આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/C

સંજ્ઞાકોશ
C

Cacophony શ્રુતિકટુત્વ

ચોક્કસ પ્રકારનો પ્રભાવ ઊભો કરવા માટે સર્જક દ્વારા થતું કર્કશ કે કઠોર શ્રુતિઓનું સંયોજન. જેમકે, સિતાંશું યશશ્ચન્દ્રના ‘મૃત્યુ–એક સરરિયાલિસ્ટ અનુભવ’ કાવ્યની પંક્તિઓ જુઓ :

‘ભડક્યા સામી છાતી, અડધાં કરું બંધ જ્યાં કમાડ
ધડ ધડ ધડ ધડ ધડ આવી સીધા અથડાયા, ધાડ.
પાંપણ તોડી, તોડ્યા ખડકો
ખોપડીઓને ભુક્કે ઊંડે આંખ મહીં જઈ પોઢ્યા’

Cadence મૂર્ચ્છના, સ્વરાવરોહ

બોલવામાં અવાજની ચડઊતર સામાન્ય અર્થમાં ભાવોના સ્વાભાવિક લયનો-’આંતરલય’નો—આરોહ અવરોહનો નિર્દેશ કરે છે. વિશિષ્ટ અર્થમાં વાક્યના અંત પહેલાં આવતી લયાત્મક તરાહનો નિર્દેશ કરે છે : જેમકે, પ્રશ્નાર્થ. ગદ્ય અને પદ્ય બંનેમાં આની ઉપસ્થિતિ છે.

Caesura યતિ, વિરામ

પદ્યમાં આવતો યતિ. પદ્યપંક્તિનાં માધુર્યનો આધાર યતિ પર છે. પંક્તિના પ્રારંભમાં આવતો યતિ આદિ – યતિ, મધ્યમાં આવતો મધ્ય યતિ અને અંતે આવતો અંત્ય યતિ તરીકે ઓળખાય છે. યતિની મુખ્યત્વે બે વિરુદ્ધ કામગીરી છે; એક બાજુ, સ્વરૂપ અને શૈલીને એ દૃઢ કરે છે, તો બીજી બાજુ છાંદસ તરાહોની તાણને મન્દ કરે છે.

Calligraphy અક્ષરલેખન

અક્ષરોના આકારોને વિવિધ રીતે રજૂ કરી શબ્દના અર્થ સાથે તેનો સમન્વય સધાય અને આકર્ષક ભાત ઊભી થાય એ બે હેતુઓથી અક્ષરલેખનનો સાહિત્યકૃતિના મુદ્રણ, લેખનમાં ઉપયોગ થાય છે.
શબ્દોની જુદી જુદા ગોઠવણી દ્વારા કાવ્યના અર્થને પ્રગટ કરવાનો પ્રયત્ન concrete poetryમાં થાય છે, તેમાં પણ આ પ્રવિધિનો વિનિયોગ છે.

Canto સર્ગ, પર્વ, કાંડ

મૂળ લેટિન શબ્દ cantus=songમાંથી ઉદ્‌ભવેલી આ સંજ્ઞા દીર્ઘ કાવ્યકૃતિના વિભાગોનું સૂચન કરે છે. અગાઉ કોઈ પણ કાવ્યકૃતિના ગેય ખંડને આ સંજ્ઞાથી ઓળખવામાં આવતો.
નવલકથાનાં વિવિધ પ્રકરણોની જેમ આ વિભાગીકરણ દ્વારા કાવ્યકૃતિનું વસ્તુ-વિભાજન સિદ્ધ કરવામાં આવતું.

Caption શીર્ષક, મથાળું

પુસ્તકના પૃષ્ઠની ઉપરના ભાગમાં પુસ્તકનું નામ, પ્રકરણનું નામ કે તે પૃષ્ઠમાં સમાવાયેલી માહિતી અંગેનું શીર્ષક.
પુસ્તકમાં સમાવાયેલાં માહિતીપ્રદ ચિત્રોની નીચેના ભાગમાં ચિત્ર વિશેનું ટૂંકું લખાણ પણ આ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે.

Caricature ઠઠ્ઠાચિત્ર

કોઈપણ પાત્રનું તેના વ્યક્તિત્વનાં સૌથી વધુ નોંધપાત્ર લક્ષણોની અતિશયોક્તિપૂર્ણ કે વિકૃત રજૂઆત કરતું શબ્દચિત્ર. એ સ્વતંત્ર લેખ સ્વરૂપે કે નાટક, નવલકથાના પાત્રવિશેષનું વર્ણન કરતા ભાગરૂપે જોવા મળે છે.
ઠઠ્ઠાચિત્રને પરિણામે નીપજતો હાસ્યરસ કટાક્ષપૂર્ણ કે વ્યંગાત્મક ન હોતાં હળવા પ્રકારનો હોય છે. હાસ્યનાટકોમાં આ પ્રકારનાં શબ્દચિત્રો વધુ પ્રમાણમાં જોવા મળે છે. કરુણરસપ્રધાન નાટકોમાં ઓછા મહત્ત્વનાં પાત્રો સંદર્ભે હળવા પ્રસંગ નિરૂપણ (comic relief)માં આ પ્રવિધિ પ્રયોજવામાં આવે છે. જેમકે, ‘ભદ્રંભદ્ર’ (રમણભાઈ નીલકંઠ કૃત નવલકથા)માં ભદ્રંભદ્રનું પાત્ર.

Cartoon વ્યંગ-ચિત્ર

મૂળ ઇટેલિયન શબ્દ carta (કાગળ)ને આધારે આ સંજ્ઞા તેના આધુનિક અર્થમાં સામયિકો, વર્તમાનપત્રો કે પુસ્તકોમાં રજૂ થતાં વ્યંગ-ચિત્રોનું સૂચન કરે છે. આ પ્રકારનાં ચિત્રોમાં વ્યક્તિ, વ્યક્તિઓ કે પ્રસંગ-દૃશ્યનું વિકૃત છતાં મૂળ વ્યક્તિ કે સંદર્ભને પામી શકાય તે રીતે નિરૂપણ કરવામાં આવે છે.

Catachresis દૃષ્પ્રયોગ

શબ્દનો ખોટો ઉપયોગ. શબ્દ જે અર્થ ન આપતો હોય એ અર્થમાં શબ્દને પ્રયોજવામાં આવે છે. જેમકે, રાજેન્દ્ર શાહની પંક્તિમાં ક્ષિતિજના અર્થમાં

‘ક્ષિતરેખ’નો પ્રયોગ :

તરુની ક્ષિતિરેખ પાછળ
લય પામે રવિ રશ્મિ અંતિમ

Catalogue verse સૂચિપદ્ય

વસ્તુઓ, સ્થળો કે વ્યક્તિઓનાં નામોની યાદી આપતું પદ્ય. મધ્યકાલીન સાહિત્યમાં ભૌગોલિક કે સાંસ્કૃતિક હકીકતો સ્મરણમાં ટકે એ માટે પ્રયત્ન કરાતો અને મોટે ભાગે આ પ્રથા મહાકાવ્યોમાં હતી. જૈન સાહિત્યમાં જોવા મળતી પટ્ટાવલીઓ અને ગુજરાતી આખ્યાન સાહિત્યમાં સૂચિપદ્ય જોઈ શકાય છે. જેમકે, પ્રેમાનંદના ‘ચન્દ્રહાસાખ્યાન’ની પંક્તિઓ જુઓ :

“વેલ વાળો ને વરસડો વારુ, વાયુ સુગંધિત વાય
સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી શોભાય
શ્રીફળ ફોફળ કેરડી રે કેળ ને કોરંગી
બીલી બદરી મલિયાગર મરચી લીંબણ ને લવિંગ.”
(કડવું ૧૩, ૪, ૫ કડીઓ)

Cataphora અનુદર્શી

પછીના આવનાર ઘટકનો નિર્દેશ કરતી સંજ્ઞા. મોટે ભાગે એ અવેજી રૂપ હોય છે. જેમકે ઉમાશંકર જોશીના ‘બાલ રાહુલ’ની પંક્તિઓ :

“મૂંગો ગણ્યો મેં ઠપકો વિધિનો :
રે કાં હજી તું લપટાઈ છે રહ્યો?”

Catastrophe નિર્વહણ

નાટક કે નવલકથાના વસ્તુ-વિકાસમાં અંતિમ ઘટનાનું નિર્માણ કરતો મહત્ત્વનો વળાંક. નવલકથા કે નાટકના વસ્તુ-વિકાસના વિવિધ તબક્કાઓનું પાશ્ચાત્ય વિવેચનમાં થયેલું પૃથક્કરણ ભરતના નાટ્યશાસ્ત્રમાં નાટકના વસ્તુવિકાસના તબક્કાઓ સૂચવતી પાંચ સંધિઓ સાથે સરખાવી શકાય એવું છે :
Exposition (મુખ), Introduction (પ્રતિમુખ), Rising Action (ગર્ભ), Falling Action (વિમર્શ), Catastrophe (નિર્વહણ).

Catharsis વિરેચન

કલાકૃતિ દ્વારા (વિશેષ રીતે નાટક દ્વારા) ભાવકની લાગણીઓ, આવેગોનું વિશોધન. મૂળે વૈદ્યકીય પરિભાષાનો આ શબ્દ કલાકૃતિ અને ભાવકના વિશેષ સંબંધને મૂલવવા માટે પ્રયોજાય છે. કરુણરસપ્રધાન નાટક(Tragedy)ના સંદર્ભમાં ‘પોએટિક્સ’ પ્રકરણ-૬માં ઍરિસ્ટોટલ તે પ્રકારના નાટક દ્વારા દયા (pity) અને ભીતિ (horror) જેવા ભાવોની થતી શુદ્ધિનો નિર્દેશ કરે છે.

Chant (મંત્ર) ગાન

વાચન કે ગાયન માટે નહિ પણ પાઠ માટે હોય તેવી કવિતા. કવિતા જ્યારે ગવાય ત્યારે સંગીત દ્વારા એનો લય નિયંત્રિત થાય છે પરંતુ જ્યારે એનો પાઠ થાય ત્યારે શબ્દો સંગીતતત્ત્વને ગૌણ રાખે છે.

Characterisation પાત્રાલેખન

કથાસાહિત્ય અને નાટકમાં પાત્રની વિષયગત, શૈલીગત રજૂઆતથી કૃતિના વસ્તુને ઉપસાવવામાં આવે છે. પાત્રને નિરૂપવાની કળા તે પાત્રાલેખન, કેટલીક કૃતિઓમાં પાત્રાલેખન વસ્તુ(plot)ની સરખામણીમાં વિશેષ પ્રભાવક નીવડે છે ત્યારે તે કૃતિનું સૌથી મહત્ત્વનું અંગ બને છે. આને લીધે કેટલીક કૃતિઓનાં શીર્ષક પાત્રના નામ ઉપરથી પાડવામાં આવે છે. જેમકે, શાકુન્તલ, શર્વિલક, કામિની વગેરે.
કેટલાક વિવેચકો સર્જક પાસેથી કલ્પિત પાત્રોને વાસ્તવિક જીવનના લોહીમાંસવાળાં પાત્રોની બરાબરીના હોય તેવાં રજૂ કરવાનો આગ્રહ રાખે છે.

Character-writing ચરિત્ર-લેખન, વ્યક્તિ-ચિત્રલેખન

વ્યક્તિના ચરિત્રની વિશેષતાઓને આધારે લખવામાં આવતાં નિબંધોની પ્રણાલી પશ્ચિમમાં સ્થિર થઈ તેના મૂળમાં ઍરિસ્ટોટલના શિષ્ય અને ગ્રીક ચિંતક થિઓફ્રેસ્ટસ (Theophrastus)નાં ‘characters’ નામે લખાયેલા આ પ્રકારના નિબંધો છે.
જેમકે, રેખાચિત્રો (લીલાવતી મુનશી), ‘ત્રિવેણી તીર્થ’ (‘દર્શક’), ‘ધૂપસળી’ (ઈશ્વર પેટલીકર), ‘નામરૂપ’ (અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ)

Charlatanism અહંમન્યવાદ

પોતે જે છે તેથી વિશેષ હોય તેવા છલ સાથે પોતાને રજૂ કરવાની વૃત્તિ. અસત્ય કે અર્ધ-સત્યને સત્યના કલેવરમાં આગળ ધરવાનું વલણ.
અહંમન્યવાદના કવિતામાં થતા દુરુપયોગથી પેદા થતી મુશ્કેલીઓ અંગે મેથ્યુ આર્નોલ્ડ કહે છે તેમ ઉત્તમ (excellent) અને અધમ (inferior) વચ્ચેનો ભેદ ભૂંસી નાખવાનો આ પ્રયાસ કવિતામાં તદ્દન અસ્વીકાર્ય છે.

Chiasmus પરાવૃત્ત પદવિન્યાસ

ગદ્ય કે પદ્યમાં સમતુલન કરતી વાક્યતરાહો; જેમાં મુખ્ય ઘટકોનો વિપર્યય કરવામાં આવ્યો હોય, બીજી રીતે કહીએ તો સમાન્તર વાક્યખંડો વચ્ચેનો વિપર્યય યુક્ત સંબંધ અહીં અભિપ્રેત છે : કાલિદાસની જાણીતી ઉક્તિ ‘ન યયૌ ન તસ્થૌ’ આનું ઉદાહરણ છે.

Chicago critics શિકાગો વિવેચકજૂથ

શિકાગો યુનિવર્સિટી સાથે સંલગ્ન વિવેચકોનું જૂથ. એમના અગ્રણી આર. એસ. ક્રેયનના સંપાદન હેઠળ પ્રગટ થયેલા ‘વિવેચકો અને વિવેચનઃ પ્રાચીન અને અર્વાચીન’ (૧૯૫૨) પુસ્તકમાં એમના વિચારો પ્રગટ છે. ઍરિસ્ટોટલના કાવ્યશાસ્ત્રને આધારે સ્વરૂપ પરત્વેના સંપ્રત્યયનો વિકાસ કરી એમણે સાહિત્યિક કૃતિઓની રચના અને સંરચનાના પરીક્ષણના મહત્ત્વ પર ભાર મૂક્યો. વિવેચનની પરિસ્થિતિમાં રહેલી વિવિધતા અંગેની તાર્કિક ભૂમિકા શોધવાની એમની મુખ્યનેમ એમણે અખત્યાર કરેલી બહુવાદમાં પ્રગટ થાય છે.

Children’s literature બાલસાહિત્ય

બાળકો માટે લખાયેલું સાહિત્ય. બાળકો માટે લખાયેલું સાહિત્ય અને વયસ્કો માટે લખાયેલું સાહિત્ય પાયાની મુખ્ય બે બાબતોમાં જુદાં પડે છે : (૧) બાળસાહિત્યમાં લેખકને ઉપલબ્ધ ભાષા અને વિભાવના એના અપેક્ષિત વાચકો(બાળકો)ની વિકસતી સમજ અને રુચિનાં કારણે મર્યાદિત બની જાય છે (૨) લેખન, ઉત્પાદન, પ્રકાશન, બજાર અને ખરીદીનું સંપૂર્ણ પરિચાલન, બાળકો દ્વારા નહીં પણ વયસ્કો દ્વારા પાર પાડવામાં આવે છે. જોકે આ બંને બાબતો બાળકો માટે લખાયેલા સાહિત્યની ગુણવત્તા પર ખાસ અસર પાડી શકતી નથી. પણ એમની હાજરી મોટાભાગની સામગ્રીને કંઈક અંશે ભાવુક અને એની પ્રકૃતિને મોટે ભાગે શૈક્ષણિક કે ઉપદેશાત્મક બનાવે છે.
આજના બાળકના કલ્પનોત્થ સાહિત્યના પ્રતિભાવના આધારે એવું કહી શકાય કે બાળસાહિત્ય અને પરિકથાઓ, દંતકથાઓ, જોડકણાંઓ વગેરે વચ્ચે લાંબું અને ઘનિષ્ઠ સાહચર્ય છે. આ પ્રકારની સામગ્રીમાંનું લાઘવ, નિરૂપણ બળ અને લયનું તત્ત્વ બાળકોની અપરિપક્વ લાગણીઓને દેખીતી રીતે જ આકર્ષે છે. આજે પણ ફેન્ટમ, મેન્ડ્રેકસ, ટારઝન, સુપરમેન જેવી ચિત્રવાર્તાઓનાં પરીકથા જેવાં પાત્રોએ બાળકોનાં હૃદયમાં ઘણું મોટું સ્થાન લીધું છે.

Chorus વૃંદગીત

પ્રાચીન ગ્રીસમાં ધાર્મિક ઉત્સવો દરમ્યાન નૃત્ય, સંગીત રજૂ કરતી મંડળી માટે આ સંજ્ઞા પ્રેયોજાતી. નાટકના વિકાસ સાથે તેનું મહત્ત્વ ઓછું થતું ગયું. ઈસ્કિલસનાં નાટકોમાં ‘કોરસ’ નાટકની ઘટનામાં ભાગ લેતું, સાફોક્લીઝનાં નાટકોમાં તેનો ઉપયોગ નાટકની ક્રિયા (Action) વિશે વિવેચન રજૂ કરવામાં થતો. યુરિપિડીઝે તેમાં ઊર્મિતત્ત્વનો વિનિયોગ કર્યો. શેક્સપિયરે તેને પાત્ર-વિશેષનું સ્થાન આપ્યો. આધુનિક નાટકોમાં આ પ્રવિધિનો વિનિયોગ જવલ્લે જ થાય છે. શેક્સપિયર અને મિલ્ટન પછી એલિયેટનાં પદ્યનાટકોમાં વિશેષરૂપે આનો વિનિયોગ થયો છે.
જુઓ : Parabasis.

Chronicle Play ઐતિહાસિક નાટક

ઐતિહાસિક ઘટનાઓને આધારે લખાયેલી નાટ્યકૃતિ.
જેમકે, ‘દર્શક’ની કૃતિઓ ‘જલિયાંવાલા’, ‘૧૮૫૭’

Chronicles ઐતિહાસિક દસ્તાવેજ

મહત્ત્વની ઐતિહાસિક ઘટનાઓને સમયાનુક્રમે લખાતો દસ્તાવેજ.
ઇતિહાસ-લેખનની આ અત્યંત સામાન્ય પણ પાયાની શરૂઆત હતી. આ પ્રકારના લખાણનો સાહિત્ય સાથે સીધો સંબંધ નહોતો; છતાં સાહિત્યકૃતિઓ માટે ઘણા સર્જકોને તેમાંથી પ્રેરણા મળી. જેમકે ફ્રોઈસાર્ટ (Froissart)ના ઐતિહાસિક દસ્તાવેજોને આધારે શેક્સપિયરે ‘રિચાર્ડ-૨’ જેવાં અનેક નાટકો લખ્યાં.

Cinematization ચલચિત્રીકરણ

ટૂંકી વાર્તા, નવલકથા, નાટક કે અન્ય કોઈ પણ સાહિત્યકૃતિનું ચલચિત્રમાં રૂપાંતર કરવા માટે મૂળ કૃતિનાં વસ્તુ અને સ્વરૂપમાં ફેરફારો કરી ચલચિત્રના માધ્યમને અનુરૂપ પટકથા તૈયાર કરવાની પ્રક્રિયા.

Circumloucation વ્યાસશૈલી

જુઓ : Periphrases

Classic પ્રશિષ્ટ

મૂળે ગ્રીક કે રોમન સાહિત્યકલા સાથે સંલગ્ઞ વસ્તુ. પછી સામાન્ય રીતે આ સંજ્ઞા દ્વારા ઉત્તમ, શિષ્ટવર્ગીય સ્થાયી રસ ધરાવતી કૃતિ સૂચવાય છે. આવી કૃતિમાં કલાના નિયમોનું સંરક્ષણ થયું હોય છે,

Classical સૌષ્ઠવપ્રિય, સંયમી, સ્વસ્થ, રૂપપ્રધાન

દરેક ક્ષેત્રમાં મનુષ્યની બે વૃત્તિઓ પ્રગટ થઈ છે : સંરક્ષક અને ઉચ્છેદક. સાહિત્યક્ષેત્રમાં પણ સંરક્ષક વૃત્તિ દ્વારા સર્જક, પરંપરાને ઉલ્લંઘ્યા વગર અને નિયમોને તોડ્યા વગર કૃતિઓ રચે છે. સ્વસ્થતા, સ્વયંપર્યાપ્તતા, નિયમબદ્ધતા, વિષય તરફનો નહીં પણ સામાન્ય તરફનો ‘પક્ષપાત’ અને આદર્શીકરણ આ વૃત્તિનાં મુખ્ય લક્ષણો છે.

Classical poetics પ્રશિષ્ટ કાવ્યમીમાંસા

ઈ.સ. પૂર્વે ૭૫૦ થી ઈ.સ. ૨૦૦ના ગાળામાં કાવ્ય અંગેના જે સિદ્ધાંતો તેમ જ માન્યતાઓ રજૂ કરવામાં આવ્યાં તેને પ્રશિષ્ટ કાવ્યમીમાંસા તરીકે ઓળખવામાં આવે છે. ઍરિસ્ટોટલ, પ્લેટો, હૉરિસ લોંજાઈનસ વગેરેની કાવ્ય અંગેની માન્યતાઓ તેમ જ તેમના સિદ્ધાંતો રજૂ કરતા ગ્રંથો દ્વારા પ્રશિષ્ટ કાવ્યમીમાંસાનો વિકાસ થયો.

Classicism સૌષ્ઠવવાદ

આ વાદ ગ્રીક ફિલસૂફી સાહિત્ય અને કલા અંગેની પુનરુત્થાનકાલની પુનઃ શોધનું પરિણામ છે. પુનરુત્થાનકાળના સૌષ્ઠવઘેલા (classicist) માટે જે કાંઈ ગ્રીક હોય તે પરિપૂર્ણતા માટેનો આદર્શ હતો.
સામાન્ય રીતે સૌષ્ઠવવાદ દ્વારા પ્રશિષ્ટ સર્જકોની સંવેદના રૂઢિઓ, રીતિઓ, શૈલીઓ એમના નિયમો અને વિષયવસ્તુ અભિપ્રેત હોય છે, અને પછીના સર્જકોની કૃતિમાં એમની ઉપસ્થિતિ અને એમની અસરો જોવાય છે.

Cliche અતિપ્રયુક્તિ

વધુ પડતા ઉપયોગને કારણે અતિપરિચિત અને બિનઅસરકારક બનેલો શબ્દ પ્રયોગ કે અલંકાર. કવિતામાં આ પ્રકારના શબ્દપ્રયોગો કવિના જીવન પરત્વેના મૌલિક, જીવંત પ્રતિભાવના અભાવે કવિએ અન્ય કૃતિઓમાંથી પ્રેરાઈને પ્રયોજ્યા હોય છે. સાહિત્યકૃતિઓમાં પ્રયોજાતાં કેટલાંક કલ્પનો, ઉપમાઓ, રૂપકો વગેરે પણ અતિવપરાશને કારણે તેના અર્થની ધાર ગુમાવી બેસતાં અતિપ્રયુક્ત બની જાય છે.
ઉત્તમ કવિઓ ક્યારેક આ પ્રકારના શબ્દપ્રયોગો વક્રતા સિદ્ધ કરવા માટે પણ સભાનપણે પ્રયોજે છે.

Climax પરાકાષ્ઠા

વસ્તુ સંયોજનાની ગૂંચનો ઉકેલ (Resolution) સૂચવે એવું વાર્તા કે નાટકના રસની ચરમ સ્થિતિનું ઘટના-બિંદુ.
‘...પરાકોટિ એટલે નાટકમાં જે કોઈ ઠેકાણે લાગણી ઉચ્ચમાં ઉચ્ચ બિંદુએ પહોંચી હોય તે ક્ષણ. એકાંકીમાં કોઈ વખતે કટોકટી (crisis), પરાકોટિ (climax) અને અંત એ એકસાથે આવે એ અશક્ય નથી. (ઉમાશંકર જોશી, ‘શૈલી અને સ્વરૂપ’. પૃ. ૯૮)

Clinamen વિકસન

જુઓ : Influence, the anxiety of

Close-Reading ઘનિષ્ઠ વાચન, સૂક્ષ્મ વાચન

અમેરિકી નવ્ય વિવેચનના ઉદય પહેલાં સાહિત્યકૃતિને ઇતિહાસ, મૂળ સ્રોત, કર્તાનું જીવનચરિત્ર કે એનો મનોભાવ, યુગદૃષ્ટિ કે પ્રવર્તમાન વિચારધારા વગેરે ધોરણોથી તપાસવાની જે પરંપરા હતી, તેના વિરોધમાં નવ્ય વિવેચને કૃતિનું કેવળ સાહિત્ય ધોરણોએ વિવેચન કરવા પર ભાર મૂક્યો. તે માટે કૃતિ બહારથી કશું આયાત કર્યા વગર, માત્ર કૃતિનું ‘ઘનિષ્ઠ વાચન’ કરવાનો અને એમ કેવળ કૃતિગત સંદર્ભોનો જ આધાર લઈને કૃતિનું અર્થઘટન કરવાનો આગ્રહ રાખ્યો હતો.

Closet Drama શ્રવ્ય નાટક

નાટક એ મુખ્યત્વે ભજવણીની કળા હોઈ નાટ્યકૃતિના તખ્તા સાથેના સંબંધને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. પરંતુ તખ્તાનાં નાટકોથી અલગ કેટલાંક એવાં નાટકો છે જે નવલકથા આદિ સ્વરૂપોની જેમ માત્ર વાંચવા સાંભળવાના હેતુસર લખાયાં હોય છે. આ નાટકો શ્રવ્ય નાટકો છે.

Coda સૉનેટ પુચ્છ

લૅટિન ‘cauda’ પરથી આવેલ સંજ્ઞા, જેનો અર્થ પુચ્છ એવો થાય છે. સૉનેટમાં પ્રસંગોપાત્ત જોડવામાં આવતો ટુકડો. કેટલાક પ્રયોગશીલ કવિઓ ચૌદ પંક્તિ પછી એકાદ પંક્તિ ઉમેરે છે. ઇટેલિયન સૉनેટમાં કોઈ વાર અંતે બે કે પાંચ પંક્તિઓ ઉમેરાતી; આ સૉनેટ ‘સપુચ્છ-સૉનેટ’ (Tailed Sonnet) કહેવાય છે. અને ઉમેરાયેલી વધારાની પંક્તિઓ ‘સૉનેટ-પુચ્છ’ તરીકે ઓળખાય છે. સૉનેટમાં યુગ્મકને અંગે એની ચોટને ધારદાર બનાવવા અથવા સંવેદનની નિઃશેષ અભિવ્યક્તિ માટે કવિઓ એનો ઉ૫યોગ કરે છે. જેમકે, જયંત પાઠકનું ‘વસંત’ સૉનેટ.

Code સંહિતા

સંકેતવિજ્ઞાની રોલાં બાર્થે પ્રચલિત કરેલી સંજ્ઞા. સંકેતવિજ્ઞાનીઓ એવું માને છે કે બુદ્ધિગ્રાહ્યતાનો આધાર સંહિતા છે. જ્યારે આપણે કોઈ ઘટનાને અર્થયુક્ત બનાવીએ છીએ, ત્યારે તેનું કારણ આપણે વિચારોની એક વ્યવસ્થા ધરાવીએ છીએ તે જ હોય છે. જેને આપણે ‘સંહિતા’ કહીએ છીએ તેના દ્વારા જ આ શક્ય બને છે. પ્રાચીન કાળમાં જ્યારે આકાશમાં વીજળી થતી હતી ત્યારે એવું માનવામાં આવતું હતું કે ઊંચા પર્વતોમાં કે આકાશમાં રહેનારી કોઈ શક્તિનું આ કામ હશે. હવે એને એક ભૌતિકવિજ્ઞાનીય ઘટના જ સમજવામાં આવે છે આમ એક પુરાકલ્પનાત્મક (Mythical) સંહિતાનું સ્થાન એક વૈજ્ઞાનિક સંહિતાએ લીધું છે. માનવભાષાઓ ‘સંહિતાકરણ’ (codification)નાં સૌથી વધુ વિકસિત ઉદાહરણો છે. જે સંહિતાઓ અસ્તિત્વમાં છે તે ઉપભાષિક (sub-linguistic) છે યા તો ભાષિકેતર (supra-linguistic) છે. ચહેરાના હાવભાવ એ ભાષિકેતર સંહિતાનું ઉદાહરણ છે; જ્યારે સાહિત્યિક પ્રણાલી એ ઉપભાષિક સંહિતાનું ઉદાહરણ છે. આમ સંહિતા એ અમૂર્ત નિયમોની એક વ્યવસ્થા છે.

Cognition સંજ્ઞાન, બોધ, જ્ઞાન

સાહિત્ય અને ભાષામાં મનોવિજ્ઞાનના સંદર્ભમાં પ્રયોજાતી સંજ્ઞા. જેના દ્વારા જીવિતો માહિતી મેળવે અથવા માહિતગાર થાય. એવી કોઈ પ્રક્રિયા. આ પ્રક્રિયાઓમાં પ્રત્યક્ષીકરણ (perception), અભિજ્ઞાન, કલ્પના, સ્મૃતિ, શીખવાની પ્રક્રિયા, વિચારણા, તર્ક વગેરેનો સમાવેશ થાય છે. આ ક્રિયા સાંવેગિક પ્રક્રિયાથી અલગ પ્રકારની છે.

Cognitive poetics સંજ્ઞાનાત્મક કાવ્યવિજ્ઞાન

સંજ્ઞાન-વિજ્ઞાને પ્રસ્તુત કરેલા વિચારોનો સાહિત્યના અધ્યયન અર્થે વિનિયોગ કરતો આંતરવિદ્યાકીય અભિગમ. આ અભિગમ કાવ્યવિજ્ઞાન પરત્વેના સંજ્ઞાન-વિજ્ઞાનના પ્રદાનની શક્યતાઓ ચકાસે છે અને તેને વ્યાપક બનાવવાનો પ્રયાસ કરે છે. આ વિજ્ઞાન કાવ્યભાષા અને વિવેચનાત્મક વિવેક માનવીય માહિતી-પ્રક્રિયા દ્વારા કઈ રીતે ઘડાય છે તથા તે કઈ રીતે નિયંત્રિત થાય છે તે શોધવાનું લક્ષ્ય ધરાવે છે. આ વિજ્ઞાનની માન્યતા મુજબ સંજ્ઞાનાત્મક સિદ્ધાંતોના સવીગત નિરૂપણ માટે સાહિત્યિક કૃતિઓનો ઉપયોગ કરવાને બદલે, સાહિત્યના મર્મને પ્રગટ કરવા માટે સંજ્ઞાનાત્મક સિદ્ધાંતોનો ઉપયોગ કરવો જોઈએ. અહીં સંજ્ઞાનાત્મક પ્રક્રિયાઓ વચ્ચેના ચોક્કસ ભેદોનો સામાન્યપણે વિચાર થાય છે અને તે પ્રક્રિયાઓ વિશિષ્ટ સાહિત્યિક હેતુઓ માટે કેવી રીતે પ્રયોજાય છે તેની તપાસ કરવામાં આવે છે. આ સમગ્ર તપાસની શરત એ છે કે તેમાંથી નીપજેલાં તારણો એટલાં વ્યાપક હોવાં જોઈએ કે તે સાહિત્યકૃતિઓમાં રહેલાં વૈવિધ્યો પરત્વે પ્રેયોજાઈ શકે તથા ચોક્કસ સાહિત્યકૃતિઓ વચ્ચે સાર્થક ભેદો પાડવા માટે પણ સક્ષમ નીવડી શકે. આ વિજ્ઞાન સાહિત્યવિવેચન, સાહિત્ય સિદ્ધાંત, ભાષાવિજ્ઞાન અને સૌન્દર્યશાસ્ત્રના સંયોજનના આધારે વિકસી રહ્યું છે. સંજ્ઞાનાત્મક-કાવ્યવિજ્ઞાનનું એક મહત્ત્વનું કાર્ય આ પ્રકારનાં સંયોજનોની શક્યતાઓ અને મર્યાદાઓ સ્પષ્ટ કરવાનું પણ છે. રૂવેન ત્સુર (Reuven Tsur) આ શાખાના મુખ્ય પુરસ્કર્તા છે.

Coherence સંગતિ

બહિરંગ પાઠની અંતઃસ્થ રહેલી સંપ્રત્યયો અને સંબંધોની આકૃતિની પારસ્પરિક સુગમ્યતા અને સાભિપ્રાયતા સાથે સંકળાયેલી પાઠ ભાષાવિજ્ઞાનની સંજ્ઞા. સંગતિનું મુખ્ય લક્ષણ છે કાર્ય-કારણત્વ. એક પરિસ્થિતિ કે પ્રસંગ જે રીતે બીજી પરિસ્થિતિ કે પ્રસંગની શરતોને અસર કરે છે તે પ્રક્રિયાને વર્ણવવા આ સંજ્ઞા પ્રયોજાય છે.

Coinage નવશબ્દનિર્માણ

નવો જ ઘડવામાં આવેલો શબ્દ. ભાષાના શબ્દભંડોળના વિકાસની આ મહત્ત્વની પ્રક્રિયા છે. અમુક અનુભવની અભિવ્યક્તિ માટે ભાષાના શબ્દભંડોળમાંથી યોગ્ય શબ્દ ન મળતાં નવા શબ્દો ઘડવામાં આવે છે. રોજબરોજની ભાષામાં પ્રયોજાતા આ પ્રકારના શબ્દોને બાદ કરીએ તોપણ જ્ઞાનની જુદી જુદી શાખાઓમાં આ પ્રવૃતિ ગંભીરતાથી ચાલી રહી છે. જુદી જુદી વિદ્યાઓની પારિભાષિક શબ્દાવલીમાં આનાં સંખ્યાબંધ ઉદાહરણો મળી આવશે ‘ઍસ્ટ્રોનટ’, ’સ્પૂટનિક’ જેવા શબ્દો આનાં ઉદાહરણો છે.

Collage સં-યોજના

વર્તમાનપત્રના ટુકડાઓ, કપડાં અને પાંદડાંઓ જેવી જુદા જુદા પ્રકારની વસ્તુઓને ચોંટાડીને તૈયાર કરેલા ચિત્રને ચિત્રકલાક્ષેત્રે સંયોજના તરીકે ઓળખવામાં આવે છે. ચિત્રકલાક્ષેત્રથી સાહિત્યક્ષેત્રે આવેલી આ સંજ્ઞા વિવિધ ઉલ્લેખો, નિર્દેશો, અવતરણો અને વિદેશી વાક્યખંડોના સંમિશ્રણ માટે વપરાય છે. સરરિયાલિઝમ-પરાવાસ્તવવાદનો પ્રભાવ અહીં કારણભૂત છે. આધુનિક કવિતા અને નવલકથામાં આ તરીકો અપનાવાય છે.
જેમકે, રાધેશ્યામ શર્માની નવલકથા ‘સ્વપ્નતીર્થ’ના પ્રારંભમાં આવતો વર્તમાનપત્રનો ઉતારો.

Collective unconscious સામૂહિક અચેતન

સામૂહિક અચેતના એ ખ્યાલ કાર્લ યુંગે મનોવિજ્ઞાનમાં અને પછી બીજી વિદ્યાશાખાઓમાં પ્રતિષ્ઠિત કર્યો. સર્જકચિત્તમાંનું સ્વયંભૂ સ્ફુરણ એ અજાગ્રત સંવિદ્‌નો જ આવિષ્કાર છે, એવો ખ્યાલ યુંગે પ્રતિષ્ઠિત કર્યો. ફ્રોઇડે વ્યક્તિના જાગૃત સ્તરની અવરુદ્ધ લાગણીના આવેગોના ઊર્ધ્વીકરણમાં કલાનો ઉદ્‌ગમ જોયો, અને એ રીતે અજાગ્રત સ્તરની પ્રક્રિયાઓ તરફ નિર્દેશ કર્યો. યુંગે સર્જકની ભાવસૃષ્ટિના આદિમ અંશો માનવજાતિની સામૂહિક અચેતનામાં રોપાયેલાં જોયાં. યુંગના મતાનુસાર અજાગ્રત ચિત્તના પ્રતિભાવ દ્વારા જ વાસ્તવનું અખિલ દર્શન શક્ય છે. આજે અનેક સર્જકો વિશુદ્ધ વાસ્તવબોધ પામવાનો આગ્રહ સેવે છે, એ માટે અજાગ્રત ચિત્તના સ્વયંચાલિત વ્યાપારોને અવકાશ આપે છે. એથી જ તેઓ ક્યારેક બુદ્ધિ અને જાગૃત ચિત્તના વ્યાપારને સર્વથા અવગણવા પ્રેરાયા છે. ખરા વાસ્તવાદ જેવો સમુદાય આવી જ કોઈ વિચારધારા પર પ્રતિષ્ઠિત થયેલો જણાય છે.

Colloquialism બોલચાલની ભાષા

ઔપચારિક કે અનૌપચારિક વાર્તાલાપોમાં પ્રયોજાતી ભાષા અથવા શૈલી. અર્થવિજ્ઞાનની આ સંજ્ઞા ભાષાના સામાજિક-સાંસ્કૃતિક સંદર્ભ સાથે સંકળાયેલી છે.

Colophone પુષ્પિકા

હસ્તપ્રત અથવા પુસ્તકના એક વિભાગનો અંતિમ અંશ, જેમાં કૃતિના એક વિભાગની, તેના એક ખંડની કે પછી સંપૂર્ણ કૃતિની પરિસમાપ્તિ દર્શાવવામાં આવી હોય. પુસ્તકના મુખપૃષ્ઠ કે પાછળના પૂંઠા પર આવતું પ્રકાશકનું પ્રતીક અને તારીખ, સ્થળ, મુદ્રક, આવૃત્તિ વગેરે અંગેની આવતી માહિતી.

Colportage ફેરીસાહિત્ય

પ્રવાસ કરી કરીને બાઈબલની નકલો કે ધાર્મિક સાહિત્ય વેચવા માટે રાખેલા ફેરિયાના કાર્ય માટે વપરાતો આ શબ્દ હલકા પ્રકારના ઉપસાહિત્યનું સૂચન કરે છે.
જુઓ : Subliterature.

Comedy સુખાન્તિકા

સામાન્ય મનુષ્યોના વર્તનમાં પરિચિત જીવનની ઘટનાઓ રોજિંદા જીવનની ભાષા બોલતાં સામાન્ય મનુષ્યોનાં વ્યવહારવર્તન તેમજ પરિચિત અને વિનોદી ઘટનાઓ સાથે કામ પાડતું નાટક. સામાન્ય રીતે મનોરંજનનો હેતુ ધરાવતું આ પ્રકારનું નાટક અતિશયોક્તિ, ઠઠ્ઠાચિત્ર, વગેરે પ્રવિધિઓનો વિનિયોગ કરે છે.
વ્યંગાત્મક અભિગમ દ્વારા આ પ્રકારનું નાટક ગંભીર વિચારોની પણ રજૂઆત કરી શકે છે.

Comedy of Humours હાસ્યનાટક

મધ્યકાલીન યુરોપમાં વૈયક્તિક સંવેગ કે લક્ષણને હાસ્યકટાક્ષના ઉપયોગથી, સજીવારોપણ દ્વારા રજૂ કરતાં ૧૬મી અને ૧૭મી સદીના ઇંગ્લૅન્ડના નાટ્યકાર બેનજોન્સન કે ફ્લેચરનાં નાટકો માટે ખાસ કરીને વપરાતી સંજ્ઞા.

Comedy of Intrigue વિદગ્ધ નાટક

પાત્રોની અપેક્ષાએ સંકુલ વસ્તુ-સંયોજન ઉપર વિશેષ આધાર રાખીને લખવામાં આવતા હાસ્ય નાટકનો એક પ્રકાર. હાસ્ય-નાટકના અન્ય પ્રકાર-રીતિ-નાટક-થી તે આ રીતે જુદું પડે છે : રીતિનાટકમાં સંકુલ વસ્તુ-સંયોજન હોઈ શકે, પરંતુ પાત્રાલેખન પરત્વે તેમાં વિશેષ કામગીરી હોય છે.
સ્પેઈનમાં આ પ્રકારના નાટ્યાલેખનનો ઉદ્‌ભવ થયો. એફ્ર બીન સિવાય અંગ્રેજી નાટ્યલેખનમાં આ પ્રકારનાં નાટકો ખાસ લખાયાં નથી.

Comedy of Manners રીતિનાટક

આ પ્રકારનાં નાટકો કોઈ એક ચોક્કસ સમાજ-વ્યવસ્થાનાં પાત્રોની વર્તણૂક અને તેમના આચાર-વિચારની લાક્ષણિકતાઓને કેન્દ્રમાં લઈને લખાય છે. સામાન્ય રીતે અહીં મધ્યમ અને ઉપલા વર્ગના સમાજનું ટીકાત્મક ચિત્રણ સૂક્ષ્મ વિનોદના આવિષ્કાર દ્વારા કરવામાં આવે છે.
ઇંગ્લૅન્ડમાં ૧૯મી સદીની ‘રેસ્ટોરેશન કૉમેડી’નાં ઘણાં નાટકો આ પ્રકારનાં નાટકો હતાં. કોન્ગ્રીવ, ઓસ્કર વાઇલ્ડ વગેરેએ આ પ્રકારનાં નાટકો આપ્યાં.

Comedy of Morals નીતિનાટક

સામાજિક દૂષણોને દૂર કરવાના આશયથી દંભ, લોભ, ગેરરીતિઓ જેવાં વ્યાપક અપલક્ષણોની ટીકા કરતું નાટ્યલેખન. મોલિઅર આ પ્રકારનાં નાટકોનો પ્રણેતા ગણાય છે. બેનજોન્સન અને બર્નાડ શોએ પણ આ પ્રકારનાં નાટકો લખ્યાં છે.
સુખાન્તિકાના આ પ્રકારની ઓળખ તેના સ્વરૂપને નહીં પણ તેના વસ્તુને ધ્યાનમાં લઈને થાય છે.

Comic Relief હાસ્યવિશ્રાન્તિ

ગંભીર પ્રકૃતિની સાહિત્યિક કૃતિ-વિશેષતઃ નાટક-માં ભાવકને મુખ્ય વસ્તુથી પરાવૃત્ત કરતું હાસ્યરસનું તત્ત્વ જે કોઈ પ્રસંગે કે સંવાદ સ્વરૂપે રજૂ કરવામાં આવે. આ પ્રવિધિ બે વિરોધી અસરો એકી સાથે ઉપજાવે છે : એક બાજુ કૃતિના મૂળ ગંભીર, કરુણ-રસને લીધે જાગેલો પ્રક્ષોભ (tension) સમાવે છે, તો બીજી બાજુ ગંભીર-કરુણ-રસને વધુ સઘન બનાવે છે.
સંસ્કૃત નાટકોમાં વિદૂષકના પાત્ર દ્વારા આ કામ લેવામાં આવતું જોઈ શકાય છે.

Comic Strips ચિત્રમાલા

સામયિકો તથા સમાચાર-પત્રોમાં હપતાવાર પ્રગટ થતી ચિત્ર-શ્રેણી. આ શ્રેણીમાં સાહસ-કથા કે હાસ્ય-ક્થાને વણી લેવામાં આવી હોય છે.

Commentator વાર્તિકકાર

ક્યારેક સર્જક કૃતિના વસ્તુની રજૂઆત કરવા ઉપરાંત કૃતિમાંના પાત્ર, ઘટના વિશે સમજૂતી આપવાનું વલણ દર્શાવે છે ત્યારે એ વાર્તિકકાર બની જાય છે. વાર્તા, નાટક જેવાં સ્વરૂપોમાં આ વલણ રસક્ષતિ જન્માવે છે.
આખ્યાનને માણભટ્ટ વિધેયાત્મક અર્થમાં આ ભૂમિકા નીભાવતો જોવાય છે.

Communication સંપ્રેષણ, પ્રત્યાયન

કલાકૃતિના પરિણામરૂપે વિચાર, ભાવ, સ્વરૂપ, આકાર, કે એ સૌની સમન્વિત અનુભૂતિ ભાવક સુધી પહોંચવાની પ્રક્રિયા.
સર્જક-ભાવક સંબંધ ઉપર પ્રકાશ પાડતી આ સંજ્ઞા પાશ્ચાત્ય વિવેચનામાં આઈ. એ. રિચર્ડ્‌ઝ, એફ. આર. લીવિસ, ક્લીએન્થ બ્રૂક્સ વગેરેએ ચર્ચી છે. કૃતિમાંથી નીપજતી સૌંદર્યાનુભૂતિ, સર્જકની અનુભૂતિ અને વિચાર કે ભાવનું પ્રત્યાયન એ સર્જક-ભાવક સંબંધના મહત્ત્વના ઘટકો છે.

Companion poems કાવ્યદ્વય

અન્યોન્યને પૂરક બનતી બે કાવ્યકૃતિઓ જે એકબીજા સાથે વિરોધ કે ઉત્તર-પ્રત્યુત્તરનો સંબંધ ધરાવતી હોય. જેમકે ઉમાશંકર જોશીનાં બે સૉનેટો ‘ગયાં વર્ષો અને ‘રહ્યાં વર્ષો’ તેમાં —

Comparative literature તુલનાત્મક સાહિત્ય

‘તુલનાત્મક શબ્દ અહીં તુલના કરવાની પ્રક્રિયાનો નિર્દેશ કરે છે. તુલનામાં વિષયને એવી રીતે રજૂ કરવામાં આવે છે કે જેના દ્વારા એમાંના સામ્ય અથવા વૈષમ્યનો ખ્યાલ આવી શકે. ‘તુલનાત્મક સાહિત્ય’ એ સાહિત્યવિચારની એક સ્વતંત્ર શાખા છે, જેના દ્વારા વિભિન્ન ભાષાભાષી લોકો અને દેશોના સાહિત્ય વચ્ચેના આંતરસંબંધોનું વિશ્લેષણ અને પરીક્ષણ કરવામાં આવે છે.

Competence, literary સાહિત્યિક સામર્થ્ય

વક્તા-શ્રોતામાં અંતર્નિહિત ભાષાવિષયક નિયમોને ચૉમ્સ્કી ‘ભાષા-સામર્થ્ય’ કહે છે. આ સામર્થ્યના કારણે જ ભાષક ધ્વનિસંદર્ભને સ્પષ્ટ એકમોની વ્યવસ્થા તરીકે પામી શકે છે, અને તેનો અર્થ ગ્રહણ કરી શકે છે. ભાષાવૈજ્ઞાનિક સાહિત્યવિચાર આ સંજ્ઞાને સાહિત્યના સંદર્ભમાં પ્રયોજી તેને ‘સાહિત્યિક સામર્થ્ય’ (Literary Competence) એવી સંજ્ઞા આપે છે. સાહિત્યની ભાષાની સમજણ અને સાહિત્યની સમજણ ભાષકના કે ભાવકના ‘સાહિત્યિક સામર્થ્ય’ પર આધારિત છે.

Complication કાર્યગૂંચ

નાટ્યકૃતિના વસ્તુસંયોજનમાં નાટકની ક્રિયાનો વિકાસ એક નિશ્ચિત બિંદુએ એકથી વધુ દિશાએ નિરૂપવાની શક્યતાઓ જન્માવે છે. ભાવકપક્ષે રહસ્યતત્ત્વનો આ બિંદુએ સૌથી વિશેષ અનુભવ થાય છે. કાર્યગૂંચના આ બિંદુથી કૃતિ ઉકેલ તરફ આગળ વધે છે.

Composite verse મિશ્રવૃત્ત કાવ્ય

અનેક વૃત્ત પંક્તિઓના સમન્વિત વિનિયોગથી રચાયેલી પદ્યકૃતિ.
જેમકે, ઉમાશંકર જોશીના ‘નિશીથ’ની પંક્તિઓ :

નિશીથ હે! નર્તક રુદ્રરમ્ય
સ્વર્ગંગનો સોહત હાર કંઠે
કરાલ ઝંઝા ડમરું બજે કરે
પીંછાં શીર્ષે ઘૂમતા ધૂમકેતુ
તેજોમેઘોની ઊડે દૂર પામરી
હે સૃષ્ટિ પાટે નટરાજ ભવ્ય!

Comprehension આકલન

સાહિત્યકૃતિમાં પ્રગટ થતું સર્જકનું જીવનદર્શન તેની આકલનશક્તિનું પરિણામ હોય છે. સર્જકનું આકલન જેટલું વિશાળ તેટલી કૃતિ વધુ સંકુલ બની શકે. જીવનના સીધા અનુભવો અને સર્જકની ગ્રહણશક્તિ આકલનની પ્રક્રિયાનો ભાગ છે. સર્જકનું આકલન તેની જીવન અને કલા પરત્વેની રુચિનું પણ પ્રતિબિંબ પાડે છે.

Conative પ્રતિભાવાત્મક, પ્રતિક્રિયાત્મક

રોમન યાકોબ્સને જણાવેલાં ભાષાનાં છ પ્રયોજનોમાંનું એક. યાકોબ્સનના મત મુજબ સંપ્રેષણમાં સર્જકપક્ષે ભાષાનું કાર્ય સંવેદનાત્મક (emotive) અને ભાવકપક્ષે ભાષાનું કાર્ય પ્રતિભાવાત્મક (conative) હોય છે. ભાષાનું પ્રતિભાવાત્મક કાર્ય ભાવકાભિમુખ કે શ્રોતાભિમુખ છે. આજ્ઞાર્થક વાક્ય અને સંબંધોનાં રૂપો દ્વારા ભાષાની પ્રતિભાવાત્મક શક્તિ ભાવક કે શ્રોતાને પ્રભાવિત કરનારી શક્તિ-પ્રગટ થાય છે.

Conceit કોટિ

આનો મૂળ અર્થ કલ્પન કે ભાવ થાય છે. આ કલ્પન કે ભાવ તદ્દન અણસરખી વસ્તુ કે પરિસ્થિતિની ધ્યાનપાત્ર સમાન્તરતા સ્થાપી આપે છે. પણ પછી આ સંજ્ઞા અપકર્ષી બની.
તરંગની અભિવ્યક્તિ અતિવિસ્તૃત સાદૃશ્યનું સ્વરૂપ ધારણ કરે ત્યારે કોટિ કહેવાય છે. ૧૭મી સદી અને ૧૮ મી સદીમાં ખૂબ પ્રચલિત આ કોટિનું સ્વરૂપ આયાસપૂર્ણ કૃતકતા તરીકે રંગદર્શી કવિઓએ નકાર્યું. કોટિનો સંબધ પટુતા, કૃતકતા, આયાસ સાથે છે, કોટિથી થતો આનંદ ઇન્દ્રિયવેદ્ય નહીં પણ બુદ્ધિજન્ય હોય છે.

Conceptism વિચારવાદ

૧૭મી સદીના સ્પેઇનમાં ચર્ચાસ્પદ બનેલો સાહિત્યિકવાદ. સ્પેનિશ કવિ ગૉન્ગૉરાના કાવ્યવિચારના વિરોધમાં, લોપ-દ-વેગાએ કવિતામાં વિચારોની અભિવ્યક્તિ પર વિશેષ ભાર મૂક્યો અને સરળ ભાષાશૈલીનો આગ્રહ રાખ્યો. આ વલણને વિચારવાદ તરીકે એાળખવામાં આવે છે.
જુઓ : Cultism

Conceptismo વિચારવાદ

જુઓ : Conceptism

Concordance સમનુક્રમણિકા

હસ્તપ્રતો પુસ્તકો વગેરેના અંતે જોડવામાં આવતી વર્ણાનુક્રમે તૈયાર કરેલી સમનુક્રમણિકા. આ દ્વારા જાણી શકાય કે અમુક શબ્દ અમુક કૃતિમાં કેટલી વાર પ્રયોજાયો છે અને તે કૃતિમાં ક્યાં શોધી શકાય છે. શબ્દોનો સંદર્ભ નક્કી કરવા માટે સમનુક્રમણિકા અત્યંત આવશ્યક છે.

Concrete મૂર્ત, પ્રત્યક્ષ

વાસ્તવિકતાનો અપરોક્ષ અનુભવ, કશુંક વાસ્તવિક, વિશિષ્ટ, ચોક્કસ, ખરેખરી વસ્તુઓ કે પરિસ્થિતિઓ સાથેનું કાર્ય. મૂર્તના બે પ્રકાર છે : વિશેષ અને સામાન્ય, ‘મારા પિતા’ વિશેષ મૂર્ત, પરંતુ ‘ગાય’ ‘ખુરશી’ વગેરે સામાન્ય મૂર્ત.

Concrete Poetry દૃશ્ય કવિતા, મૂર્ત કવિતા

દૃશ્ય કવિતા, આધુનિક ચિત્રકલા અને સંગીતને સમાન્તર થવાનો ઉદ્યમ કરે છે. પાના ઉપર રજૂ થયેલ પદાર્થરૂપે અહીં કવિતાને જોવાની છે. આ કવિતા જોવાય અને સંભળાય. એ રીતે જોઈએ તો ચિત્રાત્મક અક્ષરાંકન સાથેની આ દૃશ્ય કવિતા છે.
ઘણીવાર ‘દૃશ્યકવિતા’ વાચકને મૂંઝવણમાં મૂકે : એની સામે જે કવિતા છે જે વાંચવા માટેનું ચિત્ર છે કે જોવા માટેની કવિતા છે. અહીં શબ્દ ભૌતિક સ્થલગત પદાર્થ તરીકે ઊભો રહે છે અને યુગપત હયાતી ધરાવતા અર્થોની બહુલતા દર્શાવે છે. ફ્રેંચ કવિ મૅલાર્મે સ્થલગત ‘વ્યાકરણ’ દ્વારા બહુઅર્થતાની અશ્રેણીબદ્ધ અને અરૈખિક યુગપતતા એના પ્રસિદ્ધ કાવ્ય ‘પાસાફેંક’ (Un coup de des)માં સાપેક્ષ રીતે સિદ્ધ કરે છે. જેમકે ચન્દ્રકાન્ત ટોપીવાળાની કવિતા :

કાળી કીકી કાળીકીડીકીડીકીડી માળીકીડીહારકાળી
કાળાકાળાશતશતચંચલપગનીકાળીહલચલઓથે હોલાતો
સૂરજ તડકાની તાતી તાતી રાતી કીડી હવે ન ચટકે

Concrete Universal મૂર્ત સાર્વભૌમિક

આદર્શવાદી ફિલસૂફીમાં હેગલ પાસેથી મળેલી આ સંજ્ઞા જ્યારે સાહિત્યક્ષેત્રમાં આવે છે ત્યારે એનો લાક્ષણિક અર્થ થાય છે મૂર્ત કલ્પના દ્વારા વ્યક્ત થતો સામાન્ય વિચાર. પ્રવર્તમાન વિવેચનમાં આ સંજ્ઞા, કલા જે વિશેષ અને સામાન્ય વચ્ચે, વૈયક્તિક અને સાર્વભૌમિક વચ્ચે એકત્વ સાધે છે તે સૂચવે છે.
આ સંજ્ઞાએ વિ. કે. વિમ્સેટ અને જ્હૉન ક્રો રૅન્સમ વચ્ચે ખૂબ ચર્ચા જગાવી છે.

Confessional Poetry કેફિયત કવિતા

જીવનના અંગત અનુભવો અને તથ્યોનું નિરૂપણ કરતાં રોબર્ટ લૉઅલનાં ૧૯૫૯ના અરસાનાં કાવ્યોને વર્ણવવા માટે આ સંજ્ઞા પ્રયોજાઈ હતી.

Conflict સંઘર્ષ

સાહિત્યકૃતિમાં રજૂ થતો બે વિરોધી બળો, ભાવનાઓ કે પાત્રો વચ્ચેનો સંઘર્ષ કે કોઈ એક પાત્રનો આંતરસંઘર્ષ. સંઘર્ષ એ કથાસાહિત્ય અને નાટકના વસ્તુવિકાસ માટેનું અનિવાર્ય પરિબળ છે.
જેમકે, ‘પૃથિવીવલ્લભ’ નવલકથામાં મુંજ અને તૈલપ વચ્ચેનો સંઘર્ષ.
તથા ‘સરસ્વતીચંદ્ર’માં નાયકનો આંતરસંઘર્ષ.

Connoisseur સહૃદય, તદ્વિદ

સાહિત્ય, કલા તથા સૌન્દર્ય સામગ્રીનો મર્મ પામી શકનાર તથા એમનું પરીક્ષણ કરી શકનાર ભાવક.

Connotation સંપૃક્તાર્થ

સર્વસ્વીકૃત વાચ્ય એવા અર્થથી જુદો અર્થ, સંપૃક્તાર્થ એ વાચ્યાર્થ કરતાં કંઈક વધુ હોવાનો સંકેત કરે છે. શબ્દ દ્વારા ગુણધર્મો, લાક્ષણિકતાઓ સૂચિત થાય છે. શબ્દના સાદા અર્થ ઉપરાંત તેને સાહચર્યો, કલ્પનો, છાયાઓ, પ્રભાવ વગેરે હોઈ શકે. કાવ્યમાં સંપૃક્તાર્થનો વિશેષ વિનિયોગ થાય છે. અને એને કારણે સર્જક અનેકવિધ અર્થચ્છાયાઓ સર્જી શકે છે.

Conservatism રૂઢિવાદ

સાહિત્યકૃતિમાં સ્થાપિત મૂલ્યો અને સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવા તરફનું સર્જકનું વલણ, સામાજિક રૂઢિઓ, પ્રણાલિઓને આધારે નિયત થતી વિચાર-ધારાઓને કૃતિમાં પ્રતિબિંબિત કરવાનું આ વલણ જીવન વિશે ક્રાંતિકારી, પ્રગતિશીલ અભિગમથી વિચારણા કરવાના વલણ(Progressivism)થી અલગ પડે છે.

Consistency સુસંગતતા

સાહિત્યકૃતિમાં દર્શાવાતી ક્રિયા (Action) અને સમગ્રપણે કૃતિમાંથી પ્રગટતો સૂર (Tone) વચ્ચે જોવા મળતી સુસંગતતા; સાહિત્યકૃતિમાં દર્શાવાતો પાત્રનો ક્રમશઃ તર્કબદ્વ વિકાસ,

Consonance વ્યંજનસંનાદ

પૂર્વવતી અને અનુવર્તી વિવિધ સ્વરો વચ્ચે એકસરખા યા એકના એક વ્યંજનોનું સઘન પુનરાવર્તન,
જેમકે, પ્રહ્‌લાદ પારેખની પંક્તિ :

‘આજ આ શાલની મંજરી ઝરી ઝરી.
પમરતી પાથરી દે પથારી

Constructivism નિર્માણવાદ

૧૯૨૪ની આસપાસના સોવિયટ લેખકોના જૂથની રીતિઓ અને અભિવૃત્તિઓને અનુલક્ષીને નિર્માણવાદ નામ અપાયું. એમણે જથ્થો, પરિમાણ અને અવકાશના ચુસ્ત સ્વરૂપગત સંયોજનોને અને આધુનિક ઔદ્યોગિક સામગ્રી તેમ જ તરીકાઓનો ઉપયોગ કર્યો અને વિચારપૂર્વક માન્યતાઓ તેમ જ આધુનિક ટેક્‌નિકલ વિકાસના સિદ્ધાંતોનો સમન્વય કર્યો. એક પ્રકારની અપ્રતિનિધાનશીલ અને ભૌમિતિક કલારીતિ વિકસાવી. ખાસ તો મંચસજ્જામાં એમનો વિનિયોગ અત્યંત ધ્યાનપાત્ર બનેલો, આના મુખ્ય સિદ્ધાંતકારોમાં કવિ કે. ઝેબિન્સ્કી, આઈ. એલ. સેલિન્સ્કી અને વેરા ઈન્બેર હતાં.

Contemplative Literature ચિંતનાત્મક સાહિત્ય

મુખ્યત્વે લલિતેતર નિબંધસાહિત્યના એક પ્રકાર તરીકે ચિંતનાત્મક સાહિત્ય લખાય છે. નવલકથા, વાર્તા જેવાં સ્વરૂપોમાં પણ ચિંતનના ભારવાળી કૃતિઓને આ પ્રકારના સાહિત્ય તરીકે મૂલવી શકાય. જેમકે, ‘સરસ્વતીચંદ્ર’, ભાગ ૩-૪.

Content વસ્તુસામગ્રી

સ્વરૂપ અને વસ્તુસામગ્રી એ સાહિત્યકૃતિનાં પરસ્પર પૂરક એવાં બે મહત્ત્વનાં પાસાં છે. કોઈ પણ સાહિત્યકૃતિની વસ્તુસામગ્રી તે કૃતિમાંથી પ્રગટ થતાં વિચાર ભાવ, વલણ, ઉદ્દેશ વગેરેના સમન્વયરૂપે માપી શકાય છે.
વસ્તુસામગ્રીને અનુરૂપ સ્વરૂપ કે સ્વરૂપને અનુરૂપ વસ્તુસામગ્રી એ સર્જન-પ્રક્રિયાની ચર્ચામાંથી નીપજતાં બે ભિન્ન વલણો છે.

Context સંદર્ભ

આધુનિક ભાષાવિજ્ઞાનમાં અને તેથી આધુનિક સાહિત્યવિવેચનમાં સંદર્ભ એક કેન્દ્રવર્તી વિચાર છે. અર્થને લગતા ઊપસેલા સંદર્ભગત સિદ્ધાંતોને કારણે આજે સ્પષ્ટ છે કે કોઈ પણ ઉચ્ચારનું અર્થઘટન ઉચ્ચાર જે સંદર્ભો વચ્ચે થયો હોય એ સંદર્ભોની જાણકારી પર આધારિત છે. અર્થને લગતા વિકસેલા સંદર્ભસિદ્ધાંતોને કારણે આજનું વિવેચન રૂપક, પ્રતીકાત્મકતા, વિરોધાભાસ, વક્રતા જેવી ભાષામાં રહેલી વિવિધ સંદિગ્ધતા પર અને એને નિયંત્રિત કરનારા તરીકાઓ પર કેન્દ્રિત થયેલું છે.

Contextualism સંદર્ભવાદ

વિશિષ્ટ પ્રકારના સૌન્દર્યપરક અનુભવને સૂચવતી અમેરિકન નવ્યવિવેચનની આ સંજ્ઞા નવ્યવિવેચકોમાંના એક મરી ક્રીગરે આપી. સંદર્ભવાદ કૃતિઅંતર્ગત રહેલા વિશ્વનો સ્વીકાર કરે છે. અને કૃતિને અપૂર્વ રીતે સંકુલ તેમ જ સ્વયંપર્યાપ્ત ગણે છે. પરસ્પરથી વિરુદ્ધ ઊર્જાની તાણથી યુક્ત કૃતિ એના પોતીકા સંદર્ભ અને એના પોતીકા વિશ્વથી ભાવકને પલાયિત થતો રોકે છે એવો આ વાદનો અભિપ્રાય છે.

Contrast વિરોધ

સૂચક રીતે ભિન્ન એવા બે ભાવ, વિચાર કે કલ્પનની સહોપસ્થિતિ. આ સહોપસ્થિતિ ઘટના વિષયવસ્તુ કે દૃશ્યને સ્પષ્ટ કરે છે યા ઉત્કટ કરે છે. ટુંકમાં, પ્રસ્તુતના ઉત્કર્ષ કે પ્રદર્શન માટે વિરોધી પદાર્થોની સહોપસ્થિતિ સાહિત્યકલાની જાણીતી પ્રવિધિ છે.
જેમ કે, મકરંદ દવેની પંક્તિઓ જુઓ :

અમે રે સૂકું રૂનું પૂમડું
તમે અત્તર રંગીલા રસદાર
તરબોળી દ્યોને તારેતારને
વીંધો અમને વ્હાલા, અપરંપાર
આવો રે આવો હો જીવણ આમના.

Convention, Poetic કવિ સમય

સર્જક ભાવક વચ્ચેના આંતરિક સંવાદને કારણે સર્જનમાં અપાતું અમુક સ્વાતંત્ર્ય, તેમ જ સર્જકનાં શૈલી, સંરચના અને વિષયવસ્તુ વગેરેના નિરૂપણ પર લાદવામાં આવતું નિયંત્રણ. વાસ્તવનું કલાત્મક માધ્યમ દ્વારા પ્રતિનિધાન કરવા માટેની સમસ્યાના ઉકેલ માટે જ આમ કરવામાં આવે છે. જેમ કે, નાટ્યક્ષેત્ર ‘નેપથ્યે’ ‘એકોક્તિ’ ‘અપવાર્ય’ જેવા પ્રસંગો; પાત્રો દ્વારા ગદ્યને બદલે પદ્યનો વિનિયોગ; નાટ્ય કે ચલચિત્રમાં એક પ્રસંગ કે કથાનું ત્રણ કે ઓછા કલાકમાં થતું નિરૂપણ.

Conversation Pieces સંવાદ-ખંડો

સંવાદ-ખંડોમાં પદ્ય અને ગદ્યની વચ્ચેનું ભાષા-સ્વરૂપ (સંવાદ કાવ્ય, સંવાદ નાટ્ય) પ્રયોજાય છે. આ પ્રકારની કૃતિઓ કોઈક નાટ્યાત્મક ઘટનાને બે કે ત્રણ પાત્રોની વચ્ચેના સંવાદની પદ્ધતિએ રજૂ કરે છે.

Copy પ્રતિલિપિ, પ્રતિકૃતિ, નકલ

સામાન્ય રીતે આ સંજ્ઞા મૂળ લેખને આધારે તૈયાર કરાયેલી નકલના અર્થમાં સમજવામાં આવે છે. પરંતુ સાહિત્યક્ષેત્રે કોઈ પણ એક કૃતિના લખાણ કે એની હસ્તપ્રત માટે આ સંજ્ઞા પ્રયોજાય છે.

Correlative Verse સહસંયોજક પદ્ય

સંક્ષેપક્રિયા દ્વારા તૈયાર થયેલાં વાક્યોનો વિનિયોગ કરતું પદ્ય. આ સંક્ષેપક્રિયામાં કોઈ એક ક્રિયાપદ એક કરતાં વધુ કર્તા સાથે કે કોઈ એક વિશેષણ એક કરતાં વધુ વિશેષ્ય સાથે એકસાથે સંયોજિત થાય છે.
જેમકે, કલાપીના ‘શિકારીને’ કાવ્યમાં આવતી પંક્તિ :

‘પંખીડા ફૂલડાં રૂડાં લતા આ ઝરણાં તરુ’

અહીં ‘રૂડાં’ વિશેષણ ફૂલડાં, પંખીડાં અને લતા ઝરણાં તરુ સર્વને લાગુ પડે છે

Co-text ભાષાસંદર્ભ

કોઈ એક ભાષા ઘટકનો અન્ય ભાષાકીય ઘટકો વચ્ચેની ઉપસ્થિતિનો સંદર્ભ. પરિસ્થિતિગત સંદર્ભથી ભાષા સંદર્ભને જુદા કરવા માટે આ સંજ્ઞા પ્રયોજાય છે.

Counterplot પ્રતિવસ્તુ

વાર્તા કે નાટકના મુખ્ય વસ્તુથી અલગ પણ મુખ્ય વસ્તુની સમાંતરે ચાલતું વસ્તુ. સામાન્ય રીતે મુખ્ય વસ્તુથી સ્વતંત્રપણે ચાલતું આ વસ્તુ કૃતિના મુખ્ય વિષયથી વિરુદ્ધ પ્રકારનો વિષય રજૂ કરે છે. આ સંજ્ઞા ઉપવસ્તુ (Subplot) તરીકે પણ ઓળખાય છે.

Counterpoint પ્રતિબિંદુ

કૃતિમાં પ્રગટ થતી નિરૂપણ શૈલીની એક નિશ્ચિત ભાતથી ક્યારેક તદ્દન અલગ પ્રકારની ભાતનું નિરૂપણ નાટ્યાત્મક અસર ઉપજાવે છે. આ પ્રકારની નિરૂપણ શૈલીની પ્રવિધિ તે પ્રતિબિંદુ. પાત્રાલેખન, ઘટનાનિરૂપણ કે ભાષાકર્મના સંદર્ભે તે પ્રયોજી શકાય છે.
કાવ્યમાં મુખ્ય છંદ, લયથી અલગ પ્રકારનો છંદ, લય અવારનવાર યોજવાથી લય વૈવિધ્ય જન્માવવાની પ્રવિધિ, લયનું પ્રતિબિંદુ (Counterpoint of Rhythm) તરીકે ઓળખાય છે.

Couplet યુગ્મ, પંક્તિદ્વય

એકબીજાને અનુસરતી મુખ્યત્વે પ્રાસથી જોડાયેલી બે પંક્તિ. છાંદસ એકમ સાથે વિન્યાસ અને અર્થ પૂરા થતા હોય તો સંવૃત્ત યુગ્મ (close couplet) અને જો કોઈ મોટા એકમના માત્ર ભાગરૂપે યુગ્મ આવતું હોય તો તે મુક્ત યુગ્મ (open couplet) કહેવાય છે. જેમકે, સૉનેટને અંતે પંક્તિઓ યુગ્મ અવશ્ય આવે છે : ઉમાશંકરના સૉનેટની છેલ્લી પંક્તિઓ જુઓ :

‘મળી ત્યારે જાણ્યું મનુજ મુજ શી પૂર્ણ પણ ના
છતાં કલ્પ્યાથી મેં મધુરતર હૈયાની રચના’

Creative ego સર્જક અહં

ફ્રાન્સમાં મનોવૈજ્ઞાનિક અભ્યાસ પર આધારિત કૃતિલક્ષી વિવેચનાના મુખ્ય પ્રણેતા શાર્લ મૂરોં(Charles Mauron)ની એવી ધારણા છે કે દરેક સર્જકનું બહારના જગત સાથે ક્રિયાશીલ સામાજિક અહં તો હોય છે, પણ જીવવાના અત્યુદ્યમની સાથેનું સંતુલન રચવા તરેહો કે કપોલકલ્પિત જોડે સંકલિત થતું એનું સર્જક અહં પણ હોય છે, સાહિત્ય, આ બેના આંતર-નાટ્યનું પરિણામ છે.

Creationism સર્જનવાદ

કાવ્યશાસ્ત્રની પૂર્વેની પ્રણાલીઓને તોડીને બીજા વિશ્વયુદ્ધ પછી નવી સૌંદર્યવાદી પ્રણાલી ઊભી કરવા માટે આગળ આવેલો એક સાહિત્યિક વાદ. આ વિચારસરણીના પ્રણેતા બીસેન્તે વીર્ધાર્વ્રાએ કાવ્યસર્જન વિશે નવું સૂત્ર આપ્યું : ‘કુદરત જેમ વૃક્ષનું સર્જન કરે છે તેમ કાવ્યનું સર્જન કરવું’ (‘To create a poem as Nature creates a tree’).
આ વિચારસરણીના અનુયાયીઓએ ‘શુદ્ધ કવિતા’નો પ્રસાર કર્યો અને ‘સર્જાતા શબ્દ’નો મહિમા કર્યો.

Creative Process સર્જન પ્રક્રિયા

સર્જકની ચેતના અને જીવન વચ્ચેના સંબંધના પરિણામરૂપે સાહિત્યકૃતિની સર્જનક્ષણે સર્જક અને સર્જાતી કૃતિ દ્વારા જે આંતરસંબંધ ઊભો થાય છે તે કૃતિનું આખરી સ્વરૂપ નિશ્ચિત કરે છે, સર્જક અને કૃતિ વચ્ચે, સર્જક અને જીવન વચ્ચે નિર્માની સર્જનપૂર્વેની અને સર્જનવેળાની પ્રક્રિયા તે સર્જનપ્રક્રિયા.
જુઓ : inspiration

Crisis કટોકટી

વાર્તા કે નાટકમાં પરાકોટિ(climax)ની પહેલાં આવતો ઘટનાનો વળાંક, જેને લીધે કૃતિ કથાવસ્તુની ગૂંચના ઉકેલ તરફ આગળ વધે. આ પ્રકારનો વળાંક સૂચવતાં એકથી વધુ ઘટનાબિંદુઓ હોઈ શકે.
કૃતિના વસ્તુસંયોજન (plot construction)માં કટોકટી અને પરાકાષ્ઠા વચ્ચેનો આંતરસંબંધ મહત્ત્વનો છે. કટોકટી હમેશાં પરાકાષ્ઠા પૂર્વેનો નિર્ણયાત્મક વળાંક છે, જેનો સંબંધ કૃતિના બંધારણ સાથે વિશેષ છે; જ્યારે પરાકાષ્ઠા ભાવાત્મક પ્રતિભાવ (emotional response) સાથે સબંધ ધરાવે છે.

Criterion ધોરણ

કૃતિને મૂલવવા માટેનો પ્રસ્થાપિત સિદ્ધાંત કે નિયમ, વિવેચન કે મૂલ્યાંકનનું ધોરણ.

Criticism વિવેચન

વિવેચન, એ સાહિત્યનું મૂલ્યાંકન, અર્થઘટન કે વર્ણન કરવાની કળા અને હવે વિજ્ઞાન છે. આ સંજ્ઞાને બહુ વિશાળ અર્થમાં લેવામાં આવી છે. સાહિત્ય-વિષયક સિદ્ધાંત ચર્ચા, કૃતિનો રસાસ્વાદ, અર્થઘટન અને મૂલ્યાંકન, સાહિત્ય પ્રકારનો ઉદ્‌ભવ વિકાસ, જ્ઞાન-વિજ્ઞાનનો સાહિત્ય સાથેનો સંબંધ વગેરેનો એમાં સમાવેશ થાય છે. તાર્કિક વિશ્લેષણની દૃષ્ટિએ વિવેચનમાં ત્રણ પ્રકારના ઘટકો સંભવે :
વર્ણન (Description); અર્થઘટન (Interpretation); મૂલ્યાંકન (Evaluation).
વર્ણન અર્થઘટન દ્વારા કૃતિની અંતગર્ત રહેલા ભાવો-અર્થો રહસ્યને સ્પષ્ટ કરવાની ક્રિયા અભિપ્રેત છે, જ્યારે કૃતિના મૂલ્યાંકનમાં કૃતિ સારી છે કે નરસી છે એ વિશેનો નિર્ણય અભિપ્રેત છે. નોર્થપ ફ્રાયે ‘વિવેચન’ને મૂલ્યાંકન લેખે ઘટાવી તેને વિશાળ સાંસ્કૃતિક વિચારવિમર્શની એક પ્રવૃત્તિ કહી છે,

Critics of Consciousness સંવિદ્‌ના વિવેચકો

વિવેચન એટલે સર્જકની સંવિદ્‌નું વિવેચન દ્વારા સંવેદન, વિવેચકનું કર્તવ્ય કૃતિના શબ્દો દ્વારા અભિવ્યક્ત એવા સર્જક સંવિદ્‌ની સાથે તાદાત્મ્ય સાધવાનું છે. એવી માન્યતા ધરાવતા વિવેચકો-જિનિવા વિદ્યાવર્તુળના જૉર્જિઝ પૂલે હિલિસ મિલર, મૅર્સેલ રેમોં વગેરે – દ્વારા ઉપરોક્ત માન્યતાનો પ્રચાર અને પ્રસાર થયો છે.

Critique સમીક્ષા

સાહિત્યકૃતિને વિવેચતો અવલોકન લેખ અથવા નિબંધ.

Cross Reference પ્રતિપૂર્તિ

પુસ્તક, સૂચિ કે કોશના કોઈ એક લેખ કે અધિકરણના અંતે વિષયને લગતી વિશેષ માહિતીનો સંદર્ભ આપતી નોંધ,
“Anti-climax. જુઓ, Bathos” જેવી નોંધ આ જ પુસ્તકમાં જોઈ શકાશે.

Cubism ઘનવાદ

આ સદીના આરંભે ચિત્રકળાક્ષેત્રમાંથી સાહિત્યક્ષેત્રે આવેલી સંજ્ઞા. કળાની અભિવ્યક્તિનાં માધ્યમો જુદાં જુદાં હોવા છતાં, અનુભૂતિ, ચેતન-અચેતન, ઇન્દ્રિયસંવેદ્યતા વગેરે એક સર્વસામાન્ય સૈદ્ધાંતિક ભૂમિકા ઊભી કરે છે. ઘનવાદીઓ વાસ્તવને અતિક્રમી જઈને અચેતનમાં રહેલી વિષયવસ્તુની પ્રતીકાત્મક ગતિને આલેખે છે. ઘનવાદી કવિઓ કાવ્યમાં ભાષાના ધ્વનિતંત્ર, રૂપતંત્ર અને વાક્યતંત્રને એવી રીતે યોજે છે કે રચનાનું સમગ્ર તંત્ર સમય-અવકાશ-ગતિનું પરિમાણ સિદ્ધ કરી શકે.
પહેલાં, આકારને તોડીને તથ્યબદ્ધ કરવામાં આવતું હતું, તેને બદલે હવે તથ્યને તોડીને આકારનું રૂપાંતર કરવામાં આવ્યું. વાસ્તવિક પરિપ્રેક્ષ્યને આમ કરવાથી અનેક પરિપ્રેક્ષ્યોની સ્થિતિ ભૌમિતિક આકાર નિર્માણનું કારણ બની. આથી આકાર વચ્ચેની આંતરક્રિયા (Interaction) દ્વારા સમય-અવકાશ-ગતિનાં પરિમાણો સિદ્ધ થયાં, સાહિત્યમાં, ખાસ કરીને કવિતાનાં, શબ્દ શબ્દ વચ્ચે અને વર્ણ વર્ણ વચ્ચે આ આંતરક્રિયા સાધવામાં આવે છે.
જેમકે, મહેશ દવેની ‘બીજે સૂર્ય’ની કેટલીક રચનાઓ.

Cubo-Futurism ઘન-ભવિષ્યવાદ

પ્રથમ વિશ્વયુદ્ધની સાથેસાથ અસ્તિત્વમાં આવેલી રશિયન કવિતાની એક વિચારધારા આ વિચારધારાના અનુયાયી કવિઓએ પોતાને ભવિષ્યવાદીઓ (Futurists) તરીકે ઓળખાવ્યા. કાવ્યની ભાષા તથા તેના વસ્તુમાં પાયાના ફેરફારો કર્યા. વ્યાકરણના નિયમોથી માંડીને પ્રેમ, શૌર્ય જેવા વિષય-વસ્તુનો તેમણે વિરોધ કર્યો અને કાવ્યમાં ઇન્દ્રિયગ્રાહ્ય અભિવ્યક્તિ ઉપર ભાર મૂક્યો, જેને લીધે ‘અર્થ’ને સ્થાને ‘નાદ’ એ કાવ્યનાં મુખ્ય અંગ તરીકે પ્રગટ થાય છે. ઘનવાદ તથા દાદાવાદને મળતી આવતી આ વિચારધારા છે. માયકોવ્સ્કી આ વિચારસરણીનો અગ્રણી અનુયાયી છે.

Culteranismo શબ્દવાદ

જુઓ : Cultism.

Cultism શબ્દવાદ

૧૭મી સદીમાં સ્પેઇનમાં બે સાહિત્યિક વાદો તેમનાં વિભિન્ન વલણોથી ચર્ચાસ્પદ બન્યા, સ્પેનિશ કવિ ગૉન્ગૉરાની લેખન શૈલીમાં તથા તેના શબ્દભંડોળમાં પ્રાચીન ગ્રીક, લેટિન કવિઓની શૈલી અને શબ્દભંડોળનો પ્રચૂર રીતે વિનિયોગ થયો. આથી ભાવકપક્ષે ભાષા તથા કાવ્યશૈલી અંગેની ઐતિહાસિક જાણકારીની અપેક્ષા રાખતું કાવ્યસર્જન પ્રચારમાં આવ્યું. આના વિરોધમાં લોપ દ વેગાએ કવિતામાં વિચારોની અભિવ્યક્તિ ઉપર વિશેષ ભાર મૂક્યો અને સરળ ભાષા-શૈલીનો આગ્રહ રાખ્યો. પહેલા પ્રકારનું વલણ તે શબ્દવાદ તરીકે અને બીજા પ્રકારનું વલણ વિચારવાદ (જુઓ : conceptism) તરીકે ઓળખાયું.

Cultural Anthropology સાંસ્કૃતિક નૃવંશવિજ્ઞાન

‘સાંસ્કૃતિક નૃવંશવિજ્ઞાન’ કોઈ એક પ્રજાની ખાસિયતો તેમ જ રીત-રિવાજો, ધર્મ, ભાષા ઇત્યાદિ ખાસ સાંસ્કૃતિક બાબતોનું અધ્યયન કરે છે. ભાષા અને સાહિત્ય એ આજના નૃવંશવિજ્ઞાનીના રસના વિષયો છે. કોઈ પણ પ્રજાની ભાષા અને એના સાહિત્યમાં એક બાજુ તેમની સંસ્કૃતિનું પ્રતિબિંબ પડે છે, તો બીજી બાજુ મનુષ્યોની ભાષા અને એમનું સાહિત્ય સંસ્કૃતિનુ ઘડતર કરે છે. ભાષા અને સાહિત્યમાં જે તે પ્રજાના આદર્શો, આકાંક્ષાઓ. અભિરુચિઓ, જરૂરિયાતો વગેરેનો આવિષ્કાર જોઈ શકાય છે. કોઈ પણ સંસ્કૃતિની વિચારક્રિયા તથા તેમના જ્ઞાનાત્મક વ્યાપારોનો સ્તર કેવો છે તે તેમની ભાષા અને એમના સાહિત્યના વિશ્લેષણથી જાણી શકાય છે. એવી જ રીતે, જે ભાષા અને સાહિત્યના વાતાવરણમાં વ્યક્તિ ઊછરી હોય તે અનુસાર એનું માનસ, જ્ઞાનતંત્ર આકાર પામે છે. જેમકે, ઊંટ એ અરેબિક સંસ્કૃતિનું મહત્ત્વનું અંગ છે. તેથી સ્વાભાવિક રીતે જ તેમની કહેવત, વાર્તાએ, દંતકથાઓમાં ઊંટ મહત્ત્વનું સ્થાન પામ્યું છે. આથી જ અરેબિક ભાષામાં ઊંટને લગતા લગભગ છ હજાર શબ્દો છે.

Culture સંસ્કૃતિ

અત્યારે સમાજશાસ્ત્રીઓ અને નૃવંશશાસ્ત્રીઓ આ સંજ્ઞાઓનો ઉપયોગ માનવજૂથની જૂનામાં જૂની સંસ્થાઓ અને રૂઢિઓની સમસ્તતાને નિર્દેશવા માટે કરે છે. દરેક માનવજૂથમાં ભાષા જૂનામાં જૂની સંસ્થા અને રૂઢિ છે. આથી ભાષા સંસ્કૃતિનું એક અંગ ગણાય છે. અને સાહિત્ય ભાષામાં રચાય છે. આ કારણે સાહિત્યને સંસ્કૃતિ સાથે પ્રાણપ્રદ સંબંધ છે. મનુષ્યોના કલ્પનોત્થ સાહિત્ય દ્વારા ભૂતકાળમાંથી ભવિષ્યમાં સંક્રમિત થતાં મૂલ્યોને સંદર્ભ સંસ્કૃતિ સાથે છે. સંસ્કૃતિનાં પારંપરિક ધોરણો અને સ્વીકૃત સ્વરૂપો આજે ચલચિત્ર, દૂરદર્શન, પેપરબેક જેવાં સમૂહ માધ્યમોની વૃદ્ધિને કારણે ભયમાં મુકાયા છે અને સર્જન તેમ જ વિવેચન સામે આ નવી ઘટનાનો પ્રતિકાર આવીને ઊભો છે.

Curtain-Raiser પ્રારંભિકા

મુખ્ય નાટક શરૂ થાય તે પહેલાં ભજવાતું નાનું એક અંકી નાટક. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પ્રચલિત થયેલી આ પ્રથા વીસમી સદીના પ્રથમ દસકા સુધી યુરોપમાં જીવંત રહી.
મોટે ભાગે મુખ્ય પડદાની આગળના ભાગમાં આ પ્રકારનું નાટક રજૂ થતું. કેટલાક તફાવતોને બાદ કરતાં પ્રારંભિકાને સંસ્કૃત નાટકોમાં આવતા પ્રવેશક અને વિષ્કંભક સાથે સરખાવી શકાય.

Curtal Sonnet લઘુ સૉનેટ

જી. એમ. હોપકિન્ઝ દ્વારા રચાયેલું સૉનેટનું દશ પંક્તિનું લઘુ સ્વરૂપ.

Cut Back પૂર્વદૃશ્ય

વાર્તા, નવલકથા, નાટક કે ફિલ્મમાં પૂર્વે બની ગયેલા પ્રસંગોની રજૂઆત કરવાની પ્રવિધિ.
જુઓ : Flashback

Cybernatics નૃયંત્રવિજ્ઞાન

નૃયંત્રવિજ્ઞાન એ સંપ્રેષણ (communication)અને નિયંત્રણ (control)ના રચનાતંત્રનું વૈજ્ઞાનિક અધ્યયન છે. વિભિન્ન પ્રકારનાં યંત્રો, વીજાણુયંત્રો, જૈવ શારીરિક સંરચનાઓ તથા તેમની સ્થાયી વ્યવસ્થાઓ વગેરે નૃયંત્રવિજ્ઞાનનાં મુખ્ય ક્ષેત્રો છે. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન યંત્રોમાં સંચાર-નિયંત્રણો પર રાડાર વ્યવસ્થાનો વિનિયોગ કરવા જતાં આ વિજ્ઞાનનો ઉદ્‌ભવ થયો હતો. ૧૯૪૦માં રોસ, ઍશ્બી તથા અમેરિકાના નૉબર્ટ વિનરે આ વિજ્ઞાનનો પ્રારંભ કર્યો હતો. નૃયંત્રવિજ્ઞાનના વિકાસમાં ગણિતજ્ઞો, વીજાણુયંત્રવિદો, મનોવિજ્ઞાનીઓ, ભાષાવિજ્ઞાનીઓ વગેરેનું સામૂહિક પ્રદાન રહ્યું છે. નૃયંત્રવિજ્ઞાનીઓએ મગજ અને યંત્ર તથા મનુષ્ય અને યંત્ર વચ્ચે સમાંતરતાઓ શોધી અને તેનો યંત્રના વિકાસમાં મહત્ત્વનો ઉપયોગ કર્યો છે.
નૃયંત્રવિજ્ઞાને સર્જન-પ્રક્રિયાના વસ્તુનિષ્ઠ અધ્યયન વિશ્લેષણમાં ક્રાન્તિકારી શોધ કરી છે. એક બાજુ આ વિજ્ઞાને મગજ અને યંત્રનું સમાંતર પ્રતિમાન (Model) રજૂ કર્યું. તો બીજી બાજુ પ્રતિભા સાથે સંકળાયેલી વ્યક્તિપૂજાની ધારણાને છિન્નભિન્ન કરી. વળી વિજ્ઞાન અને કળા, બંને ક્ષેત્રોની સર્જન-પ્રક્રિયા સમાન હોવાનું સિદ્ધ કર્યું આથી સર્જનાત્મક અન્વેષણ અને તાર્કિક પ્રમાણીકરણ વચ્ચે સંયોજક-સૂત્ર ઉપલબ્ધ બન્યું હોવાથી સૌન્દર્યનું વિજ્ઞાન હવે શક્ય બન્યું છે.