એકોત્તરશતી/૬૯. વિચાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ન્યાય (વિચાર)

હે મારા સુન્દર, જતાં જતાં, પથના પ્રમોદથી મત્ત થઈને જ્યારે કોઈ લોકો તારા શરીર ઉપર ધૂળ નાખી જાય છે ત્યારે મારું અંતર હાય હાય કરે છે. હું રડીને કહું છું, હે મારા સુન્દર! આજે તમે દણ્ડધર(શાસક) થાઓ, ન્યાય કરો. ત્યાર પછી જોઉં છું તો આ શું! તારા ન્યાયાલયનાં દ્વાર તો ખુલ્લાં જ છે, ત્યાં તારો ન્યાય સદા ચાલ્યા જ કરે છે. નીરવે પ્રભાતનો પ્રકાશ એમનાં કલુષરક્ત નયનો પર પડે છે, શુભ્ર વનમલ્લિકાની વાસ એમની લાલસાના ઉદ્દીપ્ત નિઃશ્વાસને સ્પર્શ કરે છે; સન્ધ્યાતાપસીના હાથમાં પ્રગટાવેલી સપ્તર્ષિની પૂજાદીપમાલા, હે સુન્દર જેઓ તારા શરીર ઉપર ધૂળ નાખીને ચાલ્યા જાય છે તેમની મત્તતા તરફ આખી રાત જોઈ રહે છે. હે સુન્દર, તારું ન્યાયાલય પુષ્પવનમાં, પુણ્યસમીરણે, તૃણપુંજે, ભ્રમરોનાં ગુંજનમાં, વસંતના પંખીઓનાં કૂંજનમાં, તરંગચુંબિત તીરે, મર્મરિત પલ્લવોના વીંઝણામાં છે. હે મારા પ્રેમિક, એ લોકો તો ઘોર નિર્દય છે, એમનો આવેગ તો દુર્વાર છે. પોતાની નગ્ન વાસનાને સજાવવાને એઓ તારાં આભરણનું હરણ કરવાને સંતાતા ફરે છે. એમનો આઘાત પ્રેમના સર્વાંગે થાય છે ત્યારે મારાથી એ સહ્યું જતું નથી; આંસુભરી આંખે રડીને તને સાદ દઉં છું- હે મારા પ્રેમિક, ખડ્ગ ધારણ કરો, ન્યાય કરો, ત્યાર પછી જોઉં છું તો આ શું, ક્યાં છે તારું ન્યાયાલય? જનનીનાં સ્નેહ-અશ્રુ એ લોકોની ઉગ્રતાની ઉપર ઝરે છે; પ્રણયીનો અસીમ વિશ્વાસ એમના વિદ્રોહબાણને ઘવાયેલી છાતીમાં આવકારી લે છે, હે મારા પ્રેમિક, તારું એ ન્યાયાલય અનિદ્ર સ્નેહની સ્તબ્ધ નિઃશબ્દ વેદનામાં, સતીની પવિત્ર લજ્જામાં, સખાના હૃદયરક્તપાતમાં, પ્રતીક્ષા કરી રહેલા પ્રણયીની વિચ્છેદની રાત્રિમાં, આંસુથી છલકાતી કરુણાની પરિપૂર્ણ ક્ષમાના પ્રભાતમાં રહ્યું છે. હે મારા રુદ્ર, એ લોકો લોભિયા છે, મૂઢ છે. તારા સિંહદ્વારને વટાવીને ચોરી છૂપીથી વિના નિમન્ત્રણે ખાતર પાડીને તારા ભંડારમાંથી એઓ ચોરી કરે છે. ચોરેલા ધનનો એ દુર્વહ ભાર પળે પળે એમના મર્મને કચડી નાંખે છે. એને હેઠે ઉતારવાનું એમનાથી બની શકતું નથી. ત્યારે વારેવારે હું રડીને તને કહું છું.- હે મારા રુદ્ર, એમને માફ કરો. જોઉં છું તો તમારી ક્ષમા પ્રચંડ ઝંઝાવાતને રૂપે ઊતરી આવે છે. એ ઝંઝાવાતમાં તે લોકો ધૂળમાં ઢળી પડે છે; ચોરીનો ભારે બોજો ખંડ ખંડ થઈને એ પવનમાં ક્યાંનો ક્યાં વહી જાય છે. હે મારા રુદ્ર, તારી ક્ષમા ગર્જતી વજ્રાગ્નિ શિખામાં, સૂર્યાસ્તની પ્રલયલિપિમાં, રક્તની વર્ષામાં, આકસ્મિક સંઘાતના ઘર્ષણે ઘર્ષણમાં રહી છે. ૨૭ ડિસેમ્બર, ૧૯૧૪ ‘બલાકા’

(અનુ. સુરેશ જોશી)