આત્માની માતૃભાષા/47

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘વૃષભાવતાર’ વિશે

રતિલાલ બોરીસાગર

વૃષભાવતાર

પૃથ્વી આ જ્યારે વસવા માંડી,
— આદિ કાળની વાત, —
પ્હેલવ્હેલાં જે માનવી ભોળાં
ના જાણે રીત કે ભાત.

કેટલું ખાવું, ક્યારે ન્હાવું,
કોને એ બધું પૂછવા જાવું?
એક શાણો કહે, ‘શીદ મૂંઝાવું?
જાચીએ જગનો તાત.’

કૈલાસ પર્વતે શિવ ને ગૌરી
બેઠાં ગોઠડી કરે,
ગૌરવ નિજ વાગોળતો દ્વારે
નંદી પ્હેરો ભરે.

હાલકહૂલક માનવટોળું
આવી તહીં ઊભરાયું બ્હોળું.
‘જય ભોળા! જય!’ — નાદથી ડ્હોળું
આભ જાણે થરથરે.

કંપાવી કાંધ ને પૂછ ઉછાળી
નંદી સૌને પૂછે:

‘આટલો શોર તે શાને મચાવો?
એવું કારણ શું છે?’
‘અમે ન જાણીએ ક્યારે ખાવું,
ક્યારે ને વળી ધોવું-ન્હાવું.
પ્રભુ વિના દુ:ખ ક્યાં જઈ ગાવું?
આંસુ બીજું કોણ લૂછે?'

‘શિવજીનો તો ગૌરી સાથે
ચાલે છે સંલાપ;
કહો તો હું જઈ પૂછી આવું.’
‘પૂછી આવોને બાપ!'
ગૌરીની ચાલતી દલીલ: ‘હરજી!
વળી આ માનવસૃષ્ટિ ક્યાં સરજી?'
વચ્ચે નંદીની સુણીને અરજી,
દેવે દીધ જબાપ:

‘ત્રણ વાર ન્હાય,
એક વાર ખાય.'
પૂછ ઝુલાવતો, માથું હલાવતો,
નંદી ગૌરવભાવે
સંદેશો દેવનો ગોખતો ગોખતો
ડોલતો ડોલતો આવે:
ત્રણ વાર ન્હાય,
એક વાર ખાય.

ત્રણ વાર ન્હાય,
એક વાર ખાય.

એક વાર ન્હાય,
ત્રણ વાર ખાય.
ઊલટાસૂલટી બોલ થઈ જાય,
બોલતો બોલતો આવે:
એક વાર ન્હાય,
ત્રણ વાર ખાય.

એક વાર ન્હાય,
ત્રણ વાર ખાય,
પૂછવા માનવટોળું સામે ધાય,
‘બોલો, શો સંદેશો ક્હાવે?'
‘એક વાર ન્હાય,
ત્રણ વાર ખાય.'
— નંદી બોલ્યો વાણી;
સુણીને માનવી સંતોષ પામ્યાં
પ્રભુની આજ્ઞા જાણી.
સાંજ સમે થઈ ગોઠડી પૂરી,
શિવ ને ગૌરી બેય
બ્હાર આવ્યાં, સૌ સૂનું દીઠું,
નંદી બેઠો છેય.
શિવના મનમાં જરા અંદેશો.—
‘નંદી તેં શો દીધ સંદેશો?'
‘દીધો બીજો હોય ઉત્તર મેં શો?
પૂછવાનું શું એય? —
એક વાર ન્હાય,
ત્રણ વાર ખાય.'
‘માનવીની તેં જિન્દગી, નંદી,
કરી દીધી શી ઝેર?
ખાઈ ખાઈ બધું ખુટાડશે ને
વસ્તીનો વધશે કેર.
અરે ભોળા, તેં આ શું કીધું?
એક વેળાનું જ અન્ન મેં દીધું.
ત્રણ વેળા સુધી એટલું સીધું
પ્હોંચે તે કઈ પેર?'
આંખો મીંચીને ડોલતો નંદી
થઈ ગયો ઊંચેકાન.
ખોંખારી શિવે ન્યાય સુણાવ્યો:
‘ના તેં રાખ્યું કૈં ભાન.
તો, હવે જા, ધરતી પર અવતર,
ધૂંસરી કાંધે ઉપાડી, ખેતર
ખેડ, મનુજના કોઠારો ભર.
પોષજે એના પ્રાણ.'
તે દીથી નંદી ભૂતળ ઉપર
બળદ થઈને ફરે,
શિવદ્વારે મસ્ત ડોલવું છોડી,
ધૂંસરી ઊંચકી મરે.
ત્રણ ત્રણ વેળા ખાતાં માનવ
વધ્યાં, ધરામાં ન માતાં માનવ,
ખાઉં ખાઉં કરે ન ધરાતાં માનવ,
એને કંઈ દાણો પૂરે.
અમદાવાદ, ૧૨-૩-૧૯૫૯


ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં એક સમયે હું મરાઠી ભાષાના પહેલા-બીજા ધોરણનાં પાઠ્યપુસ્તકોની હસ્તપ્રતોના નિર્માણ અંગે સંયોજકની કામગીરી સંભાળતો હતો ત્યારે બીજા ધોરણની હસ્તપ્રતમાં ગુજરાતીનાં પાઠ્યપુસ્તકોમાં બને છે તેમ સંપાદકોએ લખેલા પાઠોને બદલે સિદ્ધ સર્જકોની કૃતિઓ જોઈ મને આશ્ચર્ય થયું હતું. એ વખતે એક મરાઠી પ્રાધ્યાપકે કહ્યું, ‘અમારા બધા જ મોટા સર્જકોએ બાળકો માટે પર્યાપ્ત માત્રામાં રચનાઓ કરી છે.’ આપણે ત્યાં આવું નથી. આપણા ઉત્તમ સર્જકોએ બાળકોને ધરવ થઈ જાય એટલા પ્રમાણમાં બાળસાહિત્યનું સર્જન કર્યું નથી; તેમ છતાં, ખાસ કરીને, ગાંધીયુગ અને તે પછી આજ સુધીના સમયના આપણા ઉત્તમ સર્જકોએ ભલે, એમના સર્જનરાશિના પ્રમાણ અલ્પ, પણ ગુણવત્તાની દૃષ્ટિએ ઉત્તમ બાળસાહિત્ય સર્જ્યું છે. ઉમાશંકર જોશી આમાંના એક છે. ઉમાશંકરની સમગ્ર કવિતાના પ્રમાણમાં બાળકો-કિશોરો માટેનાં કાવ્યો અત્યલ્પ ગણાય, છતાં આ અલ્પસંખ્ય કાવ્યો પણ ઉમાશંકરનાં — એક ઉત્તમ સર્જકનાં છે એટલે આપણા બાળ-કિશોરસાહિત્યની મોંઘી મૂડી છે. ‘વૃષભાવતાર’ એમાંનું એક છે. (સરળ છતાં રોચક ભાષામાં ગાંધીજીના જીવનના પ્રસંગો વર્ણવતું પુસ્તક ‘ગાંધીકથા’ ગુજરાતી બાળ-કિશોરસાહિત્યની અનન્ય ગદ્યરચના છે.) સરળ બાની એ ‘વૃષભાવતાર’ કાવ્યનો મુખ્ય ગુણ છે. માત્રામેળનો ઢાળ-લય પણ સરળતા ઉપરાંત કાવ્યત્વ સિદ્ધ કરવામાં પણ ઉપકારક નીવડ્યો છે. આ કાવ્ય તરુણ-તરુણીઓ માટે છે એટલે સરળતા વગર ચાલી જ ન શકે. પણ આ સરળતા કવિતાને સાચવીને સિદ્ધ કરાઈ છે એ અગત્યની વાત છે. સરળતા અને કાવ્યત્વ બંને પલ્લાંની સમતુલા અહીં સુપેરે જળવાઈ છે. આ સાથે આ હાસ્યરસની કૃતિ છે એ પણ એની વિશેષતા છે. કાવ્યના શીર્ષક ‘વૃષભાવતાર'થી જ હાસ્યની સરવાણી વહેવી શરૂ થાય છે. ‘બળદ’ માટે ‘વૃષભ’ શબ્દનો પ્રયોગ કરીને, તથા ઈશ્વરના વિવિધ અવતારો સાથે પ્રયોજાતા ‘અવતાર’ જેવા દિવ્યતાસૂચક શબ્દને એની સાથે જોડીને, વ્યાજસ્તુતિ દ્વારા કવિ હાસ્યનિષ્પત્તિ સાધે છે. આ કાવ્યમાં પૃથ્વીના આદિકાળની વાત છે એટલે સ્વાભાવિક રીતે જ અહીં બોલચાલની ભાષા પ્રયોજાઈ છે. સહૃદયો એનું ઔચિત્ય પ્રમાણી શકશે. સરળતા સિદ્ધ કરવામાં આ ભાષાનું મોટું યોગદાન છે. કાવ્યના આરંભમાં જ કવિ પૃથ્વીના આદિકાળની વાત માંડે છે. પૃથ્વીપુત્રોની પ્રથમ પેઢીનું ગુણલક્ષણ કવિ બે નાની-નાની પંક્તિઓમાં વર્ણવી દે છે:

‘પ્હેલવ્હેલાં જે માનવી ભોળાં
ના જાણે રીત કે ભાત.’

આ પૃથ્વી પર પ્રથમ વાર મનુષ્ય રૂપે વિચરતાં થયેલાં લોકો માટે કવિ ‘ભોળાં’ શબ્દનો પ્રયોગ કરે છે. ‘ભોળાં’ એટલે સરળ-નિષ્પાપ-ચોખ્ખાં હૃદયવાળાં — કશાંય કૂડકપટ વગરનાં — ટૂંકમાં પરિશુદ્ધ ચેતનાવાળાં. માનવ-સભ્યતાનો પહેલો પાઠ પણ એમણે શીખવાનો બાકી હતો. ‘ના જાણે રીત કે ભાત’ પંક્તિનો લહેકો સહૃદયોના સરવા કાન જરૂર નોંધશે. માનવ-સભ્યતાનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ આ ભોળપણ — આ સરળતાનો હ્રાસ થતો ગયો એ કરુણતા પણ આ પંક્તિઓ વાંચતાં સહૃદયોનાં મનમાં પડઘાશે. સભ્યતાનો પહેલો પાઠ શીખવા માટે આ ‘ભોળાં’ માનવી ‘જગના તાત'ને જાચવાનો નિર્ણય કરે છે. ઈશ્વર માટે ‘તાત’ શબ્દનો પ્રયોગ કેટલો ઔચિત્યપૂર્ણ છે! આ સૃષ્ટિનું પરિપાલન ઈશ્વર કરે છે એવી આસ્તિકોની ચિરંતન શ્રદ્ધાનો પડઘો તો અહીં સંભળાય છે, તદુપરાંત, સર્વ મનુષ્યોના ‘તાત’ એક જ છે, સર્વ મનુષ્યો એક માતાપિતાનાં સંતાન છે એવું દર્શન પણ એમાંથી સ્ફુટ થાય છે. ‘જાચીએ જગનો તાત'નો વર્ણાનુપ્રાસ કેટલો સ્વાભાવિક લાગે છે! મનુષ્યોની પ્રથમ પેઢીનું પ્રતિનિધિમંડળ જગતના તાતને જાચવા શિવ-પાર્વતી પાસે જાય છે. ભારતીય સંસ્કૃતિમાં શિવ-પાર્વતી સૃષ્ટિનાં આદ્ય માતાપિતા કહેવાયાં છે. ‘શબ્દાર્થૌ ઇવ સંપૃક્તૌ’ (શબ્દ અને અર્થના જેવી એકરૂપતાવાળાં)થી શરૂ થતા ‘જગતસ્ય પિતરૌ વંદે’ (જગતનાં માતાપિતા-શિવપાર્વતીને વંદન)વાળા કાલિદાસના શ્લોકનું સહૃદયોને અહીં સ્મરણ થશે. ભારતીય સંસ્કૃતિમાં આ માતાપિતાનું હૃદયૈક્ય દાંપત્યનો આદર્શ રહ્યો છે. લગ્ન સમયે નવવર-વધૂને જે આશીર્વાદ અપાય છે તેમાં ‘શિવ-પાર્વતીનું સૌભાગ્ય તમને પ્રાપ્ત થાઓ’ એવા આશીર્વાદ અપાય છે. મનુષ્યો પ્રભુ પાસે પહોંચે છે ત્યારે શિવ-પાર્વતી વચ્ચે મધુર વાર્તાલાપ ચાલતો હોય છે:

‘કૈલાસ પર્વતે શિવ ને ગૌરી
બેઠાં ગોઠડી કરે…’

આ પંક્તિઓમાં ‘ગોઠડી’ જેવો લોકબોલીનો શબ્દ અહીં કેવો મધુર લાગે છે! ‘ગોઠડી’ શબ્દ ભલે સંસ્કૃત ‘ગોષ્ઠિ’ પરથી આવ્યો હોય, પરંતુ ‘ગોષ્ઠિ'ના ‘ગંભીર અને ઔપચારિક વાતચીત’ એવા અર્થના સ્થાને ‘ગોઠડી'માં નિર્ભાર અને મધુર પ્રેમાલાપ એવો અર્થ વ્યક્ત થતો અનુભવાય છે. કૈલાસ પર્વત શિવપાર્વતીનું નિવાસસ્થાન. નંદીS શિવજીનો પાર્ષદ (સેવક) છે. શિવપાર્વતીના નિવાસસ્થાનના દ્વારપાલ તરીકેનું કર્તવ્ય એને સોંપાયું છે. નંદી દ્વારપાલ ખરો, પણ શિવજીનો — જગના તાતનો દ્વારપાલ! એટલે એનું એને ગૌરવ હોય તે સ્વાભાવિક છે. પ્રભુના નિવાસસ્થાનના ચોકીદાર હોવાનું ગૌરવ અને ચોકીદારીનો મિજાજ ‘કંપાવી કાંધ ને પૂછ ઉછાળી’ પંક્તિમાં સરસ રીતે વ્યક્ત થાય છે. પૃથ્વીપુત્રોની આ પહેલી પેઢીને સભ્યતાનું શિક્ષણ હજુ મળ્યું નથી. એટલે નાનકડું પ્રતિનિધિમંડળ મોકલવાનું એમને ન જ સૂઝે:

‘હાલકહૂલક માનવટોળું
આવી તહીં ઊભરાયું બ્હોળું…’

પંક્તિઓમાં કૈલાસપર્વત પર પહોંચેલા માનવધાડાનું કેવું ચિત્રાત્મક વર્ણન મળે છે! ‘હાલકહૂલક’ આમ તો સંજ્ઞાપદ છે — ‘અવ્યવસ્થા’ એવો અર્થ સૂચવે છે, પણ અહીં આ પદ વિશેષણની કામગીરી બજાવે છે. ‘માનવટોળું'માં ‘ટોળું’ શબ્દ જ અવ્યવસ્થિતતાનો વ્યંજક છે. એમાં આ ‘હાલકહૂલક’ વિશેષણ રૂપે આવીને એ અસ્તવ્યસતતાનો રંગ વધુ ઘેરો બનાવે છે. આ ‘હાલકહૂલક માનવટોળું’ અસ્તવ્યસ્ત છે, પણ સરળ સ્વભાવવાળું નિષ્કપટ ‘માનવટોળું’ છે. પ્રભુમાં એમને અનન્ય શ્રદ્ધા છે.

‘જય ભોળા! જય!’ — નાદથી ડ્હોળું
(૮૧૯૫)આભ જાણે થરથરે.’

— પંક્તિઓમાં આ શ્રદ્ધાનો પડઘો સંભળાય છે. લોકસમૂહનાં અંતરના અતલ ઊંડાણમાંથી નીકળતો પ્રભુના નામનો જયઘોષ જાણે આકાશને ધ્રુજાવે છે. ‘ક્યારે ના'વું ને ક્યારે ખાવું'ની આ ભોળાં માનવીઓને ખબર નથી, પણ પ્રભુએ તો એમને માટે પ્રબંધ કરી જ રાખ્યો છે. માનવીઓ માટે ધાન્ય ઉગાડવા આભ જાણે હવે અનરાધાર વરસવા તત્પર થઈ રહ્યું છે એનું સૂચન ‘ડ્હોળું’ વિશેષણ દ્વારા જાણે મળે છે! લોકસમૂહ પોતાની સમસ્યા નંદી સમક્ષ રજૂ કરે છે. આ રજૂઆતમાં સામાન્ય માનવીની પ્રભુ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા — સામાન્ય માનવીનો પ્રભુ પ્રત્યેનો અનન્ય શરણભાવ બહુ સ્વાભાવિકતાથી પ્રગટ થાય છે:

‘પ્રભુ વિના દુ:ખ ક્યાં જઈ ગાવું?
આંસુ બીજું કોણ લૂછે?’

મનુષ્યોની સમસ્યા જાણી નંદી કૂણો પડે છે. પાર્ષદનો મિજાજ છોડી મનુષ્યોની સમસ્યા પ્રભુ સમક્ષ રજૂ કરવા એ તૈયાર થાય છે. નંદી લોકોને કહે છે:

‘શિવજીનો તો ગૌરી સાથે
ચાલે છે સંલાપ
કહો તો હું જઈ પૂછી આવું.’

નંદીની સહાનુભૂતિ સાંપડતાં લોકો તરત બોલી ઊઠે છે: ‘પૂછી આવોને, બાપ!’ નંદી હજી પૂરી વાત કહી રહે તે પહેલાં કે તે સાથે જ લોકો ‘પૂછી આવો ને, બાપ!’ બોલી ઊઠે એમાં પ્રવેશતી નાટ્યાત્મકતા એકદમ પ્રસન્ન કરી દે એવી છે. કાવ્યાત્મક સંવાદ અથવા સંવાદાત્મક કાવ્ય ઉમાશંકરને સહજ છે.S શિવ-પાર્વતી સંવાદ માટે અગાઉ ‘ગોઠડી’ શબ્દ પ્રયોજાયો તો અત્યારે ‘સંલાપ’ શબ્દનો પ્રયોગ થયો. એક બોલચાલનો—લોકભાષાનો શબ્દ તો એક સંસ્કૃત તત્સમ શબ્દ! અગાઉ પ્રયોજાયેલા ‘ગોઠડી’ શબ્દનો અર્થ ‘પ્રેમગોષ્ઠિ’ — પતિ-પત્નીનો અંતરંગ વાર્તાલાપ — થાય તો ‘સંલાપ'નો અર્થ પણ ‘અંતરંગ વાર્તાલાપ’ એવો થાય. આ બે શબ્દો દ્વારા શિવ-પાર્વતીના પ્રસન્ન મધુર દાંપત્યનું કેવું સુરેખ ચિત્ર આલેખાય છે! ‘ગોઠડી'ના અર્થનો જ ‘સંલાપ’ શબ્દ પ્રયોજી કવિએ પુનરાવર્તન તો ટાળ્યું જ છે, પણ સાથે સાથે પ્રાસાનુપ્રાસ માટે પણ આ શબ્દ પાસેથી કવિએ સરસ કામ લીધું છે. તત્સમ ‘સંલાપ’ સાથે લોકભાષાના ‘બાપ’ શબ્દનો પ્રાસ કેવો સરસ રીતે બંધબેસતો થઈ જાય છે! અહીં તત્સમ ને તળપદા શબ્દની સહોપસ્થિતિ સહેજે ખટકતી નથી. ઊલટું, એક બાજુ જગતનાં માતાપિતા શિવ-પાર્વતીની સર્વાંગસુંદર સંપૂર્ણતા ને બીજી બાજુ સામાન્ય માણસની સીધી-સાદી સમજ-અણસમજનું સાયુજ્ય અત્યંત સ્વાભાવિકતાથી રચાઈ જાય છે! નંદી પૃથ્વીવાસીઓની સમસ્યાની પ્રભુ સમક્ષ રજૂઆત કરે છે તે ભાગ અધ્યાહાર રાખવામાં કવિનો કલાસંયમ પ્રગટ થાય છે. નંદીની અરજી સાંભળી પ્રભુ કંઈ પ્રત્યુત્તર આપે તે પહેલાં પાર્વતીજી પ્રભુને મીઠો ઠપકો આપે છે. સહૃદયોને અહીં પાઠકસાહેબ (રા.વિ.પાઠક ‘શેષ’)નું ‘ઉમા-મહેશ્વર’ યાદ આવશે. ‘ઉમા-મહેશ્વર'માં જેમ સમુદ્રમંથન વખતે અન્ય દેવો પોતાના ‘ભોળા સ્વામી'ને છેતરી ગયા — એ બાબતે ઉમા મહેશ્વરને મીઠો ઠપકો આપે છે એ જ રીતે આ સૃષ્ટિ સર્જવા માટે પાર્વતીજી શિવને મીઠો ઠપકો આપે છે. પાર્વતીજીને લાગે છે કે આ માનવસૃષ્ટિનું સર્જન કરીને પ્રભુએ ભૂલ કરી છે. લોકો હવે પ્રભુને નિરાંત નહિ લેવા દે! ‘વળી આ માનવસૃષ્ટિ ક્યાં સરજી?’ પ્રશ્નમાં રહેલા કાકુ દ્વારા પ્રભુની શાંતિ ઉપર તોળાઈ રહેલા ખતરાની વાત કેવી કલાત્મકતાથી સૂચવાય છે! ‘હરજી, સરજી, અરજી'ના સ્વાભાવિક પ્રાસાનુપ્રાસ સાથે ‘સંલાપ'ને ‘બાપ'નો પ્રાસાનુપ્રાસ છેક ‘જબાપ’ સુધી લંબાય છે. ‘સંલાપ’ સંસ્કૃત તત્સમ શબ્દ, ‘બાપ’ તદ્ભવ શબ્દ ને ‘જબાપ’ લોકબોલીનો શબ્દ — આ ત્રિવેણીસંગમ તદ્દન સ્વાભાવિકતાથી રચાય છે. કાવ્યની હળવાશ જાળવવામાં ‘બાપ’ ને ‘જબાપ’ શબ્દો ઉપકારક બન્યા છે. મનુષ્યોની સમસ્યાનો ઉકેલ પ્રભુ સત્વરે આપી દે છે: ‘ત્રણ વાર ન્હાય, એક વાર ખાય.’ પ્રભુનો જવાબ મનુષ્યોને પહોંચાડવા નંદી પાછો વળે છે. અહીં પણ બહુ થોડા શબ્દોમાં નંદીની મસ્તી, એનો ગૌરવભાવ સૂચવાયો છે: પૂછ ઝુલાવતો, માથું હલાવતો

નંદી ગૌરવભાવે

— આ શબ્દોમાં નંદીનું બાહ્યરૂપ જ નહિ, એનું આંતરરૂપ પણ ઝિલાયેલું છે. બિચારો નંદી પ્રભુનો જવાબ ગોખતો-ગોખતો માણસો પાસે પહોંચે છે. પણ માણસો સુધી પહોંચતાં સુધીમાં તો શબ્દો ઊલટસૂલટ થઈ જાય છે. ‘ત્રણ વાર નાહવાનું ને એક વાર ખાવાનું'ને બદલે — ‘એક વાર ન્હાય, ત્રણ વાર ખાય.’ — એવો સંદેશો નંદી પહોંચાડે છે. માણસો તો બિચારા નંદીની વાત આંખો મીંચીને માની લે છે. પોતાનો પ્રશ્ન ઊકલી ગયો એમ માની પૂર્ણ સંતોષ સાથે સૌ પાછાં વળે છે. પ્રારંભમાં કહ્યું હતું એમ આ હાસ્યરસની કૃતિ છે. કાવ્યમાં સાદ્યંત હળવાશ છે, પણ નંદી પ્રભુનો સંદેશો જે રીતે ગોખતો-ગોખતો માણસો પાસે પહોંચે છે એ નિરૂપણ તો ભાવકોને ખડખડાટ હસાવે છે. તરુણ વાચકોને તો અહીં ભારે મજા પડી જવાની. આ પછી સાંજ પડી. શિવ-પાર્વતીનો મધુર વાર્તાલાપ પૂરો થયો. પ્રભુ ને માતાજી બહાર આવ્યાં. બહાર બધું સૂમસામ હતું. લોકો તો પોતાના પ્રશ્નનો ઉત્તર મેળવીને જતાં રહેલાં. માત્ર નંદી પોતાની મસ્તીમાં બેઠો હતો. ‘નંદી બેઠો છેય’ પંક્તિમાં નંદીની મસ્તીની સાથે કર્તવ્ય બજાવ્યાનો સંતોષ પણ વ્યક્ત થાય છે. હવે, પ્રભુ તો નંદીને બરાબર ઓળખે ને! એટલે નંદીએ પોતાનો સંદેશો બરાબર પહોંચાડ્યો હશે કે નહિ એવા અંદેશા સાથે પ્રભુ નંદીને પૂછે છે: ‘નંદી તેં શો દીધ સંદેશો?’ — પ્રભુનો આ પ્રશ્ન નંદીને અપ્રસ્તુત લાગે છે. એને સહેજ માઠું પણ લાગે છે. નંદી કહે છે: ‘દીધો બીજો હોય ઉત્તર મેં શો?

પૂછવાનું શું એય?’ —

નંદીનું ભોળપણ, પોતાની જાત પરનો અતિવિશ્વાસ — નિર્દોષ અને નિર્મળ હાસ્યનો અનુભવ કરાવે છે. પ્રભુનો સંદેશો પહોંચાડવામાં પોતે ભાંગરો વાટ્યો છે એ હકીકતથી અજાણ નંદી પ્રભુ સમક્ષ પોતાના ઉત્તરનો પોપટપાઠ કરે છે. આ સાંભળી પ્રભુ એકદમ ચિંતામાં પડી જાય છે. પ્રભુને થાય છે કે આ તો મહા-અનર્થ થયો! માણસો ‘એક વાર’ ખાય એટલી મર્યાદામાં જ અનાજ ઉત્પન્ન કરવાનું પ્રભુનું આયોજન હતું. પ્રભુ નંદીને ઠપકો આપતાં કહે છે:

‘માનવીની તેં જિન્દગી, નંદી,
કરી દીધી શી ઝેર?
ખાઈ ખાઈ બધું ખુટાડશે ને
વસ્તીનો વધશે કેર.
અરે ભોળા, તેં આ શું કીધું?
એક વેળાનું જ અન્ન મેં દીધું.
ત્રણ વેળા સુધી એટલું સીધું
પ્હોંચે તે કઈ પેર?’

પ્રભુને ચિંતા છે કે લોકો ત્રણ-ત્રણ વાર ખાઈને અનાજ ખુટાડશે. અનાજનું પ્રમાણ તો માણસો એક વાર ખાય એટલું જ છે! કેવી અનવસ્થા સર્જાશે! માણસોની જિંદગી ઝેર જેવી થઈ જશે! ‘ઝેર-કેર-પેર’ અને ‘કીધું-દીધું-સીધું'ના પ્રાસાનુપ્રાસ જુઓ. સમગ્ર કાવ્યમાં પ્રાસાનુપ્રાસની આવી તરેહ (pattern) એકદમ સહજતાથી સચવાઈ છે. કાવ્યના લયની સંતુલિત જાળવણીમાં આ પ્રાસયોજનાનો અમૂલ્ય ફાળો છે. ‘સીધું’ શબ્દના પ્રયોગમાં કેટલું બધું ઔચિત્ય રહેલું છે! ‘સીધું’ એટલે ‘રાંધી રાખવા જેટલું કાચું અનાજ વગેરે સામગ્રી.’ પ્રભુએ અનાજ જરૂર પૂરતું ઉત્પન્ન કર્યું છે — તે પણ દરરોજ એક વાર ખાવા જેટલું! અનાજનો સંઘરો એ પ્રભુના વિધાનની વિરુદ્ધની પ્રવૃત્તિ છે એ આ ‘સીધું’ શબ્દ દ્વારા કેટલું સ્વાભાવિક રીતે સૂચવાય છે! નંદીએ પ્રભુનું આયોજન ઊંધું વાળી દીધું. માનવીની જિંદગી ઝેર બની જશે એ વિચારે પ્રભુ ચિંતાગ્રસ્ત બન્યા. માણસો વગરવાંકે ભૂખે મરે એવું કલ્યાણરૂપ એવા શિવજીને શે ગમે? નંદીએ ભયંકર ભૂલ કરી હતી; અલબત્ત ઈરાદા વગર ભૂલ કરી હતી. ‘અરે, ભોળા, તેં આ શું કીધું?’ એવી શિવજીની ઉક્તિમાં નંદીએ અજાણતાં, કેવળ ભોળપણમાં, આ ભૂલ કરી છે એવું તો પ્રભુ સ્વીકારે જ છે; તેમ છતાં, જાણતાં ભૂલ કરી હોય કે અજાણતાં — કર્મનું ફળ તો દરેકે ભોગવવું જ રહ્યું. પ્રભુએ નંદીને કર્મનું ફળ મળે ને માણસો ભૂખે ન મરે એટલું અનાજ તો એમને મળી રહે એવો રસ્તો કાઢ્યો. પ્રભુએ નંદીને સજા ફરમાવી: ‘પૃથ્વી પર બળદનો અવતાર લે, કાંધે ધૂંસરી ઉપાડી ખેતર ખેડ ને માણસોના કોઠારો અનાજથી ભરીને એમના પ્રાણનું પોષણ કર.’ બસ! તે દિવસથી નંદી પૃથ્વી પર બળદનો અવતાર ધારણ કરીને ફરે છે. કાવ્યના પ્રારંભમાં ‘કાંધ કંપાવતો ને પૂછ ઉછાળતો’ ગર્વીલો દેખાતો નંદી કાવ્યના અંતે સાવ રાંક થઈ ગયેલો દેખાય છે. કાવ્યના પ્રારંભે —

કંપાવી કાંધ ને પૂછ ઉછાળી,
નંદી સૌને પૂછે —
—માં કંઈક ગર્વીલો નંદી દેખાય છે.
કાવ્યના મધ્યે —
‘શિવજીનો તો ગૌરી સાથે
ચાલે છે સંલાપ;
કહો તો જઈ પૂછી આવું’

—માં પોતાની સત્તાની રુએ પૃથ્વીવાસીઓ પર મહેરબાની દાખવતો નંદી દેખાય છે. કાવ્યના અંતે —

‘આંખો મીંચીને ડોલતો નંદી
થઈ ગયો ઊંચેકાન.’

—માં પ્રથમ પંક્તિમાં હજુ પોતાની મસ્તીમાં મહાલતો દેખાતો નંદી — પોતે કેવી ભયંકર ભૂલ કરી છે તેનો ખ્યાલ આવતાં સ્તબ્ધ થઈ જાય છે. ‘ઊંચેકાન’ એક જ શબ્દ દ્વારા સ્તબ્ધ થઈ ગયેલો ભોળો નંદી કેવો ઊપસી આવે છે! નંદીએ ભયંકર છબરડો વાળ્યો હોવા છતાં ભોળપણને કારણે એના તરફ ભાવકનાં ચિત્તમાં અનુકંપા જાગે છે. આ દરેક ચિત્રમાં નંદીના મિજાજના જુદા જુદા રંગો કેવળ એનાં અંગોનાં વિવિધ સંચલનો દ્વારા સૂચવાયા છે એ સહૃદયો અવશ્ય નોંધશે. માનવીના વિષમ જીવનના વર્ણન સાથે કાવ્ય પૂરું થાય છે:

ત્રણ ત્રણ વેળા ખાતાં માનવ
વધ્યાં, ધરામાં ન માતાં માનવ,
ખાઉં ખાઉં કરે ન ધરાતાં માનવ
એને કંઈ દાણો પૂરે.

પ્રભુએ તો માણસજાત નિરાંતે જીવે એનું આયોજન કર્યું હતું. પણ નંદીની સામાન્ય ભૂલે એ આયોજન વિફળ થયું!

*

‘વૃષભાવતાર’ કાવ્યનો આસ્વાદ અહીં અટકાવી દઈએ તોપણ પૂર્ણ તૃપ્તિનો અનુભવ થાય જ. પરંતુ ઉત્તમ કાવ્યોમાં નવા નવા અર્થો પ્રગટાવવાની ગુંજાશ રહેલી હોય છે. કાવ્યમાંથી ભાવકને મળતા નવા નવા અર્થો જે-તે કાવ્યના સર્જન સમયે કવિના મનમાં સંપ્રજ્ઞાતપણે ન પણ હોય તે તદ્દન શક્ય છે. આ કાવ્યમાંથી પ્રગટતા કેટલાક નવા અર્થોના ઉપલક્ષ્યમાં પણ કાવ્યનો વિશેષ આસ્વાદ લઈએ? બ્રહ્માંડમાં વિલસી રહેલું ચૈતન્યતત્ત્વ આનંદરૂપ છે. આ જ ચૈતન્યતત્ત્વનો અંશ મનુષ્યમાં છે. એટલે મનુષ્યની ચેતના પરમ ચેતના સાથે એકરૂપ થાય તો એ પરમ આનંદની અનુભૂતિ કરી શકે. આ માટે મનુષ્યચેતનાનું શુદ્ધીકરણ આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. ‘દેહભાવ’ કે ‘જીવભાવ'ને કારણે મનુષ્યની ચેતના સતત અશુદ્ધ થતી રહે છે — અને તેથી જ એના શુદ્ધીકરણની પ્રક્રિયા પણ સતત થતી રહેવી જોઈએ. મનુષ્યનું ધ્યાન સતત આ શુદ્ધીકરણ પરત્વે રહે એ માટે પ્રભુએ સર્વ મનુષ્યો માટે — ‘ત્રણ વાર ન્હાય, એક વાર ખાય.’ — એવું આયોજન કર્યું હતું. ‘નાહવું’ એટલે માત્ર શરીરશુદ્ધિ — બાહ્યશુદ્ધિ એટલો જ અર્થ નથી — ‘નાહવું’ એટલે ‘આત્મશુદ્ધિ’ પણ. જળ રૂપે પરમ તત્ત્વની કૃપાનો અભિષેક થઈ રહ્યો છે એવા ભાવથી જો સ્નાન થાય તો શરીરશુદ્ધિ સાથે આત્મશુદ્ધિ પણ થતી રહે. આવું ‘આત્મસ્નાન’ જો દિવસમાં ત્રણ વાર થાય — એટલે કે દિવસભર એનું સાતત્ય જળવાઈ રહે — તો મનુષ્યનું ધ્યાન ‘આત્મશુદ્ધિ’ પર સતત રહી શકે અને તો ‘આનંદતત્ત્વ’ સાથે એ એકરૂપ બની શકે. પરંતુ મનુષ્યમાત્રમાં રહેલો ‘નંદી’ — ‘દેહભાવ’ કે ‘જીવભાવ’ એને ભુલાવામાં નાખતો રહે છે. ત્રણ વાર નાહવાને બદલે — સતત આત્મશુદ્ધિને બદલે — મનુષ્યમાં રહેલા નંદીના પ્રભાવને કારણે એ ‘ત્રણ વાર ખાવા’ તરફ — ભોગવિલાસ તરફ ઘસડાઈ ગયો છે. ગંગાસતીના એક ભજનમાં આવે છે: ‘સૂક્ષ્મ સૂવું ને સૂક્ષ્મ ચાલવું ને

સૂક્ષ્મ કરવો આહાર રે.’

— પરંતુ ‘સૂક્ષ્મ’ આહારને સ્થાને વધુ ને વધુ ‘આહાર’ તરફ — વધુ ને વધુ ભોગ તરફ માણસ ઘસડાતો રહ્યો છે. એક સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે તે પ્રમાણે અગ્નિમાં ઘી નાખો તો અગ્નિ શમે નહિ, વધુ પ્રદીપ્ત થાય એ રીતે ‘ભોગ’ અભિમુખ મન વધુ ને વધુ ‘ભોગ’ તરફ ખેંચાતું રહે છે.S એટલે મનુષ્યમાં રહેલા ‘નંદી'ને નાથીને — ‘ભોગ'માંથી મન પાછું વાળીને ‘યોગ’ તરફ મન વાળવામાં આવે તો પરમ તત્ત્વ સાથે એકરૂપ થઈ શકાય. ‘યોગ'ના અનેક અર્થોમાં એક અર્થ છે ‘મિશ્રણ’. પરમ ચૈતન્ય સાથે મનુષ્યની ચેતનાનું ‘મિશ્રણ’ થઈ જાય તો ગંગાસતીએ મનુષ્યમાત્ર પાસે જે અપેક્ષા રાખી છે, ‘ભાઈ રે, આઠે પહોર રહેવું આનંદમાં ને

વધુ ને વધુ જાગે જેથી પ્રેમ રે…’

— એવું થઈ શકે. પણ નિયતિતત્ત્વ ઘણું બળવાન છે. આ નિયતિતત્ત્વના પ્રભાવને કારણે પેલા ‘નંદી'ને નાથવાનું સહેલાઈથી બની શકતું નથી. નિયતિના પ્રભાવ હેઠળ ‘નંદી’ મનુષ્યને સતત ભુલાવામાં નાખતો રહે છે — ભોગવાદ તરફ ખેંચતો રહે છે, પરિણામે મનુષ્ય પેલા અનિર્વચનીય ‘આનંદ'થી વધુ ને વધુ દૂર જતો જાય છે. ઉત્તમ કવિ ને ઉત્તમ કવિતા ભાવકને ક્યાંથી ક્યાં સુધી લઈ જવાનું સામર્થ્ય ધરાવે છે!