આત્માની માતૃભાષા/48

From Ekatra Wiki
Jump to navigation Jump to search


Ex-eternityથી eternity

પ્રવીણ દરજી

શું શું સાથે લઈ જઈશ હું?

શું શું સાથે લઈ જઈશ હું?
કહું?
લઈ જઈશ હું સાથે
ખુલ્લા ખાલી હાથે
પૃથ્વી પરની રિદ્ધિ હૃદયભર —
વસન્તની મ્હેકી ઊઠેલી ઉજ્જ્વલ મુખશોભા જે નવતર,
મેઘલ સાંજે વૃક્ષડાળીઓ મહીં ઝિલાયો તડકો,
વિમળ ઊમટ્યો જીવનભર કો અઢળક હૃદય-ઉમળકો,
માનવજાતિ તણા પગમાં તરવરતી ક્રાન્તિ
અને મસ્તકે હિમાદ્રિશ્વેત ઝબકતી શાન્તિ,
પશુની ધીરજ, વિહંગનાં કલનૃત્ય, શિલાનું મૌન ચિરંતન,
વિરહ-ધડકતું મિલન, સદા-મિલને રત સંતન
તણી શાન્ત શીળી સ્મિતશોભા,
અંધકારના હૃદયનિચોડ સમી મૃદુ કંપિત સૌમ્ય તારકિત આભા,
પ્રિય હૃદયોનો ચાહ
અને પડઘો પડતો જે ‘આહ!'
મિત્રગોઠડી મસ્ત, અજાણ્યા માનવબંધુ
તણું કદી એકાદ લૂછેલું અશ્રુબિન્દુ,
નિદ્રાની લ્હેરખડી નાની — કહો, એક નાનકડો
સ્વપ્ન-દાબડો,
(સ્વપ્ન થજો ના સફળ બધાં અહીંયાં જ)
— અહો એ વસુધાનો રસરિદ્ધિભર્યો બસ સ્વપ્ન-સાજ!—
વધુ લોભ મને ના,
બાળકનાં કંઈ અનંત આશ-ચમકતાં નેનાં
લઈ જઈશ હું સાથે
ખુલ્લા બે ખાલી હાથે.
ખુલ્લા બે ‘ખાલી’ હાથે?
અમદાવાદ, ૨૩-૧૨-૧૯૫૪

‘શું શું સાથે લઈ જઈશ હું?’ એવું શીર્ષક વાંચીને કાવ્યમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે એક શ્વાસે વાંચતાં વાંચતાં આપણે અંતિમ પંક્તિ ઉપર અટકીએ છીએ. આરંભની પંક્તિના પ્રશ્નાર્થથી કહો કે અંતિમ પંક્તિના પ્રશ્નાર્થ ઉપર! આરંભનો પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ છે, અંતનો પ્રશ્નાથ પ્રશ્ન રહીને પણ એક સભર ઉત્તર છે. આ બે વચ્ચે કવિની સૂક્ષ્મ આંતરકથા છે. આ કવિ જેટલો માનવકુળનો છે, ‘યથાર્થ'નો છે, એટલો જ ઋષિકુળનો પણ છે. ‘દેવોનું કાવ્ય’ આ ‘અમૃતપુત્રે’ કવિની નજરથી નિહાળ્યું છે, તેના મર્મકોષો સુધી તે પહોંચ્યા છે, આગળ વધીને કહીએ તો તે એ સર્વમાં એકાકાર થઈ ચૂક્યા છે. ‘યથાર્થ’ ખરું પણ ભર્યું ભર્યું, કૃતાર્થ કરી મૂકે, પ્રસન્ન કરી મૂકે તેવું. કવિની એવી ‘દૃષ્ટિ'એ જોતાં ભાવક માટે પણ જગતનો અર્થ બદલાઈ જતો હોય છે. કવિ અહીં કાવ્ય લઈને, એક રીતે તો આપણી સાથે ગોષ્ઠી જ માંડે છે. આરંભની પ્રથમ પંક્તિનો પ્રશ્નાર્થ ભાવકમાં કુતૂહલ જગવે, પાંખમાં લે અને તરત જ બીજી પંક્તિનો ‘કહું?’ એવો પ્રશ્ન કરી તે આપણી સાથે સહજ રૂપે સંવાદ રચી રહે છે. અને પછી સળંગ કટાવને બદલે યથેચ્છ રૂપે અભ્યસ્ત કરી કટાવની જેમ જ સૃષ્ટિના અનેક પદાર્થો ઉપર તેમની નજર ઊડાઊડ થઈ રહે છે. હાથ ભલે લોકનજરે ખુલ્લા હોય, પણ ધરતીને અલવિદા કરતાં એ હાથમાં હશે ધરતીની હૃદયભર રિદ્ધિ, વસન્તની મહેક અને સુષમા, મેઘાચ્છાદિત સાંજે તરુશાખામાં ઝિલાયેલો તડકો, અઢળક હૃદયઉછાળ, માનવની ગતિ અને શાંતિ, પક્ષીઓનાં નૃત્ય, પશુઓની સહિષ્ણુતા, શિલાઓનું શાશ્વત મૌન, માનવીય વિરહ-મિલનની ક્ષણે, તેની શોભા, રાત્રિના તારકવૃંદની આભા, પ્રિયહૃદયોની ચાહના, અને સાથે જ્યાં ‘આહ’ છે ત્યાં પહોંચી જવાની વૃત્તિ, મિત્રો સાથેની મસ્ત ગોષ્ઠીઓ, અજાણ્યાઓનું લૂછેલું અશ્રુબિન્દુ, નિદ્રા, સ્વપ્નો, અસિદ્ધ રહે તો પણ એવા સ્વપ્નનો સાજ, બાળકનાં આશાભર્યાં નયન… અને એવું ઘણુંક… પ્રશ્ન વાચને કોઈકને આ એક યાદી લાગે! પણ કવિતાના આ અભિધાસ્તરે રાજી થયેલા ભાવક માટે બીજા-ત્રીજા વાચને એક બીજું, ઊંડું સ્તર પણ છે. પેલા શબ્દો ‘યાદી’ મટીને પછી કશાકના સંકેત બની રહે છે. વોલ્ટ વ્હિટમેનની જેમ આ કવિએ પણ પૃથ્વીને બેસુમાર પ્રેમ કર્યો છે. I have loved the earth, sun, animals. જે પૃથ્વી અને મનુષ્યને ચાહે છે, ચાહી શકે છે તે જ આવાં તત્ત્વોનો સાક્ષાત્કાર કરી શકે છે. પેલી ‘યાદી’ એમ અહીં સૃષ્ટિ સાથેના ભીતરના સંવાદની, તેની સાથેની તદ્રૂપતાની સંવેદ્ય દુનિયા બની જાય છે — સાવ પોતાની! બોદલેરે એના એક કાવ્યમાં ઠોકપૂર્વક કહ્યું હતું કે I know the art of evoking happy moments. આ કવિએ એમ અહીં ‘યાદી'ની નહિ પણ આનંદસભર ક્ષણોને માણી છે તેની પ્રસ્તુતિ કરી છે. કટાવનું રમળિયાતપણું આવા સંવેદનાજગતને સહજ રીતે ઉદ્ભાસિત કરી આપે છે. કાવ્ય એમ ખાલી હાથે આવેલા પણ ભર્યાભર્યા હાથે જનારા કવિના મિજાજનું તો દ્યોતક બને છે જ, પણ સાથે સાથે અંદરની સંતૃપ્તિની ફરફર પણ અનુભવાય છે — No longing remains unfulfilled એવી! જુઓ, કાવ્યને ફરી એક વાર વાંચો, મોટેથી અને અંદરથી પણ. આરંભના પ્રશ્ન ઉપરથી અંતિમ પ્રશ્ન ઉપર પાછો કવિ આવીને પૂછે છે ખુલ્લા બે ‘ખાલી’ હાથે? ચતુર કવિએ પોતાને જે કહેવાનું હતું તે ‘કહું?’ કહીને કહી દીધું. પછી પેલા ગમતાં તત્ત્વોના સંકેત પ્રસાર્યા, આપણી સન્મુખ એ જગત રચી આવ્યું હવે ઉત્તર ભાવક પાસે માગે છે! કવિની ભીતર જે વાત પડી છે તે આપણા હોઠ ઉપર પણ છે જ. ના. એ હાથ ખુલ્લા જરૂર હશે પણ ‘ખાલી’ નહિ હોય. એમાં માનવીનું, જગતનું મધુ પડ્યું હશે. કવિના જ એક સૉનેટને યાદ કરીને કહીએ તો — ‘મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું!’ એ હાથ એમ અમૃતસભર હશે — ખુલ્લા છતાં ભરેલા! આ હાથ વિશ્વવિજેતા સિકંદરના નહિ, કવિના છે, ખાલી છતાં ભરેલા! કાવ્યમાંના સંવાદતત્ત્વને, વિશેષે તો પ્રશ્નાલંકારને વટીને આગળ વધો. ‘સાથે', ‘હાથે', ‘તડકો', ‘ઉમળકો', ‘ક્રાન્તિ', ‘શાંતિ', ‘ચિરંતન', ‘સંતન', ‘શોભા', ‘આભા', ‘ચાહ', ‘આહ', ‘બંધુ', ‘અશ્રુ’ વગેરે પ્રાસનું કામણ જુઓ — કાવ્ય ઝગમગી ઊઠશે, કટાવનું અને કવિની અભીપ્સા — સ્વપ્નોનું નર્તન પ્રત્યક્ષ થશે. ગતિ અને દૃઢીભૂતતાનો પણ અનુભવ કરાવશે. ‘કહું?'થી કવિએ આપણને એની પાંખમાં લઈ જે પૃથ્વી-મનુષ્યકથા વિસ્તારી છે તે અંત ઉપર આવતા સુધીમાં આપણે મૂંગામૂંગા એકલય થઈ સાંભળીએ છીએ, પણ છેલ્લી પંક્તિના પ્રશ્નમાં તે આપણું મૌન તોડે છે. આપણે તે સાથે તેમના સંવાદમાં સામેલ થઈ જઈએ છીએ. કાવ્ય પૂરું થવાની ક્ષણે આપણે આપણા ખુલ્લા હાથને ‘ખાલી’ તો નહીં રાખીએ ને? — એવા પ્રશ્ન સાથે આપણું જ કાવ્ય રચવામાં પરોવાઈ જઈએ છીએ! કવિ — નિર્ભાર કવિ, આપણી પાસેથી દૂર સરકી ગયો છે. પણ તે તેની સુગંધ આપણા હૃદયમાં ભરી ગયો હોય છે. Ex-eternityથી eternity સુધીનું વર્તુળ પૂરું થાય છે… આપણે કવિની જેમ પછી આપણી ‘યાદી'ની શોધ આદરીએ છીએ…