કાવ્યમંગલા/ત્રિમૂર્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ત્રિમૂર્તિ
(શિખરિણી)

બુદ્ધ


ધરી આજન્મેથી પ્રણયરસદીક્ષા, તડફતું
હતું જે સંતાપે જગત દુખિયું, ક્લિન્ન રડતું,
લઈ ગોદે ભાર્યું હૃદયરસની હૂંફમહીં ને
વદ્યા : ‘શાંતિ, વ્હાલાં, રુદન નહિ બુટ્ટી દુઃખતણી.’

અને બુટ્ટી લેવા વનઉપવનો ખૂંદી વળિયા,
તપશ્વર્યા કીધી, ગુરુચરણ સેવ્યા; વ્યરથ સૌ
નિહાળી, આત્મામાં કરણ સહુ સંકેલી ઉતર્યા,
મહા યુદ્ધે જીતી વિષય, લઈ બુટ્ટી નિકળિયા.

પ્રબોધ્યા ધૈર્યે તે વિરલ સુખમંત્રો, જગતને
નિવાર્યું હિંસાથી, કુટિલ વ્યવહારે સરળતા ૧૦
પ્રચારી, સૃષ્ટિના અઘઉદધિ ચૂસ્યા મુખથકી,
જગત્ આત્મૌપમ્યે ભરતી બહવી ગંગકરુણા.

પ્રભો ! તારા મંત્રો પ્રગટ બનતા જે યુગયુગે,
અહિંસા કેરો આ પ્રથમ પ્રગટ્યો મંત્ર જગતે.

ઈશુ


મહા રૌદ્રે સ્વાર્થે જગત ગરક્યું’તું બલતણા
મદે ઘેલા લોકો નિરબળ દરિદ્રો કચડતા,
વિસારી હૈયાથી પ્રભુ, જગત સર્વસ્વ ગણતા,
પ્રતિ સ્થાને સ્થાને બસ નરકલીલા જ પ્રગટી.

અહો તેવે ટાણે વચન વદતો માર્દવતણાં,
ડૂબેલાંને દુઃખે સુખમિલન દુઃખે જ કથતો,
દરિદ્રે ઊગાડી પ્રબળ વચને વૃક્ષ બળનાં,
અમીકૂપી લેઈ જગ પર ભમ્યો બાળ પ્રભુનો.

ડગ્યાં જુલ્મી તખ્તો, બળમદભર્યા તાજ સરક્યા,
નમેલો એ આત્મા પ્રબળ રિપુ દુર્દમ્ય બનિયો,
ભભૂક્યો ક્રોધાગ્રિ પ્રભુવિમુખનો, ઝાળ ઝબકી,
તહીં તેં હોમાઇ જગતદુઃખનો હોમ કરિયો.

સરી ત્યાં જે શાંતિસરિત બલિદાને ઉભરતી,
કૃપાસ્નાને એના જગત ધખતું શીતળ થયું.


ગાંધી


પટે પૃથ્વીકેરે ઉદય યુગ પામ્યો બળતણો,
ભર્યાં વિદ્યુત્, વાયુ, સ્થળ, જળ મુઠીમાં જગજને, ૩૦
શિકારો ખેલ્યા ત્યાં મદભર જનો નિર્બળતણા,
રચ્યાં ત્યાં ઊંચેરા જનધિરરંગ્યાં ભવન કૈં.

ધરા ત્રાસી, છાઈ મલિન દુઃખછાયા જગ પરે,
બન્યાં ગાંધી રૂપે પ્રગટ ધરતીનાં રુદન સૌ,
વહેતી એ ધારા ખડકરણના કાતિલ પથે,
પ્રગલ્ભા અંતે થૈ, ગહન સરલા વાચ પ્રગટી :

હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી,
પ્રભુ સાક્ષી ધારી હૃદયભવને, શાંત મનડે
પ્રતિદ્વેષીકેરું હિત ચહી લડો; પાપ મટશે. ૪૦

પ્રભો, તેં બી વાવ્યાં જગપ્રણયનાં ભૂમિઉદરે,
ફળ્યાં આજે વૃક્ષો, મરણપથ શું પાપ પળતું !

(સપ્ટેમ્બર, ૧૯૩૦)