કંદરા/ગર્ભદ્વાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગર્ભદ્વાર

વૈરાગ્ય એ જીવનનો વધારે નિકટ અનુભવ છે,
એ પુરુષનું શિષ્ન જૂનું થઈ ગયું છે.
શિવાલયમાં ઊડતાં બીલીપત્રો એ રોજ સાફ કરે છે.
પણ આજે, કંઈક ઠંડા ઘેન જેવું
એને અનુભવાય છે.
શરીરે ચંદનનો લેપ, કપાળે તેજ,
ગળે રુદ્રાક્ષની માળા અને શ્વાસમાં
લોબાનની સુગંધ હોય એવું કંઈક.
માત્ર તીવ્ર સ્વરો વાગતા હોય,
નાભિનો ઘેરો અવાજ એમાં એક થઈ જાય.
અને ખુલ્લી પાનીએ આરસના મંદિરને સ્પર્શતો
એ જઈ પહોંચ્યો, મંદિરના ગર્ભદ્વારમાં.
ઝરતા ચરણામૃતને સીધું જ ઝીલી લીધું
જીભ પર, આંખે અડાડ્યા વગર જ.
અને કાનની બુટ લાલ લાલ થઈ ગઈ.
જાણે હમણાં જ કોઈ સ્ત્રીએ ચુંબન કર્યું હોય.