કંદરા/જળાશયોને રસ્તે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જળાશયોને રસ્તે


અત્યારે મને ઊંઘ જેવું ખાસ નથી લાગતું
પણ પૃથ્વીની ધરીના બીજા પ્રદેશમાં
લોકો અત્યારે સૂતા હશે.
એ લોકોયે કંઈ સૂરજની રાહ જોતાં
ચિંતાતુર તો નહીં બની ગયા હોય,
પણ છતાં, સૂરજ ત્યાં પહોંચશે.
એટલે એ લોકો જાગશે.
લીલ ભરેલા તળાવ પર ખરી પડશે
શિશિરનાં ફૂલો ને પહાડો પર
ઉકળતી ચાની સુગંધ લેતાં પુરુષો બેઠા હશે
તાપણું સળગાવીને,
એમની સ્કાર્ફ બાંધેલી ભલી પત્નીઓ સાથે.
ગરમ, રાતા કોલસા, રાખના ઢગલામાં ઠરી જાય
તો બીજી કાઠીઓ લાવી, ફૂંકો મારી પેટાવે ફરી.
આકર્ષાઈ જઈ તાપણાથી
ટોળે વળી જશે મૂંગાઓ !
ને એમનાથી થોડેક જ દૂર,
પેલું મૃત શરીર રાતનું,
ઠંડીમાં થીજી ગયેલું,
પોયણીઓ વચ્ચેથી માર્ગ કરતું
વહી રહ્યું હશે,
એક પછી એક જળાશયોના રસ્તે.