કવિની ચોકી/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org, https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page or https://ekatra.pressbooks.pub.



શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ વિદ્યાવિસ્તાર ગ્રંથશ્રેણી : 11



કવિની ચોકી




ત્રિદીપ સુહૃદ







ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશન
અમદાવાદ




kavini choki
 
By Tridip Suhrud
 
Published by Gujarat Vishvakosh Trust, Ahmedabad 380 013
 


મુદ્રણ અધિકાર: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ


પ્રથમ આવૃત્તિ: જૂન, ૨૦૧૨


કિંમત: રૂ. ૨૫૦


પ્રકાશક: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ
51/2, રમેશપાર્કની બાજુમાં,
બંધુસમાજ સોસાયટી સામે, ઉસ્માનપુરા,
અમદાવાદ-૩૮૦ ૦૧૩
ફોન : 2755 1703
Email : vishvakoshad1@gmail.com www.vishwakosh.org



મુખ્ય વિક્રેતા : ગૂર્જર સાહિત્ય ભવન
રતનપોળ નાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧


મુદ્રક : ભગવતી ઑફસેટ
15/સી બંસીધર ઍસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૪


અર્પણ






આશિસ નંદીને








ૠણસ્વીકાર

આભાર પ્રો. ધીરુભાઈ ઠાકર, પ્રો. કુમારપાળ દેસાઈ અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો. આ નિબંધ સિમલાની ભારતીય ઉચ્ચ અધ્યયન સંસ્થામાં લખાયો. આ સંસ્થા, તેના નિયામક પ્રો. પિટર રોનલ્ડ ડિસુઝા અને સાથી સહાધ્યાયીઓનો આભાર. પ્રો. ઉમાદાસ ગુપ્તા અને શ્રી ગોપાલકૃષ્ણ ગાંધીનો ૠણી છું. અનેક પ્રશ્નોના જવાબ આપ્યા, આંગળી ચીંધી. આશ્રમમાં અમૃત મોદી અને કિન્નરી ભટ્ટનો. સહૃદયી હિના તથા નીતિન શુક્લનો. મેઘા, કાત્યાયની, સુહૃદ; હંમેશની જેમ, ભાર વિના આભાર.

— ત્રિદીપ સુહૃદ
 




પ્રકાશકનું નિવેદન

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ શ્રી ત્રિદીપ સુહૃદનું ‘કવિની ચોકી’ પુસ્તકનું પ્રકાશન કરતાં આનંદ અનુભવે છે. મહાત્મા ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોર એ બે સત્યપંથના યાત્રીઓનો હૃદયસંવાદ આમાંથી મળે છે. આમાં ધર્મના પાયાનાં તત્ત્વો વિશે બંનેનો અભિગમ દર્શાવીને દેશ માટેની મહાત્મા ગાંધીજીની અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરની ભાવના દર્શાવી છે. મહાત્મા ગાંધીજીએ કવિવર રવીન્દ્રનાથ ટાગોરને મહાન ચોકીદાર કહ્યા હતા અને એવી કોઈ ઘટના બને કે જ્યાં કવિવરને એમ લાગે કે મહાત્મા ગાંધીજીએ એમના કર્તવ્યમાં ચૂક કરી છે તો તેઓ તરત એમને જાગ્રત કરતા હતા અને એ રીતે આ પુસ્તકમાં કવિએ કરેલી ગાંધીજીની ચોકી દર્શાવાય છે. શ્રી ત્રિદીપ સુહૃદ જેવા રાજ્યશાસ્ત્રના અભ્યાસી અને રાષ્ટ્ર-પ્રવાહોના ચિંતક પાસેથી આ પુસ્તક મળ્યું છે તેનો અમને આનંદ છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની એક આગવી વિદ્યાકીય પ્રવૃત્તિ છે – જુદી જુદી ગ્રંથશ્રેણીઓ દ્વારા મહત્વના લોકોપયોગી વિષયો પર પ્રમાણભૂત, સર્વગ્રાહી અને માહિતીપૂર્ણ પુસ્તકોનું પ્રકાશન. અત્યારે જુદી જુદી છ ગ્રંથશ્રેણીઓ દ્વારા સંશોધકો અને અભ્યાસીઓને ઉપયોગી પુસ્તકોનું પ્રકાશન થઈ રહ્યું છે. શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ વિદ્યાવિસ્તાર ગ્રંથશ્રેણીના અગિયારમા પુસ્તક રૂપે ત્રિદીપ સુહૃદની ‘કવિની ચોકી’ પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. રાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસમાં મહત્ત્વનું પ્રદાન કરનાર દીર્ઘદ્રષ્ટા શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ ગુજરાતના કેળવણીક્ષેત્રે અવિસ્મરણીય પ્રદાન કર્યું છે. આથી આ પુસ્તક એમની પ્રતિભાને યોગ્ય અંજલિરૂપ ગણાશે. અત્યાર સુધીમાં આ ગ્રંથશ્રેણી દ્વારા ‘ગાંધીચરિત‘, ‘કૅન્સર’, ‘નાટક દેશવિદેશમાં’, ‘ભારત : પ્રતિભા અને પરિદર્શન’, ‘સિદ્ધાંતસારનું અવલોકન’, ‘નાટ્યતાલીમના નેપથ્યે’, ‘સંખ્યાઓની સૃષ્ટિ’, ‘જ્ઞાનાંજન 1’, ‘જ્ઞાનાંજન 2’ અને ‘રસાયણવિજ્ઞાનનો ઇતિહાસ’ જેવાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશની રચનાનું અભિયાન સાકાર બન્યું છે. એના પચીસ ગ્રંથોનું પ્રકાશન થઈ ચૂક્યું છે. એ ઉપરાંત ગુજરાતી વિશ્વકોશના પ્રથમ છ ગ્રંથોની નવી સંવર્ધિત આવૃત્તિ પણ પ્રસિદ્ધ થઈ છે અને હવે પછી અન્ય ગ્રંથોની સંવર્ધિત આવૃત્તિઓ તૈયાર કરવાનું કાર્ય અવિરત ચાલ્યા જ કરશે. આનંદની વાત તો એ છે કે બાળવિશ્વકોશના સુંદર રંગીન ચિત્રો સાથેના ખંડ 1 અને 2 પણ પ્રકાશિત થયા છે. સાથોસાથ ચરિત્રકોશ અને પરિભાષાકોશ તૈયાર કરવાની કામગીરી પણ ચાલે છે. અમારાં અન્ય પ્રકાશનોની માફક આ એક વિશિષ્ટ વિષય પરના પુસ્તકને વાચકો આવકારશે એવી અમે આશા રાખીએ છીએ. આવું રસપ્રદ, ઉપયોગી અને પ્રમાણભૂત પુસ્તક તૈયાર કરી આપવા માટે અમે શ્રી ત્રિદીપ સુહૃદના આભારી છીએ. તા. ૪-૬-૨૦૧૨, અમદાવાદ

— ધીરુભાઈ ઠાકર, કુમારપાળ દેસાઈ
 




પ્રાસ્તાવિક

ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામ કોઈ એક ચોક્કસ વિચારધારાથી સંપૂર્ણપણે, હરસમયે પ્રેરાયેલો ન હતો. વૈચારિક ભેદ, રાજકીય દૃષ્ટિકોણમાં અંતર, સાધન-સાધ્યની તદ્દન ભિન્ન સમજ ભારતીય સ્વાતંયસંગ્રામનું પાયાનું તત્વ રહ્યું છે. સંસ્થાનવાદની સામે ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીમાં જે કોઈ મુક્તિ સંગ્રામ થયા – તે પછી એશિયા, આફ્રિકા કે લૅટિન અમેરિક્માં હોય તે સંગ્રામોમાં મુક્તિતંત્રના દાર્શનિક અને રાજકીય, નૈતિક અને વ્યવહારુ પાસા વિશે ભારતીય ચળવળમાં જે વૈચારિક બહુલતા, ઊંડાઈ અને પાયાના પ્રશ્નો વિશે સંગ્રામની ઘડીએ પ્રશ્નોની, મતભેદની દાર્શનિક ચર્ચા કરવાની તત્પરતા અને તૈયારી હતાં તે જોવા મળતાં નથી. ભારતીય સ્વાધીનતા-સંગ્રામ બહોળા વૈચારિક અને દાર્શનિક ફલક ઉપર રચાય છે; તેમાં એક સમયે કોઈ એક વિચારધારા, કાર્યપદ્ધતિ કે સંસ્થાનું આધિપત્ય હોય તેવું અવશ્ય બન્યું છે પણ આ આધિપત્ય ભોગવતી, પ્રભાવશાળી વિચારધારા અથવા જૂથની સામે પ્રશ્નો અવશ્ય થયા અને આ પ્રશ્નોની ચર્ચા, તેનું રાજકીય કે સાંસ્કૃતિક નિરાકરણ ઘણી વાર ચળવળની દોરવણ કરતાં પણ વધુ અનિવાર્ય અને તાકીદનું બન્યું. આથી, સંવાદ ભારતીય સ્વાધીનતા-સંગ્રામનું ઘટક તત્વ જ નહીં પણ રૂપક પણ બને છે. સંવાદ –જેનો વિખવાદ હોય, ઊહાપોહ હોય, મતભેદ અને મનભેદ પણ હોય – દ્વારા અને સંવાદમાં આ ચળવળની કલ્પના ઘડાય છે, તેના માટેનાં સાધન-સાધ્યની ચર્ચા થાય છે, વ્યૂહરચનાનાં જુદાં માળખાં રજૂ થાય છે અને તત્ક્લીન પરિસ્થિતિમાં હાલ, સ્વીકૃત કલ્પના અને રસમ દ્વારા ચળવળ આગળ ધપે છે. આ જ પળે, તદ્દન વિરોધાભાસી વિચાર અને ભિન્ન સાધનોથી સજ્જ ચળવળ પણ પોતાની આગવી રીતે કાર્યરત હોય તેમ બન્યું. આ બધી જ ચળવળો, વિચારસરણીઓમાં હિંદનો હેતુ, તેનું શ્રેય અવશ્ય હતાં. પણ આ હેતુ કે શ્રેય શામાં છે, તે કયા માર્ગે શ્રેષ્ઠપણે પામી શકાય તેની ચર્ચા માટેની મોકળાશ અવશ્ય રહ્યાં છે. આવો સંવાદ તૂટી જાય, આપસમાં અવિશ્વાસ, અશ્રદ્ધાનું વાતાવરણ આવે તેમ પણ બન્યું છે. ક્યારેક આ ભગ્ન સંવાદના તાણા-વાણા પાછા સાંધવા શક્ય બન્યું તો ક્યારેક આ ખાઈ અસાધ્ય બની. આવા ભગ્ન સંવાદનું એક પરિણામ દેશના ભાગલા તો બીજું પરિણામ ગાંધીહત્યા. સંવાદ ગાંધીજીના જીવન, દર્શન અને કાર્યપ્રણાલીનો અભિન્ન અંશ રહ્યો છે. જ્યારે એમણે 1909 ‘હિંદ કેમ છૂટે ?’ તેનો વિચાર કરવા ધાર્યું ત્યારે હિંદમાં ચાલતા અનેક સંવાદોની સાથે વૈચારિક બાથ ભીડવી અનિવાર્ય બન્યું. આથી જ હિંદ સ્વરાજ એક સંવાદ છે, કેવળ અધિપતિ અને વાચક વચ્ચેનો નહીં પણ સ્વરાજની ભિન્ન કલ્પનાઓ વચ્ચેનો સંવાદ છે, સાધન-સાધ્યના જુદા અર્થ વચ્ચેનો સંવાદ છે, સુધાર અને કુધાર વચ્ચેનો સંવાદ છે, હિંદ અને આધુનિક પશ્ચિમ વચ્ચેનો સંવાદ છે. 1915માં ભારતમાં પાછા આવ્યા બાદ હિંદના સ્વરાજની ચળવળમાં એક પ્રમુખ અવાજ, હાજરી ગાંધીજીની રહી છે. આ ભૂમિકા સર્વોપરી હતી, આધિપત્યની હતી, કઈ ક્ષણે ગાંધીજીએ વ્યૂહાત્મક કે વિચારધારાકીય પીછેહઠ કરવી પડી તે વિશે ઇતિહાસવિદોમાં મતભેદ હોઈ શકે અને છે. પણ, એક હકીકાત નિર્વિવાદ છે કે 1915થી 1948 સુધીની ચળવળનો ઇતિહાસ ગાંધીજી અને તેમનાથી પ્રેરાયેલી, દોરવાયેલી ચળવળો, સંસ્થાઓ અને રચનાત્મક કાર્યક્રમોની બાદબાકી કરીને લખી ન શકાય. સત્યાગ્રહ અને આશ્રમ એ બે એવી જીવનદૃષ્ટિ છે કે જેનો આધાર સંવાદમાં છે. સત્ય વિશેનો સંવાદ, તેને પામવાની મથામણ તે સત્યાગ્રહ અને સામૂહિક ધાર્મિક જીવનની ધગશ અને આ વતી સત્ય પામવાની મથામણ તે આશ્રમ. ગાંધીજીના જીવનની બે પાયાની નિસબત સંવાદ વિના સમજવી અશકાય છે. આ ઉપરાંત, તેઓ માટે અનિવાર્ય હતું કે હિંદના સ્વરાજ માટે તત્પર, અને તેને પામવા માટે પોતાની આગવી રીતે ઝઝૂમતી સર્વવિચારસરણી અને કાર્યપ્રણાલી સાથે તેઓ સંવાદ કરે. તત્કાલીન હિંદની જવલ્લે જ કોઈ એવી વિચારધારા હશે જેની સાથે ગાંધીજીએ અને ગાંધીજીની સાથે અન્યોએ સંવાદ, વિખવાદ કરવા ન ધાર્યા હોય. હિંદની સ્વાતંત્ર્ય-ચળવળ અને તેની કલ્પનામાં જે મોકળાશ છે, ખુલ્લાપણું છે તેમાં આ સંવાદની પ્રથાનો સિંહફાળો છે. આ સંવાદોમાં એક અનેરો સંવાદ છે ગાંધી-ટાગોરનો. લગભગ 25 વર્ષના લાંબા ગાળા દરમિયાન એકમેકની પુષ્ટિ કરતાં, માવજત કરતાં, બિરદાવતાં, પ્રેમાદરથી નવાજતા કવિવર અને મહાત્માએ ભારતીય સમાજસંસ્કૃતિ; તેમાં રાજદ્વારી પ્રવૃત્તિનું સ્થાન-અસ્થાન, મુક્તિના દાર્શનિક ધરાતલ વિશે પાયાનો સંવાદ કર્યો; એવો સંવાદ કે જે આધુનિક જગતના વૈચારિક ઇતિહાસમાં મળવો દુષ્કર છે. આવી બે વ્યક્તિ, જે વ્યક્તિ-સમષ્ટિના ભેદને ઓળંગવા સક્ષમ હોય, જેનું એક ચોક્કસ સ્થળ-કાળ પ્રેરિત કાર્ય કે વિચાર પણ સમગ્ર માનવઅસ્તિત્વને સ્પર્શવા, તેને કેળવવા સક્ષમ હોય તેવી બે વ્યક્તિ સહ-ચિંતન કરે, દેશ-દુનિયાની સમસ્યાઓ, વ્યક્તિગત ચલન-વલન, આશા, આશંકા, અપેક્ષા, આવેશ, ઉદ્વેગની ખુલ્લા દિલે વાત કરે, પોતાના મતભેદ દેશ-દુનિયા સામે વ્યક્ત કરે અને સંવાદને આગળ ધપાવે, નવા આયામ આપે અને ઊંડો પ્રેમ, આદર અને અન્યના કામની જ નહીં પણ પોતાના સમાજ-દુનિયા માટે હાજરી માત્રની મહત્તા અને આવશ્યકતાથી જ્ઞાત હોય અને પોતાના સમાજને આ હાજરીનો, આ જીવનનો અર્થ સ્પષ્ટ કરતી હોય તે જવલ્લે જ જોવા મળે. આ અદ્વિતીય સંવાદ ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામ, આધુનિક દર્શન અને સાંસ્કૃતિક મથામણનું ઊજળું પાસું છે. આ નિબંધમાં પ્રયાસ આવા ભાતીગળ સંવાદની ભાત સમજવાનો છે, તેના તાણા-વાણા પકડી, તેને સહારે દાર્શનિક મતની અભિવ્યક્તિની જે ભાત વણાય છે તેની ઝાંખી કરવાનો છે. આ પાંચ પ્રકરણમાં વહેંચાયેલો નિબંધ છે. દરેક પ્રકરણનો સંવાદ જુદા વિષય, ઘટના અથવા સંવેદનને આધારે, તેને સંબોધીને થાય છે. પણ આ બધા સંવાદ એક-મેકથી ભિન્ન, કોઈ વાસ્તવિક નિસબત ન ધરાવતા સંવાદ નથી. આ તમામને સાથે વાંચીએ, તેવા તાણા-વાણા પકડીએ તો જ ભાત છતી થાય છે; તેનું દાર્શનિક સાતત્ય સમજાય છે. પહેલા પાંચ પ્રકરણમાં શક્ય હોય ત્યાં સુધી ગાંધીજી અને ટાગોરની વાણીથી ચર્ચાનો દોર પકડાવાનો પ્રયાસ છે. દરેક સંવાદ એક બહોળા રાજકીય-સામાજિક-સાંસ્કૃતિક-ઐતિહાસિક-દાર્શનિક પરિવેશમાં થાય છે. આ પરિવેશની સભાનતા અને સમજ સંવાદની વાંચનાને જરૂર સ્પર્શે, કેળવે. પણ અહીં હેતુ પરિવેશ જ નહીં પણ સંવાદની ભાત છતી કરવાનો હોઈ આ વિસ્તૃત પરિવેશ અને તેમાં કાર્યરત અન્ય મહત્ત્વની વ્યક્તિ, સંસ્થાને જ્યાં સુધી તે સંવાદને સીધી રીતે સ્પર્શતી ન હોય ત્યાં સુધી આ ચર્ચાથી અળગી રાખવાનો પ્રયાસ છે. છેલ્લા પ્રકરણમાં આ સંવાદના દાર્શનિક પાસાં અને રાજકીય પરિપ્રેક્ષ્યની છણાવટ છે. આ સંવાદે આપણી રાજકીય સંસ્કૃતિને કેળવવામાં જે ફાળો આપ્યો તેનો તાગ મેળવવાનો પ્રયાસ છે.

— ત્રિદીપ સુહૃદ