કાવ્યમંગલા/ટિપ્પણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ટિપ્પણ

[ટિપ્પણની અંદર મૂકેલા આંકડા કાવ્યની પંક્તિનો અંક સૂચવે છે. કેટલાંક કાવ્યને અહીં સંગ્રહમાં મૂકતી વેળાએ તથા નવી આવૃત્તિઓમાં તેમના મૂળ છપાયેલા રૂપમાં કંઇક ફેરફારો, સુધારો, વધારો કે ઘટાડો કરી લીધાં છે. તેવા કાવ્ય આગળ એ રીતનું સૂચન મૂકેલું છે]

પૃ. ૧ એકાંશ દે : પ્રસિદ્ધ થયું ‘સાબરમતી’ દ્વૈમાસિકના સં. ૧૯૮૨ના શરદ અંકમાં. સુધારેલું. ૪: કશે-શા માટે. ૬ : તમ-અંધારું. ૭ : દિશ-દિશાન્તરાળ-દિશાઓ અને દિશાઓ વચ્ચેનો ભાગ. ૮ : તમસલીન-અંધારામાં ડૂબેલો. ૧૨ : અમેય-ન મપાય તેવી. પૃ.૨ અભય દાને : પ્રસિદ્ધ થયું ‘સાબરમતી’ સં. ૧૯૮૪ના વર્ષા અંકમાં. સુધારેલું. ૧૮ : વિતાને-ચંદરવામાં. ૨૨ : ઝુમ્મર-તારા રૂપી. પૃ.૪ આગે આગે : પ્રસિદ્ધ થયું ‘સાબરમતી’ સં. ૧૯૮૫ના હેમંત અંકમાં. સુધારેલું. ૭ : એનાં-ઈશ્વરનાં. પૃ. ૬ વિદાય : પ્રસિદ્ધ થયું ‘સાબરમતી’ સં. ૧૯૮૫ના ગ્રીષ્મ અંકમાં. ૪ : ડર્યું ના હૈયું-વિરહની વ્યથાના ખ્યાલથી ન ગભરાયું. ૮ : રૂઠે-ક્રોધે ભરાય છે. ૯: ઉદધિ–જીવનસાગર. ૧૦ : ક્ષિતિજની અવધિ -ક્ષિતિજની, દૃષ્ટિમર્યાદાની પાર. ૧૧ : ભરી નૌકાઓ-જીવનસામગ્રી ભરીને ઊપડેલા મિત્રો. પવનસહચાર-વિશ્વની અનુકૂળતા. ૧૨ : હરી-લીલી. ૧૪ :જલધિની જલકણી-જીવનસાગરમાં જ ઝૂઝતાં ઝૂઝતાં એવા વટાઈને કણ થઈ જઈશું કે પછી મેળ જ ન થઈ શકે ! સ્નાતક થઈને ગુજરાત વિદ્યાપીઠ છોડી ત્યારે લખાયેલું. પૃ. ૭ રણગીત : પ્રસિદ્ધ થયું ‘પ્રસ્થાન’ માસિકના સં. ૧૯૮૬ના જેઠ અંકમાં. પૃ.૧૦ છેલ્લી આશા : પ્રસિદ્ધ થયું ‘પ્રસ્થાન’ સં. ૧૯૮૬ના આષાઢ અંકમાં. ૧૧ : હંસ-આશા ભરેલ આત્મા. ૧૬ વિપત્તિઝંઝા-આફતોનાં તોફાન. ૧૭ : વિજયમધુ-વિજયનો મધ જેવો મીઠો કે મદિરા જેવો ઉત્કટ રસ. ૩૦ : મારો વિલય અને તારો ઉદય થાઓ. ૩૫ : ડયન-ઊડવું. ૩૬ : લઘુક-ઘણું નાનું. પૃ.૧૨ સંજીવની : ૧-૪ : માયા, છાયા, કાયા બધાં જીવતાં થાય છે. ૧૧ : મનો મોડ્યાં-મન ફેરવી લીધાં, જુદાં કર્યા. ૧૪ : વૈરાગ્યની ભાવનાથી અવગણેલાં. પૃ. ૧૩ તમને : પ્રસિદ્ધ થયું ‘કૌમુદી’ ઈ. સ. ૧૯૩૦ના ઑક્ટોબર અંકમાં, ‘પરીક્ષકને’ એ શીર્ષકથી. તમને-કવિતાના દુરારાધ્ય વિવેચકોને. ૩ : ગુંજાશે-ગુંજાશ, ગજું પણ. ૧૦ : દ્રવણ-દ્રવવું, પીગળી પીગળીને વહેવાની ક્રિયા. પૃ.૧૪ બુદ્ધનાચક્ષુ : પ્રસિદ્ધ થયું ‘કુમાર’ સં. ૧૯૮૬ના આસો અંકમાં. ‘આપણી કવિતા સમૃદ્ધિ’માં લેવાયેલું. ૩ : મુદ-આનંદ. ૫-૮ : આ પહેલાંના દરેક અવતારમાં હાથમાં હિંસક હથિયાર હતું. નખાગ્રે-નૃસિંહાવતાર, દંતાગ્રે-વરાહાવતાર, શબ્દછળથી-વામનાવતાર, કોદણ્ડ-ધનુષ્ય, રામાવતાર, પરશુ-ફરસી, પરશુરામાવતાર, ચક્ર-કૃષ્ણાવતાર. આ વેળાના આપના અવતારમાં આપે માત્ર કરુણારૂપી નયનરસ જ સાધન તરીકે ધારણ કર્યો. ૯, ૧૦ : જગત આંખનો ઉપયોગ કરતું હોત તો બધું સરળ થઈ જાત, પણ તેણે કુટિલ મન અને શરીરબળનો જ આધાર લીધો. નરી આંખે જોઇને સમજાય એવો ભાતૃભાવ ન સમજી શક્યા. ૧૩-૧૬ : આપનાં જાગેલાં અંતશ્ચક્ષુઓને અંધ કરવા આંધળા જગતના પ્રયત્ન. આપે જગતની મોહભૂરકીને જીતી અને જગતનાં મૂર્છાવશ અંતશ્ચક્ષુને જગાડ્યાં. ૧૯ : ઘડપણ, રોગ અને મરણનાં ત્રણ પ્રકારના વમળ. ૨૫ :આર્દ્ર –ભીંજાયેલાં, કરુણાથી. ૩૦ : પ્રભુનાં ચક્ષુ મીંચાયાં, અને જગતમાં તેવાં જ બીજાં ચક્ષુ પ્રગટ થયાં; પ્રભુની ઉપદેશેલી ધર્મભાવના વ્યાપક બની. ૩૨ : દ્વિગુણ – બમણું.

શ્રી. બ. ક. ઠાકોરના ‘આપણી કવિતાસમૃદ્ધિ’માંના વિવેચનમાંથી થોડો ભાગ અહીં મૂકું છું. ‘-કડી૧ : નમણાં નાજુક, રૂપાળાં અને વિનમ્રનો અર્થ સૂચિત થાય. પ્રભુ શબ્દ આમ આપણે વર્ગવાચક સામાન્ય નામ લેખે વાપરતાં અચકાઈએ છીએ તે યોગ્ય છે. દશાવતારને માટે જ એ રહે, એથી વધારે વિસ્તારાય નહિ તો સારું. દિવ્ય મુદ દિવ્ય મુદાની પ્રભા કે મુદાની દિવ્ય પ્રભા. મુદાને વિલક્ષણ સાત્ત્વિક આનંદના અર્થમાં લઈએ તો તાત્પર્ય એક જ. કડી ૨ : નખાગ્રે નરસિંહાવતાર; દન્તાગ્રે વરાહાવતાર, શબ્દછળથી વામનાવતાર; કોદંડ રામાવતાર; પરશુ પરશુરામાવતાર; ચક્રે કૃષ્ણાવતાર; એમ છ અવતાર સ્પર્શીને બુદ્ધવતારનો સર્વથી વ્યતિરેક ખૂબીથી સાધ્યો છે. ઉક્તિમાં લાઘવ સાથે બળ આણી આખી વાત એક કડીમાં પૂરી કરી લીધી છે. કલા કથન સૂચન અને વ્યંગમાં છે તેન સવિવેક મૌનમાં ય છે. ગુજરાતી કવિતાના આખા જથામાં આવી અર્થઘન સવિવેક અને વળી સુંદર કડીઓ કેટલી હશે? આપણી કવિતાની સમૃદ્ધિ ગણતાં આવાં મુક્તકોનું મૂલ્ય છે, તેટલું આખી ચોપડીઓનું પણ નથી. કડી ૩ : ભુજાએ સામસામા બલપ્રયોગે લડી મરતું. નવ નવીન; વિધાતાએ તો આપેલાં પણ તમે અવતર્યા ત્યાં લાગી વ્યર્થ રહેલાં, સાચો ઉપયોગ પ્રથમ તમે શીખવ્યો, તમે એને સાર્થક કરી દેખાડ્યાં, માટે નયનોના સાચા સર્જક પણ તમે. આ તરંગને વિચિત્ર કહેશો? દૂરાકૃષ્ટ કહેશો? ગમે તે કહો પણ એમાંનો તથ્યાંશ સ્વીકારવો પડશે, કેમ જે એ માત્ર તરંગ નથી, એની પાછળ કલ્પનાદર્શન અથવા ભાવનામય દૃષ્ટિબિંદુ રહ્યું છે. આ આખી કૃતિ એ દૃષ્ટિબિંદુમાંથી જ ફૂટે છે. કડી ૪-૬ : બુદ્ધના જીવનના આરંભના મુખ્ય બનાવો સૂચવે છે. રમણીની ભુજાઓની પ્રેમશૃંખલાને પાંજરે તમને પૂર્યા. કવિ તમને પૂર્યા નથી કહેતો, એ દયામય ચક્ષુને પૂર્યાં એમ કહેવું વધારે સાચું ગણે છે. અને એ છૂટ્યાં એટલે એમણે દુનિયાની બીજી દૃગોને પણ મુક્તિ આપી.

જીવો ઉપર નભતા જીવ (૧) હિંસાએ પટ ભરી, કે સત્તા લક્ષ્મી આદિ સાધન મેળવી ટકાવીને જીવન ટકાવતા જીવ. આ અર્થ કાવ્યસન્દર્ભમાં ઉત્તમ ભળે છે. (૨) જાતમહેનત વગર બીજાઓને માથે પડી નિર્વાહ ચલાવનાર પરોપજીવી જીવ, હરામભક્ષક આવો અર્થ પણ આ શબ્દોનો થાય, પણ તે લેવો જ પડે એમ નથી, ખોટો ય નથી. બુદ્ધે છ વર્ષ ઉગ્ર તપ કરીને દેહદમનનો માર્ગ છોડી દીધો. મહાવીર અને બુદ્ધ વચ્ચે એક મૌલિક ભેદ આ છે. હૃદયસાગરને છેક તળિયે ઉતર્યા, મુક્તા મોતી જેવો નિર્મલ સુવૃત અનુપમ મુક્તિપંથ ‘નિર્વાણમાર્ગ.’

પૃ.૧૬ ત્રિમૂર્તિ : પ્રસિદ્ધ થયું ‘કુમાર’ સં. ૧૯૮૭ના જેઠ અંકમાં. ૧ : આજન્મેથી-જન્મથી માંડીને. ૨ : ક્લિન્ન-કલેશપૂર્ણ. ૭ : કરણ-ઇન્દ્રિય. ૮. વિષય-કામવાસના, બુદ્ધચરિતમાંનો માર ઉપરનો વિજય. બુટ્ટી-દર્દની દવા. ૧૧ : અધઉદધિ-પાપના દરિયા અગસ્ત્યની પેઠે પી ગયા. ૧૩ : આત્મૌપમ્ય – બધાને પોતાના જેવા ગણવા તે. ૧૫ રૌદ્રે – ભયંકર સ્વાર્થમાં. ૧૭ : જગતમાં રાજ્ય વગેરેની સિદ્ધિને ઇષ્ટતમ માની બેઠેલા. ૧૯ માર્દવ – નરમાશ, મૃદુતા. ૨૦ : દુઃખનો સાચો મર્મ ગ્રહણ કરી તેમાંથી જ સુખની પ્રાપ્તિ થવાની. ૨૧ : દરિદ્રે - ગરીબોમાં શક્તિનો સંચાર કર્યો. ૨૪ : નમેલો – ઈશુ નમ્ર છતાં જિતાવો કઠણ એવો દુશ્મન બન્યો. ૨૫ : પ્રભુવિમુખ – સત્યધર્મમાં આસ્થા વગરના. ૩૧ : બળવાન રાજ્યોની દુર્બળ દેશો ઉપર ચડાઈઓ, સામ્રાજ્યોની સ્થાપના. ૩૨ : જન - લોકોના લોહીથી રંગેલાં મહાલયો. ૩૫ : ગાંધીજીનો તપશ્ચર્યાનો અને તેમના તરફના દુનિયાના કુટિલતાભર્યા વહેવારનો કાતિલ જીવનપંથ, જેને અંતે તેમનામાં મહાન શક્તિ પ્રગટી. ૩૬ : પ્રગલ્ભા - પરિપક્વ અનુભવોવાળી. ૪૦ : પ્રતિદ્વેષી - દુશ્મન. ૪૧-૪૨ : બુદ્ધે વાવેલાં વિશ્વપ્રેમનાં બીજમાંથી આજે વૃક્ષ થયું.

પૃ. ૧૯ ભરતીએ ઓટે : પ્રસિદ્ધ થયું ‘કુમાર’ સં. ૧૯૮૭ના આષાઢ અંકમાં. ૧૩ થી ૧૬ : મૂળપાઠ : વ્હાણ વળ્યાં જળસફરો ખેડી, આશહુલાસ ઉરેથી ઉખેડી, રે, અબ ઓઢવી મૃત્યુ પછેડી જીવનની ઓટે. આ પાઠનો પણ વિશિષ્ટ રસ બને છે.

પૃ. ૨૦ કાવ્યપ્રણાશ પ્રસિદ્ધ થયું ‘પ્રસ્થાન’ સં . ૧૯૮૫ ના આસો અંકમાં સુધારેલું : ભ્રમણ – જગતનાં મુખ્ય તત્ત્વો – કુદરત, મનુષ્ય અને તેનાં કાર્યો વિષેની કલ્પના કે સ્વપ્નોને સાચાં નાણી જોવા માટેનું. ૩ : અવિરામ - અટક્યા વગર. ઉરતોષ - હૃદયનો સંતોષ. ૬ : પ્રકૃષ્ટ – ખૂબ ઊંચું. ૭ : સૌરભ - સુગંધ. અંભોધિ – સાગર, તે રત્નાકર – રત્નોની ખાણ – કહેવાય છે માટે ધનવાન. ૯ : ભ્રમરગુંજિયા – ભ્રમરથી ગુંજિત થયેલા. ૧૦ : નિગૂઢ – ગુપ્ત, ઊંડા ચિંતનને અંતે મેળવાય તેવી. પ્રકૃતિપ્રભા – કુદરતનું સાચું સૌન્દર્ય અને રહસ્ય. ૧૫-૧૮ : ડોળતા, રાચતા. ઈ. નો કર્તા જુવાનો. ૨૧-૨૩ : સ્ત્રીરૂપી બલિદાનની વહેતી નદી. મેલીઘેલી, સુખી-દુઃખી, અવિરામ-સતત પ્રવાહે વહીને જીવનસાગરમાં મળી જતી. ૩૨ : મનુષ્યના પ્રયત્ન – પુરુષાર્થરૂપી મોજાંમાંથી પ્રગટતી સિદ્ધિઓ. ૩૪ : ચિદાકાશ – મનોજગતમાં. આ સૂક્ષ્મ સિદ્ધિઓનો રમણીય પડદો. આકાશની ભૂમિકા પર મેઘધનુષના સાત રંગ ખીલી ઊઠે છે તે પ્રમાણે અહીં ચિત્તમાં. 35 : અવર સૃષ્ટિ – આ સ્થૂલ રમણીય જગતથી પણ રૂપાળી સુક્ષ્મ સૃષ્ટિ.

દર્શન- સત્યની કસોટીએ બધાં તત્ત્વોને કસી જોતાં ક્યું તત્ત્વ હાથમાં આવ્યું તે હવે કહે છે. ૪૭  : જવનિકા – પડદો, આ દેખાતી રમણીયતા પાછળ છૂપેલી કરુણ સ્થિતિ. ૪૯-૫૬ : એનાં એ જ પ્રકૃતિતત્ત્વો સરિતા ઈ. નાં રુદ્ર અને વિપરીત સ્વરૂપ. ૫૭-૭૨ : કોયલ અને મોર વિષેની કવિઓએ કરેલી ભ્રાન્તિમય કલ્પનાઓની અસત્યતા વર્ણવે છે. ૬૦ : કોયલ સામી કોયલની હરીફાઈમાં જ સાચી ચગે છે. ૬૩ : કોયલ કાગડાના માળામાં ઇંડાં મૂકી આવે છે એ વાત. ૬૪ : ઉદાર દિલ, રસની પ્રમત્તતા, રાગનું સ્વભાન, ઉલ્લાસ વગેરેની તેને પોતાને કંઈ ખબર નથી. ૬૫ : પ્રકૃતિદત – કોયલના રાગની જે મીઠાશ છે એ તો ઈશ્વરે આપી છે, એમાં એને પોતાનો શો ગુણ? ૬૮ : મોર પોતાના કેકારવથી, શરીરસૌંદર્યથી અને મેઘ તરફની દેખાતી પ્રેમલગનીથી ઘણાઓને મહા ધન્ય પક્ષી લાગે છે. ૭૦ : એનાં પીંછાંનું સૌન્દર્ય જોઈ આપણને આનંદ ભલે થાય, એને તો એ ઊડવામાં અડચણ રૂપ જ છે. ૭૨ : નાના સરખા અવાજથી પણ મોર ભડકી ઉઠે છે. મેઘગર્જના સાંભળી મોર બોલે છે તે પણ ભયથી જ. ૭૬ : પક્ષીજીવનને સુખની પરાકાષ્ઠા જેવું માનનારે કુદરતમાં નબળાના શિકારે સબળાનો જીવનટકાવ એ જ એક હકીકત જોઈ લેવી. ૭૮ : પ્રકૃતિ રક્તવક્ત્રા-રાતા, બીજાના લોહીથી થયેલા રક્ત મોઢાવાળી. ૮૨-૧૦૦ : બાલ્યદશાને નિર્દોષતા આદિ ગુણોથી યુક્ત માની તેને પરમ શ્રેષ્ઠ દશા તરીકે કવિ જેવા આદર્શવિહારી લોકોએ જે રીતે વર્ણવી છે તેની સત્યાસત્યતા હકીકતો પર રચાયેલું માનસશાસ્ત્ર બતાવી આપે છે. ૮૨-૮૮ : આપણી બાળકો વિષેની રૂઢ કલ્પના. પ્રશસ્ત-વખણાયેલી. ૯૦ : દુનિયાનાં આધિ, વ્યાધિ અને ઉપાધિથી બાળક પણ મુક્ત નથી જ. ૯૩ : પોતે ક્યાં જન્મવું એ જ પહેલાં તો બીજાના હાથની વાત. એ દશામાં જે કંઈ સુખદુઃખ મળે તે સ્વીકારી લીધે જ છૂટકો. ૯૫ : બાળકનું આગમન સદા હર્ષથી જ વધાવી લેવાય છે એમ નથી. ૧૦૮-૧૨૯ : સ્ત્રીની જીવનકથા. સ્ત્રીને જાણે પોતાનું સ્વતંત્ર જીવન ન હોય એમ માત્ર પુરુષવર્ગની શાંતિ, આનંદ, વિલાસ વગેરે માટે જ જન્મી હોય તેવી કલ્પના, અને તેથી સ્ત્રીને પુરુષવર્ગ તરફથી થયેલા અન્યાય. ૧૧૧ : સુધાકળશ - સુધા – અમૃત ભરેલા પાત્ર જેવી. ૧૧૭ : વિષયભોગનું સાધન થઈ પડેલી. એ માટે જ શૃંગાર વગેરેથી રિઝાવાતી વિષયરક્ત – વાસનામાં પચેલા. ૧૨૨: નિઠુર-નિષ્ઠુર, નિર્દય. માળીના જેવો વિધાતા સ્ત્રીરૂપી વેલી ઉપર પ્રજારૂપી ફળસિદ્ધિ મેળવીને, સુકાયેલી વેલને જેમ માળી ઉખેડી નાખે છે તેમ, યૌવન વિનાની સ્ત્રીના જીવનને તે આનંદના પ્રદેશમાંથી હટાવી દે છે. ૧૨૩ : પરિબદ્ધ - બંધાયેલું. આર્ત - દુઃખી. ૧૨૯ : જગતવૃત-જગતની દશા. ૧૩૦-૧૪૮ : કુદરત અને માનવજાતિથી નિરાશ થઈ ઇતિહાસ સાહિત્ય ઈ. ના પ્રદેશમાં જાય છે. ૧૩૯ : શશિગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય. ૧૪૭ : પુરાણ અને વર્તમાન ઇતિહાસ કાળની પ્રબળતા જ બતાવે છે. કુટિલતા – પ્રપંચ જ સદા ફાવી જતા દેખાય છે. ૧૪૯-૧૫૦ : આવા કરાળ ભૂતકાળ અને દુઃખી દીન વર્તમાનમાંથી કેવું ભવિષ્ય જન્મશે? ૧૫૬ : જેવું દેખાય છે તેવા જગતથી જ કલ્પના સંતોષ માની શકે તેમ નથી. આ દેખાતા દુઃખસમુદાય પાછળ કંઈ બીજો ગૂઢ કલ્યાણપરિણામી અર્થ છે કેમ તે ખોળવા પોતાના સર્વ રુચિતંત્રને સમાધિ લેવાડવા કવિ ઈચ્છે છે. ૧૬૩ : જલધિતળે – બાહ્ય દૃષ્ટિમાંથી નીકળી જીવનના – ચૈતન્યના-સત્યના અને અનુભૂતિઓના ગહન ભીતરી પ્રદેશમાં જઈએ. ૧૬૪-૧૬૭ : હૃદયની આશા જીવનનું અને એટલે જગતનું અંતિમ સત્ય, રહસ્ય પામવાની છે. એ આશા જ જો અનિષ્ટ હોય, વિશ્વની યોજના સાથે મેળ ન ખાતી હોય તો ત્યાં જ મરી જવું બહેતર. જો આશા સાચી હશે તો સિદ્ધિ મેળવીશું. અને – એટલે મોતી જેવા મૂલ્યવાન બનીશું.

પૃ. ૨૭ સાફલ્યટાણું : પ્રસિદ્ધ થયું ‘કુમાર’ સં. ૧૯૮૭ના કાર્તિક અંકમાં. ૨ : સમયગતિનું ચિંતન. કેવો અજબ વખત આવ્યો એમ લોકો આશ્ચર્યથી વિચારે છે. ૫ : મુમુક્ષા-મુક્તિની ઈચ્છા. ૬-૮ : વહાલાંનાં વહાલથી માંડી ઉત્કર્ષ ઇચ્છતા પ્રાણો સુધીની બધી ચીજો માતાના અંચળામાં આવીને પડે છે. ૭ : દ્રવ્યઓઘો-ધનના પ્રવાહો. ૧૩ : ધનની, બળની, કે ગુણ-આત્મોત્કર્ષની સિદ્ધિ કરતાંયે આવું આત્મસમર્પણ કરવાનું ટાણું મળવું વિરલ છે.

પૃ. ૩૮ સત્યં શિવં સુન્દરમ્ : પ્રસિદ્ધ થયું ‘પ્રસ્થાન’ સં. ૧૯૮૭ના કાર્તિક અંકમાં. ૪ : બુદ્‌બુદ-ટીપું. ૫; સમુદ્ર – જીવનસાગર. ૧૧ : સુકે, કલુષિતે – ક્લેશભરેલામાં, અંધારઘેરે - અંધારાર્થી ઘેરાયેલ - એ બધાં ‘ઠામેઠામ’નાં વિશેષણો. વહેનાર સૌંદર્યનાં ઝરણો ૧૪ : શિવં-કલ્યાણરૂપી.

પૃ. ૨૯ કાલિદાસને : પ્રસિદ્ધ થયું ‘પ્રસ્થાન’ સં. ૧૯૮૭ના જેઠ અંકમાં. ૭ : તેઓની - ગુરુઓની કૃપાથી. ભણતી વેળા તો થોડોક રસ જ ચાખેલો, એટલાથી પણ ઘણી મીઠાશ મળેલી. ૯ : તરુ-કૃતિ. ૧૦ : ચર્વણ - ફરી ફરીને અધ્યયન. ૧૩-૩૨ : દરેક શ્લોક અનુક્રમે કાલિદાસનાં રચેલાં રઘુવંશ, કુમારસંભવ, શાકુન્તલ, મેઘદૂત અને વિક્રમોર્વશીય વિષે છે. ૧૩ : રઘુરાજાના વંશરૂપી વન. ૧૫-૧૬ : તપશ્ચર્યા-દિલીપની પુત્રપ્રાપ્તિ માટે, રઘુનો અશ્વમેઘ યજ્ઞ અને દિગ્વિજય. દિગ્વિજયની કીર્તિરૂપી ક્ષૌમ - વસ્ત્ર પોતાના કુળને ઓઢાડ્યું. ૧૭ : ઉમા.-પાર્વતીનું શિવને પામવા માટેનું તપ. ૧૮ તપને અંતે શિવની સાથે થયેલા લગ્નથી મળેલો કુમાર કાર્તિકેય. ૧૯ : દેવોના તપની સુગન્ધથી સીંચાયેલા ગિરિના કાવ્યમય કોડે - ખોળામાં. ૨૧ : રાજા-દુષ્યન્ત. દીન અબળા - શકુન્તલા. ૨૨. દુષ્યંતથી તજાયેલી શકુંતલાનો તપોવનનિવાસ. ૨૩ : ટળી મૂર્છા - દુષ્યંતનો ભ્રમ ટળી જવો. ૨૫-૨૬ : તારી કલ્પનાના પાણીથી છાંટેલા અભિનવ પંથે સ્નેહભર્યાં વચનોથી પ્રેરાઈને જતો મેઘ ભાળ્યો. ૨૭ : શ્યામળ તનુ - तन्वी श्यामा, યક્ષની પત્ની. ૨૮ : મેઘોદ્‌ગારે - મેઘના ઉદ્‌ગારોથી આશ્વાસન મેળવતી. ૨૯ થી ૩૨. પંક્તિઓ નવી ઉમેરેલી. ૩૩ : કૃતયુગ - સત્યયુગ. ૩૪ : વિતરિયો - આપ્યો, પરિણામ પમાડ્યો. ૩૬ : ઉમા તથા શકુન્તલાના જીવનનો દૈહિક પ્રેમથી પ્રારંભ બતાવી તેમાં જ્યારે તપશ્ચર્યા મળી અને દેહાકર્ષણથી ભિન્ન એવો સાત્વિક પ્રેમ પ્રગટ્યો ત્યારે જ તે સફળ થયું. એ રીતે સાચો સ્નેહ તપના અગ્નિથી શુદ્ધ પાવન થવો જોઈએ. એવો આદર્શ રજૂ કર્યો. ૩૯-૪૦ : કુમારસંભવ અને મેઘદૂતની કથા. ૪૧ : ભરતનું સિંહના બચ્ચા સાથે રમવું. ૪૨ : ઉમાનું તપ. ૪૩ : સત્ત્વ સામર્થ્ય, એ યુગમાં આ બધું હતું. ૪૫ : વીલાઈ - અસ્ત -વિલય પામી. ૪૯ : આદર્શપટ – આદર્શ જેવો ઉત્તમોત્તમ તેમ જ દર્પણ જેવો સ્વચ્છ સત્યને રજૂ કરતો કવિતાકલાપ. ૫૨ : ક્રાન્ત નયન – સ્થળકાળને ભેદીને પાર જોતી આંખ. ૬૨ : પ્રવર-હોશિયાર. ૬૪ : જનકયુગ – ભરતરાજાના સમયનો આદર્શ યુગ. ૬૬: સુરભિ - ગાય જેવી માતૃભૂમિ. ૮૨ : સમરવારિ. યુદ્ધનાં પાણીનું જોર અને મારી તાકાત બંને મેં માપી જોયાં. ૯૮: આ કાવ્યોનો ઉપયોગ કરી અધિક ગુણવાળા કોઈ મહા કાવ્યોનો અગ્નિ પ્રગટે. ૧૦૦ : ચયન કરવા – વીણવા, જંગલમાં લાકડાં ભેગાં કરવાં.

પૃ. ૩૪ હસતી કે રડતી : પ્રથમ આવૃત્તિનું નામ ‘હસવું ને રડવું’: પ્રસિદ્ધ થયું ‘કુમાર’ના સં. ૧૯૮૭ના ભાદરવા અંકમાં. ૫ થી ૮ : જૂાનો પાઠ: ‘ફુલડાંને ફળમાં પરિણમવું, વાદળને વરસી જળ બનવું, જીવનને જનમી શું કરવું? હસવું ને રડવું.’ ત્રીજી આવૃત્તિમાં ફેરફાર કરી ‘હસતાં હસતાંમાં’ નામ રાખેલું.

પૃ.૩૫ વાદળી : પ્રસિદ્ધ થયું ‘કુમાર’ સં. ૧૯૭૭ ના શ્રાવણ અંકમાં. ૧૨: ઋતુ પ્રમાણે વરસાદનું આખી પૃથ્વી પરનું ભ્રમણ.

પૃ.૩૬ સ્વ. શંકર. : પ્રસિદ્ધ થયું ‘પ્રસ્થાન’ સં. ૧૯૮૭ના શ્રાવણ અંકમાં. ગુજરાત વિદ્યાપીઠના સંગીતના માજી અધ્યાપક સ્વ. શંકર દતાત્રેય પાઠક નામીચા વાયોલિનવાદક તરીકે જાણીતા હતા. ૧ : વિરક્ત-રાગરહિત, ઉદાસ. ૫ : સાજ-સંગીતનો વાદ્યસમૂહ. ૧૭ : હુતાશ-પ્રેમરૂપી અગ્નિ. ૨૮ : કણ્ઠ અને રાગના વિવાહ, સંગીતનું કૌશલ્ય. ૪૭ : અમૂર્ત – ઈશ્વરની આકાર વગરની શક્તિ ગીત રૂપે આકાર ધરીને જે પ્રગટ થઈ હતી તે ભલે પાછી આકારહીન થઈ ગઈ.

પૃ. ૩૯ પગલાં : પ્રસિદ્ધ થયું ‘કુમાર’ સં. ૧૯૮૭ના આસો અંકમાં.

પૃ. ૪૦ વેરણ મીંદડી : પ્રસિદ્ધ થયું ‘કુમાર’ સં. ૧૯૮૮ના માહ અંકમાં.

પૃ. ૪૧ ભાંગેલી ઘડિયાળને : પ્રસિદ્ધ થયું ‘કૌમુદી’ ઈ. સ. ૧૯૩૨ના જૂન અંકમાં. ૪ : સદન-ઘર. ૧૭-૧૮ : કવિ અને ઘડિયાળનું પ્રણયજીવન. ૧૯ : અંગી-ખાસ પોતાની. ૩૫: જે જગતમાં જડ પદાર્થો ચૈતન્યવાળા પદાર્થોને વશ કરે છે, ત્યાં તારા જેવા ધબકતા હૃદયવાળા પદાર્થને કેમ કરીને જડ સમજું અને અવગણું? ૩૮-૩૯ : આપણે બંને ગતિવાળાં છીએ, તારી ગતિનું મૂળ અમારા હાથ છે, અમારી ગતિનું મૂળ કો’ક બીજાના હાથ છે, એ રીતે બંને સરખાં પરજીવી છીએ. ૪૧-૪૪ : તારી વિશેષતા એ છે કે તને અમે જડ કહીએ છીએ છતાં તું કાળપ્રભુના હૃદય સાથે તાલ જાળવી બરાબર ધબકી છે, અમે તો એટલું પણ સામંજસ્ય નથી સાધી શક્યા.

પૃ.૪૩ સ્વપ્નભંગ : પ્રસિદ્ધ થયું ‘કુમાર’ સં. ૧૯૮૮ના ફાગણ અંકમાં માઢના ઢાળમાં ગવાય. ૯ : કુદરત અને માનવતાથી વિમુખ થયો. ૧૦,૧૧ : કુદરતમાંથી સ્વાભાવિક રીતે મળતી ચીજોને કુત્રિમતાથી મેળવવા મથતું જીવન, સ્વાર્થભરી આત્મપર્યાપ્તિ. ૧૮ : દરવાન, દીવાન - આત્માને બચાવી લેનારાં જાગૃત અંતઃકરણ, બુદ્ધિ. ઊંઘ - વિષયવિલાસની. ૨૯ : બારણે-બહારના અર્થમાં, સાચા તેજોધામમાં. ૪૦ : ઉસાસો - ઊંચો શ્વાસ, ઉચ્છ્‌વાસ. ૪૩ : ગરોળી અને ઘુવડ અજ્ઞાનદશાનાં સૂચક. તેમના રહેઠાણનો વિનાશ. ૫૨ : સમીરણ-પવન.

પૃ. ૪૬ કવિનો પ્રશ્ન : પ્રસિદ્ધ થયું ‘કુમાર’ સં. ૧૯૮૮ના ચૈત્ર અંકમાં. આખા કાવ્યમાં કવિતાને નદીની ઉપમા આપી છે, અને તેના પ્રશ્નોને નદીના પ્રશ્નો ભૂગોળની દૃષ્ટિએ વિચારતાં જે રીતે ઊભા થાય તે રીતે વિચાર્યા છે. નદીને કાંઠેનાં શહેર, તીર્થસ્થાન, લોકોના જલવિલાસ, નદીનું મૂળ એવો પર્વત, પર્વત પરનાં વન, અને પૃથ્વીની રણ વગેરેથી ભરેલી ભૂમિકા ઉપર નદીનું આ જીવન એ પ્રમાણે જ કવિતામાંથી થતો આનંદ વગેરે, કવિતાનું ઉદયસ્થાન એવું કવિનું હૃદય અને જીવન. કવિની કાવ્યશક્તિ ઉપરાંત બીજી વ્યવહારોપયોગી શક્તિઓ, અને મનુષ્યજીવનની ભૂમિકા ઉપર એ સર્વનો વ્યવહાર એમ પરસ્પર નદીને અને કાવ્યને ઘટાવવાનું છે. ૪ : કલેશાપન્ન - કલેશ-દુઃખથી ભરેલું. અદની - નાની ક્ષુદ્ર. ભરણી - ભરનારી. ૬ : કવિતાની મર્યાદા તેની વાણી અને અર્થ છે. ૧૭-૨૦ : આખી દુનિયાની તરસ છિપાવવા એકલી નદીમાં શક્તિ નથી, તેમ જીવનના બધા પ્રશ્નો માત્ર કવિતાથી ઉકેલાતા નથી. ૨૦ : મણા - ખામી. થોડા જન - કવિતાનો ભોગી અમુક વર્ગ. ૨૯ : કાવ્યનું મૂળ એવો હૃદયરૂપી - અથવા અર્થ વિસ્તારીને આખા જીવનરૂપી ગિરિ. વિશ્વની સાથે સરખાવતાં તે અદનો નાનો જ છે. ૩૨ : જે અહંત્વ પર્વત પેઠે અડગ રહી વિઘ્નરૂપ બને તે અચળ રહે એમ શા માટે ઇચ્છું? ૩૩-૩૬ : ધરતીકંપ વગેરેને લીધે પૃથ્વીની, સ્થળ ત્યાં જળ અને જળ ત્યાં સ્થળ એવી જે કાયાપલટ થાય છે, તેવી મનુષ્યજગતમાં થતી આધ્યાત્મિક, રાજકીય કે નૈતિક ક્રાન્તિ. ૩૭ : વ્યુક્રાન્તિ : ક્રાન્તિ-ક્રમણ, જવું, ઉત્ક્રાન્તિ - વિકાસ, વ્યુક્રાન્તિ - વિશેષ પ્રકારનો વિકાસ. જીવનોત્કર્ષ માટેના પ્રયત્ન. ૩૮-૪૦ : ભૌગોલિક નિયમ પ્રમાણે અંદરની જમીન બળ કરીને ઉપર આવે એટલે ઊંચી જમીન અંદર ગરકી જાય છે. ૪૫ : વનમાંથી અગ્નિ, તેની રાખ તેનું ખાતર, તેમાંથી ઝાઝો પાક, તેથી થતી દેહપુષ્ટિ અને નવજીવન એ પ્રમાણે મારા બલિદાન પછી લોકોમાં નવા પ્રાણ રૂપે સર્વત્ર ફરીથી પ્રગટીને હું મારી જ કવિતાનું ગાન સાંભળીશ. ૪૯-૫૦ : જેહ - કવિતા, બધી શક્તિઓ બીજી દિશામાં વપરાતાં કવિતા અટકી પડી હશે, પણ જેટલી કવિતા પ્રગટ થઈને વહી ગયેલી તે તો દરિયામાં મળી, વાદળ થઈ પાછી આખી દુનિયામાં વરસતી હશે, તેનું ગીત હું જાતે જ બધામાં જન્મેલો સાંભળીશ. ૫૪ : એક વખત હું ગાનાર હતો. ગાનારનું ગીત આજે તેના તે રૂપે સંભળાય છે, પણ ગાનાર પોતે બીજા સ્વરૂપે શ્રોતાઓમાં વસી ગયેલો હોય છે.

પૃ. ૪૯ પતંગિયું અને ગરુડ : પ્રસિદ્ધ થયું ‘કુમાર’ સં. ૧૯૮૮ના જેઠ અંકમાં. ૫ : સચર - પ્રભુના જગતમાં ફરતા સ્વરૂપે. ૭ : સાન્નિધ્ય – સોડ ૧૫-૧૬ : આવું ક્ષુદ્ર દેખાતું પ્રાણી કેવી રીતે જીવન સફળ કરે છે એનો જવાબ. ૧૯ : ગરિમા-ગૌરવ. ૨૦ ; રચયિતા-રચનાર. ૨૬: કેમ - કયા પ્રકારે, શા માટે. ૨૭ ; ઉત્તુંગ- ઊંચું શિખર. ૩૦ : પાઠ - શક્તિનો તથા ઊંચા શિખર પર વિહાર કરવાનો.

પૃ. ૫૧ અલખ લખ કીજે : ૧ : અલખ-અલક્ષ્ય. ન જોઈ શકાય એવું તારું સ્વરૂપ તું પ્રકટ કર. અમારા ભૌતિક, સ્થૂલ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. એ કેવી રીતે, તે કાવ્યમાં વર્ણવ્યું છે.

પૃ. ૫૨ ભંગડી : પ્રસિદ્ધ થયું ‘પ્રસ્થાન’ સં. ૧૯૮૯ના કાર્તિક-માગશર અંકમાં. ‘કડવી વાણી’ નામે બીજા સંગ્રહમાં પણ મુકાયેલું. ૧૫ : ઝૂમણાં-ઘરેણાં. ૧૮ : જાન- સ્મશાનયાત્રા રૂપી.

પૃ. ૫૪ માગણ : વીજળી અને મેઘરુપી ભાઈબહેન. ૧૪ : કોડે-આનંદથી.

પૃ. ૫૫ મેઘનૃત્ય : પ્રસિદ્ધ થયું ‘કૌમુદી’ ઈ.સ. ૧૯૩૩ના જુલાઈ અંકમાં. ૪: પ્રકૃતિનાં પાંચ તત્ત્વો રૂપી વગાડનારા અને ગાનારા. ૭ : તરલતન - ચપળ દેહવાળી. દામિની - વીજળી. દ્યુતિતણાં દ્યોતને - તેજના ચમકારથી. ૯ : વારુણી મત્ત - દારૂ પીને ગાંડા થયેલા, ખૂબ પાણીથી ભરેલા. ૧૩ : આકાશસાગરનાં ઊંડા પાણી ઉપર. ૧૪ : નર્તકો - મેઘ અને વીજળી. ૧૬ : ઘુમરતા – ઘુમરડી ખવાડતા. ૧૯-૨૦ : તારાઓ દેખાતા નથી તે જાણે આનંદના અતિરેકમાં આંખો મીંચી ગયા છે. ૨૧ : હૃષ્ટ-આનંદિત. ચરિતાર્થ-કૃતાર્થ. ૨૩ : દેવો તરફથી મળેલી ભેટ.

પૃ.૫૭ ઝંઝાનિલને : પ્રસિદ્ધ થયું ‘કુમાર’ સં. ૧૯૮૯ના ચૈત્ર અંકમાં ‘રા.’ ના ટિપ્પણ સાથે. ૧: ઝંઝા - તોફાની વાયુઓના ઝુણ્ડના ઝોલા ઉપર વિહાર કરતો દરિયામાં શાંતિ મેળવવા સૂતેલો વિશ્વનો પ્રાણ ત્યાં પણ તાપ લાગવાથી જાગી ઊઠ્યો અને પૃથ્વીની નિકુંજમાં શાંતિ લેવા દોડ્યો. ૭ : સમુદ્રની ગંભીરતા અને વન ઈ. ની સ્થિરતાને ભાંગતો. ૮ : પૃથ્વીની ઝાડ, પર્વત, શહેર વગેરેથી દેખાતી અસમતાને જાણે સપાટ પાણી જેવી કરી દેતો, અને સપાટ જળવાળા દરિયા પર મોજાંના ડુંગરો ઊભા કરતો. ૯ : વાયુરૂપી અંચળો, પૃથ્વીની આજુબાજુ રહેલું વિશાળ વાતાવરણ. ૧૦ : સૂર્યપ્રયાણ - સૂર્યની પરિક્રમા. ૧૩-૧૪ : વાયુની સર્વવ્યાપકતા. ૧૬ : ઋતજ - અનિયંત્રિત જેવો દેખાતો છતાં વિશ્વના અટલ નિયમોમાંથી જન્મેલો અને તેને અનુસરતો. સૃષ્ટ ધર્તા - સરજેલી સૃષ્ટિને તેના સર્જન પછી ધારણ કરવા – ટકાવી રાખવા સરજાયેલો એવો, સ્રષ્ટાના જેવો જ બીજો ધર્તા. ૧૯ : કાન્તાર-જંગલ. ૨૦ : ઉત્પાટવા - ઉખેડવા. ૨૨ : મુણ્ડી - મૂંડેલા માથાવાળો પુરુષ. ૨૬ : નિબિડ - સજ્જડ. ૨૯ : વંશઝુણ્ડ - વાંસના ઝુંડમાં થઈને અવાજ કરતો વાતો પવન. ૩૨ : યુદ્ધલિપ્સા - લડવાની ઇચ્છા. ૩૬ : વ્યસ્ત કક્ષે - ઊલટી બાજુએ. કુદરત હારી, પણ તારે શરણે તો ન જ આવી; તે તો કો’ક બીજાને ચરણે પડી છે તે જો. ૪૨ : યુદ્ધાભાસો - લડવાના ખાલી દેખાવ. ૪૪ : નાસિકારન્ધ્ર - નાકનાં છિદ્ર, સ્પન્દન-ધબકારો. ૪૫-૪૮ : કુદરત જડ હતી તેથી વશ થઈ. પણ ચૈતન્યભરેલા માનવનો અવાજ સાંભળતાં વાયુ પોતે જ શાંત થયો. વિશ્વના પ્રાણની કદર પ્રાણવાન એવા માણસે જ કરી. મનુષ્યનો પ્રાણ અને વિશ્વનો પ્રાણ મળ્યા એટલે વિવશ - હારેલી કુદરત પણ મૂર્છામાંથી જાગી. ૪૯ : હર્તા - વિનાશકનું દેખીતું રૂપ શમાવી લે. વિનાશ દેખાવનો છે, વિનાશમાંથી નવું સર્જન થાય છે એટલે અંતે તો ઝંઝાનિલ કલ્યાણમૂર્તિ જ છે. ૫૧ : અજ્ઞાનીએ જ્ઞાન મેળવીને પ્રકૃતિનું સ્વરૂપ જાણી લેવું જોઈએ. ૫૨ : હમણાં નહિ તો તારાં ફળરૂપ કાર્યોથી તો જગત તને ઓળખશે જ. ૫૩-૫૬ : ઝંઝાનિલનું નવસર્જન. ૫૩-૫૮: વસ્ત્ર, પુષ્પપલ્લવરૂપી. ૫૩ : જલધિજ - સમુદ્રમાંથી પાકેલાં. ૫૫ : પ્રિય. – સ્ત્રી કેસરમાં પુંકેસર મેળવી આપતો. ૫૭ : આવેગધારા - આવેગ પ્રબળ ગતિનો પ્રવાહ.

પૃ. ૬૦ પાંદડી : પ્રસિદ્ધ થયું ‘કુમાર’ સં. ૧૯૮૯ના કાર્તિક અંકમાં. ૭: પાંચીકા - રમવાના કૂકા. ‘કડવી વાણી’માં પણ મૂકેલું છે.

પૃ. ૬૨ રુદન : ૧ : રેણ-રાત્રિ. ૩ : પડાળ - છાપરાંના ઢાળ. ૭ : સિન્ધુના સિન્ધુ - વાદળ રૂપે. ૨૪ : શે - કયી. ૨૬ : ઝળુંબી - ઝઝૂમી.

પૃ. ૬૪ જુદાઈ : જીવ અને પરમાત્માનો સંબંધ. માયાબદ્ધ પ્રાણી અને માયાપતિ પ્રભુની સ્થિતિ.

પૃ. ૬૫ ત્રણ પાડોશી : ‘કડવી વાણી’ નામના બીજા સંગ્રહમાં પણ મૂકેલું છે. ૧ : ઝાલર - મોગરીથી વગાડવાની ઘડિયાળ. ૨ : થાળીવાજું – ગ્રામોફોન. ૩૨ : પારણાં - અપવાસની સમાપ્તિએ કરવામાં આવતું ભોજન. ૩૩ : હવાયેલ - ભેજવાળી. ૪૧ : આંજણહીણી - તેલ આંજ્યા વિનાની. ૪૬ : અન્નપૂરણા - એમાંથી માકોરને રોટલો મળતો એટલે. ૫૦ : વાજ આવે-હારી જાય,

પૃ. ૬૮ દુનિયાનો દાતાર : ૧૦ ઇન્દરરાજ - પોતાના અધિષ્ઠાતા દેવને. ૧૧ : મેઘના મંડપ - સ્થૂલ વાદળોના. અહીં વર્ણવેલાં કૃત્યો કરનાર જગદુદ્ધારક ચેતનતત્ત્વને સ્થૂળ વાદળથી જુદું માન્યું છે.

પૃ. ૭૦ રામજી એ તો : આંખો મીંચીને પડ્યાં પડ્યાં પૃથ્વી પરનાં જુદાં જુદાં ચેતન પ્રાણીના સંચારમાં અવાજ જ કેટલા બધા કર્ણપ્રિય લાગે છે ! જેમ અવાજ મોટો તેમ નિદ્રાનું પ્રમાણ પણ વધે છે. ૪૫ : અંતરાત્માનો અવાજ. કાવ્યનું બાહ્ય નિમિત્ત તો વિસાપુર જેલમાં રહેવાની મળેલી બરાકમાં સામેના છેક છેડે પાયખાનાંની પાસે પહેલી રાતે સૂવા મળેલું અને રાતભર લોકો આવતા રહેલા, મારો નિદ્રાભંગ કરતા રહેલા તે છે.

પૃ. ૭૨ જન્મગાંઠ : ટૂંકાવેલું. ૪ : રાત્રિ અને દિવસો મળી થતો વર્ષનો ઝૂડો. ૨૬ : સૂત્ર - ચૈતન્ય, જીવનનો દોરો. ૩૩ : ગાંઠ - માયામોહમાંથી જન્મતી કર્મનાં બંધન રૂપી. ૪૬-૪૮ : જીવનનો પ્રારંભ અને અંત આ શરીરના જન્મ અને મરણની સાથે જ થતા નથી. એના જન્મથી પહેલાંના અને મરણની પછીના બધા ઠેઠ સુધીના છેડા જોવા દો. ૪૯ : સ્નિગ્ધ - સુવાળું.

પૃ. ૭૫ પથ્થરે પલ્લવ : પ્રસિદ્ધ ‘કુમાર’ સં. ૧૯૮૯ના વૈશાખ અંકમાં.

છંદ : મિશ્રોપજાતિ. શ્રી બળવંતરાય ક. ઠાકોરે ‘આપણી કવિતાસમૃદ્ધિ’ના વિવરણ તેરમાની ટીપમાં આ છંદને આ રીતે વ્યાખ્યાબદ્ધ કર્યો છે. ‘એક જ જાતિના બે છંદોનું મિશ્રણ તે ઉપજાતિ. બે જુદી જુદી જાતિના (જેમ ત્રિષ્ટુપ –જગતી કે બીજી જાતિના) છંદના મિશ્રણથી ચાર પંક્તિની કડી કરી હોય, તે મિશ્રોપજાતિ.’ અર્થાનુફૂળ છંદરચના કરવા જતાં ગમે તેમ આવી જતી ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, વંશસ્થ અને ઇન્દ્રવંશાની લીટીઓવાળા આ છંદને ‘મિશ્રોપજાતિ’ ના નામે જ ઓળખવો સગવડ ભરેલો લાગે છે.

૬ : ગર્ભિણી-ગર્ભવાળી. વત્સલ-પ્રેમાળ ઊર્મિના પ્રવાહ જેવું જળ. ૮ : જગતને જિવાડનાર કામધેનુ પેઠે. ૯ : અભિષિક્તદેહા - શરીરે અભિષેક-જલનું સિંચન પામેલી. ૧૦ : મહા કુલો – દરેક પ્રાણીની અસંખ્ય વિશાળ જાતિઓ. ઋતંભરા - સત્યને ધારણ કરતી. ૧૨ : વિસૃષ્ટિ - વનસ્પતિ પશુ, પંખી, પ્રાણી આદિની સૃષ્ટિ. ૧૩ : શષ્પ અને શસ્ય - ઘાસ અને ધાન્ય. ૨૧ : સર્જનઅદ્રિ - જીવનના અનેક ઉચ્ચોચ્ચ વિકાસો. ૨૨ : ઊભું - ઊભો છું. ૨૪ : વિઘાતી-ઘાતક.

પૃ. ૭૭ ધખના : ધખના-તીવ્ર તલસાટ. દેખાતાં દ્વંદ્વોની પાછળ કયું સ્થિર, કલ્યાણમય તત્ત્વ હશે? ૧૩ : લ્હારા - અંગારા.

પૃ. ૭૮ ગરુડનો વિષાદ : ૧૩ : ઊંચે ચડતાં જતાં ક્ષિતિજનું વર્તુલ વધે અને વધારે પૃથ્વી દેખાતી જાય. ૧૬ : કુરુક્ષેત્ર - સૃષ્ટિનું સદા ક્લેશપૂર્ણ જીવન. ૨૦ : ક્ષીણ પ્રાણવાયુ – ઊંચે જતાં ઓછો થતો જતો પ્રાણવાયુ. આ કાવ્યના અનુસંધાનમાં હવે પછીનું ‘માનવી માનવ’ વાંચી શકાય.

પૃ. ૮૧ જિંદગીના નવાણે : ૧ : आषाढ़स्य આષાઢ મહિનાની પહેલી રાત્રિ જગતની વિલાસરાત્રિ છે. ૪ : ભવન ભરતી - કોઈ સ્નેહી વગર ઘર સૂનું સૂનું લાગે તેમ સ્નેહી હોય ત્યારે ઘર ભર્યું ભર્યું લાગે. ૬ : આઢ્ય - ચિકાર, ભરપૂર. ૭ : વામી - તજી. પ્રકામે - મન ભરીને. ૧૧ : પથારે - પથારા ઉપર, પથારીની કોમળતા આમાં નહિ પણ ત્યારે વિશાળતા ખરી. ૧૪ : ઘન - નવી ભાવના આદિના મેહ.

પૃ. ૮૨ માનવી માનવ : ટૂંકાવેલું. માનવી - માનવ શબ્દ પરથી વિશેષણ, માનવના ખરા તત્ત્વવાળું, માનવીય. ૧૧ : નેપથ્ય-પડદા. ૧૮ : ઊડુમંડળ - તારાગણ. ૨૧ : ઊંડળ – બાથ. ૩૩-૮૦ : પિણ્ડમાં બ્રહ્માંણ્ડ જોવાના પ્રયત્ન. ૩૮ : બુદ્‌બુદ - ટીપામાં આખો સમુદ્ર, ૩૯ : વૈખરી - ઉચ્ચારાયેલી વાણી. ૪૩-૪૪ : સ્થૂલ અને ચેષ્ટાયુક્તમાંથી સૂક્ષ્મ અને અતીત - પારનું તત્ત્વ જોવા મથું છું. ૪૫-૬૦ : માટીના કણ જેવા અતિ સ્થૂલ પદાર્થથી શરુ કરી એની સાથે આખું જડ – ચેતન વિશ્વ કેવી રીતે સંકળાયું છે તે જણાવે છે. ૫૬ : વલ્લરી – વેલ. ૬૩-૮૦ : માટીમાંથી જન્મતા જીવનાં અપાર શક્તિવાળાં નેત્ર અને માટી બંને આટલાં જુદાં સ્વરૂપ અને શક્તિવાળાં દેખાય છે છતાં તત્ત્વ રૂપે શું એક જ? હા, હમણાં જ સિદ્ધ કર્યું તો બંનેનાં કર્તવ્ય પણ એક જ. માટીના કણને ચેષ્ટાયુક્ત વાયુ ઉડાડે છે. હું જાતે ચેષ્ટાવાન છું તો મારા આ દેહની માટીના કણ હું પણ કેમ ન વેરી દઉં? ૮૦-૯૮ : મનુષ્યજીવનનાં પુરુષાર્થ ક્ષેત્રો. ૮૨ : કાલિમા - કાળાશ. ૯૨ : આતશ - અગ્નિ. ૯૮ : દાત્રી - આપનારી, મનોવિધાત્રા - મનને, તેના ભાવને સર્જનારી. ૧૦૨ : ભૂગર્ભરત્ના - જેના ગર્ભમાં રત્ન છે તેવી. ૧૦૫ : જીવનમાં રાક્ષસત્વની દિશામાં સરી પડી માણસ મટી જવું – એની દાનવતાના વંટોળથી આ માનવતાની ચેતના બચાવી લેવાની. ૧૧૪ : નિર્ધૂમજ્યોતિ - ધુમાડા વિનાનો અગ્નિ, શુદ્ધ આત્મા. ૧૧૭ : સત્કાર્યદીક્ષા - સત્કાર્ય માટેનો ભેખ. ૧૨૫: વસુ - દ્રવ્ય, ધન, રત્ન. પંક્તિ ૧૨૦થી ૧૨૬ નવી.

પૃ. ૮૭ રૂડકી : રૂડકી-વાઘરણનું નામ. ૧ : લટિયે - વાળની લટે લટે. ૨ : ઓઘરાળા - સુકાયેલા રેલાનો ડાઘ. ૧૪ : ઘરવાસ - ઘરની બધી સામગ્રી. ‘કડવી વાણી’માં મૂકેલું.

પૃ. ૮૯ તલાવણી : ભરૂચ જિલ્લા તરફ તળાવને કિનારે ઝૂંપડાંમાં પડી રહેતો, ‘રાઠોડિયાં’ નામે પોતાને ઓળખાવી રજપૂતોના વંશજ કહેવાડતો, ખેતીની મજૂરી પર નભતો સાવ ગરીબ વર્ગ ‘તલાવિયાં’ના નામથી ઓળખાય છે. તલાવણી-તલાવિયાની સ્ત્રી. ૧૫ : છાજિયાં-છાજથી છાજેલાં. ‘કડવી વાણી’માં મૂકેલું.

પૃ. ૯૦ રંગરંગ વાદળિયાં : પ્રસિદ્ધ થયું ‘કૌમુદી’ ઈ. સ. ૧૯૩૩ના જુલાઈ અંકમાં.

પૃ. ૯૨ સતિયા જન : ‘ક. વા.’માં મૂકેલું. ૩ : આગો - જ્ઞાનના અગ્નિઓ. ભૂતાવળ-અજ્ઞાન, મોહ. ૯ : જ્ઞાનના ઘંટ - ઈશ્વરને આરાધવા માટે ભક્તિ ઉપરાંત જ્ઞાનનો પણ તે એટલો જ આશ્રય લે છે.

પૃ. ૯૩ બળતાં બચાવજે : ટૂંકાવેલું. ૮૬ : બદ્ધ - બંધાયેલા. જેલમાં રહેલા, આ બંધાયેલા અને પેલા છૂટા પણ કેદી તો બંને ય. ૨૩ : સ્પન્દ - ધબકારો. મૂંગી મૂંગી વિદાય દેતી આંખનો પલકારો ૨૬ : જન મુક્તિવાંછુ – જેલમાં પુરાયેલા પણ છૂટીને બહાર જવાની ઇચ્છાવાળા. ૪૪ : પારકાની રચેલી, અજગર જેવી ભરડો લેતી અનેક પ્રકારની દીવાલો. ૪૯ : દાસ્ય - દાસપણું. ૫૮ : કૂટ - મુશ્કેલી ભરેલી. ૪૯-૬૨ : પારકાએ બાંધેલાં બંધન સમજવાં અને તોડવાં સહેલાં છે, આપણે જાતે રચેલાં બંધન પ્રથમ તો સમજાતાં જ નથી અને તોડવાં તો ઘણાં કઠણ જ છે. ૬૨-૭૭ : આ બંધનકારક તુરંગો કઈ કઈ તે વર્ણવે છે. ૬૯ : સૃષ્ટ - સરજેલી. ૮૨ : ખનિત્ર - કોદાળા. ૮૮ : ભેદન - ભાગવામાં. ૯૮ : ક્લિષ્ટ - સંકટોથી ભરેલો.

પૃ. ૯૭ ધૂમકેતુ : પહેલી ત્રણ ચાર તેમ જ વચ્ચેની કેટલીક લીટીઓ સિવાય લગભગ આખું નવેસરથી લખેલું. ૩ : સ્થિરપાદ - સ્થિર કદમવાળો, અચળ. મનોજિત - મનનો વિજેતા. ૭ : તેજકલાપધારિણી – આ રમણીઓનું સૌન્દર્ય તેમનો તેજકલાપ હતો. વંશેન્દ્ર : આ આઠ લીટીઓ વંશસ્થ અને ઈદ્રવંશાની છે. એમાં માત્ર આ બે છંદોનું મિશ્રણ હોવાથી તેને માટે આ શબ્દ મૂક્યો છે. ૩૯ : ધુરીણો : જગતની ધુરાનું વહન કરનારા. ૪૩ : સમાજ શિષ્ટનો : સમાજના ગોઠવાયેલા શિષ્ટ વ્યવહારમાં હૃદયની આ ઉર્મિઓને સંમાનિત સ્થાન નથી. જીવનમાં પ્રગટતી પોતાનો પ્રભાવ વિસ્તારતી તેમ જ જીવનને પોતાની જકડમાં લેતી આ વૃત્તિઓનું શું કરવું એ સમાજના સંધારણ માટેનો જટિલ પ્રશ્ન છે. એ નિરાકરણ સમાજ બાહ્ય વ્યવહારના ચોકઠા દ્વારા લાવવા મથી શકે છે. તેનું આંતર નિરાકરણ જ્ઞાનને માર્ગે હોય. પણ તે જ્ઞાન સમાજના નાના કે પછી મોટા પુરુષોના જૂાથમાં નથી. તે લોકો પુરાણા પથને જ વળગી રહે છે. અને એમાંથી નવસર્જનના અભીપ્સુઓ સાથે તેમની અથડાઅથડી જન્મે છે. આ ભદ્ર સમાજને તેમના સિવાય બીજું બધું અભદ્ર, અશિષ્ટ છે. ૮૩-૯૪ : સમાજનો રૂઢ માર્ગ મૂકી પોતાના અંત:કરણને અનુસરનારને સમાજની આજ્ઞાના પાલનમાં પોતાની સાર્થકતા નથી દેખાતી. તે માર્ગ તો ક્લેશનો, બંધનનો, અ-મુકિતનો, અશુદ્ધ ભુક્તિનો આનંદરહિત પથ છે. પોતાની સાર્થકતા તે પોતાના તપસને વધુ ઉગ્ર કરવામાં જુએ છે અને પોતાના તપનો પરમ વિસ્તાર સાધે છે. તે તેજોમય બને છે, નવપંથવિધાયક બને છે. વ્યગ્ર જગતને તેમાંથી શાતા મળે છે. પ્રભુની તેને પ્રસન્ન સંમતિ મળે છે. ૯૫ : હઠાત્-એકદમ.

પૃ. ૧૦૩ પોંક ખાવા : આરંભની ૧૦ લીટી પછીની બધી નવી. ૧૧, ૧૨ : આ ભરૂચ જિલ્લાની કાનમની સીમની પ્રકૃતિનું દૃશ્ય છે. ત્યાંની કાળી જમીનમાં કપાસ, જુવાર, તૂવર, લાંગ એ મુખ્ય પાક છે. અને તે વિશાળ સીમમાં માત્ર એક જ વૃક્ષ હોય છે, સમડો, અને તે એક ખેતરમાં એકથી વધુ નહિ. ૧૯ : ધોરી-બળદ. ૨૦ : ઓતરાદી-ઉત્તર દિશામાં. ૧૧૦ : બન્ધુ, મૃત્યુ, પ્રભુ.

પૃ. ૧૦૮ ધ્રુવપદ ક્યહીં? : ટૂંકાવેલું, આની આગળના ‘કાવ્યપ્રણાશ’ નું વસ્તુ અંશતઃ અહીં પુનરાવર્તિત થાય છે, અહીં એ જ પ્રશ્નને બીજી રીતે ટૂંકાણમાં મૂકી પ્રશ્ન આગળ લંબાવ્યો છે. ૧-૨૦ : પ્રાસ્તાવિક પંક્તિઓ જેવી છે. ૧-૪ : કાવ્યોને વનની ઉપમા આપી એટલે પછી એના રસને માટે સુગન્ધ – સુરભિની ઉપમા આવી. ૨ : વાગ્મીશ-વાણીના સ્વામી, સાહિત્યના મહાસર્જકો. ૪ : મનીષા - ઇચ્છા. ૫ : શશિયર - ચંદ્ર. ૯ : વિભવ-વૈભવ સમૃદ્ધિ. ઉડુ-તારા. ૧૦ : પ્રકૃતિમનુસૃષ્ટિ - કુદરત અને માણસની સૃષ્ટિ ૧૧ : આ સર્વેના રસો, ઊર્મિનાં કેન્દ્રો તેમાંથી બળ તથા હૃદયનું આલંબન મેળવવા. ૨૬ : પોતાના અહંને વિશ્વની સર્વ યોજનામાં મધ્ય બિન્દુએ રાખી તેને અનુકૂળ બધું ગોઠવવાના પ્રયત્ન. ૨૮ : નિયતિ અનુસારે - વિશ્વોનો આપણા જન્મ પહેલાથી તથા મરણ પછી પણ ચાલ્યા કરતો, નિયત ક્રમ, તેને નક્કી કરનાર તત્ત્વ તે નિયતિ, એ વિશ્વની નિયતિએ રચેલા મહા નિયમોને અનુસરીને. ૩૧ : અતિ-અસમ-ભાવે સત્ય ખોળવા માટે જરૂરી એવી તટસ્થતા ત્યાગી, એકપક્ષી થઈને, કાં તો અતિ ભાવવાળા કે અસમ-વિરુદ્ધ ભાવવાળા થઈને. ૩૩-૩૪ : તારાઓથી ખીચોખીચ ભરાયેલી દિશાઓ માણસના નેત્રરંજન માટે નથી. ૩૬ : મનુજગણ - માણસ જાતનું નસીબ નક્કી કરવા. ૩૭-૪૪ લલિત. - રમણીય અને રુદ્ર છતાં ઋતમાંથી - શાશ્વત નિયમોમાંથી જન્મેલી એવી, કુદરતનાં અંગોનું તમામ જીવનતત્વ માણસના પોતાના જેવા જ ભાવોવાળું નથી. ૪૫ : નૂરજહાં ગુલાબની ખૂબ શોખીન હતી. ૫૦ : ચંપો અલક - કેશમાં ગૂંથવાને, કેસૂડો રમણ હોળી વગેરેમાં ખેલવાનાં સાધન તરીકે. ૪૮ : ફલક - ચિત્રપાટી. કુદરતનું સૌંદર્ય ચિત્રબદ્ધ થવા માટે જ નથી. ૫૭ : વિશ્વોએ માણસને અનુકૂળ થવાનું નથી, વિશ્વરચનામાં જે દોષ કે વિષમતા દેખાતાં હોય તે માણસના પોતાનાં દર્શનની ખામીને લીધે પણ હોય એ સંભવે, એટલે એણે પોતાનું સ્થાન વિશ્વમાં ક્યાં છે તે શોધવાનું છે. ૬૫ : સામંજસવતી - સામંજ્સ્ય - પત્યેક વસ્તુ યથાસ્થિત રૂપે યોજાવી તે – વાળી. ૭૩  : સંહૃત. - સમેટી લેવું, ખેંચી લેવું, ગાવું બંધ કર્યું. ૮૭ : શ્રાન્ત મુરછ્યો-થાકીને મૂર્છા પામ્યો.

પૃ. ૧૧૨ અમારાં દર્દો : ૩ : પાઠાન્તર : ચખ ઉભયનાં. ૬. અમાણ્યા - ઝંખેલા પણ અનુભવેલા નહિ એવા. ૧૧ : પ્રતિ ઉર.-હૃદયની દરેક ઇચ્છા.

પૃ. ૧૧૩ બાનો ફોટોગ્રાફ : પ્રસિદ્ધ થયું ‘પ્રસ્થાન’ સં.૧૯૮૯ના ચૈત્ર અંકમાં. ૨૦ : સ્ટુડિયોમાં ઠાઠથી અને કુત્રિમ હાસ્યથી ફોટોગ્રાફ પડાવા બેસવું એ જૂઠો વર્તમાન કાળ, સાચો પણ ભયાનક ભૂતકાળ. ૩૭ : પ્રેમ અને બાનું સ્મરણ જાળવવા પૂરતો સ્વાર્થ, એ બેના સ્મારક જેવો ફોટોગ્રાફ. ૪૧ : પુત્રો વગેરેથી ઉપેક્ષા - દરકાર ન લેવાયેલી, હિસાબમાંથી કાઢી નખાયેલી.

પૃ. ૧૧૬ દશા ભાગ્યની : ૬ : આફુડાં-આપમેળે, વગર પ્રયત્ને, સૌન્દર્યથી આકર્ષાઈને. ૧૦ : શિરમોર – માથાનો મુગટ. ૧૧, ૧૨ : તમારા દેહની તાજપ, કુમાશ અને શુચિત્વ-પવિત્રતા પર વિષયવાસના કે મેલી કલ્પનાનો ઓરછો - છાયો પણ પડે તે અસહ્ય છે.

પૃ. ૧૧૭ કાં ના ચહું? : ૫ : દેવની દ્યુતિ- ઈશ્વરદત્ત ચૈતન્ય. ૮ : તારું પાણિગ્રહણ કર્યું, પણ ચાહી ન શક્યો. રતિ-પ્રેમ. ૮ : દુર્દૈવિની - કમનસીબ. ૧૧, ૧૨ : કોઈને ન ચાહનાર હું દુષ્ટોને પણ ચાહતાં શીખ્યો.

પૃ. ૧૧૮ નથી સ્વપ્ને જાવું : ૧ : જટિલ-અટપટું, ૨,૩ : સ્વપ્ને જવાનું કારણ કે જેને ચાહું છું તેને મેળવી શકાતાં નથી, મળ્યાં છે તેને ચાહી શકાતું નથી. ૬ : ઊર્મિચ્છંદે - ઊર્મિના અનેક પ્રકારોથી. ૯-૧૨ : સ્વપ્નની ભૂમિ ત્યાંના આનંદ, રસ ક્ષણિક છે, ૧૩, ૧૪ : બીજી ત્રીજી લીટીમાં જાગૃત જગત સામે જે મારી ફરિયાદ છે તેને હું જાગૃત રહીને જ મટાડી દઈશ, જાગૃત દશામાં જ આ નિત્યના જીવનમાં જ બધું મેળવીશ : इहैव।

ક્રમ કાવ્ય સમય પૃષ્ઠ
૧૯૨૬
એકાંશ દે સપ્ટેમ્બર
૧૯૨૮
અભય દાને જુલાઈ
૧૯૨૯
આગે આગે જાન્યુઆરી
વિદાય મે
૧૯૩૦
રણગીત ફેબ્રુઆરી
છેલ્લી આશા માર્ચ ૧૦
સંજીવની જુલાઈ ૧૨
તમને જુલાઈ ૧૩
બુદ્ધનાંચક્ષુ સપ્ટેમ્બર ૧૪
૧૦ ત્રિમૂર્તિ સપ્ટેમ્બર ૧૬
૧૧ ભરતીએ ઓટે સપ્ટેમ્બર ૧૯
૧૨ કાવ્યપ્રણાશ ઑક્ટોબર ૨૦
૧૩ સાફલ્યટાણું ઑક્ટોબર ૨૭
૧૪ सत्यं शिव सुन्दरम् ઑક્ટોબર ૨૮
૧૫ કાલિદાસને ડિસેમ્બર ૨૯
૧૯૩૧
૧૬ હસતી કે રડતી ૧૦ મે (મે ૧૯૮૦) ૩૪
૧૭ વાદળી ૧૦ મે ૩૫
૧૮ સ્વ. શંકર દતાત્રેય ૨૩ જુલાઈ ૩૬
૧૯ પગલાં ૩૧ જુલાઈ ૩૯
૨૦ વેરણ મીંદડી ૫ સપ્ટેમ્બર ૪૦
૨૧ ભાંગેલી ઘડિયાળને ૯ ડીસેમ્બર ૪૧
૨૨ સ્વપ્નભંગ ૧૦ ડીસેમ્બર ૪૩
૧૯૩૨
૨૩ કવિનો પ્રશ્ન ૨૧ જાન્યુઆરી ૪૬
૨૪ પતંગિયું અને ગરુડ ૨૯ જાન્યુઆરી ૪૯
૨૫ અલખ લખ કીજે ૮ મે ૫૧
૨૬ ભંગડી ૫ જૂન ૫૨
૨૭ માગણ ૧૧ જૂન ૫૪
૨૮ મેઘનૃત્ય ૧૧ જૂન ૫૫
૨૯ ઝંઝાનિલને ૧૫ જૂન ૫૭
૩૦ પાંદડી ૧૯ જૂન ૬૦
૩૧ રુદન ૨૩ જૂન ૬૨
૩૨ જુદાઈ ૨૭ જૂન ૬૪
૩૩ ત્રણ પાડોશી ૪ જુલાઈ ૬૫
૩૪ દુનિયાનો દાતાર ૮ જુલાઈ ૬૮
૩૫ રામજી એ તો ૧૬ જુલાઈ ૭૦
૩૬ જન્મગાંઠ ૨૦ જુલાઈ ૧૯૩૨ (૨૯ જુલાઈ, ૧૯૫૩) ૭૨
૩૭ પથ્થરેપલ્લવ ૨૫ જુલાઈ ૧૯૩૨ ૭૫
૩૮ ધખના ૩૦ જુલાઈ ૭૭
૩૯ ગરુડનો વિષાદ ૩૧ જુલાઈ ૭૯
૪૦ જિન્દગીના નવાણે ૪ ઑગષ્ટ ૮૧
૪૧ માનવી માનવ ૮ ઑગષ્ટ ૧૯૩૨ ૮૨
૪૨ રૂડકી ૮ ઑગષ્ટ ૮૭
૪૩ તલાવણી ૧૦ ઑગષ્ટ ૮૯
૪૪ રંગરંગ વાદળિયાં ૨૨ ઑગષ્ટ ૯૦
૪૫ સતિયાજન ૩૦ ઑગષ્ટ ૯૨
૪૬ બળતાં બચાવજે ૨ સપ્ટેમ્બર ૧૯૩૨ (૨૩ જુલાઈ ૧૯૫૩) ૯૩
૪૭ ધૂમકેતુ ૩૧ ડિસેમ્બર ૧૯૩૨ (ઓગસ્ટ,૧૯૫૩) ૯૭
૧૯૩૩
૪૮ પોંક ખાવા ૮ જાન્યુઆરી ૧૯૩૩ ૧૦૩
૪૯ ધ્રુવપદ ક્યહીં? ૩૧ જાન્યુઆરી ૧૯૩૩ ૧૦૮
૫૦ અમારાં દર્દો ૧૨ ફેબ્રુઆરી ૧૧૨
૫૧ બાનો ફોટોગ્રાફ ૨૨ ફેબ્રુઆરી ૧૧૩
૫૨ દશા ભાગ્યની ૨ માર્ચ ૧૧૬
૫૩ કાન ન ચહું? ૩ માર્ચ ૧૧૭
૫૪ નથી સ્વપ્ને જાવું ૨૦ માર્ચ ૧૧૮
અમારા આધુનિક કાવ્યસંગ્રહો
*

પૃથ્વીને પશ્ચિમ ચહેરે – ઉશનસ વ્યોમલિપિ - પ્રિયકાંત મણિયાર લીલેરો ઢાળ - પ્રિયકાંત મણિયાર ઓડિસ્યુસનું હલેસું - સિતાંશુ યશશ્ચંદ્ર બૂમ કાગળમાં કોરા - લાભશંકર ઠાકર ઊઘડતી દીવાલો - ચંદ્રકાન્ત શેઠ પ્રબલગતિ - પ્રિયકાંત મણિયાર સંભવ - ભગવતીકુમાર શર્મા સૂરજ કદાચ ઊગે - હરિકૃષ્ણ પાઠક મહાભારતનાં છેલ્લાં ચાર પર્વો - અનું. સુંદરજી બેટાઈ અતીતની પાંખમાંથી - ‘સ્નેહરશ્મિ’ અવકાશ - નલીન રાવળ પવન રૂપેરી - ચંદ્રકાન્ત શેઠ મારે નામને દરવાજે - લાભશંકર ઠાકર તમસા - રઘુવીર ચૌધરી અંગત - રાવજી પટેલ અનુવ્યંજના - સુંદરજી બેટાઈ શિશિરે વસન્ત - સુંદરજી બેટાઈ

આર. આર. શેઠની કંપની