કાવ્યમંગલા/બુદ્ધનાં ચક્ષુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બુદ્ધનાં ચક્ષુ
(શિખરિણી)

ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુતણાં,
ઊગ્યાં ને ખીલ્યાં ત્યાં કિરણકણી આછેરી પ્રગટી,
પ્રભા ત્યાં ફેલાઈ જગત પર દિવ્યા મુદતણી,
હસી સૃષ્ટિ હાસે, દલ કમલનાં ફુલ્લ બનિયાં.

પ્રભો ! જન્મે જન્મે કર ધરી કંઈ શસ્ત્ર ઉતર્યા,
નખાગ્રે. દંતાગ્રે, દમન કરિયું શબ્દછળથી,
સજ્યું કે કોદણ્ડ, ગ્રહી પરશુ, ચક્રે ચિત ધર્યું,
તમે આ જન્મે તો નયનરસ લેઈ અવતર્યા.

વિધાતાનાં દીધાં નયન કરીને બંધ જગ આ
ભુજાએ ઝૂઝંતું કુટિલ મનનો આશ્રય લઈ, ૧૦
પ્રભો ! આવી આપે નયન જગને અર્પણ કર્યાં,
ભમંતું અંધારે જગત નવ ચક્ષે જગવિયું.

મથ્યા લોકો ખુલ્લાં નયન કરવા બંધ પ્રભુનાં,
પુર્યાં કિલ્લે, મ્હેલે, રમણીભુજને પિંજર વિષે;
વિદાર્યા એ બંધો, નયન ઉઘડ્યાં ચેતનભર્યાં,
ને ઊંઘ્યાં જાગેલાં, મુરછિત દૃગોને જગવિયાં.


ફરી ખૂણે ખૂણે જગત નિરખ્યું નેત્ર સદયે;
લહ્યું : સૃષ્ટિખાડે ખદબદી રહ્યા કીટ જગના,
જરા વ્યાધિ મૃત્યુ ત્રિવિધ વમળે ડૂબી મરતા,
અને બીજા જીવો ઉપર નભતા જીવ નિરખ્યા. ૨૦

ઘુમ્યાં શાંતિ અર્થે વન વન, તપો તીવ્ર તપિયાં,
ન લાધ્યું ઇચ્છેલું, નયન ભમતાં ત્યાં વિરમિયાં;
સર્યોં તે મીંચાઈ નિજ હૃદયને સાગરતલે,
ઠરી આત્માગારે વિરલ લઈ મુક્તા ઉઘડિયાં.

અને આત્મસ્નાને અધિક થઈને આર્દ્ર નયનો
ખુલ્યાં ના ખૂલ્યાં ત્યાં પ્રણયરસગંગા અવતરી,
વહી તે ફેલાતી સભર જડ ને ચેતન વિષે,
કૃપાગંગાસ્નાને અવગતિ ટળી જીવ સહુની.

ઉધારી સૃષ્ટિને નયનજલથી, ચક્ષુ પ્રભુએ
શમાવ્યાં; ત્યાં બીજાં નયન જગને અંતર ખુલ્યાં; ૩૦
પછી ઝંઝાવાતો ઉમટી કદી એને મુંઝવતા,
તુફાનો દાબી એ દ્વિગુણ બલથી તે ચમકતાં.

હવે ના મીંચાશો નયન કદિ યે જે ઉઘડિયાં,
દયાની ગંગા આ પરમ તપ અંતે ઉતરી, તે
અખંડા વ્હેતી ર્‌હો કઠણ તપના સિંચનથકી,
વહો ખંડે ખંડે, પ્રતિ ઉર વહો તપ્ત જગને.

(સપ્ટેમ્બર, ૧૯૩૦)