કવિલોકમાં/કૃષ્ણભક્તિની કવિતાની એક મહત્ત્વની કડી
મધ્યકાલીન ભક્તકવિ રાજેકૃત કાવ્યસંગ્રહ, સંપા.ડૉ. રમેશ
જાની, પ્રકા. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૯૧
ભક્તકવિ રાજેનું ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન છે - એકાધિક દૃષ્ટિએ. એક તો, એ મુસ્લિમ કવિ છે. મુસ્લિમ, ખોજા વગેરે કવિઓનું મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કેટલુંક અર્પણ છે, પણ એ આપણા વ્યવસ્થિત અભ્યાસનો વિષય બન્યું નથી. આપણે મુખ્યત્વે બ્રાહ્મણધારાના સાહિત્યને જ લક્ષમાં લીધું છે અને તેથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું આપણું દર્શન એકાંગી રહી ગયું છે. એ સ્થિતિ હવે સુધારી લેવાની તાતી જરૂરિયાત છે. ‘ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાલીન)’એ એ માટેનાં દ્વાર ઉઘાડી આપ્યાં છે. રાજે મુસ્લિમ કવિ, પણ કૃષ્ણભક્ત કવિ. આ ઘટના ઘણી વિલક્ષણ ગણાય. રાજે ભરૂચ જિલ્લાની આમોદ તાલુકાના કેરવાડા ગામના વતની અને મોલેસલામ ગરાસિયા. આ કોમમાં ઘણા હિંદુ સંસ્કારો સચવાયા છે એમ ડૉ. જાની બતાવે છે. તેથી રાજેની કૃષ્ણભક્તિ પહેલી દૃષ્ટિએ જેટલી વિલક્ષણ લાગે છે એટલી પછી રહેતી નથી. પરંતુ રાજેમાં ઇસ્લામી સંસ્કારો સાથે કૃષ્ણભક્તિનું મિશ્રણ નથી. એ શુદ્ધ કૃષ્ણભક્ત, કહો કે બ્રાહ્મણધર્મી કવિ છે. ‘અલ્લા, દેજો રે દેદાર, મૌલા, દેજો રે દેદાર’ એ પદમાં મુસ્લિમ બાનીનો વિનિયોગ થયો છે પણ આ પંક્તિ પૂરતો જ, બાકીનું આખું પદ તો જ્ઞાનભક્તિની બ્રાહ્મણધારામાં જ ગોઠવાય એવું છે. મધ્યકાળના જનજીવનમાં નાતજાત અને ધર્મસંપ્રદાયના ભેદો કેવા અપ્રસ્તુત થઈ જતા હતા તેમજ પરસ્પર કેવું આદાનપ્રદાન ચાલતું હતું એનું આ જ્વલંત ઉદાહરણ છે. દક્ષિણ ગુજરાતના જ અભરામ ભગત વગેરે મુસ્લિમ કવિઓ પણ હિંદુ જ્ઞાનભક્તિધારાનો પ્રબળ પ્રભાવ ઝીલે છે એ અહીં નોંધી શકાય. અલબત્ત, આ કવિઓ પ્રભાવ જ ઝીલે છે. રાજે તો, કહેવામાં ન આવે તો, મુસ્લિમ કવિ છે એનો અણસારોયે આપણને થતો નથી. ૧૭૧૧ આસપાસ થયેલા રાજે પ્રસિદ્ધ વૈષ્ણવ ભક્તિકવિ દયારામના નજીકના પુરોગામી ગણાય. રાજેની કવિતાને જેમ કૃષ્ણભક્તિની ને જ્ઞાનવૈરાગ્યની કવિતાની પૂર્વપરંપરાના અનુસંધાનમાં જોઈ શકાય છે, તેમ દયારામની કવિતાને રાજેની કવિતાના અનુસંધાનમાં જોઈ શકાય છે. પોતાના વિપુલ સર્જનને કારણે રાજે કૃષ્ણભક્તિની કવિતાની એક મહત્ત્વની કડી બની રહે છે. રાજેની ઘણી કૃતિઓ આ પૂર્વે ‘બૃહત્કાવ્યદોહન’ તથા ‘પ્રાચીન કાવ્યસુધા’માં છપાયેલી છે. પણ બીજી ઘણી કૃતિઓ હસ્તપ્રતોમાં જ પડી રહી હતી તથા એમની કૃતિઓનું કોઈ શાસ્ત્રીય સંપાદન અને એમના જીવનકવનનું કોઈ માતબર અધ્યયન આપણી પાસે નહોતું. ડૉ. જાનીએ પોતાના પીએચ.ડી.ના અભ્યાસ નિમિત્તે આ કામ કર્યું. દુર્ભાગ્યે આજ સુધી એ અપ્રસિદ્ધ રહ્યું. આપણા સમૃદ્ધ સાહિત્યવારસાની આપણને કેટલી ફિકર છે એ દેખાડી આપનારી આ ઘટના છે. હરિવલ્લભ ભાયાણીના પ્રયાસોથી હવે ડૉ. જાનીના મહાનિબંધના કેટલાક ભાગ - એમાં સંપાદિત થયેલી કૃતિઓ અને રાજેના જીવનકવનનો પરિચય - આજે પ્રસિદ્ધ થાય છે તે આનંદનો વાત છે. સંકળાયેલા સૌની સાહિત્યસંસ્કારપ્રીતિ અનુમોદનીય છે. પુસ્તકના જીવનકવનવિષયક ભૂમિકાલેખમાં લેખકે કવિની સમય, જીવનવૃત્ત, મોલેસલામ જ્ઞાતિ વગેરે બાબતો વિશે ઉપયોગી પ્રકાશ પાડ્યો છે. આ માટેની પર્યાપ્ત માહિતી કવિની કૃતિઓમાં નથી મળતી, પરંતુ લેખકે કવિના વતનની મુલાકાત લઈને, જાણકાર માણસોનો સંપર્ક કરીને, પ્રાપ્ત અનુશ્રુતિઓનો સવિવેક આધાર લઈને પોતાનાં તારણો રચ્યાં છે. લેખકે સંશોધનપૂર્વક આપણને સંપડાવેલી કેટલીક માહિતી આ મુજબ છે : (૧) રાજે કવિ પ્રેમાનંદ (૧૬૩૬-૧૭૨૪) અને શામળ (૧૭૦૦-૧૭૭૦)ના સમકાલીન હતા. ‘વ્રેહે-ગીતા’નું રચનાવર્ષ ૧૭૧૧ અને કેટલીક હસ્તપ્રતોના ૧૭૨૨ અને ૧૭૪૦ એ લખ્યાવર્ષને આધારે આ નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ વધારે ચોકસાઈથી કહેવું હોય તો રાજે પ્રેમાનંદના અનુકાલીન અને શામળના સમકાલીન હતા એમ કહેવાય. (૨) એ કેરવાડાના વતની હતા. એમની કોઈ કૃતિમાં આ હકીકત મળતી નથી, પરંતુ અનુશ્રુતિ, કેરવાડામાં આવેલી ‘રાજેની કુવારી’ તરીકે ઓળખાતી કૂઈ, કેરવાડાની સીમમાં ‘રાજે ભક્તની દહેરી’ તરીકે ઓળખાતું એનું સમાધિસ્થાન વગેરે પ્રમાણોથી આ હકીકત સિદ્ધ થાય છે. (૩) મોલેસલામ વટલેલ હિંદુ રાજાઓ, ઠાકોરો અને એમના ભાયાતોમાંથી બનેલી, મુસલમાન જ્ઞાતિ છે, એમાં હિંદુ નામો, અટકો, રીતરિવાજો તથા રજપૂત કન્યાઓ સાથે પરણવાનો વ્યવહાર તથા કોઈ વાર હિંદુ ધર્મનું પાલન પણ જોવા મળે છે. તેથી રાજે કૃષ્ણભક્ત હોય એ કશું નવાઈભર્યું નથી. (૪) રાજેનો કૌટુંબિક વ્યવસાય ખેતી હતો; એ પરણ્યા હોય એમ :જણાતું નથી. એમના પિતાનું નામ ‘રણછોડ’ હોવાનું જે કાવ્યપંક્તિઓ પરથી અનુમાન થયું છે તે વસ્તુતઃ ભગવાનનું જ નામ છે. બાળપણમાં એ બોલી શક્તા નહોતા, પણ પછી ગોવિંદગુણ ગાવા જાણે એમને વાણી મળી અને ઢોર ચરાવવા જતા ત્યારે એ ભજનો ગાતા. ભક્તિને કારણે એમને લોકનિંદા સહન કરવાની આવી અને વતન છોડવાનું પણ બન્યું. ભૂમિકાલેખના ‘કવન’ વિભાગમાં ડૉ. જાનીએ રાજેની કાવ્યકૃતિઓની ભાવસૃષ્ટિનો પરિચય કરાવ્યો છે અને એમની કવિશક્તિના ઉન્મેષોની નોંધ લીધી છે. ડૉ. જાનીને મતે “પ્રેમભક્તિનું આલેખન કરવું એ જ રાજેનું ધ્યેય છે અને એનો સર્વોત્તમ આવિષ્કાર આપણને એનાં પ્રેમભક્તિને ગાતાં છૂટક પદોમાં જોવા મળે છે." તથા “એને આપણા મધ્યકાલીન સાહિત્યના ઉત્તમોત્તમ પદકવિઓમાં સ્થાન આપવામાં ભાગ્યે જ કોઈને અતિશયોક્તિ જણાશે.” લેખકે એક રસપ્રદ કામ કર્યું છે તે તો કેટલાક રૂઢિપ્રયોગો ને કહેવતોની નોંધ લેવાનું છે. થોડાક વિશિષ્ટ રૂઢિપ્રયોગો જુઓ: ‘લોક થઆ’ એટલે પારકા થયા; ‘સાજૂ રાખૂ’ એટલે સારો સંબંધ રાખો; ‘જગતને દાંતે ચડવૂં’ એટલે જગબત્રીસીએ ચડવું; ‘મૂલ કરાવવું’ એટલે આબરૂ ગુમાવડાવવી વગેરે. લેખકે રાજેએ પ્રયોજેલા છંદોનું પણ સંક્ષિપ્ત ને સૂઝભર્યું વિશ્લેષણ રજૂ કર્યું છે. આ પુસ્તકમાં રાજેની જે કૃતિઓનું સંપાદન કરવામાં આવ્યું છે તે, સંપાદક કહે છે તેમ, કવિની અપ્રકટ વિશાળ પદસમૃદ્ધિ અને સાખીઓમાંથી પ્રતિનિધિરૂપ કેટલીક કૃતિઓનું છે, એટલેકે રાજેની કૃતિઓનો આ સર્વસંચય નથી. આથી જ, જીવનકવનવિષયક અભ્યાસમાં લેખકે જે પંક્તિઓ આધાર તરીકે ઉદ્ધૃત કરી છે તે આ સંપાદનમાં જોવા ન મળે એવું બન્યું છે. સંપાદકને હસ્તપ્રતોમાં રાજેની અન્ય ઘણી કૃતિઓ જોવા મળી છે. પરંતુ ગુણવત્તાની દૃષ્ટિએ કે કવિના અભ્યાસની દૃષ્ટિએ કેટલીક કૃતિઓ અનિવાર્ય ન લાગવાથી એમણે એને આ ગ્રંથમાં સમાવી નથી. તે ઉપરાંત, રાજેએ લખેલી પોણા ચાર હજારથી વધુ હિંદી સાખીઓમાંથી ૧૫૧ જ સાખીઓ અહીં પસંદ કરીને મૂકી છે અને ગુજરાતી સાખીઓ પણ થોડી જ - માત્ર છ – લેવામાં આવી છે. ‘પ્રાચીન કાવ્યસુધા’માં છપાયેલ ઢગલાબંધ પદો અને અન્ય કૃતિઓ તો જુદાં. આ પરથી રાજેનું કાવ્યસર્જન કેટલું વિપુલ હતું તેનો ખ્યાલ આપણને આવે છે અને મધ્યકાલીન કૃષ્ણભક્ત કવિઓમાં એમને આપણે આગલી હરોળમાં મૂકવા જોઈએ એની પ્રતીતિ થાય છે. હજુ આપણે બે કામ કરવાનાં રહે છે. એક તો, રાજેનાં કાવ્યોનો એક સર્વસંચય થવો જોઈએ અને બીજું, રાજેનાં ચૂંટેલાં કાવ્યોનો એક નાનકડો સંચય. આ બે કામો થશે ત્યારે જ રાજેનું ઉચિત તર્પણ આપણે કર્યું કહેવાશે. અને હા, ડૉ. જાનીના મહાનિબંધનો છોડી દીધેલો ભાગ — રાજેના કાવ્યસર્જનનું અધ્યયન — પણ પ્રગટ થવો જ જોઈએ. પ્રસ્તુત સંપાદનમાં લહિયાઓની ઉચ્ચારણ-લેખન-ખાસિયતો એમ ને એમ રાખવામાં આવી છે, જે ઘણી લાક્ષણિક છે. આથી, ભાષાના અભ્યાસીઓને આમાંથી કેટલુંક ઉપયોગી ભાથું મળશે પણ વિશાળ વાચકવર્ગને તો પ્રારંભમાં કેટલીક અગવડ પડશે જ. અહીં જોવા મળતું એક વ્યાપક વલણ તે ‘ઉ’નું ‘ઓ’ કરવાનું છે. જેમકે, ‘દૂર’નું ‘દોર’, ‘દૂત’નું ‘દોત’, ‘શૂરા’નું ‘સોરા’, ‘સનમુખ’નું ‘સોનમોખ’, ‘મૂએ’નું ‘મોએ’, ‘ગુણ’નું ‘ગોણ’ વગેરે. સામે ‘ઓ’નું ‘ઉ’ થયાના પણ દાખલા જડે છે. જેમકે, ‘મીટનો મેલો’નું ‘મીટનુ મેલુ’, ‘નહોતા’નું ‘નુતા’, ‘વહોણી’નું ‘વુણી’ વગેરે. ઉચ્ચારભેદથી આવતા અને તેથી દુર્બોધ બની રહે તેવા બીજા કેટલાક શબ્દો જુઓ : કારે (ક્યારે), સવઅસવ (શિવઅશિવ), કૂરણા (કરુણા), દાવાદલ (દાવાનળ), વીરખ (વૃક્ષ), નેહેચલ (નિશ્ચલ), ધાંન (ધ્યાન), પ્રેમલ (પરિમલ), સંઘ (સંગ), સૂઆંત (સ્વાતિ), ભટગણ (ભટકણ, ભટકવું તે), સાધ (સાધુ), શાદે (સ્વાદે), બેકુ (બહેક્યો) વગેરે. આમાં ભળે કેટલાક વિશિષ્ટ મધ્યકાલીન શબ્દો ને રૂઢિપ્રયોગો, થોડીક છાપભૂલો ને થોડાક શબ્દભંગ વગેરેના પાઠદોષો. એટલે રાજેનાં કાવ્યોનું વાચન વાચકને પક્ષે શ્રમ, સૂઝ અને ધૈર્યની અપેક્ષા અવશ્ય રાખવાનું, પણ એ પછી એનું વળતર મળી રહે એવી ભાવસભર ને વાગ્-રસમયી કાવ્યસૃષ્ટિનો ભેટો થવાનો જ. સંપાદનની આ પદ્ધતિ યોગ્ય હતી કે કેમ એ પ્રશ્ન જરૂર થાય. પણ લહિયાના ઉચ્ચારો-જોડણીઓમાં ફેરફાર કરવાનું કામ પણ ઘણી સૂઝ ને ઘણો વિવેક માગે. ડૉ. જાનીના અવસાન પછી એ કોણ કરે? એવી સજ્જતાવાળા મધ્યકાલીન સાહિત્યના અભ્યાસીઓ દીવો લઈને શોધવા જવા પડે એવી આપણી સ્થિતિ છે. એવો લોભ રાખવા જઈએ તો રાજેની આ કાવ્યસમૃદ્ધિથી વંચિત રહેવાની જ સ્થિતિ આવે. માટે જે થયું તે જ ગનીમત. પણ રાજેનો નાનકડો લોકભોગ્ય કાવ્યસંચય થાય ત્યારે આ ઉચ્ચાર-જોડણીવ્યવસ્થા સુધારી લેવાની રહે. (અહીં હવે પછી ઉદ્ધૃત કરેલી કાવ્યપંક્તિઓમાં થોડુંક એવું કર્યું છે.) પુસ્તકમાં રજૂ થયેલી કાવ્યસામગ્રીનો સૌથી મોટો અને મહત્ત્વનો અંશ તે ૩૭૩ પદો છે. એ બધાં પદો કૃષ્ણભક્તિનાં છે. આઠદશ પદો કૃષ્ણના ઉદ્ગાર રૂપે મળે છે, કોઈક પદ દાણલીલા જેવા પ્રસંગવર્ણનનું છે, કોઈક પદ ભક્તિબોધનું છે, બાકીનાં સર્વ પદો ગોપીમુખે મુકાયેલાં છે અને એની કૃષ્ણ પ્રત્યેની પ્રેમભક્તિ વ્યક્ત કરે છે. આ પદોની ઊડીને આંખે વળગે એવી એક લાક્ષણિકતા એ છે કે એમાં નરસિંહ જેવામાં પ્રચુરપણે જોવા મળતું સ્થૂળ શૃંગારચેષ્ટાવર્ણન ક્યાંય નથી. એમાં હરિના આગમને થયેલા ઉમળકા અને આનંદની અભિવ્યક્તિ છે, પણ ‘તનનાં તાપ સમા સરવે’થી વાત આગળ વધતી નથી. ‘સૂશું આપણ એકાંતે, રંગ રમશું રળિયાત’ એવી અભિલાષા છે, ને ‘ગોવિંદજી સાથે ગેલ’ ‘ભૂદર શું ભેલાભેલ’ ને ‘રંગની રેલ’ની વાત છે તથા ‘મોહન-મધુકર તેમ માણે, જેમ કામની કંચન-વેલ’ એવું સંયોગશૃંગારનું સૂચક આલંકારિક ચિત્ર છે, પણ રતિસુખનું ઉઘાડું વર્ણન - કામચેષ્ટાઓનું ચિત્રણ તો લગભગ નથી. રાજેનો ભક્તિશૃંગાર મધુર મર્યાદારસે ઓપતો ભક્તિશૃંગાર છે. ઝાઝેરાં પદો તો કૃષ્ણવિરહના વિવિધ મનોભાવોનાં છે તેને લઈને પણ ભક્તિશૃંગારના આ સ્વરૂપને ઉઠાવ મળ્યો છે. કોઈ પદો દાણપ્રસંગની વડછડનાં છે, કોઈ કુબ્જાપ્રસંગને અનુલક્ષી કરેલા કટાક્ષનાં છે, કોઈ અન્યત્ર રમી આવેલા કૃષ્ણ પ્રત્યેના ઉપાલંભનાં છે. – પણ કોઈક પદો જ. સર્વવ્યાપ્ત ભાવ તો નિર્મળ, નરવી પ્રેમભક્તિનો જ છે. વિરહદુઃખ અને સ્મરણસુખ, આસક્તિ અને અપરાધભાવ વગેરેના માર્મિક સંદર્ભોથી એ પુષ્ટ થયો છે. આ ભાવસૃષ્ટિ કંઈ કવિની મૌલિક નથી. પરંપરાપ્રાપ્ત છે. પણ આપણા મનમાં વસી જાય એવી ઘણી ઉક્તિઓ એમાં જરૂર સાંપડે છે. જુઓ :
* વાહાલપણું જે વાટ તણું હાવે તે કેમ વીસરી જાએ?
* હાવે નગરનિવાસી કાહાવે, ગોવિંદ ગામડે નહીં આવે.
* ચાંદરણું ચાલી ગિઉં, અને આવી અંધારી રાત.
* સખી, શ્યામનુ શુ વાંક? અવગુણ આપણા!
ને આપણ રાંક! અવગુણ આપણા.
* કહીં ન જાશું રે કાન, કાલીચૌદશની રાતે,
મંત્ર આરાધી રે કોઈ તમને કરશે હાથે.
* ભાવઠ ભાગી રે મારા ભૂદર તમને ભાળી,
દાસ રાજેના રે પ્રભુ, આજ અનેક દિવાળી,
* જમવા આવુ રે જગજીવન જગદીશ,
તમને સંતોક્યે રે સંતોક્યા ક્રોડ તેત્રીસ.
* આજ મારે રે મંન ફૂલી છે વાડી.
* હું અહીં ભાળુ, તમે અહીં ભાળુ, મીટ તણા થાયે મેલા.
* બરછીની અણિયું છે નાથજી, એ નેણ તારાં
* લાખીણા, તાહારા બહુ લટકા, જાણે કૈં સાકરના કટકા,
* આવે જેમ અમ્રતના ઘટકા.
* નેણાં મારાં નીર નથી ઝીલતાં રે
* રાજેના પ્રભુ અંતરજામી, ટાલુ વ્રેહેના વલોણા.
* રંગરંગીલુ છેલછબીલુ મીટે લીધા માગી રે.
* રાજેના પ્રભુ અંતરજામી, જ્યારે ત્યારે તમથી તરવું.
પરિશિષ્ટમાં મુકાયેલ ચાર પદો સંતવાણીની લાક્ષણિક અભિવ્યક્તિતરાહો ધરાવતાં હોઈ જુદાં તરી આવે છે. એ. આમ, પરિશિષ્ટમાં શા માટે મૂક્યાં છે એનો કશો ખુલાસો પ્રાપ્ત થતો નથી. એમાંની થોડી પંક્તિઓ જોવા જેવી છે :
* સાહેબ, આ રે અંધારી એક ઓરડી,
લોઢે જડીઆં કમાડ, રતને જડીઆં કમાડ,
તાળું ને કૂંચી રે ધણીના હાથમાં રે જી.
સાહેબ, ઊંચા તે કોટ ભ્રમના (=બ્રહ્મના)
નીચો વહે દરિયાવ,
એ રે દરિયા કેરી હું માછલી રે જી.
સાહેબ, બગ હોને આવ, મૌલા, બગ હોને આવ,
તમારા દરશન વિના બાવરી હોજી.
* દવાખાનેથી દાક્તર આવીયા...
સરગ્યભવનથી દાક્તર આવશે...
* રામ, તારાં રોજડાંને વારો, સંતોનાં ખેતરાં શીદને ભેલાડો?
* મનવા, ખેતર ટુવો પ્રીતે, ટોયા વિના ભેલાય નિત્યે.
કાળકાગડો અધર ભમે છે, હરખી જુએ છે તે,
દિનદિન આયુષ્ય ઓછું થાય છે, તાકી રહ્યો એક ચિત્તે.
‘દાક્તર’ જેવા અર્વાચીન શબ્દ, તળપદા વાણીપ્રયોગો ને રૂપકાત્મકતા જ્ઞાનવિચારને સચોટ રીતે મૂર્તિમંત કરે છે. કવિની અન્ય કૃતિઓમાં ‘વ્રેહે-ગીતા’ ૪૪ કડવાંની કૃતિ છે અને ભાગવતના ઉદ્ધવપ્રસંગને રસાળતાથી આલેખે છે. એમાં જશોદાના અને ખૂબ વિસ્તારથી ગોપીઓના મનોભાવો આલેખાયા છે. એમાં અપૂર્વતા નથી પણ આસ્વાદ્યતા તો છે જ. થોડાં ઉદાહરણ જોઈએ:
* ઉદ્ધવજી, કોઈ વાંસલડી વાએ રે, માડીના મનમાં ઝૂરણ થાએ રે
* (ગોપી ઉદ્ધવને)
આવ્યા છુ નંદજસોદા માટે રે, અમે તુ અમથાં મલુ છુ વાટે રે.
* હરિ તુ રૂદયા માંહે ભાસે રે, વદન જેમ દરપણમાં પરકાસે રે.
જેમ કૈં પુષ્પ ને પ્રેમલ ભેલુ રે, હરિને એમ હૈયામાં મેલુ રે.
* આહાં તુ અમે આંખમીચાંમણી રમતાં રે,
તારે અમે ગોવિંદજીને ગમતાં રે.
* ઉધવ, જેમ વેલવ-છોઆં પાંન રે,
અમારાં એમ મુરઝાઈયાં માંન રે.
‘પ્રકાશગીતા’ હરિભક્તિનો મહિમા વર્ણવતી ૪૫ કડવાંની કૃતિ છે. એમાં અનેક ભક્તોનાં અનેક દૃષ્ટાંતો છે, પણ અદ્ભુત મહિમા તો કર્યો છે ગોપીની ભક્તિનો. વ્રજનારની ભક્તિને નવધાથી ન્યારી એવી દશધા (દશમા પ્રકારની) ભક્તિ કહી છે, એની સમોવડ બીજી કોઈ ભક્તિ ન આવે. ‘પ્રભુ કહે મારો પ્રાણ ગોપી, બીજા તો પગહાથ છે’ એમ પ્રભુને મન પણ આ ભક્તિનું માહાત્મ્ય છે. કવિની ભાવાર્દ્રતાનો પુટ પણ આ બોધકવિતાને ચડેલો છે :
બાપજી, જેમ બોલાવશો હું તેમ બોલીશ બાપડો,
આ ભાવ ભગત ભજાવવા મારે ચંતમાં આવી ચઢો.
શબદે શબદે શેરડો, કર લાકડી જેમ અંધને...
આ કૃતિમાં પદસાંકળી અનેક સ્થાને સિદ્ધ કરવામાં આવી છે તે નોંધપાત્ર છે. ‘ભ્રમરગીતા’ એ ૨૪ પદની કૃતિમાં ગોપીએ ઉદ્ધવને કહેલો સંદેશો રજૂ થયો છે. આસક્તિ, આર્દ્રતા, આકુલતા, અસૂયા ને નર્મમર્મનું રસપ્રદ સંમિશ્રણ એમાં છે. ‘રાધિકાજીનો વિવાહ’ બે ઢાળ અને ૩૬ કડીની નાનકડી કૃતિ છે. એમાં રાધાનો માતા સાથેનો સંવાદ છે. માતા રાધિકાના કાન સાથેના વિવાહ વિશે જાતજાતના પ્રશ્નો કરે છે, પિતાની બીક બતાવે છે, પણ માતાને સ્વીકારવું પડે છે કે ‘કુંવરી, તેં તો કુળમાં લગાડી નથી ખામી, તુને મલો રાજનો સ્વામી’ અને રાધા નિશ્ચયપૂર્વક કહે છે કે ‘માતાજી, મારી પરણા તે ફોક કેમ થાસે?, તારે સૂરજ પશ્ચિમે જાશે રે’. લોકગીતની ભાષાલઢણો, પદ્યઘલઢણો ને સ્ફૂર્તિ આ નાનકડી રચના ધરાવે છે. બે-બે પત્રોને સમાવતું ૫૪ કડીનું ‘રૂખમણીહરણ’ પણ રુકિ્મણીના માતા સાથેના સંવાદનો ખાસ્સો લાભ લે છે અને કથાકથન તો સંક્ષેપમાં જ કરે છે. પ૦ કવિતછપૈ પદસાંકળી ધરાવતી હરિભક્તિ-બોધની કૃતિ છે. એની તળપદી અભિવ્યક્તિ ધ્યાન ખેંચે છે. થોડાક મર્મસ્પર્શી ઉદ્ગારો જુઓ :
* વીશ્રવ ને વેહેવાર બને નહીં બે-બે વાતે.
* હરિનામ-હોડી તજીને ફીણે વલગુ કાંએ?
* દૂધ તણુ સવાદ ન આવે દીઠે દોહણી
* ગધો કરે હૂકાર ને ઘી તે ઘોડા ખાએ.
* કેલકંદ કાહાનડ તજીને શું બાવલ શું બાથ?
છ ગુજરાતી અને ૧૫૧ હિંદી સાખીઓમાં જ્ઞાનવૈરાગ્યનો બોધ વણાયેલો છે. હિંદી સાખીઓમાં સાંકળીનો પ્રયોગ નજરે પડે છે. એમાંનું હિંદી તે લૌકિક હિંદી છે - ‘રઝળી રઝળી’નું ‘રઝલ રઝલ’ કરીને કામ ચલાવ્યું છે, પણ કેટલાક લાક્ષણિક હિંદી પ્રયોગો પણ મળે છે. ગુરુમહિમા, મૂર્ખને ઉપદેશ વગેરે અનેક વિષયોને આવરી લેતી આ સાખીઓનો જ્ઞાનવિચાર તો પરંપરાપગત છે પણ કેટલીક મનોરમ ઉક્તિઓ મળે છે :
- ગરથ ગાંઠકુ જાત હૈ મૂરખ દેતાં મત (=મતિ),
રૂખ આગે, રાજે કહે, છતી ન કીજે છત (=શક્તિ).
તાહાં છત છતી ન કીજીએ, જાંહાં નહીં જ્ઞાનવિવેક,
રાજે ઓપે આંખમાં, કાજલ કેરી રેખ.
* હૂની થી સો હો ગઈ, બાતબાતમાં બાત.
* જો ડૂબું તો તુમસે, તરું તુમારે હાથ.
* કેહે રાજેકુ ના ભયે જમાનાંજીકી રેત,
નહાણેકુ કભી આવતે, તુ પ્રભુજી પગ દેત.
છેલ્લાં ઉદાહરણો બતાવે છે તેમ આ સાખીઓમાં રાજેનો પોતાનો આર્દ્ર ભક્તિભાવ પણ કેટલેક સ્થાને વાચા પામ્યો છે. હિંદી સવૈયા બે વિભાગમાં વહેંચાયેલા છે. ‘નરવાણી વાતડ’ (નિર્વાણી – જ્ઞાનીની વાતો)ના ૨૫ સવૈયામાં સંસારનું મિથ્યાત્વ, કર્મની અપરિહાર્યતા, હરિભક્તિનો મહિમા વગેરે વિષયો પરંપરાનું ચોખ્ખું અનુસંધાન દેખાય એવી રીતે રજૂ થયાં છે. જેમકે,
એકકુ બહુત હી માલ ખજીના, ને એકકી પાસ મલે નહી કુડી,
એક તુ રાગ છતીસુ હી જાંને ને એકકુ એક પીછાંને ન ગુડી.
એકકે કણ કોઠાર નહીં માતે, એક કીડી દર જાત હૈ જુડી,
પે દાસ રાજે પ્રભુકે બસ જૈએ જે કેરમકી બાત સો આવત કૂડી.
પે’નો લટકો એ આ સવૈયાની એક લાક્ષણિકતા છે. ‘વિજોગી વાતડ’ (વિયોગની વાતો)ના ૧૯ સવૈયામાં વિરહભક્તિનો ભાવ શબ્દબદ્ધ થયો છે. આ ચિરપરિચિત ભાવસૃષ્ટિમાં કેટલાક મનગમતા ઉદ્ગારો તો સાંપડે જ છે :
* પ્રીતમમાં જબ પ્રાન બસા તબ દેહકી કુન ગવેસ કરેગા?
* એકકુ મંન ને એકકુ નાંહી, એ દીપક પ્રીત પતંગકે જેસુ.
* એક તુ ઝુરત હે દિનરાત ને એક તુ જાએ કરારમાં સોવે.
* પે દાસ રાજે પ્રભુ પ્રીતકી બાત અચેતકુ નાંહી, ચેતનકુ દાગે.
* ઊધો કહે સબ માધોકી આગે, એ ગોપીકુ પ્રેમ કહુ નહીં જાતુ,
બન્ને પ્રકારના સવૈયામાં સાંકળીબંધ જોવા મળે છે. રાજેના મધ્યકાલીન શબ્દપ્રયોગો, પદોમાં પ્રયોજાયેલ ધ્રુવાઓ વગેરેમાં અભ્યાસીઓને રસ પડે એવી ઘણી સામગ્રી છે. અહીં તો રાજેની કાવ્યસૃષ્ટિની એક ઝાંખી જ રજૂ કરી છે. આ ઝાંખી પણ બતાવી આપશે કે પ્રેમલક્ષણાભક્તિના આ ગાયક આપણા મધ્યકાલીન સાહિત્યમાં જરા ઊંચેરા સ્થાનના અધિકારી છે.
*
ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, એપ્રિલ-જૂન, ૧૯૯૩
***