કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/કવિ અને કવિતાઃ ઉશનસ્

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કવિ અને કવિતાઃ ઉશનસ્

ઊર્મિલા ઠાકર

ગુજરાતી કવિતાને ગતિશીલ રાખનારા તેમજ શિખરો સુધી લઈ જનારા કવિઓમાં નોંધપાત્ર કવિ એટલે ઉશનસ્.

કવિશ્રી ઉશનસ્ જન્મ સાવલી, જિ. વડોદરામાં ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૦ના રોજ થયો હતો. તેમનું મૂળ નામ નટવરલાલ કુબેરદાસ પંડ્યા. માતા લલિતાબહેન. તેમનાં પત્ની શાન્તાબહેન. ઉશનસે પ્રાથમિક શિક્ષણ સિદ્ધપુર, સાવલી અને ડભોઈમાંથી પ્રાપ્ત કરેલું. તેઓ ૧૯૩૮માં મૅટ્રિક થયા. ૧૯૪૨માં એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. થયા. ૧૯૪૫માં મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય સંસ્કૃત સાથે એમ. એસ. યુનિવર્સિટીમાંથી જ એમ.એ. થયા. ૧૯૪૨-૧૯૪૬ દરમિયાન તેમણે રોઝરી હાઈસ્કૂલ, વડોદરામાં શિક્ષક તરીકે નોકરી કરી તેમજ થોડો સમય ‘નભોવાણી’ના તંત્રી તરીકે પણ સેવાઓ આપી. ૧૯૪૭-૧૯૫૭ દરમિયાન તેમણે ગાર્ડા કૉલેજ, નવસારીમાં અધ્યાપન કર્યું. ૧૯૫૭થી આર્ટ્સ કૉલેજ, વલસાડમાં ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યાપક તરીકે તેમજ ૧૯૬૮-૧૯૮૦ સુધી આચાર્ય તરીકે સેવાઓ આપી નિવૃત્ત થયા. તેમની શિક્ષણ અને સાહિત્યની સેવાઓ માટે તેમને ૧૯૬૬માં પી.ઈ.એન.નું સભ્યપદ પ્રાપ્ત થયેલું. ૧૯૫૯માં તેમને કુમારચંદ્રક, ૧૯૭૧માં (૧૯૬૩-૧૯૬૭નો) નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમજ ૨૦૧૧માં તેમને નરસિંહ મહેતા ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલા. ૬ નવેમ્બર ૨૦૧૧ના રોજ વલસાડમાં એમનું અવસાન થયું.

કવિતાક્ષેત્રે ઉશનસ્ની કારકિર્દીની શરૂઆત ૧૯૪૦ની આસપાસ થયેલી. તેમની કવિતાઓ સામયિકોમાં છપાતી રહેલી, તેમજ કવિતાપ્રેમીઓને આકર્ષતી રહેલી. ઉશનસનો ધસમસતો કાવ્યપ્રવાહ તેમના પચીસેક જેટલાં કાવ્યસંગ્રહોમાં પ્રકાશિત થયો છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રસૂન’ (૧૯૫૫) પરંપરાના અનુસંધાન સાથે પોતીકા અવાજમાં પ્રગટ થયો. ત્યારપછી ‘નેપથ્ય’ (૧૯૫૬), ‘આર્દ્રા’ (૧૯૫૯), અને ‘મનોમુદ્રા’ (૧૯૬૦) એ ત્રણ કાવ્યસંગ્રહો મળ્યા. ‘નેપથ્ય’માં કવિ પાત્રપ્રધાન દીર્ઘરચનાઓ લઈને આવ્યા. ‘આર્દ્રા’માં ૧૧૫ કાવ્યોમાંથી ૬૩ જેટલાં સૉનેટકાવ્યો-સૉનેટમાળા આપ્યાં છે અને ‘મનોમુદ્રા’માં આસ્વાદ્ય પ્રકૃતિનિરૂપણ છે. આ સમયગાળામાં ‘તૃણનો ગ્રહ’ (૧૯૬૪) અને ‘સ્પંદ અને છંદ’ (૧૯૬૮) સંગ્રહો પ્રકાશિત થયા. એ સાથે ઉશનસ્ એક પ્રતિભાશાળી કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. ત્યારપછી ઉશનસ્ અરૂઢ સાહજિક અછાંદસ કવિતાઓ પણ આપે છે. જે ‘અશ્વત્થ’(૧૯૭૫)માં સૌપ્રથમ પ્રગટ થાય છે. એ પછી તો એ દાયકામાં ‘રૂપના લય’ (૧૯૭૬), ‘વ્યાકુલ વૈષ્ણવ’ (૧૯૭૭), ‘પૃથ્વીને પશ્ચિમ ચહેરે’ (૧૯૭૯) વગેરે સંગ્રહો પ્રગટ થયા. ત્યારપછી ‘શિશુલોક’ (૧૯૮૩), ‘આરોહ-અવરોહ’ (૧૯૮૯), ‘પૃથ્વીગતિનો છંદોલય’ (૧૯૯૩), ‘રૂપ-અરૂપ વચ્ચે’ (૧૯૯૫), ‘એક માનવીને લેખે’ (૧૯૯૬), ‘મારી પૃથ્વી’ (૧૯૯૬), ‘મારું આકાશ’ (૧૯૯૬), ‘મને ઇચ્છાઓ છે’ વગેરે સંગ્રહો પ્રકાશિત થયા. તેમની ૧૯૫૫થી ૧૯૯૬ સુધીની સમગ્ર કવિતાઓનો સંગ્રહ ‘સમસ્ત કવિતા’ ૧૯૯૬માં પ્રગટ થયો. એ પછી પણ ‘મારાં નક્ષત્રો’ (૧૯૯૭), ‘એકસ્ટસી અને અછાંદસી’ (૨૦૦૦), ‘ગઝલને વળાંકે’ (૨૦૦૪), ‘છેલ્લો વળાંક’ (૨૦૦૫), ‘ઉપાન્ત્ય’ (૨૦૦૫) વગેરે સંગ્રહો પ્રગટ થયા છે.

ઉશનસની સમગ્ર કાવ્યસૃષ્ટિને શ્રી રમણ સોનીએ મુખ્યત્વે ત્રણ તબક્કામાં વિભાજિત કરી છે. જેમાં કવિ ઉશનસ્ની વિકાસયાત્રાનો આલેખ મળે છે. તેમના મતે ઉશનસ્ની કવિતાનો પ્રથમ તબક્કો એટલે તેમની પાંચમા-છઠ્ઠા દાયકામાં રચાયેલી કવિતાઓ. જેમાં પરંપરાના અનુસંધાન સાથે તેમની પોતાની વિશિષ્ટતાઓ પ્રગટે છે. તેમના બીજા તબક્કાની કવિતાઓ એટલે સાતમા દાયકામાં રચાયેલી કવિતાઓ — ગુજરાતી કવિતાપ્રવાહમાં ઉશનસ્ની આગવી મુદ્રાઓ અંકિત કરતી કવિતાઓ. ત્રીજા તબક્કાની એટલે કે આઠમા દાયકામાં રચાયેલી કવિતાઓ — જેમાં અભિવ્યક્તિના નવા પ્રયોગો, બોલચાલની ભાષા, અછાંદસ, એક્સ્ટસી વગેરેનો સમાવેશ થાય છે.

ઉશનસ્ અત્યંત ઋજુ — સંવેદનશીલ કવિ છે. તેમની જન્મજાત પ્રતિભાને પોષે તેવું વાતાવરણ પરિવારમાંથી જ પ્રાપ્ત થયું. કવિ ઉશનસે તેમની કેફિયતમાં નોંધ્યું છે —

“હું સંસ્કૃત પ્રશિષ્ટ છંદ તરફ વળી ગયો. તેમાં મામાએ આપેલું ‘દલપતપિંગળ’ તથા સંસ્કૃતપિંગળ ‘શ્રુતબોધ’નો ફાળો પણ મહત્ત્વનો ગણું છું. પૂ. બાપા તથા જોશીકાકાના મુખે સંસ્કૃત શ્લોકગાન પણ સંસ્કૃત છંદોની ગુંજ મારા કર્ણોમાં સ્થાયી રૂપે મૂકી ગયું હોય એમ માનું છું.”

આથી ઉશનસ્ની કવિતામાં સંસ્કૃતબદ્ધ વૃત્તો, છંદ, લય, અલંકાર સહજ રીતે વહેતાં આવે છે. અક્ષરમેળ વૃત્તો અને માત્રામેળ છંદો પણ સહજ રીતે જ કાવ્યના પોતમાં વણાઈને આવે છે. શિખરિણી છંદ તો જાણે આ કવિના લોહીમાં ધબકે છે.

ઉશનસ્ સંવેદનની સચ્ચાઈ સાથે કવિતાને અનુકૂળ છંદ-લયમાં સહજ ઢાળે છે. એ પ્રવાહમાં કલ્પનો, રૂપકો વિના આયાસે આવે છે. એમની સંવેદનકેન્દ્રી કવિતાઓમાં — પ્રેમ, પ્રકૃતિ, પ્રણય, પ્રભુ, પંચતત્ત્વો — જલ, વાયુ, પ્રકાશ, આકાશ અને પૃથ્વી — સતત કાવ્યરૂપ પામ્યાં છે. તો તેમનો કુટુંબપ્રેમ પણ સહજ રીતે કવિતામાં નિરૂપાય છે. શિખરિણી છંદમાં લખાયેલું તેમનું અત્યંત જાણીતું સૉનેટ ‘વળાવી બા આવી’માં — દિવાળીની રજા પૂરી થતાં ઘેર આવેલા પરિવારજનો એક પછી એક વિદાય લે છે. ત્યારે સૌને વળાવીને આવેલી બાના હૈયામાં અસહ્ય વિરહ વ્યાપી વળે છે. એ ક્ષણને કવિએ કેવી દૃશ્યાત્મક રીતે રજૂ કરી છેઃ

‘વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ
ગૃહ વ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.’

આ કવિતા માત્ર ઉશનસ્ની કવિતા ન રહેતાં દરેક ભાવકની અનુભૂતિ બની જાય છે. આ સૉનેટ ગુજરાતી કાવ્ય-સાહિત્યની અમર કૃતિ બની રહે છે.

આ કવિ વિસ્મયના કવિ છે, કુતૂહલના કવિ છે. ‘પ્રથમ શિશુ’ કાવ્યમાં શિશુજન્મનું કુતૂહલ, ઘેર પારણું બંધાવાનો આનંદ, શિશુના ટચૂકડા પગ, નાના નાના હાથ અને આંગળીઓ, તા...તા... સ્વર વગેરેનું કાવ્યાત્મક વર્ણન ધ્યાનાર્હ બની રહે છે. અંતે કવિનું ‘સ્વ-સંવેદન’ એ ‘વિશ્વ-સંવેદન’ બનીને પ્રગટે છેઃ

‘પ્રથમ શિશુ સૌ કહાનો, માતા બધી જ યશોમતી,
મૃદમલિન મોંમાં બ્રહ્માંડો અનંત વિલોકતી.’

પ્રત્યેક શિશુનાં પરાક્રમોને વિસ્મયથી જોતી પ્રત્યેક માતા યશોદા જ હોયને!

જ્યારે ‘હું મુજ પિતા!’ કાવ્યમાં પિતાના મૃત્યુ પછી કવિ તેમના વતનના ઘરમાં પ્રવેશે છે ત્યારે પિતાની સ્મૃતિ કેવી તીવ્રતાથી અનુભવે છે! ઘરમાં વળગણી પર સૂકવેલું પંચિયું કવિ પહેરે છે. દેવપૂજા કરવા જતાં અરીસામાં જુએ છે, તો કવિને પોતાનું નહીં પણ પિતાનું પ્રતિબિંબ દેખાય છે. કપાળમાં સુખડની એ જ ત્રિવલ્લી, ભસ્માંકો, — સાક્ષાત્ પિતા! રાત્રે કવિ પિતાની ખાટે, એ જ ગોદડામાં સૂતા ત્યારે કવિની સંવેદના — તીવ્રતમ સંવેદના શું જુએ છે —

‘નનામીયે મારી નીરખું પછી — ભડભડ ચિતા,
રહું જોઈ મારું શબ બળતું હું, હું, મુજ પિતા!’

ઉત્કટ સંવેદનાથી થતો કાયાપ્રવેશ — બધું એકાકાર. આવાં તો અનેક ગૃહજીવન, પરિવાર, વતનનાં કાવ્યોમાં સંવેદનસભર પ્રેમનું સહજ નિરૂપણ થયું છે. જેમ કે, ‘ગૃહપ્રવેશ’, ‘વળાવી બા આવી’, ‘વિશ્વજનની સ્વરૂપ’, ‘વતન એટલે’ વગેરે કાવ્યોમાં બારીક અવલોકનો થકી સૂક્ષ્મ સંવેદનો પ્રગટે છે. નારીહૃદયના ભાવોને પણ ઉશનસે અત્યંત ઋજુતાથી કાવ્યરૂપ આપ્યું છે. ‘સોહાગરાત અને પછી’માં નિરૂપાયેલું સાયુજ્યપ્રેમ ભાવાત્મક રૂપે પ્રગટે છે.

આ ‘ભવપથ’ પરથી પસાર થતાં આ કવિનું હૈયું સતત નિત-નવીન ચહેરાઓનું સૌંદર્યપાન-રસપાન કરતું રહ્યું છે. અનેક ચહેરાઓને તેમણે ચાહ્યાં છે; ના, પીધાં છે. પ્યાલીઓ ભરી ભરીને કવિએ કસુંબલ આસવ માણ્યો છે. કવિ એ ચહેરાઓના ભવોભવના ઋણી છે. એ ‘મધુર નમણા ચહેરા’ઓના દીપથી કવિનો પથ ઊજળો છે. એથી આગળ ‘હવે આવો’માં કવિની કબૂલાત તો જુઓઃ

‘અરે જે જે ચ્હેરા ભવપથ જતાં સંમુખ મળ્યા,
અમે ચાહી બેઠાં તરત, મીણની જેમ પીગળ્યાં.’

કવિહૃદય છે; ન ચાહે તો જ નવાઈ. જ્યારે જ્યારે કવિ આવા ચહેરાઓને ચાહી બેઠા છે ત્યારે ત્યારે મૃદુ કવિના ‘ગીતમયૂર’ ગહેકી ઊઠ્યા છે, છંદો છલકી ઊઠ્યા છે. પરંતુ આવા પ્રવાસી ચહેરાઓ પુલકિત થાય ત્યાં જ ચાલ્યા ગયા છે. ત્યારે આ ચહેરાઓના વિરહથી કવિના છંદો ઝૂરી ઊઠે છે, તેમનાં ‘ગમગીન ગીતો’ના લય રડે છે, ભીતરનું ‘શબ્દાકાશ’ પણ ખખડે છે. તો કેટલાક ઉપાલંભ આપતા જૂના ચહેરાઓ પણ કવિને યાદ છે, એટલે જ કવિ કહે છે —

‘જૂના ચ્હેરા જાગે
અને જાણે મારા
ખુલાસાઓ માંગે....’

આ સંવેદનશીલ ભાવવિભોર પ્રેમી કવિનો પહાડ સતત ઝમતો રહ્યો છે. જુઓઃ ‘પ્હાડ ઝમતો’—

‘ઉનાળુ કો કાચા ઘટ સમ હજી રન્ધ્ર શતથી
ભીની માટી ગંધે ઉશનસ્ તણો પ્હાડ ઝમતો.

આ ઋજુ હૈયામાં સમકાલીન સમય, ગાંધીભાવના, દીનદલિતો પ્રત્યેનો પ્રેમ, સમભાવ, ન ઝિલાય તો જ નવાઈ. ‘દહાડિયાની ઉક્તિ’માં દહાડિયાની ગરીબાઈનું સચોટ આલેખન છે. ચાડિયાને પહેરાવેલું ખમીશ, દહાડિયો — સુક્કા હાડકાંના માળા જેવો — તેને પહેરવા મળે તેમ ઇચ્છે છે. ચાડિયાને તો ટાઢેય વાતી નથી. જ્યારે દહાડિયો તો ટાઢે ઠરે છે. દહાડિયો જાણે છે કે ચાડિયો કરી શકે એ સઘળાં કામ તે વધુ સારી રીતે કરી શકે. કાવ્યના અંતે જે પરાકાષ્ઠા છે તે જુઓ —

‘મને જ ચાડિયાની જગ્યાએ રોપી દોને, ભાઈશાબ!
આ ચાડિયાની જેમ હુંય કંઈ ઊગી જવાનો નથી;
હું તો દહાડિયો છું, અસલ આ ચાડિયાના જેવો જ, બાઈશાબ!’

આ સમષ્ટિના કવિએ કણ કણને ચાહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વસતા આ કવિએ પ્રકૃતિસૌંદર્યને ભરપૂર માણ્યું છે. ડાંગનાં જંગલોનું સૌંદર્ય ઘટઘટાવતાં આ કવિએ આદિમતાના સંસ્કારો તેમના ચિત્તમાં ઝીલ્યા છે. ‘સર્જકની આંતરકથા’માં કવિ કહે છે —

‘પ્રકૃતિનાં તત્ત્વો-સત્ત્વોને મારા પ્રકૃતિના વેગો-આવેગો કશીક સર્જકતાની પ્રક્રિયામાં એકબીજામાં ભળી સંસ્કાર-સંસૃષ્ટિની અવનવી સર્ગાત્મક કલમો રચ્યે જાય છે એ મને ગમે છે.’

ઉશનસની સર્જકતા ભરપૂર પાંગરી છે. તેમની કવિતામાં ઘાસ, વન, વગડો, તડકો, આકાશ, સીમ, નદી, પહાડો વગેરે અત્યંત સંવેદનાત્મક રીતે પ્રગટે છે. ‘શિશિર તડકો ને મારું મન’ એ કાવ્યમાં તો શિશિરની પરોઢના પ્રથમ કિરણને જોતાં કવિનું મન ઝાલ્યું રહેતું નથી. એ તો ગઢોને ઠેકીને પર્વત-શિખરો પર પહોંચી જાય છે. પ્રવાસી મનપંખીની સોનેરી પાંખે આકાશમાં ઘૂમવા લાગે છે. તો કવિ એમના મનને તડકામાં સૂકવવાય નાખે છે. ‘ગ્રીષ્મ-ગાય’માં તડકે તપતી ઝૂંપડી, ને ઝૂંપડીએ લીંપેલી છાંયમાં ઊંઘતી, તડકો વાગોળતી ગાયનું સરસ દૃશ્યાત્મક આલેખન કર્યું છે. તો ‘અષાઢે’માં —

‘અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફૂટતું રે ઘાસ,
એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી.’

પ્રકૃતિમાં ઓતપ્રોત કવિ તો ‘પત્તીની પીમળમાં’ પોઢેલા છે. આ પ્રકૃતિપ્રેમી કવિને ખુદ પ્રકૃતિ જ સાદ કરે છે — ના, એમને ઘસડી જાય છે —

‘મને આ રસ્તાઓ જરીયે ઠરવા દે ન ઘરમાં
ઘૂસી આવે ક્યાંથી ઘર વગરના, ચોર; પકડી
લિયે હૈયું, મારા કર પકડીને જાય ઘસડી,
ન પૂરું સૂવા દે, સ્વપ્ન મહીં આવે નજરમાં.’

આ કવિ પૃથ્વીને કેટલું ચાહે છે! કહે છે —

‘હું સ્વર્ગોથીયે આ પૃથિવી પર પાછો ફરીશ, હા;
હજી કૈં કૈં રસ્તા મુજ પદની મુદ્રા વણ રહ્યા.’

સતત પ્રવાસી અને પ્રકૃતિમય કવિ ‘પ્હાડોની પેલે પાર’માં કહે છેઃ

‘હવે મારું કોઈ નવું જૂનું રહ્યું નામ જ નથી,
અનામી કો આદિ વનનું બસ છું સત્ત્વ હું હવે’

પ્રકૃતિમાં ઓગળીને કવિ એકાકાર થઈ ગયા છે. તો ‘તૃણ અને તારકો વચ્ચે’માં તો કવિએ અંધકારનાં રૂપોને જે રીતે કલ્પ્યાં છે તે — ‘સ્ફટિક નિર્મળ અંધકાર’, અનેક તારકો ઓગળીને ગયા હોય એવો ‘સત્ત્વશો ભર્યો ભર્યો ચેતનવંતો વિસ્ફુરંત અંધકાર!’ પૃથ્વી અને આકાશ વચ્ચે ફરફરતું વસ્ત્ર-અંધકાર, જેની રેશમી કોર કવિને અડકતાં રોમાંચ પણ થાય છે. ‘મૃદુ મર્મરંત’ અંધકાર. અંધકારનું પોત આકાશના તારકના તાંતણા અને ધરતીની તૃણપત્તીઓથી વણાયેલું છે. એથી આગળ ‘તૃણ’ અને ‘તારકો’ની લીલા નિરૂપતાં આ કવિએ પોતાનામાં પણ ‘માટી અને તેજનું ચક્રવાલ’ જોયું છે. તો પોતાને ‘કાયાહીણ’ કેવળ પારદર્શક જોયાં છે. પોતે —

‘જાણે હું કોઈ ગ્રહ છું તૃણ-તારકોનો
આ આભ ને અવનીની અધવચ્ચ ક્યાંક,
જાણે
હું તારકો ને તૃણની બીચોબીચ,
છું તારકો ને તૃણથી ખીચોખીચ!’

કવિએ ‘સર્જકની આંતરકથા’માં લખ્યું છે કે—

‘જંગલો-ઘાસ-પ્હાડ મને આદિમતામાં ખેંચી જાય છે તો, તારા – વિશ્વો – આકાશ મને આધ્યાત્મિકતામાં વહી જાય છે.’

કવિશ્રી જયન્ત પાઠક ઉશનસ્ને ‘ચિરંજીવ કવિતાના કવિ’ તરીકે ઓળખાવતાં લખે છે —

‘કવિતામાં પ્રગટ થતું તેમનું જીવનદર્શન પ્રકૃતિ-સંસ્કૃતિ પરત્વેની એમની તીવ્રોત્કટ સંવેદનશીલતાના રસાત્મક આવિષ્કાર રૂપે છે.’

કવિ પોતાના સ્વાનુભવોને ‘સુક્કી હવામાં’ કેવી તીવ્રતમ સંવેદનાથી પ્રગટ કરે છે —

‘ગિરિવન તણી ખુલ્લાશોમાં ઊભો રહી હાંફતોઃ’

કવિ શ્વાસના દરદી છે. તેમને ‘સુક્કી-હવામય સાગરો મળે છે’, ત્યારે કવિનું સંવેદન —

‘પવન ઘૂંટડે ઘૂંટે પીઉં, દૃગે દઉં છાલકો;
પવન નસકોરાં બે પ્હોળાં કરી શ્વસું-ઉચ્છ્વસું;
પવન જીભથી ચાટું, મૂઠી ભરી બૂકડા ભરું.’

જાતભાતનાં અદ્ભુત કલ્પનો એ કવિની વિલક્ષણતા છે. સામાન્ય ‘કીડીઓ’માં પણ કવિને કેવી મહેચ્છા છે — વિશ્વભરની ઊભરાયેલી કીડીઓની કેડીઓને ઉઠાવીને નભના ટેકે ઊભી કરવી છે. જેથી કીડીઓ ખૂબ ઝડપથી નભ પર ચઢી જાય!

ઉશનસે સૉનેટ ઉપરાંત ગીત, ગઝલ, મુક્તક, હાઇકુ તેમજ અછાંદસ રચનાઓ પણ સર્જી છે. તેમણે કેટલાંક ચિરંજીવ ગીતો આપ્યાં છે. જેમ કે, ‘રામની વાડીએ’, ‘ડુંગરા’, ‘અષાઢે’, ‘ધન્યભાગ્ય’ વગેરે.

‘રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી.
આપણા નામની અલગ છાપ ન પાડીએ જી.’
... ...
‘કે ડુંગરા હજીયે એના એ જ, અસલના આદિવાસી રે લોલ,
કે ડુંગરા બદલાયા ના સ્હેજ, કે વંનના એકલ-નિવાસી રે લોલ’
... ...
‘બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાનઃ
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન!’
... ...

છંદ-લયના આ કવિ અછાંદસ-ગદ્ય સૉનેટ ‘વસંતના એક વંટોળમાં’ પોતાનો પરિચય આપતાં કહે છે કે — પોતે શબ્દમય, લયમય છે, પોતે ભાષામાં છે. અને ભાષા આખી છે, પરંતુ શબ્દના અર્થો વંટોળે ચડ્યા છે. છતાં અંતે તો કવિ કહે છે કે બધા અર્થો ‘વાણીના આદિકુળ’ તરફ જાય છે; અને ‘ગીતપંક્તિની ડાળ’થી જ કવિ વૃક્ષના આદિમૂળ સુધી પહોંચવાની વાત કરે છે.

કવિ યોગેશ જોષીએ નોંધ્યું છે તેમ —

‘ઉશનસનો કવિતાનો વ્યાપ તૃણથી તારક સુધીનો છે, ઘરથી બ્રહ્માંડ સુધીનો છે, આદિમથી અધ્યાત્મ સુધીનો છે.’

(— ઊર્મિલા ઠાકર)