આત્માની માતૃભાષા/38

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રકૃતિથી માનવ સુધીની યાત્રા

સિલાસ પટેલિયા

દર્શન

[યુવક રવીન્દ્રનાથને કલકત્તામાં એક વાર સૂર્યોદય સમયે જીવનનો એક મહાન અનુભવ થયો. આંખ આગળથી જાણે કે પડદો સરી ગયો ને સમગ્ર વિશ્વ એકરૂપે દેખવા મળ્યું. એવામાં સામે રસ્તા પર બે મજૂરો હસતા હસતા ચાલ્યા જતા એમની નજરે પડ્યા; એમાં સચરાચર સૃષ્ટિમાં ઊભરાતા આનંદને એમણે ઓળખ્યો. કવિ પોતાની ‘જીવનસ્મૃતિ'માં આ અનુભવ વર્ણવતાં કહે છે કે પછી પોતે હિમાલય ગયા, એવી આશાથી કે કલકત્તામાં જોયેલું ત્યાં હિમાલયમાં વધુ ગંભીરપણે અનુભવવા મળશે. પણ એવું કાંઈ બન્યું નહિ. અને એમાં જ કવિનું સૌભાગ્ય હતું. આ કૃતિમાં હિમાલય પાસે કવિ પોતાના દર્શનની માગણી કરે છે અને હિમાલય તેમને એ માટે જગતમાં પાછા જવા કહે છે એ રીતે આરંભ કરી, કલકત્તામાં થયેલા દર્શનને પાછળથી નિરૂપ્યું છે (લગભગ કવિના જ શબ્દોમાં); અને હિમાદ્રિ કવિને પાછા જગત તરફ મોકલે છે એ પ્રસંગે જ કવિનું મૂળ દર્શન સાર્થક બની રહે છે એમ સૂચવ્યું છે. હિમાદ્રિને શિખરે શિખરે પેલા બે શ્રમીણોના સખ્યઆનંદનો ઉત્સવ જોતા કવિ માનવતાના સૌભાગ્યને વધાવતા જગતમાં પાછા વળી કવિઋષિ બને છે એ રીતે કૃતિનો અંત કલ્પ્યો છે.]

‘હિમાદ્રિ અચલાધિરાજ, કરુણાર્દ્ર ગૌરીગુરો,
જરી જવનિકા કઠોર તવ શૈલમાલા તણી
— જરીક ઊંચકી ન લે? પ્રગટ થાય ના થાય ત્યાં
વિલીન થઈ જાય ક્યાંય, તુજ તુંગ શૃંગો પૂંઠે,
મળેલું શિશુનેત્રને સુભગ મોંઘું જે દર્શન.

ભમ્યો કુહર, શૃંગ શૃંગ ભટક્યો વનાની વિશે
અધીર રવડ્યો હું નિઝરનદીતટે, ને જહીં
પ્રપાત જળના શિલાતટથી વ્યાઘ્રફાળે ધસે.
રમ્યો વિકલ દેવદારુ તણી રમ્ય છાયા મહીં,
અને અનિલ સાથ માંડી અણથંભ કૈં ગોઠડી.
નિરભ્ર નભની અતાગ શુચિ નીલિમા આંખમાં
ભરી ભરી ઉલેચી મેં દિન પછી દિનો, રાત્રિએ
દઈ ડૂબકી તાગ લીધ કંઈ લક્ષ નક્ષત્રના.
પરંતુ ગયું ક્યાં, મળે ન ક્યમ દેખવા તે અહો
નિહાળ્યું હતું જે મહાનગરની ભરી ભીડમાં?
લહ્યું ન અહીં શાંતિમાં, લહ્યું'તું જેહ કોલાહલે!

તરે તુહિનના અફાટ પટ ઉપરે ડોલતાં
અનિદ્ર તવ નીલરક્તદલ શુભ્ર પદ્મો સમાં
ભરી ક્ષિતિજવ્યોમ શૃંગ પર શૃંગ, મલક્યાં કરે.
તરંગિત વિલોલ સ્વપ્નસુષમા ધરાહૃદયની
પડી જ પથરાઈ સ્થૈર્ય ધરી રૂપ લૈ શાશ્વત.
પરોઢ સમયે સ્ફુરે સ્મિતમુખી ઉષા અદ્રિએ
ક્ષણેક ક્ષણ અર્ધ વા પ્રથમ રશ્મિ પૂષન્ તણાં
ઝીલી, સુહતી ત્યાં ધરાઉરની નિત્યકૌમારના
રસે ગહનરમ્ય સ્વપ્નસુરખી; સ્ફુરે ત્યાં શમે.
ઝલાય ન ઝલાય એ ઝલક દિવ્ય ચૈતન્યની.
અરે મુજનું સ્વપ્ન તેય સરી એવું ચાલ્યું ક્યહીં.
થીજેલ પડઘા પુરાણ ઋષિમંડલે ઉચ્ચર્યા
ઋચાધ્વનિ તણા જગાડી મુજ નવ્ય ગીતસ્વરે,

અહો કુહરકંઠ મંદ્ર તવ ભવ્ય પ્રાચીનથી
સુણીશ ફરી મંત્ર એ મુજ ઉરે હતી વાંછના.
ત્રિકાલ મહીં તે અબાધિત ઋતસ્વરે મત્ત હું
પછીથી વિચરીશ, એહ હૃદયે હતી ઝંખના.
પરંતુ રવમૂક નિર્ઘૃણ અકંપ તું તો ઊભો.
અહો હૃદય શારતું, અદય, મૌન મીઢું તવ!
નથી તું વસુધાઉરે અસહ ભાર, રે માહરે
ઉરે વજન કારમું થઈ પડ્યો તું આજે મહા.’

‘કવિ! પ્રથમ તું નથી અસહ ભાર વ્હેનાર તો!
અગણ્ય મનુબાલકો ગભરુ પાંખ વીંઝી, નવી
મળેલી કંઈ દૃષ્ટિની, અબલ ઊડતાં થાકીને
પડે અહીં પછાડ ખાઈ મુજ અંકમાં, દોષ દે
ન એ અમિત વ્યોમલક્ષી નિજ સાહસોત્સાહને
પરંતુ મુજને. સુણી અરવ હું રહું એ ઉરો
થકી દ્રવત શબ્દ ત્રસ્ત જગશોકદુ:શ્વાસના.
કદી સરવરે જળે નીરખી છે છવિ માહરી?
અને નીરખી છે પ્રચંડ મુજ કાય કંપી જતી,
જરીક લઘુ કોઈ કંકર પડ્યે તહીં વારિમાં?
જગજ્જન તણો નિસાસભર શબ્દ ખીણો મહીં
સ્ફુર્યે, મુજની કાય એવી થથરી ઊઠે કારમી.
હિમાદ્રિ નવ હું, જગજ્જન તણા નિસાસા થીજી
થયેલ નભચુંબી રાશિ, બસ એ જ હું! ને કવિ,
અગાધ જગમાંથી જે યુવક વૃદ્ધ આવ્યાં અહીં
પુન: જગતમાં વિદાય કીધ સર્વ તે મેં સદા,
વહંત મુજ બ્રહ્મપુત્ર નદ સિંધુ, ગંગા સહ.
હિમાદ્રિ-સમ બોજ ઝીલી જગક્લેશનો અંતરે
રહ્યા વિચરી નિત્ય જે સ્મિતમુખે બધું આયુષ,
ખરું ફકત તેમને જગતમાં થયું દર્શન.
ખરા ઋષિવરોય તે જ. કવિ, તારુંયે સ્વપ્ન તે
ઘટે મનુજવૃંદમાં જ, અહીંયાં ન રે, શોધવું;
ઘટે ભીતરમાં, બહાર નહિ એ, ભલા, ખોજવું.
લહી, પ્રિય, થજે તુંયે પ્રથિત ક્રાન્તદર્શી કવિ.’

અવાક કવિ ત્યાં ઊભો ગહન મર્મ ઉકેલતો
હિમાદ્રિ તણી સૌમ્ય શૈલલિપિમાં સ્ફુરી જે રહ્યા.
અને તરવરી રહ્યું અતલ મૌનમાં દૃશ્ય તે,
સુધામય દીઠેલું જે નગરને ગૃહપ્રાંગણે:
— પ્રભાત હતું. બાલસૂર્ય તરુઅન્તરાલે રહી
વરેણ્ય નવ-ભર્ગ વિશ્વ પર વર્ષતો હર્ષતો.
દૃગેથી સહસા તહીં જવનિકા ખસી શું ગઈ!
ખસ્યું ઉરનું જેહ આવરણ તુચ્છતાનું હતું.
પડ્યો સરી અહં અજાણ, નિજને સ્વયં ઢાંકતો.
સમસ્ત જગ જોયું દર્શકની જેમ. લાધી નવી
અલૌકિક અભિજ્ઞતા. સકલ વિશ્વસંસાર આ
ઊઠ્યો જ અપરૂપ કોઈ મહિમાથી આચ્છન્ન થૈ.
સમષ્ટિહૃદયેથી ઊઠી સરતા તરંગો સમું
સમુલ્લસત સર્વ આ જગત દીઠું સૌન્દર્યની
સવારી પર નીકળેલું રસડોલતું લીલયા.
અનાવરણ દૃષ્ટિમાં રહી અસીમતા ઊભરી.
વિષાદપટને નિમેષ મહીં ભેદી વિશ્વપ્રભા
મહીં જઈ ભળ્યું જ ભીતર, અપૂર્વ રંગાઈને.
કંઈ રહ્યું ન અપ્રિય, પ્રિય બની રહ્યાં સર્વ કો.
સમસ્ત ભર્યું એક મીટ મહીં વિશ્વચૈતન્યને.
જતો યુવક એક ત્યાં અવરને ખભે હાથ દૈ,
જતો ભરઉમંગ મુક્ત હસતો, દીઠો ત્યાં પથે.
નિહાળી પથ હાસ્યથી ઊછળતો શ્રમીણો તણા,
દીઠો તહીં ગભીરતા અતલસ્પર્શ સૌ વિશ્વની
મહીંથી ઊડતો અગાધ રસનો ફુવારો મહા,
ચતુર્દિશ વહાવતો ઝરણ હાસ્યનું. જોઈ સૌ
સમષ્ટિ અવિરામ નૃત્ય સમ દિવ્ય સૌન્દર્યના.—

ઉઘાડી નયનો જુએ કવિઋષિ પ્રગલ્ભાત્મ એ
હિમાદ્રિશિખરો પરે સુભગ દૃશ્ય દીપી રહ્યું:
પરસ્પર તણે ખભે ઉભય ભેરવી હાથ ત્યાં
શ્રમીણ હસતા ઊભા; સુહતું મુક્ત ત્યાં હાસ તે,
હિમાદ્રિશિખરો તણે શિર સમીરથી જેવી કો
સફેદ કલગી ઝીણી ફરફરી રહે બર્ફની.
સમુત્સવ લસી રહ્યો સરલ સૃષ્ટિસૌહાર્દનો.
શ્રમે વિચરતા, પરસ્પર સુમેળમાં રાચતા
નૃલોક તણું ભાગ્યમંગલ દીઠું જ ત્યાં અંકિત
સમુન્નત ઉદાર ભારત લલાટ પર રાજતું.

સમાધિ થકી જાગી એ અપરિમેય આનંદની,
વળ્યો કવિ જગે, શુભંકર ભરી ઉરે દર્શન.
અમદાવાદ, નવેમ્બર ૧૯૪૮


[૧]

‘દર્શન’ ઉમાશંકર જોશીએ ૧૯૪૮માં રચેલી દીર્ઘ રચના છે. આ કાવ્યસર્જન પાછળ કવિના મનમાં મહાકવિ રવીન્દ્રનાથ ટાગોરના અનુભવનું બળ પડેલું છે. એ બળમાં જ કાવ્યબીજ પણ છે. અનુભવ તો રવીન્દ્રનાથ ટાગોરનો છે પરંતુ એ અનુભવ જાણે ઉમાશંકર જોશીનો પણ બની રહે છે. એટલે એમ કહી શકીએ કે એક મહાકવિની મહાચેતના સાથે આ કવિની ચેતનાનું કેટલું બધું તાદાત્મ્ય છે! વળી રવીન્દ્રનાથના દર્શન સાથે પણ કેટલો બધો મેળ છે! યુવાન રવીન્દ્રનાથે કલકત્તામાં સૂર્યોદય વેળા એવો અનુભવ કર્યો કે જેમાં એમને ‘સમગ્ર વિશ્વ એકરૂપ’ લાગ્યું. બરાબર એ જ વેળા સામેથી બે મજૂરો હસતાં હસતાં ચાલ્યા જતા દેખાયા. આ દૃશ્યોમાં કવિને આ સૃષ્ટિમાં લય પામેલો આનંદ પ્રતીત થયો. આ અનુભવ પછી કવિ હિમાલય ગયા ત્યારે એવી આશા હતી કે પેલો અનુભવ વધારે સઘનપણે અનુભવવા મળશે પરંતુ એમ ના બન્યું. હિમાલયની અસીમ પ્રકૃતિની સુંદરતાએ એમને જગતના માનવ ભણી પાછા વાળ્યા. હિમાદ્રિના શિખરે શિખરે પેલા બે શ્રમીણોના સખ્ય આનંદનું ચિત્ર, અલબત્ત કવિએ જોયું પરંતુ એ ચિત્રમાંથી ફરી વિશાળતા અનુભવી કવિ જગતમાં પાછા વળે છે. હિમાલય જ માનવતાના મહિમાને ગાવા પરત મોકલે છે. એ જ ‘દર્શન’ હિમાલયનું! એ જ દર્શન રવીન્દ્રનાથનું અને એ ‘દર્શન'ની રજૂઆત કરનાર કવિ ઉમાશંકરનું દર્શન પણ એ જ છે. ઉમાશંકરની રચનાઓમાં આ જોવા મળે છે. ‘વસંતવર્ષા’ સંગ્રહમાં ‘દર્શન’ કાવ્ય છે. એ જ સંચયમાં ૧૯૫૩માં રચાયેલી ‘ભલે શૃંગો ઊંચાં’ સૉનેટરચના છે. ‘દર્શન’ કાવ્યનું દર્શન આ રચનામાં ઘનીભૂત થયેલું છે. ત્યાં પણ પ્રકૃતિનું અદમ્ય આકર્ષણ છે છતાં માનવ ભણી જ કવિ પાછા વળે છે. ‘મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો'થી એ કાવ્ય ઊઘડે છે પરંતુ કાવ્યના અંતે કવિની ઝંખના તો ‘ભલે શૃંગો ઊંચા, અવનિતલ વાસો મુજ રહો!'માં લય પામે છે. ‘દર્શન’ કાવ્યની ચર્ચા કરતાં આ કાવ્ય એટલા માટે સ્મરણમાં ઊતર્યું કેમ કે એમાં રવીન્દ્રનાથનું જે દર્શન છે એ આપણા આ કવિમાં પણ કેવું એકાકાર થઈ ગયું છે એ જોવા પામીએ છીએ. ઉમાશંકરની સમગ્ર રચનાઓનું ઋત પણ આ જ છે! પ્રકૃતિના કેન્દ્રમાં માનવ! ભગવાને સૃષ્ટિ રચી પરંતુ માનવને સૃષ્ટિશિરોમણિ બનાવ્યો છે એ કેન્દ્રમાંથી ખસવો ના જોઈએ એવો સૂર આ બંને કાવ્યોમાં તો સીધી રીતે છે જ. ૧૦૦ પંક્તિઓનું આ દીર્ઘ કાવ્ય છે. કાવ્યનાયકની મનોયાત્રાનું આમાં આલેખન છે. મનોયાત્રાનું મૂળ હિમાલયવિહાર તો છે જ સાથે સાથે હિમાલય સુધી આવતાં પહેલાં કલકત્તામાં થયેલો અનુભવ પણ છે જ. કવિ ઉમાશંકર એ અનુભવ પરકીયાપ્રવેશ કરીને જાણે પુન: અનુભવે છે ને ‘દર્શન’ કાવ્યનું નિર્માણ થાય છે. આરંભ નાટ્યાત્મક છે. કાવ્યનાયક હિમાલયને સંબોધીને કહે છે: ‘હિમાદ્રિ અચલાધિરાજ, કરુણાર્દ્ર ગૌરીગુરો, જરી જવનિકા કઠોર તવ શૈલમાલા તણી — જરીક ઊંચકી ન લે?…’ આમાં વિનંતી પણ છે ને કલકત્તામાં જે દૃશ્ય જોવા મળેલું એ જોવાની તલખ પણ છે: ‘મળેલું શિશુનેત્રને સુભગ મોંઘું જે દર્શન.’ એ દર્શન અહીં એકદમ નથી મળતું એનો વલોપાત પણ છે. આરંભની પાંચ પંક્તિઓમાં કાવ્યનાયકની અભિલાષાનો અવાજ વલોપાત સાથે પ્રગટ થયો છે. મહાનગરમાં જે દર્શન થયું હતું એ કવિ યા નાયક હિમાલયની ગિરિમાળાઓમાં, શૃંગે શૃંગે, ગુફાએ ગુફાએ, જળપ્રપાતોમાં, નિઝરતટે, દેવદારુઓમાં, (— ક્યાં ક્યાં નહીં?) શોધે છે પરંતુ નથી જડતું. હિમાલયમાં કરેલો વિહાર પણ ભવ્ય છે. એમાંથી એક ચલચિત્ર જેવી, તરલ, ચંચલ, સ્થિર, ગતિશીલ ચિત્રમાળા પ્રાપ્ત થાય છે, જે જીવંત બની રહી છે. સમાંતરે સૌંદર્યનો સાક્ષાત્કાર પણ એ કરે છે યા કવિ કરાવે છે એ પણ આ ભાગમાં મહત્ત્વની બાબત છે. સર્જનાત્મક ઉન્મેષોના સંદર્ભમાં આ અગત્યની પ્રક્રિયા છે. પહાડની એક એક ટૂક જેવા આ પડાવો છે — શૃંગ શૃંગ, એ પછી વનમાં વિહાર, ત્યાંથી નિઝર નદીતટ, વળી, ‘પ્રપાત જળના શિલાતટથી વ્યાઘ્રફાળે ધસે.’ જેવું ભયાવહ ને ગતિશીલ ચિત્ર, દેવદારુની છાયા — આમ, એકએક પડાવ આંખ સામે ખડો થાય છે ને ભાવકલેખે હિમાલયના અસીમ સૌંદર્યનો અનુભવ મળે છે પરંતુ કાવ્યનાયકને જે અભિપ્રેત છે એ નથી મળતું એથી જ વળી પાછો અહીં આગળનો પેલો વલોપાત તીવ્ર બને છે:

‘પરંતુ ગયું ક્યાં, મળે ન ક્યમ દેખવા તે અહો
નિહાળ્યું હતું જે મહાનગરની ભરી ભીડમાં?
લહ્યું ન અહીં શાંતિમાં, લહ્યું'તું જેહ કોલાહલે!’

અહીં અપાર શાંતિ છે. એ શાંતિમાં ગંભીરપણે પેલું દૃશ્ય અનુભવવું છે જે મહાનગરની ભરી ભીડમાંથી મળ્યું હતું. દૃશ્ય એ મળતું નથી પરંતુ હિમાલયનું અસીમ સૌંદર્ય માણવા મળે છે, એ સૌંદર્યમાંથી પેલું માનવસૌંદર્ય મળે એવી નાયકની ઝંખના ભલે તોષાતી નથી પણ જે જે સૌંદર્યમય દૃશ્યો એ જુએ છે એ એની ચેતનાને વિશેષ સ્પષ્ટ બનાવી દે છે. એ દૃશ્યો પણ કેવા મધુર છે! ‘તરે તુહિનના અફાટ પટ ઉપરે ડોલતાં અનિદ્ર તવ નીલરક્તદલ શુભ્ર પદ્મો સમાંભરી ક્ષિતિજવ્યોમ શૃંગ પર શૃંગ, મલક્યાં કરે.’ તરલ ચંચલ ને ગતિશીલ આ ભવ્યચિત્રો અદ્ભુત છે. એક દિવ્ય ચૈતન્યમાં નાયક લય પામે છે. એનું પેલું દૃશ્ય, અહીં, જોવાનું સ્વપ્ન પણ સરી ગયું. અહીં સુધી કાવ્યમાં હિમાલયના સૌંદર્યસન્મુખ નાયક સતત ઊભો રહે છે પરંતુ એનું મન તો પેલા મહાનગરના દૃશ્યને અહીં જોવા તત્પર છે. કાવ્યના મધ્યભાગમાં હિમાલય સાથે નાયક ને નાયક સાથે હિમાલયનો સંવાદ છે. નાયકને હજુય ફરિયાદ છે કે અહીં આવીને હું એક એવો મંત્ર પામીશ જે પેલા મહાનગરના આનંદદૃશ્યને વધારે સઘન બનાવે પરંતુ આ તો ’…રવમૂક નિર્ઘૃણ અકંપ તું તો ઊભો અહો હૃદય શારતું, અદય, મૌન મીંઢું તવ!'નો અનુભવ કરાવે છે, તેથી વિષાદ વધારે તીવ્ર બની જાય છે. એ જ વેળા હિમાલય એની સાથે સંવાદ સાધે છે, એનામાં જે દ્વિધા છે, પીડા છે, સમસ્યા છે, એનો ઉકેલ આપે છે. એમાં હિમાલયની વેદના પણ છે: ‘કદી સરવરે જળે નીરખી છે છવિ માહરી? અને નીરખી છે પ્રચંડ મુજ કાય કંપી જતી જરીક લઘુ કોઈ કંકર પડ્યે તહીં વારિમાં? જગજ્જન તણો નિસાસભર શબ્દખીણો મહીં સ્ફુર્યે, મુજની કાય એવી થથરી ઊઠે કારમી. હિમાદ્રિ નવ હું, જગજ્જન તણા નિસાસા થીજી થયેલ નભચુંબી રાશિ, બસ એ જ હું!…’ આમ, હિમાલય કાવ્યનાયકને પોતાની ઓળખ આપે છે. પોતાની પ્રચંડતા પણ કેવી છે એ સૂચવે છે. પોતે કેવી રહસ્યમયતા અંકે કરીને ઊભો છે એ પણ સમજાવે છે. જે જે અહીં આવ્યા છે એમને મેં પાછા જગતમાં વાળ્યા છે એમ પણ સમજાવે છે ને કહે છે:

‘રહ્યા વિચરી નિત્ય જે સ્મિતમુખે બધું આયુષ,
ખરું ફકત તેમને જગતમાં થયું દર્શન.
ખરા ઋષિવરોય તે જ. કવિ, તારુંયે સ્વપ્ન તે
ઘટે મનુજવૃંદમાં જ, અહીંયાં ન રે, શોધવું;
ઘટે ભીતરમાં, બહાર નહિ એ, ભલા, ખોજવું.
લહી, પ્રિય, થજે તુંયે પ્રથિત ક્રાન્તદર્શી કવિ.’

હિમાલયની આવી વાણી સાંભળી કાવ્યનાયક અવાક થઈ જાય છે. બહાર નહીં પરંતુ ભીતરમાં શોધવાની વાત એને અડી જાય છે. મનુજવૃંદમાં જ જીવનું સારસર્વસ્વ છે એ નાયક સમજે છે અને એનું આખુંય વલણ બદલાઈ જાય છે. મન શાંત-પ્રગાઢ-શાંત વાતાવરણમાં મુકાય છે. જે મહાનગરમાં જોયું હતું એ એને અહીં એકદમ જુદી જ રીતે દેખાય છે. એને અપૂર્વ અનુભવ થાય છે. આંખ આગળથી પડદો ખસી જાય છે. તુચ્છતા ઓગળી જાય છે કેમકે સાચા અર્થમાં એ હિમાલયની પ્રકૃતિના સૌંદર્યને પામ્યો છે. સમસ્ત જગને એણે દર્શકની હેસિયતથી જોયું. અલૌકિક અભિજ્ઞતા લાધી ને આનંદથી એ ઝૂમી ઊઠ્યો. એની દૃષ્ટિ પણ બદલાઈ ગઈ છે. કાવ્યનાયકની આવી અલૌકિક મન:સ્થિતિ કવિ આ રીતે ચિત્રિત કરે છે: ‘સમષ્ટિહૃદયેથી ઊઠી સરતા તરંગો સમું સમુલ્લસત સર્વ આ જગત દીઠું સૌંદર્યની સવારી પર નીકળેલું રસડોલતું લીલયા.’ આ ‘લીલયા'નો અનુભવ એનામાં આનંદનો ઉછાળ લાવે છે. જગત નવા ચૈતન્યથી ભરેલું પ્રતીત થાય છે. અંદરથી એ અગાધ રસનો ફુવારો અનુભવે છે. ચારેબાજુ એને હાસ્યનું ઝરણું જોવા મળે છે. દિવ્ય સૌંદર્યમાં આ આખીય સૃષ્ટિ નર્તન કરતી એને દેખાય છે. કવિ યા કાવ્યનાયકમાં હવે ઋષિત્વ પ્રાપ્ત થયું છે. હિમાદ્રિશિખરો પર સુભગ દૃશ્ય દીપી રહ્યું છે એ કાવ્યનાયક જુએ છે:

‘પરસ્પર તણે ખભે ઉભય ભેરવી હાથ ત્યાં
શ્રમીણ હસતા ઊભા, સુહતું મુક્ત ત્યાં હાસ તે.’

આ છે અંતિમ દૃશ્ય જે મહાનગરમાં જોયું હતું. એ અહીં કાવ્યના અંતે જોયું એક દર્શકની રીતે! નવતર પ્રાણ સાથે! કાવ્યના અંતની પંક્તિઓ છે:

‘સમાધિ થકી જાગી એ અપરિમેય આનંદની,
વળ્યો કવિ જગે, શુભંકર ભરી ઉરે દર્શન.’

હિમાલયની આ વિહારયાત્રા જાણે કે સમાધિમય ભાવસ્થિતિ હતી. એ ભાવસ્થિતિ કાવ્યનાયકના ભાવજગતને બદલી નાંખે છે ને એવો બદલાયેલો કાવ્યનાયક પ્રકૃતિના ખોળેથી માનવખોળે પાછો વળે છે. વળે છે પાછો મહાન દર્શન અને એ દર્શનમાંથી અપરિમેય આનંદની અનુભૂતિ લઈ! ‘સમુત્સવ લસી રહ્યો સરલ સૃષ્ટિસૌહાર્દનો.’ કાવ્યના અંતભાગની આ પંક્તિ અત્યંત અગત્યની છે. કાવ્યજગત એના પર ઊભેલું છે. દર્શનનો આ પ્રાણ છે. સૃષ્ટિસૌહાર્દ પામતા પૂર્વે નાયક એક વિશાળ અને એટલી જ ઊંડી ભાવ, વિચાર અને સૌંદર્યના અનુભવની પ્રક્રિયામાંથી પસાર થયો છે. એ પછી જ ‘સમુત્સવ’ પામ્યો છે.

[૨]

આ દીર્ઘકાવ્ય એની રચનારીતિના સંદર્ભમાં પણ સુંદરતમ છે. કાવ્યનાયકને જે અનુભૂતિમાંથી પસાર કરીને, જે દર્શન પામતો દર્શાવવો છે, એના માટે કવિ બે અંતિમો પસંદ કરે છે — એક, ભારતનું મહાનગર કલકત્તા અને બે, ભારતની સંસ્કૃતિ અને શાંતિધામ હિમાલય! બે સંસ્કૃતિ પ્રતીકાત્મક પરિમાણ રચે છે. કોલાહલ અને શાંતિ! નગરસંસ્કૃતિ ને વન્યપહાડ સંસ્કૃતિ! પ્રકૃતિના પાઠો માનવજીવનના સંબંધોમાં ખૂબ જ અગત્યનાં છે ને એ હિમાલય આપે છે. એટલે આવી ધરાતલ કલાત્મકતાનો કીમિયો બની જાય છે. વળી, આરંભે નાટ્યાત્મકતા, એ પછી નાયકનો વિષાદ, વલોપાત, વેદના, એ પછી હિમાલય જોડે સંવાદ, હિમાલયનો નાયક સાથે સંવાદ અને અંતે દર્શનમાંથી લાધેલી આનંદાનુભૂતિ! આવો ઉપક્રમ કોઈ નાટક યા મૂવી જોતા હોઈએ એવો અનુભવ આ કાવ્ય કરાવે છે જે પરમ આસ્વાદ્ય બની રહે છે. ઇન્દ્રિયગમ્ય સૃષ્ટિ રચીને કવિએ જીવંત વાતાવરણ બનાવી દીધું છે, તેથી હિમાલય અને નાયક બે જીવંતપાત્રો બની જાય છે એની અહીં મજા છે. દર્શન થવું એ નાનીસૂની ઘટના નથી! ભવ્યતા એમાં છે, માટે કાવ્યબાની પણ એવી જ પ્રશિષ્ટ છે. જે જે શબ્દાવલિ અહીં છે, એ જોતાં એ સ્પષ્ટ થાય છે. આખીય રચના એવી છે, એથી ઉદાહરણો પણ કેટલાં આપીએ? છતાં ‘હિમાદ્રિ’ ‘અચલાધિરાજ', ‘શૈલમાલા', ‘શિશુનેત્ર', ‘વ્યાઘ્રફાળ', ‘શૃંગ', ‘નિઝર', ‘વિકલ', ‘ઋચાધ્વનિ', ‘નિત્ય-કૌમાર’… યાદી લાંબી જ થતી જાય છે. તાત્પર્ય એ કે જે જે સંદર્ભમાં આ કાવ્યબાની છે, એ સંદર્ભોને એ ગરિમા આપે છે, એ કવિપ્રતિભાની પરિચાયક ઘટના ગણી શકાય. માત્ર શોખ ખાતર આ નથી. સજીવ ચિત્રાવલિ, આ કાવ્યમાં ઠેકઠેકાણે છે, એમાં કલ્પનશ્રેણી પણ છે. દૃશ્યશ્રાવ્યઘ્રાણ્યસ્પર્શ્ય કલ્પનોથી એ ખચિત છે. એનાય અઢળક ઉદાહરણો છે. થોડાંક જોયા વિના ચાલે જ નહીં. જોઈએ — ‘પ્રપાત જળના શિલાતટથી વ્યાઘ્રફાળે ધસે.’ જળપ્રપાત, શિલાતટ-દૃશ્યો રચે છે ને એની સાથે વ્યાઘ્રફાળ વળી ભયાવહતા રચે છે. આવી સહોપસ્થિતિ કલાત્મક તો છે જ, એટલી જ સંવેદ્ય પણ છે.

*

‘તરે તુહિનના અફાટ પટ ઉપરે ડોલતા’ પંક્તિ વાંચતાં જ તુહિન તરવરે છે ને પછી તરત ‘શુભ્ર પદ્યો’ પણ જીવંત થઈ ઊઠે છે.

*

‘પરોઢ સમયે સ્ફુરે સ્મિતમુખી ઉષા અદ્રિએ’… એક જ પંક્તિમાં કેટલાં ચિત્રો છે! પરોઢનો સમય, ઉષા, અદ્રિ, ઉષા પણ કેવી — સ્મિતમુખી… ચારપાંચ ચિત્રો સામટાં રચાયાં છે ને એમાંથી એક વિશાળ દૃશ્યફલક બન્યું છે. પહાડમાંથી સ્મિતમુખી ઉષા ફૂટે છે! આ કલ્પના જ ગજબની છે. મહાકવિની પ્રતિભા જ પહાડને આમ જોઈ શકે! બીજાં અનેક ઉદાહરણો આગળ ટાંકેલી પંક્તિઓમાં આવી જાય છે. તેથી, પુનરાવર્તનદોષ નથી કરતો. પરંતુ એમાંય આ રીતે જ કવિએ નવું જ જગત રચ્યું છે, જે કાવ્યનાયકના મનને અને હિમાલયના અનિવર્ચનીય સૌંદર્યને પ્રગટ કરે છે. એ રીતે નાયકને હિમાલયની ગરિમા પણ દર્શાવવી છે ને પ્રકૃતિનું તાટસ્થ્ય પણ દર્શાવવું છે, એની ઉપર માનવ છે, એ પણ સમજાવવું છે જેમાં કવિને પૂર્ણ સફળતા સાંપડી છે. આમ, પ્રકૃતિથી માનવ સુધીની એક યાત્રા આ કાવ્યમાં કાવ્યનાયક કરે છે અને અંતે માનવજીવનમાં પોતે લય પામે છે. હિમાલય પણ એક ઋષિની હેસિયતથી એને જીવનમંત્ર અર્પે છે: ‘ઘટે મનુજવૃંદમાં જ, અહીંયાં ન રે, શોધવું.’ આ છે દર્શન! આ દર્શન સમગ્ર કાવ્યમાંથી સુંદર રીતે સ્ફુટ થાય છે