
સરી જે સૃષ્ટિની પ્રથમ પલકે, જે જળચરો
વનોની સૃષ્ટિ ને ગિરિ ગિરિ ભમંતાં પશુગણો
તણા પ્રાણે વ્હેતી, યુગ યુગ ક્રમે વેગથી ધપી,
પ્રકાશી અંતે જે મનુજ રૂપમાં ઉત્ક્રમવતી.
વિકાસીને આગે પ્રગટ બનું પ્રજ્ઞાપુરુષ હું.
મુંબઈ, ૨-૯-૧૯૩૫

૫. દે પયઘૂંટ, મૈયા!

રાતેદિને નિશિદિવાસ્વપને લુભાવી,
દેતી ચીજો વિવિધ ને લલચાવી ભોળો,
રાખે મને નિજથી નિત્ય તું દૂર બાળ.
તારા સમી જનનીયે કરશે ઉપેક્ષા?
શાને વછોડતી, અરે! નથી થાવું મોટા.

હું તો રહીશ શિશુ નિત્યની જેમ નાનો.
નાનો શિશુહકથી ધાવણસેર માગું,
એ દૂધથી છૂટી ભ્રમે જ થવાય મોટા.
રાતે શ્વસે ધડક થાનની તેજગૂંથ્યા
કમ્ખા પૂંઠે, વળી દિને રવિહીરલો તે
અંબારતેજ મહીં છાતી રહે છુપાવી.
રે! ખોલ, ખોલ, ઝટ છોડ વિકાસધારા,
ને ના પટાવ શિશુને, બીજું કૈં ન જો'યે
થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા!
મુંબઈ, ૨૬-૮-૧૯૩૪


૬. કુંજ ઉરની

શ્વસે શૃંગે શૃંગે યુગ યુગ તણા શ્રાન્ત પડઘા,
અને વ્હેતી તાજી ઝરણસલિલે આદિકવિતા,
તળાવોનાં ઊંડાં નયન ભરી દે કાલની દ્યુતિ,
રચે બીડે ઘાસે પવન ઘૂમરીઓ સ્મિત તણી;
દ્રુમે ડાળે માળે કિલકિલી ઊઠે ગીતઝૂલણાં,
લતા પુષ્પે પત્રે મુખચમક ચૈતન્યની મીઠી;
પરોઢે-સંધ્યાયે ક્ષિતિજઅધરે રંગરમણા,
— મને આમંત્રે સૌ પ્રણય ગ્રહવા વિશ્વકુલનો.
નહીં મારે રે એ પ્રકૃતિરમણીનાં નવનવાં
ફસાવું રૂપોમાં, પ્રણય જગને અર્પણ કર્યો.
મનુષ્યો ચાહે કે કદી અવગણે, કૈં ન ગણના;
રહું રાખી ભાવો હૃદય સરસા, સૌ મનુજના.
મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિંતુ અમૃતે
મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.
મુંબઈ, ૨-૯-૧૯૩૫


૭. અકિંચન

બેઠો બજાર જઈને નિજની સમૃદ્ધિ
ખોઈ અકિંચન થવા: અહીં ભાવનાનાં
સાચાંજૂઠાં ધવલ મોતીની લૂમ રમ્ય.
ને આ પરાગભર પુષ્પ ચૂંટેલ કૈં જે
આ લોકના અનુભવો તણી કાંટમાંથી.
દેજો ક્ષમા, નવ ગૂંથી જ શક્યો હું માલા!
શોચ્યું: થશે ટપકતી મુજ અંગુલિથી
એ પુષ્પ સૌ સુરભિહીણું વિવર્ણ મ્લાન.
‘રે વાહ, તું અજબ દંભી લૂંટાવનારો!'
ટોળા મહીંથી વદ્યું કો મુખ રાખી નીચું.
‘પેલું, કહે, છૂપવી રાખ્યું કશું કપાટે?'
‘હા. એય અર્પવું ખરે — અણબોટ ઉર.’
સૌયે ગયાં વીખરી, આખર ખોલી બોલ્યો:
પીજો, ભલાં પણ ન ચંચુપ્રહાર દેજો.
મુંબઈ, ૨-૯-૧૯૩૫


૮. સંતોષ

ટૂંકી નજર ના'પણી, ફલક દૃષ્ટિનો ના ટૂંકો;
ભલે ક્ષિતિજગોળ સંકુચિત લાગતો પૃથ્વીનો.
ધરે દૃગ સમક્ષ ફક્ત મર ડુંગરોથી વીંટી
જમીન અતિ થોડી ગાઉ દસબારના પંથમાં;
જમીન પણ એટલી ધરી રહંત શિશુબાથમાં
ખગોળ અરધો; છુપાવતી નિજાંગ જોકે ઘણું,
અને મનુજદૃષ્ટિ સામી ભ્રમણે ન ઊભતાં સ્વયં
બતાવતી નભે અનંત રમણે ચડ્યા તારલા.
ટૂંકું જગત ના, રચાઈ પથરાયું ચોમેર જે.
ભલે નર ન એકીસાથ નવખંડ ખેડી શકે;
જહીં સ્થિર ઊભો તહીં જનસ્વભાવના કીમતી
પ્રકાર બહુયે, કદાચ સહુયે વસ્યા, આંખ જો.
અને હૃદય, દેશકાલવિધિવક્રતા ભાંડવી
તજી, નજીક જે ખડું નીરખી એહ લેવું ઘટે.
ઑગસ્ટ ૧૯૩૨


૯. અનંત ક્ષણ

ગઈ ક્યમ ગણું ક્ષણો? દિવસ, માસ, વર્ષો વહ્યાં
ગણું જ કઈ રીત? સૌ ફરી ફરી પડે જીવવાં.
નવાં નયનને જૂના મહીંથી મૂલ્ય લાધે નવાં.
અનેકવિધ જે થયા અનુભવો બધા પૂર્વના
લહ્યા નવલદર્શને નવલરૂપમાં, ને વળી
હજીય નવતત્ત્વ કાંઈ મળતાં નવે રૂપ સૌ
ફરી અનુભવો ઉરે ઊતરશે, ન આરો કહીં.
અને ફરી ફરી રહી જીવવી એ પળો એમ સૌ.
પળો સકળ આજની ગત પળોથી પોષાય, ને
જિવાય ગત એ પળો સકળ આજનીમાં, અને
ભવિષ્ય તણી સૌ ક્ષણો ઊતરી આજ આશારૂપે
સમૃદ્ધ ક્ષણ વર્તમાન કરતી, થતી ને સ્વયં.
ક્ષણેક્ષણ અનંત છે. નવનવે રૂપે વિસ્તરી
પ્રતિક્ષણ વિશે સ્ફુરે અનુભવો ત્રિકાલે ભર્યા.
નવેમ્બર ૧૯૩૩

૧૦. સમય-તૃષા



વરસભરનાં વીત્યાં વ્હાણાં, શમ્યાં પલકારમાં,
નથી ખબર કે જાણ્યાં માણ્યાં પૂરાં ઉરબ્હારમાં.
વરસભરના મધ્યાહ્નો ને મીઠી મધરાત્રિઓ, —
શું કહું? સહુયે આ હૈયે તો અજાણ જ યાત્રીઓ.
અધીરપભર્યા ભાવે વેણુ સુણી'તી વસંતની,
નીરખી'તી નભે વર્ષાનીયે મદે પદપંક્તિઓ.
શરદસરમાં દીઠી હોડી સરંતી મયંકની,
પણ કહીંય તે આ હૈયાને થયો નવ સ્પર્શ કો.
દિશ દિશ તણા આદર્શો, — ત્યાં સ્વમૂર્તિ તપાસું હું,
જગમગજના ઝંઝાવાતો, — વીંઝાઉં અશાંત ત્યાં;
દલિતઉરના લાવા, — ન્હાવા તહીં ઉર દોડિયું;
સમયની સુરા, ઢીંચ્યે રાખી અહર્નિશપ્યાલીમાં.
ફરી કહીંયથી ઊગી જો તો નવી નભ કો ઉષા,
ફરી સમયની હૈયે જાગે અદમ્ય ચિરંતૃષા.
૧૯૩૬

૧૧. આશા-કણી


નિરાશાનાં ક્ષેત્રે કરવી લણણી આશકણની,
અને ગોતી ર્હેવી જડ ઢગ મહીં ચેતનકણી,
છટા માયા કેરી મહીંથી સતની ઝાંખી ચહવી,
જનો વાંછે ઘેલા; જીવન તણી આ તે શી મદિરા!
કર્યું અન્યે તે કાં નવ કરી અરે હું પણ શકું?
પતાકા કીર્તિની ક્યમ ન ફરકાવી હુંય શકું?
પરંતુ ઘેરાયા સમય તણી એવી ભીંસ મહીં,
અનિચ્છાએ જાગે રુદન, મુખ જ્યાં જાય હસવા.
પ્રવાતો વૈરોના રુધિર ઉરનું ઝેર કરતા,
પ્રપાતો દોષોના જીવતર ભરી ઘોર દવતા.
અસિદ્ધિના ડંખો, પ્રણય અણમાણ્યા, દમી રહે.
મનુષ્યો તોયે રે શત વરસ શે જીવવું ચહે?
અશક્તિ આત્મહત્યાની એને આશા કહે જનો;
મૃત્યુથી ત્રાસતાં તોયે જિંદગી અર્ક મૃત્યુનો.
મુંબઈ, ૨-૯-૧૯૩૫

૧૨. મૃત્યુ માંડે મીટ


મૃત્યુ માંડે મીટ સુખદ લેવા સંકેલી
વિશ્વકુંજ જગડાળ મચેલી જીવનકેલી.
પુનર્જન્મનું પુણ્ય પરોઢ હવે તો ફૂટશે,
દિવ્ય ઉષાની પુનિત પીરોજી પાંખ પસરશે.
રચતું એવા તર્ક કૈંક હૈયું ઉલ્લાસે.
હશે જવાનું અન્ય પંથ કો નવા પ્રવાસે.
ફરી સફરઆનંદ તણી ઊડશે વળી છોળો.
વિચારી એવું મૃત્યુદંશ કરું શે મોળો?
શાને ભીષણ મૃત્યુમુખે અર્પવી કોમલતા?
વિદ્યુદ્વલ્લી હોય કથવી શાને પુષ્પ-લતા?
આવ, મોત, સંદેશ બોલ તવ ઘર્ઘરનાદે,
નહીં ન્યૂન, વધુ ભલે, રુદ્ર તવ રૂપ ધરીશ તું.
વક્રદંત અતિચંડ ઘમંડભરેલ વિષાદે
મુખ ઉઘાડ તુજ, શાંતચિત્ત તવ દંત ગણીશ હું.
વીરમગામ, ૩-૬-૧૯૩૦

૧૩. નિશાપંથ


થાક્યા કાને સ્વર મૃદુ પડ્યો: આવ રે આવ ચાલ્યો!
થાક્યા દેહે ફરી શરૂ કરી આખરી એક યાત્રા.
તારાતેજે ચમકી લલચાવી સ્ફુરે વીચિમાલા;
તેડાં મીઠાં ગણી જલનિધિનો નિશાપંથ ઝાલ્યો.
અશ્રુ ખારાં જીરવી જગને પાઠવે વારિ મીઠાં;
સિંધુ, તારાં જીવનવ્રત મેં અન્ય ક્યાંયે ન દીઠાં.
આંહીં લોકે લખ લખ જનોમાંય એકાકી ર્હેવું;
મૂગાં મૂગાં સહન કરવું, ના હયાનેય ક્હેવું.
મારે માટે અણખૂટ પડ્યાં વારિમેદાન મોટાં,
સિંધુ તારે જલતલ મૂકું કાયની નાવડી આ.
તારે ઊંડે જલતલ પૂરું છું, સહી રે તું લેજે,
ગાથા કૂડી જગની, અમૃતાવી ફરી પાછી દેજે.
ત્યાં તો કાયા ફગવી હડસેલી તરંગો પુકારે:
જા રે તારે જગ, ઉભયથી કૈં ન સંબંધ મારે.
મુંબઈ, ૯-૯-૧૯૩૫

૧૪. બિચારો મનુજ


કરી યત્નો કોટિ ગગન ચૂમતા મ્હેલ રચિયા;
પછી છો એ કાજે જીવતર બધું રોળ્યું ધૂળમાં.
નવા મ્હેલે જ્યારે અવસર મળ્યો વાસ વસવા,
તહીં તો પ્રાણોના જીરણ જ હતા મ્હેલ તૂટલા.
રગો ખેંચી ખેંચી નવલ કંઈ સૂરો જગવવા
મહા આયાસોથી અજબ સજ્યું વાજિંત્ર ઉરનું,
સુણ્યાની વેળાએ બધિર બનીને મૂર્છિત સમો
સદાનો આત્મા તો શત શત હતો જોજન પળ્યો.
મહાવજ્રાઘાતે હૃદયજડિમા તોડી, ઝરણું
વહાવ્યું તો હોંસે, પ્રબળ પુરુષાર્થે, પણ બધું
સુકાઈ એવું તો રણ સમ થયું જીવન હતું,
ફૂટ્યું એવું ક્યાંયે ઝરણ કુમળું લુપ્ત બનિયું.
બિચારો નિચોવે મનુજ વિધિની રેત અમથો;
વૃથા યત્ને ખુએ મૃગજળનીયે રમ્ય ભ્રમણા.
મુંબઈ, ૬-૯-૧૯૩૫

૧૫. દૃગજલ ભલાં


તમે ઉલ્લાસોની મીઠી મીઠી કરો પ્રેરક કથા,
યુવાનીલીલાનાં સતત બજવો શૌર્યબણગાં.
બુઢાપા પચ્ચીસે જગહૃદયના, તે ન નીરખો;
અને સદ્ભાગીનાં શિશુ રમકડે રાચી જ રહો.
પ્રતાપોની ગાથા રુધિરધબકે પૂરી, ઉરને
તમે આમંત્રો છો રજનિદિન આનંત્ય ઘૂમવા,
સુખે ભૂલો ભોળાં રગ રગ ભરીને ધગી રહ્યો
મહાગ્નિ મૃત્યુનો, જગ સકલ જેને કવલ-શું.
અહં કેરું માગો જડ થકી જ નિર્લોપન તમે,
શિખાવો ફિલ્સૂફી જીરવી ન સ્વયં, અન્ય ઉદરે
દવા તેજાબોની દરદ વણજોયે જ ઠલવો;
અહં ક્યાંનો? શાને? — પ્રથમ ઊચરો, લોપ પછીથી.
અસત્ આનંદોની પરબ રચી વ્હેંચો ન મદિરા,
ભલાં શોકપ્રેર્યાં દૃગજલ યથાર્થે વિહરતાં.
મુંબઈ, ૬-૯-૧૯૩૫

૧૬. અફર એક ઉષા


ઊગી ઊગી અફર એક ઉષા નમેરી.
છાતી હતી ટપકતી રુધિરે નિશા-ની
ને પાથર્યા કબર પે કદી હોય એવા
ફિક્કા હતા મરણમ્લાન ઉડુગણો સૌ.
વેરાયું ચિત્તક્ષિતિજે થકી ધુમ્મસે ને
રંગે ભરી જવનિકા સરી પાંપણેથી.
ત્યાં ટેકરી ફરતું દૃશ્ય શું ઠેર ઠેર?
રે ક્યાં ગઈ પ્રથમની જનતા વિરાટ?
આત્મા તણાં અરધભગ્ન ઊભેલ અર્ધાં
ખંડેરની જગપટે પથરાઈ લીલા.
ને છાંડીને જયમનોરથ, કો ઘવાયા
પંખી સમું ઉર લપાઈ કહીંક બેઠું
ખંડેરની કરુણભીષણ ગાતું ગાથા,
ને ગોતતું અફળ ગાન મહીં દિલાસા.
મુંબઈ, ૯-૯-૧૯૩૫

૧૭. યથાર્થ જ સુપથ્ય એક


ન રાવ, ફરિયાદ ના, ફિકર ના, અજંપાય ના,
ન કે પ્રબલ કોઈ સત્ત્વ થકી શક્તિની યાચના.
ન ઘેલી લગનીય વા ગગનચુંબી આદર્શની
ભમાવતી અસત્યચક્ર રચી રમ્ય ભ્રાન્તિ તણાં.
જગે દુરિતલોપની ઉર અશક્ય ના વાંછના,
ન વા ધગશ સૃષ્ટિના સકલ તત્ત્વસંમર્શની;
ડગેડગ વધારતી વજન શૃંખલા કાલની,
દમેદમ પધારતી નિકટ શાશ્વતી યામિની.
ન શાંતિ-ચિતસૌખ્ય-કાજ જગ ડ્હોળવાં મંથને,
ભરી યદિ અશાંતિ ચોગમ સમુલ્લસંતી જ તો.
મને અસુખ ના દમે વિતથ સૌખ્ય જેવાં કઠે;
સુખો ન રુચતાં, યથા સમજ માંહી ઊતર્યાં દુખો.
યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે.
અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે.
મુંબઈ, ૯-૯-૧૯૩૫


ઉમાશંકર જોશીના ‘વિશ્વશાંતિ'ના સ્વપ્નસેવી ભાવનાવ્યાપની પડછે ‘આત્માનાં ખંડેર'ના યથાર્થસેવી નિર્ભ્રાન્ત સંકોચને મૂકી જોતાં સ્પષ્ટ જણાય છે કે કવિ પોતે કહે છે તેમ વ્યક્તિની અશાંતિ હવે કેન્દ્રમાં છે. ગાંધીયુગની ઉત્કટતા ૧૯૨૧થી ૧૯૩૧ સુધી રહી ને પછી ઓસરી અને સમાજવાદનું આક્રમણ થયું. એનાં એંધાણ એમાં મોજૂદ છે. દૂરનું જોતી દૃષ્ટિ હવે પોતાની સામેના પ્રત્યક્ષ પર અને એની કઠોર વાસ્તવિકતા પર મંડાયેલી છે. કવિસંવિદમાં આવેલા આ ફેરફારનો આલેખ ‘આત્માનાં ખંડેર'માં પ્રગટ થાય છે. અને તેથી ‘વિશ્વશાંતિ’ પછીનો અને ‘નિશીથ’ પહેલાંનો કવિનો આ પડાવ મહત્ત્વનો બન્યો છે. આ જ કારણે ‘આત્માનાં ખંડેર'ની સૉનેટમાલા પર અનેક અભિપ્રાયો રજૂ થયા છે. કોઈકે એમાં ‘યથાર્થનો સેતુબંધ’ જોયો છે, કોઈકે ભાવનાશીલતાથી નિર્ભ્રાન્ત થયાની યથાર્થ મન:સ્થિતિ જોઈ છે, કોઈકે વિસ્મયથી સમજ સુધીનો માર્ગ જોયો છે, કોઈકે ચિંતનપ્રધાન ઊર્મિકવિતાની સિદ્ધિ જોઈ છે, કોઈકે ગોપસંસ્કૃતિના સંતાન એવા કાવ્યનાયકની નગરસંસ્કૃતિ સાથેની પ્રતિક્રિયા જોઈ છે, તો કોઈકે એમાં કલાસ્વીકૃતિ સાથેની જીવનસ્વીકૃતિ જોઈ છે. આ બધી મથામણ મોટેભાગે કાવ્ય વિશે થઈ છે, કાવ્ય સાથેની મથામણ હજી બાકી રહી છે. ઘણી વાર એના કેટલાક આસ્વાદ્ય અને મનનીય વાગંશોને કશાય વિશ્લેષણ વગર યાદી રૂપે રમતાં મૂકી દેવાયા છે. ઉમાશંકર જોશીનો વારંવાર આગ્રહ રહ્યો છે કે કવિ માત્ર હકીકત-કથન કરતો હોતો નથી, સાક્ષાત્કારતો હોય છે. એની ભાષા પ્રત્યક્ષીકરણમાં રાચે છે. કાવ્યમાં વિચારોના સ્ફટિકો રહેવા ન દેતાં, એ સ્ફટિકોને કવિ ઊર્મિદ્રવ રૂપે પ્રસ્તુત કરે છે. ભટ્ટ તૌતના કવિપ્રતિભા અંગેના ખ્યાલને આગળ કરતાં ઉમાશંકર કહે છે કે વિકલ્પગોચર (તર્ક) અને પ્રત્યક્ષગોચર (particular) જે કાંઈ છે એને કવિની પ્રતિભા ‘પ્રત્યક્ષકલ્પ’ બનાવે છે. ઉમાશંકર જોશીને મન કવિતા એ જગત (બાહ્ય) અને કવિ, એમ બંનેના પરસ્પર Interactionમાંથી નીપજેલું વિશેષ જગત છે. ઉમાશંકર જોશીની બંધાવા પામેલી આ કાવ્યવિભાવના અને ૧૯થી ૨૫ વર્ષના એમના યુવાની કાળમાં માત્ર ત્રણ દિવસ (૨-૯-૧૯૩૫, ૬-૯-૧૯૩૫, ૯-૯-૧૯૩૫)માં રચાયેલાં ૧૩ સૉનેટો તેમજ આગળપાછળ રચાયેલાં બીજાં ચાર સૉનેટોને જોડીને બનાવેલી ‘આત્માનાં ખંડેર'ની સૉનેટમાલા વચ્ચે કેટલો મેળ રચાય છે એ જોવું ચોક્કસ રસપ્રદ બને તેમ છે. અલબત્ત, મોટી કૃતિઓમાં આવી કૃતિની સ્થાપત્યરચનાથી માંડીને અંશોની યોજનામાં સંઘટન કેવી રીતે સધાયું એ જોવાનું કવિનું કુતૂહલ રહ્યું છે અને કાવ્યપ્રવૃત્તિના સાચા અનુભવ માટે સળંગ સ્થાપત્ય- સુંદર રચનાની હંમેશાં કવિને અપેક્ષા રહી છે; તેમ છતાં ‘આત્માનાં ખંડેર’ સૉનેટમાલા ન તો કવિને સૂઝેલી છે, ન તો એમને મળેલી છે પણ જુદાંજુદાં સંવેદનોનાં સૉનેટોને ચોક્કસ રીતે ગોઠવીને એક કૉલાજ (Collage) દ્વારા એને અર્થપૂર્ણ રીતે ઊભી કરવામાં આવી છે, એ નોંધવું જરૂરી બનશે. એટલે કે સૉનેટમાલા કોઈ એક કેન્દ્રમાંથી પ્રસરી નથી પણ જુદાંજુદાં સ્વતંત્રમિજાજી સૉનેટોને કોઈ એક-કેન્દ્રીપણા તરફની ગતિમાં પરોવવાનો પ્રયત્ન થયો છે. ટૂંકમાં, એમ કહી શકાય કે ‘આત્માનાં ખંડેર'નાં સૉનેટો જૂથમાં નથી આવ્યાં, પણ જૂથમાં ગોઠવવામાં આવ્યાં છે. ‘આત્માનાં ખંડેર'ના પાંચ વિભાગ કરી શકાય. પહેલા વિભાગમાં ૧૯૩૦, ૧૯૩૨, ૧૯૩૩, ૧૯૩૪ — એમ જુદાજુદા વર્ષમાં રચાયેલાં છૂટક સૉનેટો છે. બીજા વિભાગમાં ૨-૯-૧૯૩૫ના દિને રચાયેલાં પાંચ સૉનેટ છે. ત્રીજા વિભાગમાં ૬-૯-૧૯૩૫ના દિને રચાયેલાં ચાર સૉનેટ છે. ચોથા વિભાગમાં ૯-૯-૧૯૩૫ના દિને રચાયેલાં ત્રણ સૉનેટ છે. અને પાંચમા વિભાગમાં આવેલું સૉનેટ ૧૯૩૬નું છે. આ બધાં સૉનેટમાંથી વહેલામાં વહેલું સૉનેટ વીરમગામ જેલમાં રચાયું છે. અહીં ત્રણ સ્થલનિર્દેશ વગરનાં સૉનેટને બાદ કરતાં બાકીનાં તેર સૉનેટ મુંબઈમાં રચાયાં છે. એવું પણ જોઈ શકાશે કે ૨-૯-૧૯૩૫નાં સૉનેટ મુખ્યત્વે વિધાયક (positive) ભાવમુદ્રા લઈને આવે છે, પણ પછી ૬-૯-૧૯૩૫ અને ૯-૯-૧૯૩૫નાં સૉનેટ મુખ્યત્વે નકારાત્મક (Negatine) ભાવમુદ્રાને આગળ કરે છે. એટલે કવિનું સંવિદ ઝાઝે ભાગે વિધાયક ભાવમુદ્રાથી નકારાત્મક ભાવમુદ્રા તરફ આગળ વધ્યું છે; એવો સર્જનપ્રક્રિયાનો દબાવ સ્પષ્ટ જોઈ શકાય છે. બીજી રીતે કહીએ તો ઉત્સાહિત (elevated) સ્તરેથી ધીમે રહીને સૉનેટમાલા છેવટે અવસાદ (depressed) સ્તરે સ્થિર થાય છે. કવિએ વિવિધ સંવિદ ગતિનાં સ્વતંત્ર સૉનેટચોસલાંઓને સાંકળીને અને વચ્ચે — આગળ-પાછળ રચાયેલાં સૉનેટનું પૂરણ (padding) ભરીને કુનેહપૂર્વક એક સાભિપ્રેત આકાર ઊભો કર્યો છે. ભોમનો વિજેતા થવા નીકળેલો સ્વપ્નસેવી કાવ્યનાયક નિર્ભ્રાન્ત થઈને અંતે કઠોર હકીકતના સ્વીકાર સાથે કેવી રીતે વાસ્તવસેવી કાવ્યનાયકમાં પલટાયો એનો એક આભાસ આ રીતે ગોઠવીને રચેલા સ્થાપત્યમાંથી ઊભો થાય છે. અહીં કોઈ એક કેન્દ્રમાંથી પ્રગટેલાં સૉનેટોની ગતિ, એમનું સાતત્ય કે એમની ઉત્કટતા તપાસવાનો ઉપક્રમ આથી જતો કરી, સૉનેટને કાવ્યકલગી ગણતા ઉમાશંકર જોશી જેવા કવિનું વ્યક્તિગત સૉનેટકર્મ, એનો વાચોવિન્યાસ, એની વર્ણસંઘટના — અર્થસંઘટના, નાદસંદર્ભ, ભાવસંદર્ભ, સમાજસંદર્ભ તપાસવાનો તેમજ એમાં રહેલો ફિલસૂફી-સંભાર કઈ રીતે ‘કાવ્યાનુભૂતિ'માં ઢળ્યો છે તે તપાસવાનો ઉપક્રમ સ્વીકાર્યો છે. કુલ ૧૭ સૉનેટોમાંનું પહેલું સૉનેટ ‘ઊગી ઉષા'માં ‘સુરભિવેષ્ટિત’ એવા ‘ઉષા'ના વિશેષણ દ્વારા સવારનો ઘ્રાણેન્દ્રિયથી કરાવેલો પરિચય, એક બાજુ ઊંચે ટેકરીશિખર (કવિના મનમાં મુંબઈની મલબાર હિલ હોવાનો પૂરો સંભવ છે)થી જોવાની પદ્મવેશી ઉષા, બીજી બાજુ નીચે ફેનિલ કેશવાળી ઉછાળી, ઘુર્રાટતા સમુદ્રમાં આરોપાતું સિંહનું બિંબ — આ બધું ઊંચાઈનો અનુભવ કરાવે છે, તો સાથે પછીથી ‘ગર્જી’ રહેતા અતિથિના આત્મા માટે સિંહનું બિંબ ભૂમિકા તૈયાર કરે છે. અહીં અવકાશ (space) અને અંતર(distance)ની ઇન્દ્રિયસંવેદ્ય પ્રતીતિ ઊભી કરી છે. કોલાહલ ચગવા જતાં ગર્જી રહેલો પુલકંત આત્મા (અલબત્ત, ત્યારે ઉમાશંકર જોશીએ રિલ્કે વાંચ્યો નહીં જ હોય) રિલ્કેની પહેલી કરુણિકાના ‘If I Cry'નો પ્રતિષોઘ મનમાં ઊભો કરી એક જુદા જ આનંદની પ્રતીતિ કરાવે છે. ‘ઊંચે ઉછાળી જરી ફેનિલ કેશવાળી'માં ‘ઉછાળી’ તેમજ ‘કેશવાળી’ — મારફતે મોજાનાં આવર્તનોનો અર્થસંદર્ભ-નાદસંદર્ભ રચાય છે. વસંતતિલકાએ પુલકિત નાયકના ભાવઉછાળ માટે સફળ ભૂમિકા ભજવી છે. છેલ્લી પંક્તિ ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા'માં પદોના વ્યુત્ક્રમ દ્વારા પંક્તિને છેલ્લે મુકાયેલા ‘વિજેતા’ શબ્દ પર આવતો ભાર અર્થસંપન્ન છે. પહેલા સૉનેટની છેલ્લી પંક્તિના ‘અહંઘોષ'ને વિસ્તારતા બીજા સૉનેટ ‘અહમ્'નો બીજો ચતુષ્ક શીર્ષ પર ગિરિનો મુકુટ ધરવાનો અને ઊંચે ઊડી તારાઓની મુઠ્ઠી ભરીને માળા રચવાનો સંદર્ભ મૂકી ઉરછલકને મૂર્તતા આપે છે. પણ શિખરિણીમાં ‘લઘુચિત્તે'માં ‘લઘુ’નું ‘લઘૂ’ કરવું પડે એ છંદશૈથિલ્યનું સ્થાન બન્યું છે. સૉનેટના બીજા ખંડમાં કવિએ સર્વનો આસ્વાદ લેતી અંદરની નિતાન્ત ચેતના સાથે અનુસંધાન કરી ‘અહંઘોષ'ને ગાળી નાખ્યો છે. ‘હુંની જ મણા'નો ‘વિશ્વરમણા’ સાથેનો પ્રાસ પણ વ્યાપક વર્તુળો દોરી આપે છે. ત્રીજું સૉનેટ ‘સત્ત્વપુંજ’ ઘણું નબળું છે. સમુદ્ર અને માનવસિંધુનાં અતિ મુખરિત દૃષ્ટાંતો વચ્ચે વ્યંજનાનો આછો તંતુ પણ એમાં બચવા પામ્યો નથી. તો ચોથું સૉનેટ ‘અશક્યાકાંક્ષા?’ મેઘધનુ દ્વારા અને દ્યુતિના મેરુ રચતા કણ દ્વારા ચિંતનને અત્યંત સ્પર્શક્ષમ બનાવી શક્યું છે. ‘વિશાળે નાનો શો જગફલક ઈસ્કંદર ઘૂમ્યો’ જેવી પંક્તિમાં ‘વિશાળ જગફલક'નો તૂટતો અન્વય કઠે તેવો છે. ‘તખતતખતે બાબર રમ્યો'માં બાબરની રાજકારકિર્દીનો સઘન અનુભવ ઊભો થયો છે. આ સૉનેટનો બીજો ખંડ ‘તણખ'થી ‘પ્રજ્ઞાપુરુષ’ સુધી પહોંચે છે, એવો ઉત્ક્રાંતિનો સમગ્ર ક્રમ અહીં પ્રવાહી છંદની ગતિથી પરાકાષ્ઠાએ પહોંચાડ્યો છે. એક શ્વાસે આગળ વધતી પ્રવાહી પંક્તિઓ છેવટે ‘પ્રકાશી’ પછી ‘વિકાસી’ દ્વારા ‘પ્રજ્ઞાપુરુષ'માં સ્થિર થાય છે એ આદ્યપ્રાસની પણ સાભિપ્રેતતા સૂચવે છે. પાંચમું સૉનેટ ‘હે પયઘૂંટ મૈયા’ પ્રતિગમન (Regression)થી પાછળ હટી પોષણ મેળવવા તત્પર બન્યું છે. એક બાજુ મોટા થવાની મહત્ત્વાકાંક્ષા અને બીજી બાજુ નાના રહેવાની ને પોષણ મેળવવાની અનિવાર્યતા — આનો દ્વંદ્વ મૈયાને ઉદ્દેશીને થયેલી આ સૉનેટની એકોક્તિમાં ચાલક બન્યો છે. ‘રાતેદિને નિશિદિવાસ્વપ્ને'નો સંસ્કૃતસંસ્કાર ઓચિંતો પછીની પંક્તિમાં બોલચાલની લહેક ઊતરી પડે છે. ‘મોટા', ‘નાનો', ‘નાનો', ‘મોટા'નાં આવર્તનો દ્વંદ્વને પ્રત્યક્ષ રૂપ આપી શક્યાં છે. પણ આ સૉનેટનો બીજો ખંડ, ઉમાશંકર જોશી જેને ‘પ્રત્યક્ષકલ્પ’ કહે છે એનો નમૂનો છે. પછીથી ‘નિશીથ'માં પ્રગટ થનાર વિશાળ અવકાશનો વ્યાપ લેતી કવિની પ્રતિભાનો અહીં જ્વલંત ઉન્મેષ છે: ‘રાતે શ્વસે ધડક થાનની તેજગૂંથ્યા કમખા પૂંઠે, વળી દિને રવિ હીરલો તે અંબારતેજ મહીં છાતી રહે છુપાવી. ’… બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાના ‘કલાન્ત કવિ’ પછી જગદંબાના કલ્પનસંવેદ્ય નિરૂપણનો આ ઉત્તમ નમૂનો છે. ‘સ્તન'ને બદલે મુકાયેલો ‘થાન’ શબ્દ આદિવાત્સલ્યનો નરદમ અનુભવ આપે છે: તો ‘રે! ખોલ, ખોલ, ઝટ છોડ'નો પુનરુક્ત દ્રુત લય નાયકની અધીરતાના સાક્ષી બનાવે છે. છઠ્ઠા સૉનેટ ‘કુંજ ઉરની'માં પ્રકૃતિના મોહિનીસ્વરૂપ સામે, મનુષ્યે છાયેલી ઉરની કુંજને એટલે કે મનુષ્યપ્રીતિને કવિએ તોળવી છે. તેથી પહેલા ખંડમાં આકર્ષણ ઊભું કરવા પ્રકૃતિનાં રમણીય સંવેદનોને અભિવ્યક્તિ અપાયેલી છે. પહેલી બે પંક્તિ કુશળતાપૂર્વક પાછળ વહે છે: ‘શ્વસે શૃંગે શૃંગે યુગ યુગ તણા શ્રાન્ત પડઘા, અને વ્હેતી તાજી ઝરણસલિલે આદિકવિતા’ — અહીં વર્તમાનથી આગળ વધતી પંક્તિઓ પ્રાચીન ભૂતકાળમાં પાછળ લઈ જાય છે. કાલની દ્યુતિ ચમકાવતાં તળાવનાં ઊંડાં નયન કે બીડના ઘાસમાં સ્મિતની ઘૂમરીઓ રચતો પવન તો અહીં સાક્ષાત્કરાયો છે પણ ‘દ્રુમે ડાળે માળે કિલકિલી ઊઠે ગીતઝૂલણાં'માં તો વન અને પંખીનો આખો ને આખો સંસાર અને સંસ્કાર કવિએ ભરચક ઊભો કર્યો છે. પરંતુ, બીજો ખંડ લગભગ લીધેલી પ્રતિજ્ઞાની પ્રતિપાદનપૂર્તિમાં ખર્ચાયો છે. આ પછીનું સાતમું સૉનેટ ‘અકિંચન', એમાં નાટ્યકર્મનો પ્રવેશ કરાવ્યો હોવા છતાં ‘સત્ત્વપુંજ’ સૉનેટ જેવું જ નબળું છે. ‘આખર ખોલી બોલ્યો: જેવી પંક્તિ આગળ આવેલા ‘કપાટ'થી બહુ દૂર હોવાથી માત્ર દુરાન્વય રચે છે. આઠમું સૉનેટ ‘સંતોષ’ ભૌતિક સ્થલકાલ એકીસાથે ખેડી ન શકે પણ જ્યાં હોય ત્યાં જનસ્વભાવના કીમતી પ્રકારને મનુષ્ય અંકે કરી શકે છે, એવા ‘સંતોષ’ અંગેનો નિબંધ રચ્યાથી વિશેષ કોઈ કામગીરી બજાવતું નથી. સૉનેટમાં ‘ભલે'ને માટે આવેલો તળપદો ‘મર’ શબ્દનો લહેકો જુદો તરી આવે છે. નવમું સૉનેટ ‘અનંત ક્ષણ’ પ્રતિક્ષણે સ્ફુરતા ત્રિકાલે ભર્યા અનુભવનું વિસ્તરતું ભાષ્ય (Paraphrase) બની રહી ગયું છે. તત્ત્વવિચાર અહીં ભાગ્યે જ કાવ્યાનુભૂતિ બની શક્યો છે. દશમું સૉનેટ ‘સમયતૃષા’ નવા વર્ષ નિમિત્તે રચાયું હોવાની દહેશત છે; જેનું અહીં પૂરણ (padding) કરવામાં આવ્યું છે. દલિતઉરના લાવા અને જગમગજના ઝંઝાવાતોનાં સપાટ બયાનો વચ્ચે ‘નીરખી'તી નભે વર્ષાનીયે મદે પદપંક્તિઓ.’ કે ‘શરદસરમાં દીઠી હોડી સરંતી મયંકની’ જેવી પંક્તિઓમાં ગતિનો અનુભવ અચ્છો ઝિલાયો છે. ‘સરંતી મયંકની'ના અનુસ્વારો ગતિને વધુ લયપ્રત્યક્ષ કરે છે. તો અગિયારમું સૉનેટ ‘આશાકણી'માં ક્ષેત્ર (ખેતર) સાથે મુકાયેલો ‘આશાકણ’ ને ‘જડ ઢગ’ સાથે મુકાયેલી ‘ચેતનકણી’ — એમ કણ અને કણીના સંદર્ભો ચિંતનભારને ખંખેરી નાખે છે. પણ પછી તરત જ ‘છટા માયા કેરી મહીંથી સતની ઝાંખી ચહવી’ જેવી પંક્તિ તત્ત્વભારે લચી પડી છે. એ પછીની પંક્તિમાં ‘જીવન’ જેવો શબ્દ શિખરિણીમાં ‘જી'ને હ્રસ્વ કરીને કઢંગી રીતે ગોઠવાયેલો છે. પછીની પંક્તિઓના બે પ્રશ્નોની સમાન્તરતા અલબત્ત રોચક છે. અંતે બહુ જાણીતી વાતની અભિવ્યક્તિ થઈ છે: ‘અનિચ્છાએ જાગે રુદન, મુખ જ્યાં જાય હસવા’. બીજા ખંડના પ્રારંભની ચિંતને લચી પડતી પંક્તિઓને એની અદ્ભુત નાદસંદર્ભિત સપ્રમાણ સમાન્તરતાએ બચાવી લીધી છે: ‘પ્રવાતો વૈરોના રુધિર ઉરનું ઝેર કરતા, પ્રપાતો દોષોના જીવતર ભરી ઘોર દવતા.’ આ સૉનેટમાં અંતે વિરલ વપરાયેલા અનુષ્ટુપના પંક્તિયુગ્મમાં જિંદગી અને મૃત્યુને બાજુબાજુમાં મૂકી જિંદગી અને મૃત્યુ બંનેનો વિરોધાભાસ સારી રીતે ઉપસાવ્યો છે. બારમું સૉનેટ ‘મૃત્યુ માંડે મીટ’ આ સૉનેટમાળાનું સૌથી પહેલું ૧૯૩૦માં રચાયેલું સૉનેટ છે. માત્રામેળમાં સૉનેટબંધ બરાબર નથી રહેતો એવી આ કવિને પ્રતીતિ હોવા છતાં માત્ર ૧૯ વર્ષની વયે, નર્મદની અસર હેઠળ રોળાવૃત્તમાં રચાયેલું આ સૉનેટ ઠીક ઠીક રીતે સફળ બન્યું છે. વર્ણાનુપ્રાસ, અનુપ્રાસ, સમાસોમાં આગળ વધતું આ સૉનેટ પ્રારંભકાલીન હોવા છતાં ઉત્તમ રુચિનો પરિચય આપે છે. ‘મૃત્યુ માંડે મીટ'નો લયસંવાદ, ‘વિશ્વકુંજ જગડાળ મચેલી જીવનકેલી'ના સમાસોથી ઊભો થતો સઘન અનુભવ, ઉષાની પીરોજી પાંખનો જાદુ નવો ચમકાર આપે છે, તો ‘સફરઆનંદ’ જેવો સંકટ સમાસ સહેજ ખચકાટ પણ પહોંચાડે છે. આ સૉનેટની સુ(in)શ્લષ્ટ પંક્તિ ‘વિદ્યુદ્ધલ્લી હોય કથવી શાને પુષ્પ-લતા?'નો ગર્ભિત રૂપકસંસ્કાર સઘન સૂત્રાત્મક છે. આ પછી સૉનેટમાં આવતું આહ્વાન, ‘વક્રદંત અતિચંડ, ઘમંડ’નું પ્રભાવક કઠોર આવર્તન ને અંતે ‘શાકુન્તલ'ના દૃશ્યની પ્રશિષ્ટ ઝાંય વેરતી પંક્તિ ‘મુખ ઉઘાડ તુજ, શાંતચિત્ત તવ દંત ગણીશ હું.’ — આ સર્વ વાનાં આ સૉનેટમાળાનું મહત્ત્વનું સૉનેટ સાબિત કરે છે. તેરમું સૉનેટ નરસિંહરાવ દિવેટિયાના ‘બુદ્ધચરિત'ના ‘મને પ્રેરતું તારકવૃંદ'ના પડઘા પાડતું પોતાની રીતે આગળ વધ્યું છે. અને ‘આંહીં લોકે લખ લખ જનોમાંય એકાકી ર્હેવું’ જેવી સૂક્તિને અંકે ધરી બેઠું છે. ‘મૂંગા મૂંગા સહન કરવું'માં કલાપી ડોકાય ના ડોકાય પણ પછીનો ખંડ ‘અણખૂટ પડ્યાં વારિમેદાન'ના નવા કલ્પનથી શરૂ થઈ ‘કાચની નાવડી’ જેવા અતિસ્ફુટ રૂપક પર આવી પડ્યો છે. ચૌદમું સૉનેટ ‘બિચારો મનુજ’ વ્યર્થ પુરુષાર્થ પછીની કરુણાન્તિકા પર આવી ઠરે છે. ‘નવા મહેલ'ની સામેના ‘તૂટલા મહેલ'નો, સજ્યા વાજિંત્રની સામેના બધિર મૂર્છિતનો તેમજ ઝરણની સામેના રણનો વિરોધ ઉત્તરોત્તર કરુણિકાને દૃઢાવે છે. ઘેરી નિરાશા પર સૉનેટ પૂરું થાય છે. ચિંતનનું રૂ અહીં ઉદાહરણોથી પીંજાઈને અલબત્ત ફોરું જરૂર થયું છે. પંદરમું સૉનેટ ‘દૃગજલભલા'માં ઉલ્લાસોની મીઠી મીઠી વાતો અને શૌર્યબણગાંની ભ્રાન્ત અવસ્થા સંમુખે જગસકલનો કોળિયો કરી જતો મૃત્યુનો મહાગ્નિ ધર્યો છે. પણ શિખરિણીના પ્રારંભમાં આવતા ‘મહાગ્નિ મૃત્યુનો’ ખંડને ‘અગ્ની’ અને ‘મૃત્યૂ’ એમ કઢંગી રીતે વાંચવા પડે છે. અસત આનંદો કરતાં શોકઘેર્યા કહો દૃગજલની યથાર્થતાને અહીં આગળ કરવામાં આવી છે. સોળમું સૉનેટ ‘અફર એક ઉષા’ પ્રારંભના સૉનેટ ‘ઊગી ઉષા'ના વિરોધમાં ઊભું છે. ‘સુરભિવેષ્ઠિત’ પ્રારંભની ઉષાની સામે અહીં સફર નમેરી (નિર્દય) ઉષાને ધરી છે. રાત્રિની રુધિર-ટપકતી છાતી અને કબર પર પથરાયેલા મરણમ્લાન તારાઓ — એલિયટે ઊભી કરેલી elherised સાંજની સ્મૃતિને જગાવે એટલી સબળ છે. કબરનું સ્થાન અને ઉપર પથરાયેલા તારાઓના ‘મરણમ્લાન’ વિશેષણથી તારાઓનું પ્રચ્છન્ન રૂપકબળ પણ વ્યંજિત છે. પછીની ચાર પંક્તિમાં ‘વેરાયું ક્ષિતિજ થકી ધુમ્મસે ને’ પંક્તિનો અન્વય સુખદ નથી. પછીની પંક્તિ ‘રંગો ભરી જવનિકા સરી પાંપણેથી'માં અર્થને લયનો અદ્ભુત આધાર સાંપડ્યો છે. સૉનેટનો બીજો ખંડ સૉનેટમાળાની અર્થવત્તાને જઈને સ્પર્શે છે. પહેલા સૉનેટનો ‘અહંઘોષ’ અને પુરના જીવંત કોલાહલની પડછે અહીં ઘવાયેલો ‘જયમનોરથ’ તેમજ અરધભગ્ન ઊભેલાં અડધાં ખંડેરો છે. પહેલા સૉનેટની સામે બરાબર વિરોધમાં તણાઈને આ સોળમું સૉનેટ ઊભું છે. સમાપનમાં આવતું સત્તરમું સૉનેટ ‘યથાર્થ જ સુપથ્ય એક’ નકારથી સબળ કરેલી પ્રારંભની પદાવલિને ધારણ કરી ચિંતનને મૂર્ત વેગ આપે છે. તો ‘ડગેડગ વધારતી વજન શૃંખલા કાલની, દમેદમ પધારતી નિકટ શાશ્વતી યામિની.’ જેવી પહેલા ખંડની બે પંક્તિઓ ઉત્તરોત્તર વધતા જતા ભારને તેમજ વધતા જતા અંધારના ગતિવેગને સમાન્તર આલેખથી પ્રબળ રીતે ઉપસાવે છે. ‘ડગેડગ', ‘દમેદમ'થી બંધાતો પ્રારંભપ્રાસ અને કાલની યામિનીથી બંધાતો અંતિમપ્રાસ અર્થને સીમામાં જકડી સીમા બહાર વહેવા માટે ઊર્જા પૂરી પાડે છે. સૉનેટ એના અંતિમ ચરણમાં સુબોધ સૂક્તિમાં સ્થિર થયું છે. ઉમાશંકર જોશીએ એક જગ્યાએ ‘No poem is all poetry'નો ઉલ્લેખ કર્યો છે; એ યથાર્થ છે. દીર્ઘ રચનામાં કે દીર્ઘ કરાયેલી રચનામાં કવિતાને સતત ટકાવી રાખવી અત્યંત કપરી હકીકત છે. ‘આત્માનાં ખંડેર’ સૉનેટમાલા ઝાઝી જગ્યાએ વિચારભારથી દબાઈ ગઈ છે પણ જ્યાં કવિતાનાં દ્વીપ રચાયા છે ત્યાં ઉત્તમ કવિનો સંસ્પર્શ એને જરૂર મળ્યો છે. કોઈ પણ કાવ્યની જીવનદોરીનો આધાર એના અંતર્ગત આવા કાવ્યતત્ત્વ પર જ ટકેલો હોય છે. કવિની ઉત્તરવયના હંસગીત (swan song) સમી ‘સપ્તપદી’ કરતાં સ્વાભાવિક છે કે યુવાવયની આ ‘આત્માનાં ખંડેર’ રચનામાં આનંદલોકથી નિર્ભ્રાન્ત અવસ્થા તરફ રચનાની ગતિ હોય. ઉમાશંકર જોશીની કાવ્યયાત્રાનો આ મહત્ત્વનો પડાવ વિશિષ્ટ વાક્સંદર્ભ દ્વારા કવિને અભિપ્રેત છે એવો જીભ પર શબ્દોનો સ્વાદ ક્યાંક ક્યાંક અવશ્ય આપે છે