ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ/અંગ્રેજી અનુવાદની પ્રસ્તાવના

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અંગ્રેજી અનુવાદની પ્રસ્તાવના

(આ પ્રસ્તાવના એલેક્સેસ ક્લિમોફ ‘વન ડે ઇન ધ લાઇફ ઑફ ઇવાન દિનીશવીચ’નાં વિલેટ્સના અંગ્રેજી અનુવાદ માટે લખી હતી. તેઓ વાસર કૉલેજનાં રૂસી વિભાગમાં એમેરિટસ્ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. અલેક્ઝાંદ્ર સોલ્ઝનિત્સિનનો એમણે ઊંડો અભ્યાસ કરેલો છે.)

‘વન ડે ઇન ધ લાઇફ ઑફ ઇવાનદિનીશવીચ’ પહેલી વાર કઈ રીતે પ્રકાશિત થઈ એ વાત અનેક વાર કહેવાઇ ચૂકી છે. સોલ્ઝનિત્સિને પોતે પણ ‘ધ ઓક ઍન્ડ ધ કાફ’માં (કોલીન્સ ઍન્ડ હારવિલ પ્રેસ, ૧૯૮૦, ખાસ પાનાં ૧૬-૪૬) આનો ઉલ્લેખ કર્યો છે, જે કદાચ આનો સૌથી પ્રમાણિક અને ઉદ્દીપ્ત વૃતાંત ગણાય. ‘નોવે મીર’નાં પાનાંઓમાં ‘વન ડે’ ને સ્થાન મળ્યું, તો તે વખતે રાજકીય સંજોગોની સાથે, બીજા કયા સંજોગોની અનુકૂળતા હતી, જેને લીધે આ થયું, એ વાત સોલ્ઝનિત્સિન આપણને અહીં કરે છે.

જોકે તજજ્ઞ વાચકો સિવાય બીજા વાચકોને એ ખબર નહીં હોય કે રૂસી સાહિત્યિક સામયિકમાં જે પ્રકાશિત થયેલી, તે ‘વન ડે’ની પછીથી પ્રકાશિત થયેલી આવૃત્તિઓ કરતાં થોડી જુદી હતી. તે સમયની વિચારસરણી ધ્યાનમાં રાખીને નોવે મીરની સંપાદકીય સમિતિએ જે સૂચનો આપ્યાં એના પ્રમાણે આ નવલકથામાં અમુક વસ્તુઓને બાકાત રખાઈ હતી, અને અમુક ફેરફારો કરાયા હતા. પણ મોટા ભાગના અને નોંધપાત્ર ફેરફારો સામયિકને હસ્તપ્રત આપતાં પહેલાં જ સોલ્ઝનિત્સિનએ પોતે કરેલા. આ પ્રક્રિયાને આત્મનિયમન (સેલ્ફ—સેન્સરશિપ) નામ અપાયું છે. સોલ્ઝનિત્સિનને લાગ્યું કે એમની નવલકથાનો જે ભાગ, જે ફકરાઓ સેન્સરમાં પસાર નહિ થઈ શકે, એને એમણે પોતે જ કાઢી નાખ્યા અથવા તો થોડા બદલી નાખ્યા.

૧૯૬૦ના દશકના શરૂઆતના વર્ષોમાં સોવિયત યુનિયનમાં જે રાજનૈતિક પરિસ્થિતિ પ્રવર્તતી હતી, એ અહીં ધ્યાનમાં રાખવી જરૂરી છે. થોડા વર્ષોથી નિકિતા કૃશ્ચેવે સ્ટેલીન વિરુદ્ધ ચળવળ શરૂ કરી હતી, પણ દરેક ક્ષેત્રમાં એ ભૂતકાળની અસર હજી વર્તાતી હતી, ખાસ કરીને સાહિત્ય ઉપર. સાહિત્ય હજી બંદી હતું, સીમિત હતું. સોવિયત ઇતિહાસની મૂળ ઘટનાઓ, જે એનો ઇતિહાસ ઘડવા માટે જવાબદાર હતી, એની ચર્ચા સાહિત્યમાં નહોતી કરાતી. સંવેદનશીલ ગણાતા વિષયો હતા: સમૂહ ખેતીની પ્રથાનું ઉગ્ર અમલીકરણ; સામાજિક વર્ગ, રાષ્ટ્રીયતા, ધર્મ કે બીજા કથિત રાજદ્રોહનાં કારણો બતાવીને મોટા પાયે થતી ધરપકડો અને દેશવટો; જર્મન નાઝી સામે યુદ્ધ વખતે જે નીતિઓ બનાવી હતી તેનો ઉલ્લેખ કરવો અને રૂસી અર્થતંત્રને નબળું પાડતી કેદીઓની છાવણીઓની પ્રસરેલી જાળનો ઉલ્લેખ કરવો.

૧૯૬૨માં જ્યારે ‘વન ડે’ પ્રકાશિત થઈ ત્યારે એણે આ દરેક સીમાઓનું ઉલ્લંઘન કર્યું હતું. તે વખતે જે છપાયું, જેના ઉપરથી શરૂઆતના અનુવાદો થયા હતા, એને જાણીજોઇને થોડું નિરુપદ્રવી રાખવામાં આવેલું. આ અનુવાદમાં, પહેલી વાર, ઘણી બધી સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.

એના થોડા દાખલા જોઈએ. (જેમને રૂસી ભાષા આવડતી હોય તે આ ભિન્નતાનો અભ્યાસ ગેરી કેર્નની ‘સ્લાવિક ઍન્ડ ઈસ્ટ યુરોપિયન જર્નલ’માં ગ્રંથ ૨૦, ક્રમાંક ૪ (વિન્ટર ૧૯૭૬) પાનાં ૪૨૧-૩૬ ઉપર કરી શકે છે.) શુખવના ફોરમૅન, ત્યુરીનની માત્ર કુલક પુત્ર હોવાને લીધે ધરપકડ થઈ હતી એ વાતની સાથે સાથે હવે આપણને સમૂહીકરણની ઝુંબેશ વખતે ખેડૂતોની કપરી પરિસ્થિતિનો ખ્યાલ આવે છે: બૈરાંઓ અને છોકરાઓને પણ નહોતા છોડતાં, અને ઝનૂની સામ્યવાદિઓએ ગામડાંઓને ભયભીત કરી મૂકેલા, એ ખબર પડે છે.

એ તો આપણને ખબર હતી કે શુખવે જર્મન જાસૂસ હોવાનું કબૂલ કર્યું હતું અને કબૂલાતના દસ્તાવેજ ઉપર સહી પણ કરી હતી. (જર્મનોએ એમને પકડ્યા હતા, પણ એ ત્યાંથી નાસી છૂટેલા.) પણ હવે સહી કરવાનું સાચું કારણ ખબર પડે છે, સોવિયત ગુપ્તચર વિભાગના અધિકારીઓએ એમને મારી-મારીને, અધમૂઆ કરીને સહી કરાવી હતી; પોતાની જિંદગી બચાવવા એમણે એ સહી કરી હતી.

આ આવૃત્તિમાં બીજી પણ કેટલીક સ્પષ્ટતા કરાઇ છે. આપણને અહીં માહિતી મળે છે કે બેપ્ટીસ્ટ ધર્મ પાળનારાઓને કાયમ પચીસ વરસની સજા થતી હતી, અને વિદેશીઓ સાથે સંપર્કમાં આવો તો પણ એટલા જ વર્ષોની સજા અપાતી, અને એમાં સમય ગાળો પણ નહોતો જોવાતો, એ લાંબો હોય કે ટૂંકો, સજા તો પચીસ વરસની જ મળતી. (સીએનકા કલ્યેવશીનને વુખેનવાલ્દમાંથી અમેરિકનોએ વિમુક્ત કરેલા એટલે એમને સજા થઈ હતી.)

સંરચનાની દ્રષ્ટિએ આ પૂર્ણ આવ્રુત્તિ અને પહેલાં પ્રકાશિત થઈ હતી તે આવૃત્તિઓમાં કંઈ ઝાઝો ફેર નથી, બસ થોડી રાજકીય અને ઐતિહાસિક સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. પણ અહીં હેરી વિલેટ્સના કુશળતાપૂર્વક કરેલા અનુવાદનું પરિબળ ઉમેરાય છે. આમ પણ સોલ્ઝનિત્સિનના ગદ્યનો અંગ્રેજી અનુવાદ કરવો સહેલું કામ નથી, અને અહીં,‘વન ડે’માં, એમણે જે શૈલીનો ઉપયોગ કર્યો છે, તે અનુવાદ માટે ઘણી અઘરી છે. આમ આ નવલકથા સ્વ-કથનીય ના કહેવાય, પણ મોટા ભાગની વાત કથાનાયક આપણને કહે છે, એક અભણ માણસની તળપદી ભાષામાં. એમની શૈલીને પ્રભાવશાળી બનાવવા માટે સોલ્ઝનિત્સિનએ જે શૈલી અપનાવી એમાં સામાન્ય તળપદી ભાષાની સાથે પ્રચલિત બોલીના અશિષ્ટ શબ્દો અને છાવણીની પ્રચલિત બોલીનો પણ ઉપયોગ કર્યો છે; આવા સંયોગીકરણની શૈલી કોઈ પણ અનુવાદકનું કૌશલ્ય ચકાસી લે. અહીં લેખક નસીબદાર છે કે એમને શ્રી વિલેટ્સ જેવા અનુવાદક મળ્યા, જેમણે સોલ્ઝનિત્સિનની ‘ધ ઓક ઍન્ડ ધ કાફ’નો સુંદર અનુવાદ કર્યો છે. બીજા અનુવાદકો ચોક્કસ બરાબર અનુવાદ કરી શકે, પણ એમનામાં કદાચ એક ગુણ ના હોય, સાહિત્યનું સ્વાભાવિક હુન્નર, જે વિલેટ્સમાં છે. અને આ જ એ કૌશલ્ય છે જે એમના અનુવાદને સોલ્ઝનિત્સિનની મૂળ રચનાને લાયક બનાવે છે.

એ.કે.

********