કાવ્યચર્ચા/આધુનિક કવિતામાં યુગચેતના

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આધુનિક કવિતામાં યુગચેતના

સુરેશ જોષી

પહેલાં તો ‘યુગચેતના’ એ સંજ્ઞાને સ્પષ્ટ કરી લઈએ. છેલ્લા એકાદ દાયકાથી કેટલીક નવી સંજ્ઞાઓ કાવ્યવિવેચનમાં પ્રયોજાતી આવે છે. હવે આપણે ચિત્રકલ્પન અને શ્રુતિકલ્પન, કલ્પનોની તથા પ્રતીકોની વાત કરીએ છીએ. ‘લય’ના સંકેતની ફેરતપાસ કરીને એને વિશે વિચાર કરવાનો ઉત્સાહ વધ્યો હોય એમ દેખાય છે. ઇન્દ્રિયવ્યત્યયની પણ વાત છે. ‘યુગચેતના’ શબ્દ આપણે હજી હમણાં જ બનાવ્યો છે, કેટલાકને કદાચ એમ પણ લાગવાનો સમ્ભવ છે કે આપણા કવિનું કાઠું કદાચ આવી મોટી સંજ્ઞાને માટે જરા નાનું પડે. સમકાલીન સમાજ વિશેની અભિજ્ઞતા, સમકાલીન ચેતના – Social awareness વગેરેની વાતો કોઈ ને કોઈ રૂપે કાવ્યવિવેચનમાં ડોકાયા તો કરતી હતી. પણ ‘યુગચેતના’ એવી સંજ્ઞા યોજતાંની સાથે જ જાણે આપણે અંગદકૂદકો મારતા હોઈએ એવું લાગે છે. આમ તો કવિ ક્રાન્તદર્શી કહેવાતો આવ્યો છે. પણ હરકોઈ કવિને આપણે ક્રાન્તદર્શી કહી દેતા નથી. વળી સાચી કવિતા કાલાબાધિત છે એમ પણ કહેવાતું આવ્યું છે. છતાં કવિતાને ઘડનારાં ‘પરિબળો’ની યાદી ગોખનારો વિદ્યાર્થી કવિ પોતે જે કાળખણ્ડમાં જીવે છે તેની કેવી અસર નીચે આવે છે તેનો પણ અહેવાલ આપતો હોય છે. આ અહેવાલની સામગ્રી કાવ્યમાંથી જ વીણીને એકઠી કરવામાં આવી હોય છે. જે કાવ્ય આવી સગવડ સહેલાઈથી પૂરી પાડે તે જેટલું સમાજશાસ્ત્રને માટે ઉપયોગી નીવડે તેટલું સાચા કાવ્યજ્ઞને ઉપયોગી નયે નીવડે, કારણ કે એમાં સામગ્રીનું પૂરેપૂરું કાવ્ય રૂપે રૂપાન્તર, કદાચ, થયું નથી હોતું. તો આ યુગચેતના તે વળી શી બલા છે? યુગનો ને ચેતનાનો સમાસ થઈ શકે?

જર્મન ભાષામાં zeitgist શબ્દ છે, એનો અંગ્રેજીમાં time-spirit એવી સંજ્ઞાથી અનુવાદ કરવામાં આવે છે, ‘યુગચેતના’ એ સંજ્ઞાનો આની સાથે સમ્બન્ધ જોડી શકાય. આથી કવિ જે જે સમાજમાં રહેતો હોય તેને વિશેની અભિજ્ઞતા નહીં, સમકાલીન ચેતના નહીં, પણ આખાય યુગને પોતાના વ્યાપમાં સમેટી લઈ શકે એવી ચેતના એમ સમજવું રહ્યું. સાચા કવિની ચેતનાનો વ્યાપ આથી નાનો ન હોઈ શકે. વળી કોઈ યુગને આપણે આની પહેલાંના યુગથી નિરપેક્ષપણે ભાગ્યે જ જાણી શકીએ. અખણ્ડ ચેતના કાળને અખણ્ડ રૂપે ગ્રહવા મથતી હોય છે. કાળના અમુક એક ખણ્ડને પરિમિત સન્દર્ભમાં જોઈએ તો અમુક ઘટનાઓ મોટા પરિમાણની લાગે, પણ વ્યાપક સન્દર્ભમાં મૂકીને જોતાં એનું મહત્ત્વ કદાચ એટલું ન રહે. એટલું જ નહીં એ ઘટનાનું રૂપ પણ એથી બદલાઈ જાય. ઘટનાની સહેલાઈથી ઓળખાવી શકાય એવી બાહ્ય વીગતોનો તાળો મેળવી આપવાનું કામ કવિનું નથી. ઘટનાનો એ રૂપનો પરિચય આપવામાં કવિકાર્ય રહ્યું નથી. ઘટનાનું રહસ્ય એને વ્યાપક સન્દર્ભમાં મૂકીને જોવાથી જ પ્રકટ થાય છે. જુદા જુદા યુગોને અડખેપડખે મૂકવાથી જ કેટલીક વાર કેટલાંક સત્યો ઉદ્ભાસિત થઈ ઊઠે છે. યુગમાં વર્તાતી અરાજકતાને સમજવા એને અન્ય યુગની પડખે મૂકીને જોવી પડે. એલિયટની રચનાપદ્ધતિ આવી જ હતી. આપણો કવિ પણ આજની ઘટનાનું સાચું રૂપ ભૂતકાળની કોઈક પુરાણકથાની પડખે એને મૂકીને વધુ સમર્થ રીતે પ્રકટ કરી શકે. આવાં પુરાણકલ્પનોમાં આખા એક યુગની સંકુલ અભિજ્ઞતા સંચિત થઈને પ્રકટ થતી હોય છે. વ્યક્તિની નહીં, પણ સમસ્ત પ્રજાની સંચિત સ્મૃતિની ભૂમિકા પર એની રચના થાય છે.

એક વાર આપણી કાવ્યવિવેચનાએ કાવ્યમાં સામાજિક અભિજ્ઞતાનો આગ્રહ ઉગ્રપણે રાખ્યો હતો. નરસિંહરાવ, હરિશ્ચન્દ્ર ભટ્ટ, રાજેન્દ્ર શાહ એનો ભોગ બન્યા હતા. ‘કાન્ત’નો પણ ઝાઝો બચાવ થઈ શકે તેમ નથી. યુગને આવરી લેતી વિભૂતિ આપણને સાંપડી રહે છે ત્યારે એ વિભૂતિમાં જ યુગને સાકાર થયો આપણે જોઈ લઈએ છીએ. આથી ગાંધીજીના આવિર્ભાવે આપણી બે દાયકાની કવિતાનું કામ સરળ કરી આપ્યું, દલિતપીડિતો માટેની સહાનુભૂતિ, સ્વાતન્ત્ર્યઝંખના, શહાદત, વ્યક્તિ મટીને વિશ્વમાનવી બનવાની ઝંખના, વિશ્વશાન્તિ – આ બધું વાતાવરણમાં વ્યાપી ગયું હતું. આથી કવિને મોઢે એ ઝટ ચઢી ગયું. કવિની કવિ તરીકેની શોધનું એ પરિણામ નહોતું. વિભૂતિવન્દનાનું ફળ હતું. આથી એ દાયકાઓની કવિતા આજે એકદમ જૂની થઈ ગયેલી લાગે છે. ગાંધીજી જૂના થયા નથી. વાસ્તવવાદ, માનવતાવાદ પણ આખા યુગને સમાવી લઈ શકતા નથી. યુગની ચેતનાનાં અનેક સ્તર હોય છે, ને એમાં પરસ્પરવિરોધી એવાં ઘણાં સંકુલ બળો સમાવિષ્ટ થઈને રહ્યાં હોય છે. એનો સહેલાઈથી લઘુતમદૃઢભાજક કાઢીને એના વડે સમગ્ર યુગને અવગત કર્યાનો કોઈ દાવો કરી શકે નહીં. આપણી કવિતા કંઈક આવું કરવા ગઈ.

યુગને અવગત કરવાની કવિની પદ્ધતિ જુદી હોય છે. નક્કી કરેલી વિભાવનાના ચોકઠામાં એ યુગને ચાતુરીથી ગોઠવતો નથી. જેને સ્થાયીભાવ કહીએ છીએ તે તો સનાતન છે, પણ એના ઉદ્દીપન-આલમ્બન બદલાય છે ને એને પરિણામે પ્રતિભાવનું સ્વરૂપ પણ બદલાય છે. આ બધાંમાંથી ધીમે ધીમે યુગચેતના આકાર લેતી આવે છે. બધાં વચ્ચે રહ્યો છતાં બધાંથી સહેજ અળગો રહીને કવિ આ પ્રતિભાવોને, સંવેદનાઓને કળવા મથતો હોય છે. આપણો વ્યવહાર ને આપણાં પરિમિત પ્રયોજનો સંવેદનોનાં સ્વરૂપને ડહોળીને ધૂંધળું કરી નાખે છે તેનો કવિ અવિકલ રૂપે સાક્ષાત્કાર કરવા મથે છે. આથી માનવજાતિને માથે તોળાઈ રહેલા ભયનો કે આશાનો ધબકાર આવા કવિની ચેતના પ્રથમ અનુભવે છે. ખણ્ડખણ્ડમાં જે વિકલ થઈને વિખેરાઈ જાય છે, તેને અખણ્ડ રૂપે મૂર્ત કરવાનું કામ આવા કવિની ચેતના માથે લે છે.

યુગનો અવિકલ અખણ્ડ સાક્ષાત્કાર કવિ શી રીતે પ્રકટ કરે? એને માટે કવિ પાસે ભાષા સિવાય બીજું સાધન નથી. પણ આમ કરતાં પહેલાં એની પાસે અમુક વિશિષ્ટ પ્રકારની સજ્જતાની અપેક્ષા રહે છે. જે પ્રજા વચ્ચે એ રહે છે, જે ભૂમિખણ્ડમાં એ વસે છે ને જેના ભૂતકાળને એણે વારસા લેખે આત્મસાત્ કર્યો છે તેનો એના પર પ્રભાવ તો પડે જ છે. પણ આ પ્રભાવને એ અન્ય સામગ્રી પૈકીની એક સામગ્રી લેખે જ જુએ છે, કાવ્યમાં એનું રૂપાન્તર તો સિદ્ધ કરવાનું રહે જ છે. એને અધીન થઈને એ કાવ્યની સીમાને સંકુચિત કરતો નથી. આ બધું એના યુગ સાથેના સમ્બન્ધમાં પરોક્ષતા લાવે એવા વ્યવધાન-રૂપ નીવડવું જોઈએ નહીં.

કાવ્યવિવેચન પણ કાવ્યને આધારે યુગચેતનાનો પરિચય મેળવવા ઇચ્છે ત્યારે એ પરિચય કાવ્ય પાસેથી કાવ્યની રીતે મેળવવાનો છે એ તરફ દુર્લક્ષ કરે નહીં તે જરૂરી છે. અમુક એક તબક્કામાં અતિશય પ્રભાવ પાડનાર લેખાયેલી થોડી વિગતો, વિવેચન ઓળખે એ રૂપે જો કવિ આપી છૂટે તો એ કવિ યુગમૂર્તિ – આવું વલણ જો વિવેચન ધરાવે તો કાવ્યનો સાચો મહિમા એને હાથે ખણ્ડિત થવાનો સમ્ભવ રહે. વીગતો કાવ્યની સામગ્રી છે. એના પર કવિની ચેતના કામ કરે છે, સંસ્કાર પાડે છે, એનું રૂપાન્તર સાધે છે. આ રૂપાન્તરની પ્રક્રિયાની વિવેચન અવગણના ન કરી શકે. સમયમાં આપણે જીવીએ છીએ, આથી સમયની સંવેદના કાવ્યમાં મહત્ત્વની બની રહે છે. આપણા યુગમાં તો ઘટનાઓ એવી તો તેજ રફતારથી બનતી આવે છે કે એકાદ દસકામાં આપણે જાણે સદીઓ સમેટી લઈએ છીએ. આપણી સામેના જગતના પરિપ્રેક્ષ્ય પર આની અસર પડ્યા વગર રહેતી નથી. આ ઘટનાઓની ભીંસ સમયને જાણે રૂંધીને સાંકડો કરી નાંખે છે, એનું દબાણ એનાં હાડ છૂટાં પાડી નાંખે છે. ક્ષણે ક્ષણના અંકોડા છૂટા પડી જાય છે. આથી એક પ્રકારની વિક્ષિપ્તતા, આપણી આકૃતિને ભૂંસી નાંખે એવો કશો ઝંઝાવાત સમયના સાંકડા છિદ્રમાં થઈને સૂસવી રહે છે. આથી નિશ્ચિતતાના પાયા હચમચી ઊઠે છે. યુદ્ધોની સતત સળગતી રહેતી જામગરી, સંહારને માટેની અમાનુષી ઘેલછા આજે અમુક એક ભૌગોલિક અંશ પૂરતાં મર્યાદિત રહ્યાં નથી. આની પડખે માનવી પોતાની ચેતનાને અખણ્ડ રાખવા મથી રહ્યો છે, શીર્ણવિશીર્ણ થવા બેઠેલા આજુબાજુના પરિવેશ વચ્ચે આજનો કવિ પોતાને ટકી રહેવા માટે નાનો શો અવકાશખણ્ડ સરજી લેવા મથે છે, ચારે બાજુ વધુ એકાકાર થઈને કવિને પણ એમાં ભેળવી દઈને ભૂંસી નાંખવા ધસી આવે છે. ત્યારે કવિ પોતાની વાણીથી રચેલાં થોડાંક મૂલ્યોની નક્કર ધરતી પર પગ સ્થિર કરવા મથી રહે છે. આ નક્કર ધરતી ઊભી કરવામાં એ કદીક વ્યંગ, ઉપહાસ ને આત્મભર્ત્સનાનો સુધ્ધાં ઉપયોગ કરે છે. પીડા થાય એટલી સંવેદના પોતે ટકાવી રાખી છે ખરી કે નહીં તે જાણવા વાટે કદી એ પોતાની જાતને પીડે પણ છે, કારણ કે મહત્ત્વની વસ્તુ તે આ આત્મસંજ્ઞા છે. પણ એના આ વ્યંગ ને ઉપહાસ તે કોઈ સમાજસુધારકની દુનિયાને સુધારવાની ધગશમાંથી ઉદ્ભવ્યા નથી હોતા. એ વ્યંગ ને ઉપહાસની તિર્યક્તાના માધ્યમમાંથી જ કદાચ અવળીસવળી થઈ ગયેલી સૃષ્ટિને એ જોઈ લેવા ઇચ્છે છે, તે જોઈને એમાં ક્યાંક પોતાનું સ્થાન શોધવાને બદલે બને તો એનાથી સહેજ અળગા સરી જઈને એ આત્મસંજ્ઞા ટકાવી રાખવા ઇચ્છે છે, સૃષ્ટિ ફરીથી રચવાનો આરમ્ભ થશે ત્યારે આવી આત્મસંજ્ઞા પર જ એનો પાયો ચણવાનો રહેશે. કેટલાકને આજનો કવિ ‘હું’ની વધારે પડતી વાતો કરે છે તે કંઈક ઉદ્ધતાઈભરી લાગે છે. હા, કોઈક વાર ઉપલક દૃષ્ટિએ જોતાં આવું લાગવાનો સમ્ભવ રહે છે, પણ આ ઉદ્ધતાઈના છદ્મવેશ એ જેને સંગોપવા ઇચ્છે છે એ તો અત્યન્ત ભીરુ ને સંકોચશીલ એવું કશુંક છે. આ ‘હું’ પોતાને વિશેનો એકરાર પણ કરવાનું વલણ ધરાવે છે. આ એકરાર પણ એ કશાક મરણિયાવેડાથી કરતો હોય એવું લાગે છે. નિર્ભ્રાન્તિની અવસ્થામાં આવી પડ્યા પછી શૂન્યથી શોષાઈને લુપ્ત ન થઈ જાય એટલા ખાતર એ ‘હું’નું નાનું શું ટપકું ઘૂંટીને એમાંથી ટકી રહેવાય એટલી વિશિષ્ટતા સર્જવા મથી રહે છે. એક બાજુ નિર્ભ્રાન્તિમાંથી પ્રકટતી શૂન્યતા એને ઘેરી લેવા મથે છે. તો બીજી બાજુથી એને અળગો ન રહેવા દેવા ઇચ્છતી, એને પોતાનામાંયે એક ગણીને એકાકાર કરી ગળી જવા ઇચ્છતી નરી સમસામયિકતામાંથી પણ એ બચવા ઇચ્છે છે, કવિ સમગ્ર પરિપ્રેક્ષ્યને જોવા પૂરતો સહેજ અળગો સરીને રહે એ જરૂરી છે. એકાન્તમાં જ એ વિશ્વને જોડી શકે છે, પણ આ એકાન્ત અનેક નિમિત્તે આજે એની પાસેથી ઝૂંટવાઈ રહ્યું છે. યુદ્ધનો સિંધુડો ગાવાને કે સૂત્રોનો નાદ ગજાવવાને એનો કણ્ઠ ખપમાં લેવાની પેરવી ચાલતી જ રહે છે. સ્વીકૃતિનું પ્રલોભન એની સામે ધરવામાં આવે છે. પણ આ પ્રકારની સ્વીકૃતિ અન્તે તો સમૂળગી લોપમાં પરિણમે, અન્તે તો પોતાનો કણ્ઠ લોકડિયાંના ઘોંઘાટમાં સંભળાતો જ બંધ થઈ જાય એવી એને દહેશત રહે છે. આથી એ પોતાનું એકાન્ત લાખ પ્રયત્ને ટકાવી રાખવા મથે છે. આ એકાન્તમાં એને સૌ પ્રથમ સામનો કરવાનો આવે છે પોતાના અનાવૃત્ત વ્યક્તિત્વનો. આ સામનો કરવાને માટે પ્રામાણિકતાનો ખપ પડે છે. જો આ ઓળખ જ બોદી ઠરે તો પછીનું બધું જ મિથ્યા ઠરે. તે ઓળખ કરવાની પ્રક્રિયા જ ઘણી વાર એની કાવ્યરચનાની પ્રક્રિયા બની રહે છે. આ અર્થમાં જ આજની કવિતા મોટે ભાગે આત્મલક્ષી બની રહે છે. આ ઓળખ સિદ્ધ કરવા જતાં જ એને સામનો કરવો પડે છે ઈશ્વરનો. કદીક એના તેજમાં એ પોતાને ઓળખે છે, તો કદીક એના પડછાયાથી એ પોતાને સાવ ભુંસાઈ જતો જુએ છે. આથી વિદ્રોહના કર્કશ સૂરથી એ બચી જવા મથે છે. પણ ઈશ્વર માનવચેતનાનો સદાનો દૂઝતો ને કદી નહીં રૂઝાનારો વ્રણ છે. ફરી ફરી એની આંગળી એ વ્રણ પર જઈને ઠરે છે. આજનો કવિ અનેક પ્રકારે ઈશ્વર તરફ નજર નાખતો રહે છે. કદીક એનામાં નાસ્તિકની ધૃષ્ટતા દેખાય છે તો કદીક ઈશ્વરને એ પોતાના રક્ષણ હેઠળ રાખવાની ખટપટમાં પણ પડેલો દેખાય છે. ઉપાલમ્ભનો સૌથી મોટો ભોગ બનનાર પણ ઈશ્વર જ છે. ઈશ્વરને નિમિત્તે આપણી કવિતામાં એક અનોખી વક્ર ભંગિ નીપજતી આવે છે. આ ઈશ્વર જ એની સર્વવ્યાપકતાને કારણે કવિને એની ચેતનાની ને સ્મૃતિની નિમ્નતમ આદિમ ગંભીરતા સુધી ઊંડે ઊંડે ખેંચી લઈ જાય છે. આનાં કેટલાંક ઇષ્ટ પરિણામોથી આપણી કવિતા સમૃદ્ધ પણ બનતી આવે છે. એની હવે વીગતે તપાસ થવી ઘટે.

સૌન્દર્યબોધ, સત્યબોધ, તલ્લીનતા, લયલીનતા – આવી કેટલીક સંજ્ઞાઓથી કાવ્યનું પરિણામ અને તેથી એ જ પ્રયોજન એમ માનીને, પ્રયોજનને આપણી કાવ્યવિવેચના વર્ણવતી આવી છે. આ બધી સંજ્ઞાઓ અર્વાચીન કવિતાના સન્દર્ભમાં ફેરતપાસ માગે છે. કાવ્ય સૌન્દર્ય સિદ્ધ કરે છે તે કશુંક રુચિર, સોહામણું, અલંકૃત ઉપજાવીને નહીં. કાવ્યનું સૌન્દર્ય એનાં ઘટકોની અન્વીતિમાં રહ્યું હોય છે. સૌન્દર્ય કરતાં સામર્થ્ય કેટલીક વાર વધુ સ્પૃહણીય બની રહે છે, ને સામર્થ્યને એનું આગવું સૌન્દર્ય હોય જ છે. વન્ય પશુને નાથવાને માટે ગાળો બનાવીને એના ગળામાં નાંખવામાં આવે એ રીતે જે ઘટનાઓ કે સંવેદનાઓ આજ સુધી કદી અન્વય પામી ન હોય તેને ગાળો નાંખીને નાથવાનો સમર્થ પ્રયત્ન આજના કવિને કરવાનો રહે છે. વિધિનિષેધની ચોકસાઈની વાડને ઠેકીને નાઠેલી ઘણી પ્રાકૃત આદિમ સંવેદનાને કવિ નિર્ભીકપણે ઓળખી લેવા ઇચ્છે છે. બટકબોલું ને ડાહ્યલું વિવેચન જો એને આમ કરતાં વારે તો જાણી કરીને થોડી અશિષ્ટતા, પ્રાકૃતતા કે અશ્લીલતાનો આશ્રય લઈને કવિ એ વિવેચનને પોતાનાથી દૂર રાખે છે. પણ આ પ્રકારની અશ્લીલતા કે અશિષ્ટતા કવિતાવિહોણી જ હોય છે એવું નથી. કેટલીક વાર તો આવી અશ્લીલતાના નિરૂપણ માટે અસાધારણ વિદગ્ધતાનો ખપ પડે છે. સૌન્દર્યને ઉગારી લેવાને માટે એને ભરખી જનાર કદર્ય કુત્સિત પરિવેશને પણ ઓળખી લેવો પડે. એ કદીક નકલી સૌન્દર્યનાં જોડકણાં જ આવી કુત્સિતતા શિષ્ટતાનો અંચળો ઓઢીને સરજ્યે જાય છે. કવિ આ કુત્સિતતાનો કુત્સિતતાથી જ છેદ ઉરાડી દેવા ઇચ્છે છે. જો આ દૃષ્ટિએ જોઈએ તો આખરે તો એ સૌન્દર્યના હિતમાં જ કવિતાને પ્રયોજતો દેખાશે.

હવે રહી વાત હતાશાની. નિર્ભ્રાન્તિ જે પારદર્શકતા સરજી આપે જે કવિને સ્વીકાર્યે જ છૂટકો. પછી નિર્ભીક બનીને એ પારદર્શકતા જે બતાવે તે જોવું જ રહ્યું. નિર્ભ્રાન્તિ એ નિર્ભીકને જ પ્રાપ્ત થાય એવું વરદાન છે. જો એને પરિણામે હતાશા આવતી હોય તો એનું મૂલ્ય પણ આપણે માટે ઘણું છે, પણ આપણો કવિ હતાશાને મોંમાં મમળાવ્યા કરે છે. એ અન્ધકાર, ઘુવડ ને સ્મશાનની વાત કરે છે. એ પણ ‘કલાપી’એ વર્ણવેલાં સ્મશાનો ઢૂંઢનારા વરવા જોગીઓ પૈકીનો જ છે, એ સૂર્યદ્વેષી છે એવું કહેવાતું સંભળાય છે. કેટલાક મુરબ્બીઓ એવી પણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે આ અનિષ્ટનું મોજું જલદી શમી જાય તો સારું. પણ કવિતા પ્રત્યેનો આ ઉચિત દૃષ્ટિકોણ નથી. એમાં જેટલી ભીરુતા છે તેટલો વિવેક નથી, જેટલી આત્મતુષ્ટિ છે તેટલી સત્યનિષ્ઠા નથી. કવિ જે રચે છે તે કેવું રચાઈ આવે છે તે તપાસો. તે ગતાનુગતિક ન્યાયે ચાલતો હશે, કોઈ ફૅશનોને વશ વર્તીને ચાલતો હશે તો એની કવિતા જ એની ચાડી ખાશે. પણ દુર્ભાગ્ય એ છે કે જે નિષ્ઠાથી કવિતા પાસે જવું જોઈએ તે નિષ્ઠાથી આપણે જતા નથી ને દૂર રહ્યા રહ્યા ત્રાહિમામ્ ત્રાહિમામ્નો જાપ જપ્યા કરીએ છીએ. ત્રીસી ને એની પછીના દાયકાની કવિતામાં પોપટીઆ ઉચ્ચારણવાળી કવિતા નહોતી? એ કેમ આપણને એટલી અસહ્ય નથી લાગી? એમાં સદે એવી ભાવનાચુસ્તતા રહી હતી એ જ કારણ ને? આ કવિતામાં પણ બધું જ સો ટચનું છે એમ નહીં, પણ એ કાંઈક વધુ પ્રામાણિક, નિર્ભીક ને આત્મસંશોધનાત્મક બની છે. એ આત્મસંજ્ઞાને શુદ્ધ રાખવી હોય તો આત્મસંશોધન કવિએ કરવું જ રહ્યું. આજના કવિને મુખે જ આ નવી ભૂમિકાના પ્રારમ્ભની વાત સાંભળીએ:

મેં આજે ફરી વાર જોયું
કે એકને એક વાત રહી રહીને તમારી આંખમાં ડોકાય છે.
તમે ફરી દીવાલોની આરપાર જોઈ રહ્યા છો.
તમે ફરી વાર બારણાની તિરાડોમાં તાકી રહ્યા છો,
ફરી પાછા
વૃક્ષની અંદર પ્રવેશતી ઊધઈ જેમ
સમયનાં પાછલાં પગલાં ચીતરી રહ્યા છો,
વર્ષોથી સવાર થઈ ગયેલ ભૂમિ પર
વિસ્તરતા ઘાસની માફક
તમે ફરી ફેલાવા માંડ્યા છો
સદીઓ લગી હિજરાયેલ જીવોની વેદના
તમારી જરાક ઊઘડેલી આંખોમાં પ્રગટી છે.
આદિમાનવની જેમ તમે પહેલો પ્રણયોચ્ચાર કરવા તત્પર થઈ ઊઠ્યા છો
પયગમ્બરની જેમ પાપનો એકરાર કરતાં તમે ચમકતા નથી,
અને ઈશ્વરની જેમ ફરી ફરી જન્મ લેતાં ધરાતા નથી,
તમારામાં હવે તમે પ્રવેશી રહ્યા છો.
થોડો વખત ભલે તમે દૂર રહ્યા પણ હવે તમે નહિ જઈ શકો.

– ગુલામમોહમ્મદ શેખ