આત્માની માતૃભાષા/39

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બે અવતરણચિહ્નો વચ્ચેનું અનેરું કવિકર્મ

રાજેન્દ્ર પટેલ

રડો ન મુજ મૃત્યુને!

[ચ્હાવાનું ક્હેવું સહુને નથી સ્હેલું કાંઈ.]
—જાન્યુ. ૩૦, ૧૯૪૮]
‘રડો ન મુજ મૃત્યુને! હરખ માય આ છાતીમાં
ન રે! — ક્યમ તમેય તો હરખતાં ન હૈયા મહીં?
વીંધાયું ઉર તેથી કેવળ શું રક્તધારા છૂટી,
અને નહિ શું પ્રેમધાર ઊછળી અરે કે રડો?
હતું શું બલિદાન આ મુજ પવિત્ર પૂરું ન કે?
અધૂરપ દીઠી શું કૈં મુજ અક્ષમ્ય તેથી રડો?

તમે શું હરખાત જો ભય ધરી ભજી ભીરુતા
અવાક અસહાય હું હૃદયમાં રૂંધી સત્યને
શ્વસ્યાં કરત ભૂતલે? મરણથી છૂટ્યો સત્યને
ગળે વિષમ જે હતો કંઈક કાળ ડૂમો! થયું
સુણો પ્રગટ સત્ય: વૈર પ્રતિ પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ!
હસે ઈસુ, હસે જુઓ સુક્રતુ, સૌમ્ય સંતો હસે.’

‘અમે ન રડીએ, પિતા, મરણ આપનું પાવન,
કલંકમય દૈન્યનું નિજ રડી રહ્યા જીવન.’
અમદાવાદ, ૧-૨-૧૯૪૮


સૉનેટ ઉપર સૉનેટ રચતાં પ્રખ્યાત કવિ Dante Rossetti પ્રથમ પંક્તિમાં જ કહી દે છે: ‘A Sonnet is a monent's monument—’ સૉનેટ ક્ષણોનું સ્થાપત્ય! આ કાવ્યમાં સ્થાપત્ય કહેતાં ભાષાકર્મ અને ભાવગૂંથણી બંને સમાવિષ્ટ થાય છે. ઉપરથી સાવ સરળ અને વિધાનાત્મક લાગતી આ રચના વાસ્તવમાં વિશિષ્ટ કૃતિ બને છે. આ સમગ્ર સૉનેટ માત્ર બે અવતરણચિહ્નોમાં મૂકવામાં આવ્યું છે! પ્રથમ અવતરણચિહ્નમાં બાર પંક્તિઓ અને બીજા અવતરણમાં બે પંક્તિઓ છે. કવિના સજાગ છતાં સહજ ભાષાકર્મ તરફ તેથી તરત ધ્યાન જાય છે. સાતમી સદીમાં જે કાવ્યસ્વરૂપનો આરંભ થયેલો એ ‘ઇટાલિયન સૉનેટ'ની સંરચનાનો અહીં ઉપયોગ થયો છે. મૂળે મિત્ર કે સ્વજનને ઉદ્બોધન અર્થે રચાયેલું આ સ્વરૂપ સમય જતાં આંતરિક પરિવર્તનો આણે છે. પ્રસ્તુત કાવ્યમાં ભાવગૂંથણી વિશિષ્ટ છે. પ્રથમ બાર પંક્તિમાં કવિ ગાંધીચેતનામાં રહીને ગાંધી વતીથી અભિવ્યક્તિ કરે છે તો બીજી બે પંક્તિમાં ‘કવિ’ સમાજ વતીથી અભિવ્યક્તિ મૂકે છે. આમ સાતમી સદીમાં આરંભાયેલું આ સ્વરૂપ અહીં ‘સ્વ'થી ‘સમાજ’ સુધી વિસ્તરેલું જોવા મળે છે. પ્રથમ બાર પંક્તિઓ છ-છના બે ‘અંતરાથી’ મઢેલી છે. જે એક પિતા વતીથી કવિ ઉદ્બોધન કરે છે, જ્યારે અંતિમ બે પંક્તિઓ કવિ એક પુત્ર વતીથી ઉદ્ગારે છે. ‘અપંગ માનવતા'ને કાજ જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એ ‘યુગવણકર’ ગાંધીને કેન્દ્રમાં રાખી લખાયેલું આ કાવ્ય વાંચતાં જ કવિએ રેંટિયાબારસ પર રચેલા એક કાવ્યની પ્રથમ પંક્તિ યાદ આવી જાય છે: ક્યાંથી કો દિવસ ઊગવો તમારા વિના? ગાંધી નથી છતાં છે, એ આપણા સમયના માનવીય સંવેદના અનુભવતા હરકોઈની અનુભૂતિ છે. ત્યારે ૧૯૪૮માં પૃથ્વી છંદમાં રચાયેલા આ સૉનેટની પ્રથમ પંક્તિ આપણને અત્યારે એટલી જ પ્રસ્તુત અને જીવંત લાગે છે. કદાચ, વિદાય લેતાં હરએક પ્રજ્ઞાવાન મનુષ્ય કહે એમ જ — રડો ન મુજ મૃત્યુને! હરખ માય આ છાતીમાં. આ પંક્તિ પછી તરત કવિ એનો જાણે જવાબ પણ સહજ આપી દે છે. જેમાં મૃત્યુમાં પણ જીવનનો અર્થ છે. મૃત્યુશરણ થયેલા આ મૂઠી ઊંચેરા માનવી વતીથી કવિદૃષ્ટિ અનેરું વિધાન કરે છે:

વીંધાયું ઉર તેથી કેવળ શું રક્તધારા છૂટી,
અને નહિ શું પ્રેમધાર ઊછળી અરે કે રડો?

રક્તધારાની સામે પ્રેમધારા મૂકી કવિ, સ્થૂળ ઘટનાને અંકે નહીં કરતાં સૂક્ષ્મ અને સનાતન ભાવ તરફ વાચકને લઈ જાય છે. ‘પ્રેમધારા’ એ જ ‘ગાંધીધારા’ અહીં વ્યક્ત થાય છે. છતાં, કવિ જાણે છે ગાંધી પણ મનુષ્ય હતા અને એથી કવિ સજાગ બની એક પંક્તિ આપે છે: ‘અધૂરપ દીઠી શું કૈં મુજ અક્ષમ્ય તેથી રડો? આ રચનાની પરમ કાવ્ય ક્ષણ, સૉનેટ-સ્થાપત્યનું ચરમ શિખર હવે પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે, સૉનેટમાં આઠ પંક્તિ પછી એક વળાંક આવે છે. જે વળાંક નવીન અભિવ્યક્તિનો નમૂનો બની કાવ્યમાં એક વિસ્ફોટની ક્ષણ રચે છે. આ સૉનેટ ઇટાલિયન સૉનેટ સ્વરૂપથી રચાયેલું છે. એટલે કે બાર વત્તા બે પંક્તિઓની રચના છે. પ્રથમ બાર પંક્તિમાંથી આઠમી પંક્તિમાં કવિ એક અદ્ભુત વળાંક મૂકી જાણે કે કવિદર્શનને વહેતું મૂકે છે.

શ્વસ્યાં કરત ભૂતલે? મરણથી છૂટ્યો સત્યને
ગળે વિષમ જે હતો કંઈક કાળડૂમો! થયું…

‘સત્યને ગળે વિષમ કાળડૂમો’ કાળડૂમો જે જે અનુભવતા હશે એ જ રચી શકતા હશે યુગકર્મ. ગાંધીવંદના કહો તો ગાંધીવંદના, કવિસંવેદના કહો તો કવિસંવેદના અથવા કાળચેતના કહો તો તે. પરંતુ, સમયે સમયે રચાતા આવા કાળડૂમા જ શું મનુષ્યજાતિને ઉત્ક્રાંત નથી કરતાં? ગાંધીચેતનામાં રમમાણ સૌ કોઈને જાણે નીલકંઠ થયા વગર છૂટકો નથી શું? એક પિતા તરીકે જીવનબોધ કે જીવનદર્શન કે શીખ આથી વિશેષ શું હોઈ શકે? એટલે જ કવિ બીજી પંક્તિ આપે છે: સુણો પ્રગટ સત્ય: વૈર પ્રતિ પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ! આ ચતુર કવિ ‘પ્રગટ સત્ય’ કહી મુખર થતી કાવ્યપંક્તિને પ્રમાણે છે અને પ્રેમ શબ્દને ત્રણ વાર મૂકી એની ચિરંજીવિતાને અંકે કરે છે. શ્રી અરવિંદના મહાકાવ્ય સાવિત્રીમાં પણ અંતે મૃત્યુ પર વિજય મેળવી સત્યવાન સાથે પાછી ફરતી સાવિત્રી એક પરમ સત્ય ઉચ્ચારે છે. That to feel love and oneness is to live Is all the truth I know or seek. આમ ઉપરોક્ત કાવ્યનો ‘કાળડૂમો’ વ્યક્ત થાય ન થાય ને અંતિમ બે પંક્તિ જાણે ડૂસકાં રૂપે કવિ આપે છે. જાણે મનુષ્યજાતિના આરંભથી આજ સુધીના લગભગ તમામ દીકરાઓને મુખે શોભે એવા શબ્દો મૂકી, કવિ સ્વયં ઉચ્ચારે છે. અમે ન રડીએ, પિતા, મરણ આપનું પાવન, કલંકમય દૈન્યનું નિજ રડી રહ્યા જીવન. મરણની પાવનતાનો અનુભવ પ્રથમ અંતરો કરાવે છે, બીજો અંતરો યુગવેદના અને યુગદર્શન વ્યક્ત કરે છે તો ત્રીજા અંતરાની અંતિમ બે પંક્તિ પિતાના જીવનબોધને અંકે કરતા પુત્ર સૌ કોઈની સંવેદનાને અભિવ્યક્ત કરતાં કહે છે ‘રડી રહ્યા જીવન.’ અંતિમ પંક્તિના અંતના શબ્દોમાંય કવિકર્મ જોવા જેવું છે. પિતા અને પુત્રના આ સપાટી પર દેખાતા બયાનને અંતે કવિ સ્વકેન્દ્રી નથી રહેતા, એ સર્વકેન્દ્રી બને છે કારણ કે એ ‘રડી રહ્યું જીવન’ એમ ન કહેતાં ‘રડી રહ્યા જીવન’ કહી બધાવતીથી એક વૈશ્વિક અનુકંપા વ્યક્ત કરે છે. કાવ્યઅંતે એક ઊંચા કવિના અક્ષરકર્મની અહીં છબી ઊભરી આવે છે. યુગકર્મ કરનાર ગાંધીની પછવાડે જાણે આ કવિની છબીય આપણે અનુભવીએ છીએ. મૃત્યુ કેન્દ્રમાં હોય એવી ઘણી રચનાઓ કવિએ આપી છે. એ કાવ્યો વ્યક્તિ વિશેષ પણ રહ્યાં છે. પાબ્લો નેરુડા હોય કે સદ્ગત મોટાભાઈ કે પછી ‘મૃત્યુ-ક્ષણ’ હોય એ સૌમાં આપણને એક રણકો સાંભળવા મળે છે, મૃત્યુ પાછળ પાંગરતી માનવતાની મ્હેક! એટલે જ કવિ ‘મૃત્યુ-ક્ષણ’ નામના એક કાવ્યમાં સ્પષ્ટતા કરે છે. એક એક કરતાં આખી પૃથ્વી જાણે ખાલી ખાલી થતી જતી, ઊઘડતી જતી કોઈ બ્રહ્માંડઝાઝેરી ભીતરી સૃષ્ટિ. આ બ્રહ્માંડઝાઝેરી ભીતરી સૃષ્ટિ દર્શાવતા કવિને સહજ સહજ વંદન. કવિ આપણી વચ્ચે નથી છતાં છે જાણે આ કવિ અને કાવ્ય માટે John Donneના સૉનેટની પંક્તિ ચરિતાર્થ થતી હોય એમ અનુભવીએ છીએ.
One short sleep past, we wake eternally
And death shall be no more, Death thou shall die…