આત્માની માતૃભાષા/53

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘ગોકળગાય'નો રસાસ્વાદ

પ્રદીપ ખાંડવાળા

ગોકળગાય

એક ગોકળગાય ચાલે.
એની પીઠ પર નક્ષત્રોની પોઠ,
બ્રહ્માંડોની પોઠ;
એ ઝટ ઝટ કેમ કરી ચાલે?

મને ગોકળગાય મારા આંગણામાં મળી ગઈ.
‘કેમ, કંઈ નથી બોજ, તોય કેમ આમ ચાલે
ધી રી ધી રી?'
‘મને પડી જે ટેવ, છૂટે કેમ કરી?

ને તોય તારા ઘડિયાળથી તો વધુ
ઝડપભેર હું ચાલું.’

ઘડિયાળ…… ગોકળગાય……
કાળ ટગુમગુ ચાલે;
એની પીઠે
વિશ્વ(કહે છે જે ફૂલ્યે જતું)નો બોજ,
પેલા તારાનું તેજ મળવા નીકળ્યું મને
ન મારા — પૃથ્વીના પણ — જન્મ થયા પહેલાંથી.
કાળની પીઠે સ્થળની પોઠ,
કાળની ગોકળગાય
ઝટ ઝટ કેમ કરી ચાલે?
નવી દિલ્હી
૧૨-૯-૧૯૭૫


ઉમાશંકર જોશી ખગોળના શોખીન અને બ્રહ્માંડના ભોમિયા: ‘ફેલાવી બે બાહુ, બ્રહ્માંડગોર્લેવીંઝાઈ રહેતો, ઘૂમતી પૃથ્વી સાર્થેઘૂમે, સુઘૂમે ચિરકાલ નર્તન'; ‘નિહારિકાનાં સલિલે ખેલનારો,લેનાર જે તાગ ઊંડા ખગોલના… સપ્તર્ષિનો વા કરીને પતંર્ગચગાવી રહેતા ધ્રુવશું રમંર્તોપુનર્વસુની લઈ હોડલી જર્રીનૌકાવિહારે ઉરને રિઝાવતો’ (નિશીથ). ‘ગોકળગાય'માં પણ ઉમાશંકરનો આ શોખ વરતાય છે: ‘એક ગોકળગાય ચાલે. એની પીઠ પર નક્ષત્રોની પોઠ,બ્રહ્માંડોની પોઠ’. કાવ્ય અછાંદસ છે અને એનું કવન સાહિત્યિકને બદલે સંવાદી છે — ‘નિશીથ'થી સાવ જુદું. ૧૯૭૫માં લખાયેલું આ કાવ્ય કવિની ‘સમગ્ર કવિતા'ના ‘ધારાવસ્ત્ર’ સંગ્રહમાં મુકાયું છે. ‘ગોકળગાય’ અને થોડાંક અન્ય કાવ્યો વિશે કવિની નોંધ છે: ‘એ સંસ્કૃત રંગમંચ ઉપર અપટીક્ષેપથી પાત્રો આવે છે તેમ આવતાંક રજૂ થયાં છે.’ કવિએ ‘ગોકળગાય'માં કાળનાં કેટલાંક રૂપ આલેખ્યાં છે. ગુજરાતીમાં ‘કાળ'ના ઘડિયાળના સમય ઉપરાંત વિશેષ સંદર્ભો છે: યમ-કાર્ય; મહાકાળેશ્વર; જીવન-મૃત્યુની ઘટમાળ; ઇતિહાસનો તબક્કો; દૈવ; બ્રહ્માંડની ઉત્પત્તિ, વિકાસ, અને વિનાશનો કારક હોવો; બદલાવના સમયની પરિપક્વતા વગેરે. કાળને આલેખવા કવિએ ગોકળગાયને કાળનું પ્રતીક બનાવ્યું છે: ‘કાળની ગોકળગાર્યઝટ ઝટ કરી કેમ ચાલે?’ વૈશ્વિક સ્તરે મહા-કાળની ગતિ આપણને બહુ ધીમી લાગે — ખગોળવેત્તાઓ પ્રમાણે આજે છે એ બ્રહ્માંડનો વિકાસ ૧૩૦૦ કરોડ વર્ષના ગાળામાં થયો છે; પૃથ્વી ૪૦૦ કરોડ વર્ષની થઈ પછી માનવીની ઉત્પત્તિ થઈ. ગોકળગાય આપણે માટે મંથર ગતિનું પ્રતીક છે એટલે કાળની ધીમી ગતિને દર્શાવવાં કવિને ગોકળગાયનું પ્રતીક ઉચિત લાગ્યું હશે. કાવ્યની ત્રણે પંક્તિઓમાં ગોકળગાય ધીમી ગતિએ તો ચાલે છે, પણ જુદી જુદી રીતે. પ્રથમ પંક્તિમાં ગોકળગાય બ્રહ્માંડોનો બોજ લઈને ચાલે છે. બીજી પંક્તિમાં કોઈ પણ બોજ વગર ચાલે છે: ‘કેમ, કંઈ નથી બોજ, તોય કેમ આમ ચાર્લોધીરી ધીરી?’ ત્રીજી પંક્તિમાં કાળરૂપ ગોકળગાય નાના બાળક કે અસ્થિર વૃદ્ધ જેમ ‘ટગુમગુ’ ચાલે છે. પહેલી અને બીજી પંક્તિમાં એની ગતિ પણ જુદી લાગે. પહેલી પંક્તિમાં મનુષ્યના માપદંડે તો અતિ ક્ષીણ ગતિ જ્યારે બીજી પંક્તિમાં ઘડિયાળની થોડી વિશેષ ગતિ: ’…તારા ઘડિયાળથી તો વધુ ઝડપભેર હું ચાલું’ — જાણે કે માણસના સમયની ગતિ સાથે ગોકળગાય સમયની ગતિ સ્પર્ધા કરી રહી છે! પહેલી બે પંક્તિઓમાં અસંગતિ છે તો ત્રીજી પંક્તિમાં કવિ કંઈક નવા વિચાર લઈને આવે છે: ‘પેલા તારાનું તેજ મળવા નીકળ્યું મને’. અને તે પણ પૃથ્વીના જન્મ પહેલાં! જાણે કે તારાના તેજને લાખો-કરોડો વર્ષથી ખબર હતી કે કાવ્યનો નાયક પૃથ્વી પર જન્મવાનો છે અને આ તેજે કોઈ કારણસર મનુષ્ય-ચૈતન્યને સ્પર્શવાનું છે. ચૈતન્ય તરફના જડતાના આકર્ષણનો, કે જડતામાંથી પ્રેરણા મેળવવાની ચૈતન્યની આસક્તિનો કવિ નિર્દેશ કરતા લાગે છે. ત્રીજી પંક્તિમાં એક બીજો વિચાર પણ નોંધપાત્ર છે અને એ છે ‘કાળની પીઠે સ્થળની પોઠ.’ વિશ્વ સ્થગિત નથી, બદલાવ-પૂર્ણ છે, જોકે આ બદલાવની ગતિ અત્યંત ધીમી હોઈ શકે. ખગોળવેત્તાઓ પ્રમાણે આદિ સ્ફોટ (Big Bang) પછી આપણું બ્રહ્માંડ જન્મ્યું અને એનો વિસ્તાર વધતો રહ્યો છે અને ખૂબ દૂરની નિહારિકાના તેજને પૃથ્વી સુધી પહોંચતાં કરોડો વર્ષ લાગે છે. ત્રીજી પંક્તિમાં કવિએ આ વિસ્તરતા વિશ્વનો ઉલ્લેખ કર્યો છે: ‘વિશ્વ (કહે છે જે ફૂલ્યે જતું)નો બોજ’. વિકસતું વિશ્વ એટલે સ્થળાંતર કરતું સ્થળ! કવિ કદાચ આપણને સાવચેત કરવા માંગતા હોય કે ભલે ને બ્રહ્માંડની ગતિ અતિ ધીમી હોય પણ બ્રહ્માંડને માપે આપણી ઘડિયાળ-કેન્દ્રિત ધમાલની કોઈ વિસાત નથી. આ વૈશ્વિક ગોકળગાયને સન્માનીશું તો આપણા જીવનને ધીરે ધીરે ઘડતી સ્થાનિક ગોકળગાયને વધુ ઉચિત રીતે સમજી શકીશું. માનવજાતિનો વિનાશ તો નક્કી છે પણ આ સમજથી એના જીવનકાળ દરમિયાન માનવ જીવી શકે ખરો. પહેલી પંક્તિની બ્રહ્માંડની ભારથી લદાયેલી ગોકળગાય અને બીજી પંક્તિની ભાર-રહિત આંગણાની ગોકળગાય — આ અસંગતિનું કવિએ નિવારણ નથી કર્યું, વાચક પર છોડી દીધું છે. કદાચ વાત ‘બ્રહ્માંડે સો પિંડે’ જેવી હોઈ શકે — ભૂતકાળનું વહેણ વર્તમાનકાળમાં મોજૂદ છે અને જે વિશ્વમાં વ્યાપેલો કાળ છે તેને આપણે આપણા આંગણામાં પણ અનુભવી શકીએ છીએ (‘મને ગોકળગાય મારા આંગણામાં મળી ગઈ’). ઘડિયાળ અને ગોકળગાયનો સંબંધ પણ આપણે અટકળે સાધવાનો રહે છે. કદાચ ઘડિયાળથી બદ્ધ ચીલાઓમાં આપણા સ્થગિત થયેલા જીવન-માર્ગ પર કવિનો કટાક્ષ હશે. મને કાવ્યમાં શેની મજા પડી એની વાત કરું. કાવ્યમાં કવિનો જાદુઈ વાસ્તવિકતા (magic realism)નો ઉપયોગ રસ ઉપજાવે છે: બ્રહ્માંડની પોઠ લઈને ચાલતી ગોકળગાય, આંગણામાં મળી આવતી માણસ સાથે વાત કરતી ગોકળગાય, બાળકની જેમ ટગુમગુ ચાલતી ગોકળગાય, કાવ્યના નાયકને મળવા નીકળેલું તારાનું તેજ. બ્રહ્માંડની અને મનુષ્ય-વિશ્વની વિસ્મયતાના અને પરિવર્તનશીલતાના પરિઘમાં આ જાદુઈ વાસ્તવ સરળ ભાષામાં આલેખાયું છે એની પણ ઑર મજા છે.