ઉમાશંકરનો વાગ્વૈભવ/આ મહાનિબંધ3ના પ્રકાશન નિમિત્તે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આ ત્રીજા મહાનિબંધના પ્રકાશન નિમિત્તે

‘ઉમાશંકર જોશી : સાહિત્યસર્જક અને વિવેચક’ – એ મથાળા હેઠળ, ગૂજરાત વિદ્યાપીઠમાં ‘વિદ્યાવાચસ્પતિ’(પી.એચ.ડી.)ની પદવી માટે લખાયેલા મહાનિબંધનો આ ત્રીજો ખંડ છે. આ ખંડમાં ઉમાશંકરે કરેલા વિવેચનકાર્યને, એમના જીવનકવનની તવારીખ તથા એમના વિશેનાં લખાણોની સૂચિને આવરી લેવાયાં છે. આ મહાનિબંધ ૧૯૭૯માં તૈયાર કરાયો હતો. તે પછી ઉમાશંકરભાઈ ૧૯૮૮ સુધી હયાત હતા. તેમના અવસાન બાદ પણ કેટલાંક મહત્ત્વનાં ગ્રંથ-પ્રકાશનો થયાં. એમાંથી શક્ય તેટલી સામગ્રીનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઉમાશંકર-વિષયક લખાણોની ૧૯૭૯ સુધીની સૂચિ તો ઉમાશંકર-વિષયક મહાનિબંધના એક વિદ્યાર્થી તરીકે મેં કરેલી. તે પછીની સૂચિમાં ડૉ. શ્રદ્ધાબહેન ત્રિવેદીની મદદ પણ મેં મેળવી. ‘યુગદ્રષ્ટા ઉમાશંકર’માં ઈ. સ. ૨૦૦૦ સુધીની સૂચિ છે. તેમાંય જરૂરી પૂર્તિ કરી આ ખંડમાં બને તેટલી વધુ ઉમાશંકર-વિષયક સ્વાધ્યાયસામગ્રી આપવાનો પ્રયાસ કર્યો છે. પ્રસ્તુત ખંડમાં ઉમાશંકરના સાહિત્યવિચારને, એમના વિવેચનાત્મક અભિગમને બને ત્યાં એમના જ શબ્દો અને દૃષ્ટાંતોથી પરિપુષ્ટ કરીને રજૂ કરવાનો આ પ્રયત્ન છે. ઉમાશંકરનો સ્વાધ્યાય કરનારા સૌને આ પ્રયત્ન મદદરૂપ થશે એવી આશા છે. પ્રસ્તુત ખંડનો ઉપયોગ કરનાર વાચકમિત્રો આ મહાનિબંધ પહેલો અને બીજો ખંડ જોશે તો તેથી તેમને લાભ થશે એમ માનું છું. ઉમાશંકરના દેશકાળની, એમના ઘડતરનાં પરિબળો તથા એમના સર્જક-વ્યક્તિત્વની તાસીરની વીગતો એમને પહેલા ખંડના પ્રારંભિક ભાગમાંથી મળી રહેશે તો બીજો ખંડના ખાસ કરીને એમના નિબંધ-વિષયક લખાણોમાંથી એમના વિચારવિશ્વનોયે કેટલોક સીધો પરિચય વાચકને મળી રહેશે. ગુજરાતી સાહિત્ય પરિષદના શ્રી ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠે મારા આ કાર્યના પ્રકાશનની જવાબદારી ઉપાડી લીધી તે બદલ ગુજરાતી સાહિત્ય પરિષદનો, અને રઘુવીરભાઈએ આ ગ્રંથના આવરણ ઉપર જે લખાણ કરી આપ્યું તે બદલ તેમનો હું આભારી છું. આ ગ્રંથના લેખન-પ્રકાશન સુધીના વિવિધ તબક્કાઓમાં જેમની જેમની મને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ મળી છે તે સૌ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી વિરમું છું. રથયાત્રા, તા. ૪–૭–૨૦૦૮ ૯–બી, પૂર્ણેશ્વર ફ્લૅટ્સ, ગુલબાઈ ટેકરા, અમદાવાદ–૩૮૦૦૧૫
ચંદ્રકાન્ત શેઠ