આત્માની માતૃભાષા/32

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કંચવાનો કાચો રંગ સાચવવાની મથામણ

સંજુ વાળા

શ્રાવણ હો!

અરધી વાટે તું રેલીશ મા,
મારી ભરી ભરી હેલ, છેડીશ મા!
અરધી વાટે તું રેલીશ મા.
ઝોલાં લે ઘન ગગનમાં, સરવર ઊછળે છોળ.
છાલક જરી તુજ લાગતાં હૈયું લે હિલ્લોળ.
અરધી વાટે…
આછાં છાયલ અંગનાં જોજે ના ભીંજાય,
કાચા રંગનો કંચવો રખેને રેલ્યો જાય.
અરધી વાટે…
શ્રાવણ! તારાં સરવડાં, મોરી અખિયનધાર;
તું વરસીને રહી જશે, એના બારો માસ નિતાર.
અરધી વાટે તું રેલીશ મા,
શ્રાવણ હો!
અમદાવાદ, ૨૦-૭-૧૯૪૫


કોઈ પણ સર્જનઉપક્રમથી એના સર્જકને અળગો ઓળખવો અથવા નિજસંવેદનની નિપજ લેતા દ્રષ્ટા તરીકે જ જાણવો-માણવો, એ બંને, કૃતિ સાથેના અવ્યવહાર જેવું લાગે. કૃતિ બોલે તેમ બોલવા દઈએ તો રસ અને સૌંદર્યના વધુ વળ ઊખળે. ઉમાશંકરની આ કાવ્યરચના ‘શ્રાવણ હો’ પાસે જતા ઘણા દિવસથી આવો ભાવ થાય છે. શ્રાવણ હો… એક નાયિકાના અચાનક અને સહજ ઉદ્ગારથી કાવ્યની પ્રથમ પંક્તિ રચાઈ છે. આ ઉદ્ગાર અને પછીના પ્રાસાનુપ્રાસ એને ગીતનો મુખબંધ કહેવા પ્રેરે. પણ, પછીથી આવતા ત્રણ દોહરા અને છેલ્લે ફરી એક પંક્તિ અને આ ઉદ્ગાર, આ રચના નાયિકાની મન:સ્થિતિ જેવી અરધા-અરધામાં વહેંચાયેલી જણાય છે. આમ તો, નાયિકાનું શ્રાવણને ઉદ્બોધન છે. આ ઉદ્ગારમાં ‘હો’ ભળતાં એની જુદી વાક્ભાત રચાય છે. અરધી વાટે આવી ચડીને બધું રેલમછેલ કરી મૂકે એવા સ્વભાવનો છે આ શ્રાવણ. પણ અરધી એટલે? જતા કે આવતાની? કવિ બીજી પંક્તિ રચીને ઉત્તર આપે છે: ‘મારી ભરી ભરી હેલ', — જળ તો ભરાઈ ચૂક્યું છે. અંદર-બહાર એકાકાર થાય તો? જીવન તો ઝંખે. પણ નાયિકા અરધી વાટે છે. એ વયની હોય તો સંસ્કૃતિ ના પાડે અને સંબંધની હોય તો સર્વાર્પણભાવ. નિષ્ઠાનિધાન છે આ નાયિકા. એના સ્વરમાં વિનવણી પણ છે અને સ્થિતિ જોતાં સંદેહ પણ. શ્રાવણનો હીંડોળો ઝાકમઝોળ છે એની છાલક લાગે તો હૈયું પણ ઝોલે ચડવાની ભીતિ છે. એટલે જ તો રેલવાની મનાઈ ફરમાવાઈ છે. બીજો દોહો નર્યા સૌંદર્યના નિખારરૂપ અવતર્યો છે. જુઓ… આ અનુભૂતિગમ્ય સંરચનને ભાષાના સ્તરે પણ જાણવા-માણવા.

આછાં છાયલ અંગનાં જોજે ના ભીંજાય,
કાચા રંગનો કંચવો રખેને રેલ્યો જાય.

નાયિકાનું મન તો આર્દ્ર છે જ. પણ ઓઢેલો સાલ્લો પણ એવો જ મલમલી છે. આ આછું છાયલ, કાચા રંગના કંચવાને આરક્ષિત રાખે છે. છતાંય એના ભીંજાવાની બીક નથી. પણ કાચા રંગના કંચવાનો રંગ રેલાઈ જાય તો? માંડ, પકડીને રાખ્યા છે હૃદયભાવને. અંદરની વાતને બહાર આવતા પછી રોકી નહીં શકાય અને આવું બધું અરધી વાટે થાય એ કરતાં તું આવી છેડછાડ ના કરે એ જ બહેતર છે. હવે જુઓ શ્રાવણનું સ્વરૂપ. સાવ સામે, મોઢાંમોઢ આવીને ઊભો છે ને? કાચા'ને કંચવો તથા રખે'ને રેલ્યોની આંતરિક સંયોજના આછાં છાયલથી જરાપણ જાડી નથી. એટલે જ તો ભરી હેલને વધારે છલકવા દેવાય તેમ નથી. અને આ શ્રાવણનું ભલું પૂછો. એ તો આખ્ખાયે ગગનને ઝોલે ચડાવી બેઠો છે. પ્લીઝ, જરાક નાયિકાના આંતરગગનનેય વિચારોને! પછીથી નવા સંદર્ભો ખૂલવા પામે તો તે તમારી અંગત ભાવકક્ષમતા. ત્રીજો દોહરો જરા વધુ ભાવપ્રવણ છે. આભના અને આંખના સરવડાંનું એકાકાર થવાની ઘડી સામે ઊભી છે. શા માટે શ્રાવણમાં આંખ વરસે? શ્રાવણ વરસે તો તન-મન ભીંજાય અને આહ્લાદક અનુભવ થાય. પણ આપણી આ નાયિકા તો વરસીને ઘડી — બે ઘડીમાં રહી જાય. પણ અંદરનું જે માંડ પકડી રાખ્યું છે એને જાગ્રત કરી જાય. અને પછીથી તો તેના બારેમાસ નિતાર જ ખમવા રહે. નાયિકાની આ સ્થિતિ કાંઈ સાંપ્રતની નથી, આ તો ચિરવિરહિણી નારી છે. એ ના છંછેડાય, ના છેડાય એ જ ઉચિત. આમ, આ ભાવાત્મક ગાન પૂરું થાય છે. છેલ્લા દોહરામાં ‘એના’ જેવો શબ્દ મૂકીને સ્પષ્ટતા સાધવાની કાવ્યરીતિ જરાક લયનો હડદોલો ખમે છે. પણ દેશીઓમાં આવું થાય. અને રચના પણ ગાનપ્રકારની જ તો છે ને? રચના ઋતુસંબોધનની છે, ઋતુવર્ણન કે ઋતુઅનુસંધાનની નથી. ઉમાશંકર જોશી જેવા આપણી ભાષાના બહુશ્રુત અને મેધાવી, સાક્ષરકવિ આવા હળવાફૂલ કાવ્યપાસે થંભે ત્યારે ગુજરાતી કવિતાએ જરાક ઝીણવટથી પાછું વળીને જોવું જોઈએ અને એનાં લેખાંજોખાં પણ આવા પ્રકારની રચનાઓ લઈને વિગતે કરવા જોઈએ.