કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/કવિ અને કવિતાઃ ગુલામમોહમ્મદ શેખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કવિ અને કવિતાઃ ગુલામમોહમ્મદ શેખ

ચિત્રકાર-કવિ ગુલામમોહમ્મદ શેખનો જન્મ તા. ૧૬-૨-૧૯૩૭ના રોજ સુરેન્દ્રનગરમાં. માતા લાડુબહેન. પિતા તાજમોહમ્મદ. ગરીબ પરિવાર. પાંચ સંતાનોમાં ગુલાલમોહમ્મદ સૌથી નાના. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સુરેન્દ્રનગરમાં. પિતા પાક્કા નમાજી. ગુલામમોહમ્મદ માટે નમાજ-પાણી ફરજિયાત. ૧૯૫૫માં તેઓ એસ.એસ.સી. પૂરું કરીને ચિત્રકળાના અભ્યાસ માટે વડોદરા આવ્યા. ૧૯૬૧માં ફાઈન આર્ટ્‌સમાં એમ.એ. અને ૧૯૬૬માં રોયલ કૉલેજ ઑફ આર્ટ, લંડનમાંથી એ.આર.સી.એ. સુધી અભ્યાસ કર્યો. અનુસ્નાતક થયા પછી મ. સ. યુનિવર્સિટી, ફાઈન આર્ટ્‌સ ફેકલ્ટીમાં અધ્યાપન કર્યું. ૧૯૯૨માં એમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ શિકાગો (૧૯૮૭ અને ૨૦૦૨); ચિવિતેલ્લા રાનિયેરી સેન્ટર, ઉમ્બેરટિડે, ઇટલી (૧૯૯૮); યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા, ફિલાડેલ્ફિયા, અમેરિકા (૨૦૦૦); મોન્તાલ્વો, કેલિફોર્નિયા, અમેરિકા (૨૦૦૫) માં અતિથિ કલાકાર; દિલ્હી યુનિવર્સિટી (૨૦૦૪)માં ફેલો. દેશ-વિદેશમાં ચિત્ર-પ્રદર્શનો. જ્યોર્જ પોમ્મીદૂ સેન્ટર પારીસ(૧૯૮૫) માં ચૂંટેલા ચિત્રોનું એક વ્યક્તિ પ્રદર્શન. દેશ-વિદેશમાં કળા-વિષયક વ્યાખ્યાનો. ૨૦૧૩ માં છ અમેિરકી યુનિવર્સિટીની વ્યાખ્યાન-યાત્રા. તેઓ નેશનલ ઍવૉર્ડ લલિતકલા અકાદેમી, દિલ્હી (૧૯૬૨), રવિશંકર રાવળ પુરસ્કાર (૧૯૯૭-૯૯), કાલિદાસ સમ્માન (૨૦૦૨), રવિ વર્મા પુરસ્કારમ્ (૨૦૦૯), પદ્મશ્રી (૧૯૮૩), પદ્મભૂષણ (૨૦૧૪), નરસિંહ મહેતા ઍવૉર્ડ (૨૦૧૭), કુસુમાંજલિ સાહિત્ય સન્માન (૨૦૧૯) તથા સાહિત્ય અકાદેમી, દિલ્હીનો પુરસ્કાર (૨૦૨૨) વગેરેથી સન્માનિત. ગુલામમોહમ્મદ શેખ પાસેથી ‘અથવા’ (કાવ્યો, ૧૯૭૪), લલિતકલાદર્શન-૨, જ્ઞાન-ગંગોત્રી ગ્રંથશ્રેણી : ૩૦ (દૃશ્યકળા, સંપાદન, ૧૯૬૬), ‘અથવા અને’ (કાવ્યો, ૨૦૧૩), ‘નીરખે તે નજર’ (દૃશ્યકળા, ૨૦૧૬), ‘ઘેર જતાં’ (નિબંધો, ૨૦૧૮) તથા ‘અમેરિકન ચિત્રકળા’ (અનુવાદ, ૧૯૬૪) જેવા ગ્રંથો પ્રાપ્ત થયા છે.

ગુલામમોહમ્મદ શેખ નાના હતા ત્યારે લાંબા રાગે કુરાન-કસીદાના પાઠ કરવાનું થતું. ‘તેમાંથી લય-પ્રાસનો પાસ લાગ્યો હોય તો નવાઈ નહિ.’ ૧૯૫૦ના અરસામાં, શાળામાં એમને લાભશંકર રાવળ ‘શાયર’નો ઘરોબો થયો. શાળામાં એમને રવિશંકરની ‘ચિત્રશાળા’માં ભણેલા એવા ચિત્રશિક્ષક તુળજાશંકર ત્રિવેદી મળ્યા. આમ કવિતા અને ચિત્રના સંસ્કાર રોપાયા. શાળાના ગોઠિયા દેવેન્દ્ર દોશી પાસેથી એમને ગાલિબ તથા મીરનો ‘પરિચય ને પરચો’ એકી સાથે થયો. સંસ્કૃત લીધું એમાંથી વેદની ઋચાઓ અને ઉપનિષદના સંવાદો મળ્યાં; ‘અનુષ્ટુપ’, ‘શિખરિણી’, ‘વસંતતિલકા’ જેવા છંદોનો મહાવરો થયો. મીરાં, નરસિંહ, કબીર ને રહીમમાંથીય ઘણું એમની ચેતનામાં ઊતર્યું. ‘શાયર’ના સહવાસે એમણે ગીત, ગઝલ, ગરબા ને સૉનેટ પણ લખ્યાં. છંદ-લયનો પાકો રિયાઝ થયો. શાળાનાં સ્મરણોની વાત કરતાં ગુલામમોહમ્મદ શેખે નોંધ્યું છેઃ ‘રવડતાં-દવડતાં બાળકાવ્યો ઘસડ્યાં – થોડાં છપાયાં પણ ખરાં. ‘બાળક’માં ને કદાચ ‘રમકડું’માં. રંગપેટી મળી તેમાં પીંછી બોળી ચિત્રો કરતો થયો.’ (‘ઘેર જતાં’, પૃ. ૧૪)

૧૯૫૫માં ચિત્રકળાના અભ્યાસ માટે તેઓ વડોદરા આવ્યા. ત્યાં એમને જાણે નવું આકાશ મળ્યું, નવી આબોહવા મળી. કેફિયતમાં એમણે નોંધ્યું છેઃ ‘વિશ્વકળાનો પરચો થયો ને હમણાં લગી ચીતરેલું તે ધીમે ધીમે ભુંસાયું, લખેલું તે ભુલાયું... સૌથી વિશેષ તો સર્જનાત્મકતાનો વિકલ્પ ધાર્મિકતાના વાડા વળોટી ગયો.’ (‘ઘેર જતાં પૃ. ૧૭’)

‘વિશ્વકળાના પરિચયે અને વિશેષ તો નવી કળાનાં ઉન્મેષે ઘણાં બંધ બારણાં ખોલ્યાં...’ ‘ચિત્રજગતની ચેતનાએ કવિતાને બળ દીધું, છકાવી.’ (‘અથવા અને’, પૃ. ૧૬૭)

સુરેશ જોષીના સાન્નિધ્યે એમને રિલ્કે, સેન્ટ જૉન પર્સ, લોર્કા, ઑક્ટેવિયો પાઝ તથા અન્ય લાતીન કવિઓની કૃતિઓનો ગાઢ પરિચય થયો. એમણે નોંધ્યું છેઃ ‘આઠ વરસના વડોદરા-વાસમાં જિંદગીનું ભાથું મળ્યું. સાહિત્યમાં સુરેશભાઈ, ભોગીભાઈ, પ્રબોધભાઈ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મળ્યા. નવી કવિતાની માંડણી થઈ એ ‘વિશ્વમાનવ’ અને ‘ક્ષિતિજ’માં છપાતી થઈ.’ (‘ઘેર જતાં’, પૃ. ૧૮)

બધા મિત્રો એ અરસામાં દર શનિવારે ભોગીભાઈ ગાંધીના ઘરે મળતા. એ દિવસોને યાદ કરતાં શેખસાહેબે યજ્ઞેશ દવેએ લીધેલી મુલાકાતમાં કહ્યું છેઃ ‘મારો, અનુભૂતિનો પિંડ પણ ત્યાં બંધાયો. એ વેળા મને લાગતું કે લખવું છે તે લખી શકાતું નથી : જુવાનીના જોશમાં તોડફોડના અખતરા કર્યા, ભાષામાંથી નવું નિપજાવવાનું કામ આક્રોશપૂર્વક થયું એની પાછળ આ બધાં બળો હતાં.’ (‘ગુલામમોહમ્મદ શેખ, એક દીર્ઘ મુલાકાત, યજ્ઞેશ દવે, પૃ. ૩૫-૩૬)

ચિત્રકાર-કવિ ગુલામમોહમ્મદ શેખની કવિતાને કેવળ આધુનિકતાના સાંકડા જાળિયામાંથી જોઈ ન શકાય. એમની કવિતાને કોણાર્ક કે ખજૂરાહોનાં મંદિરનાં શિલ્પોની જેમ મંદિરની પ્રદક્ષિણા કરતાં કરતાં જોવી પડે. એમની કવિતા દૂરથી, નજીકથી તથા અંદર પ્રવેશીનેય જોવી પડે. એમનાં કાવ્યોને પામવા માટે બધીયે ઇન્દ્રિયોને આંખમાં આણવી પડે. આ ચિત્રકાર-કવિએ રંગોની જેમ, લયસભર રેખાઓની જેમ શબ્દોનો કાવ્યમાં વિનિયોગ કર્યો છે; માલાર્મે આગ્રહ રાખતા તેવી ‘શુદ્ધ કવિતા’ની સ-ભાનતા, સ-જાગતા સાથે. આ કવિની ભીતરના ચાકડે માટી ફરતી રહે છે ગોળ ગોળ, ‘રેશમી’, તગતગતી, ને આ કવિની સ-જાગ સર્જકતા મથ્યા કરે છે કલા-ઘાટ આપવા. છંદ-લય આત્મસાત કર્યા પછી એમણે નવાં, અવનવાં રૂપ-અરૂપ સાથે કામ પાર પાડવા છંદની કાંચળી ઉતારી. આથી એમનાં અછાંદસ કાવ્યોનો લય પણ ધ્યાનાર્હ બની રહે છે. એમની કવિતામાં અવકાશ પણ, ચિત્રમાં હોય તેવો, વિહરી શકાય તેવો સાંપડે છે. ‘અથવા અને’ કાવ્યસંગ્રહમાં અર્પણ પછીના પાને એમણે Octavio Pazનું અવતરણ ટાંક્યું છે — ‘The poem is language standing erect...’ શેખસાહેબનાં કાવ્યોમાંય તંગ-ટટ્ટાર કાવ્ય-ભાષા જોઈ શકાય છે. ગુલામમોહમ્મદ શેખની કવિતામાં પ્રવેશવા માટે થાય છે — ચાલો; ઘાંચીવાડ, સુરેન્દ્રનગરના ‘ખોરડા’માં પ્રવેશીએઃ ‘બીજાં ખોરડાંની જેમ અમારુંય પાણાનું, ચૂને ધોળાય એવું આઠ-બારની બે ઓરડીઓવાળું ઘર... ... ... છાપરે ખપાટિયાં ઉપર નળિયાં, એમાં થઈ આકાશનાં છીંડાં પડે ત્યાંથી શિયાળે-ઉનાળે ગારની ભોંય પર ચાંદરડાં પડે ને ચોમાસે રેલા.’ (‘ઘેર જતાં’, પૃ. ૯)
આ ખોરડું ‘કુમાર’માં પ્રગટ થયેલા એમના ગીત ‘ખોરડું’માં કેવું ચૂવે છે! —

‘ફરી પાછું આ ખોરડું ચૂવે;
એકબીજાને બાથ ભીડીને નળિયાં રાતાં પાણીએ રુવે,
આજ ફરી પાછું ખોરડું ચૂવે.’
(‘અથવા અને’, ૨૦૧૩, પૃ. ૧૫૭)

‘આમ દરવાજો કરી આડો જરા બેઠો હતો ત્યાં...’ કાવ્યમાં કવિ આ ઘર ઉતારી કેવા ઘરની શોધમાં નીકળી પડે છે! —

‘હળવે રહી
આ ઘર ઉતારી
તે ઘરે પેલા ઘરે
હજી પામ્યો નથી તેવા ઘરે
નીકળી પડું.’
(‘અથવા અને’, પૃ. ૭૮)

‘ઘર’ને આપેલ આ ઉપમા જુઓ, ‘ચાંદરણાં’નું કલ્પન જુઓઃ

‘કાચના વાસણ સમું ઘર ખણખણે :
વાસણ ઉ૫૨ના વેલબુટે
પાતળી, ઝીણી ચિરાડો થરકતી આ રવડતા અજવાસમાં
અને ચોપાસ ચાંદરણાં
નર્યાં ભરપૂર ચાંદરણાં
બધાં બેસી ગયાં, પેસી ગયાં અક્કેક થઈને આંખમાં.’
(‘અથવા અને’, પૃ. ૭૯)

પત્ની નીલિમા તથા દીકરી સમીરાને ટ્રેનમાં મૂકીને પાછા ફરતાં કવિ કેવું સંવેદન અનુભવે છે! – (‘સ્વજનને પત્ર’ કાવ્યમાં) —

‘(હંમેશાં જનાર વ્યક્તિ જ જતી હોય
એવું નથી;
દરેક વિદાય વખતે
વળાવનાર વ્યક્તિનો કોઈ અંશ
ગાડી સાથે અચૂક ચાલી નીકળે છે.)
પાછો ફર્યો
ત્યારે કોરા પરબીડિયા જેવું ઘર
મને વીંટળાઈ વળ્યું.’
(‘અથવા અને’, પૃ. ૮૦)

‘ઘેર જતાં’ના અંતિમ નિબંધનું શીર્ષક સૂચવે છે તેમ શેખસાહેબે ઘર ખોળ્યાં છે, ખોયાં છે ને મળ્યાંય છે. ‘રેસિડેન્સીમાં વરસાદ’નું ગતિશીલ કલ્પન જુઓઃ

‘ઘર સજગ અડગ ધરી સીનો ખડું,
...
...
...
નીંગળતું ઘર
લૂમતું આકાશ બથમાં લઈ ઘડી ઊભું
અને પળવારમાં
ફફડાવતું ઊડ્યું, ગયું ઓ પા૨, ઓ પાર...’
(‘અથવા અને’, પૃ. ૮૮)

આ સેન્દ્રિય અનુભવ જુઓઃ

‘અંધકારના ઉંબરે સરકતું
સર્પવાન ઘ૨ સંકેલી
પ્રવાહમાં પગ મૂકું છું
ત્યાં ફરી પાછો
નખથી નક્ષત્ર લગી ઝણઝણાટ.’
(‘અથવા અને’, પૃ. ૮૯)

તો ‘જેસલમેર’ના ચોથા કાવ્યમાં ઘરનું, દૂરથી ઝડપેલું, ગતિશીલ કલ્પન જુઓઃ

‘રણને છેડે બેઠેલાં બધાં ઘર
મરેલાં ઊંટોને કાંધે નાખી ચાલી નીકળ્યાં.’
(‘અથવા અને’, પૃ. ૧૦૦)

‘ચહેરો’ કાવ્યમાંની પંક્તિ – ‘ગાભરો શબ્દ ઘર ભણી મૂકે દોટ’ની જેમ આ કવિનો શબ્દ (રંગ, પીંછી પણ) વારે વારે ‘ઘર’ ભણી, ‘પામ્યો નથી તેવા ઘર’ ભણી દોટ મૂકે છે ને ઘર-વતનની નોળવેલ સૂંઘે છે, સાથે સાથે કલ્પેલી નોળવેલ પણ સૂંઘે છે. ‘પાછા ફરતાં’ કાવ્યની આ પંક્તિઓ જુઓ, સાંભળો, સંવેદો :

‘અને આટલે દહાડે પાછા ફર્યા તો પણ
આ ઘર
અમને લેવા આગળ કેમ આવતું નથી?’
(‘અથવા અને’, પૃ. ૧૫૪)

*

‘વળગણીએ ધ્રૂજતી ખીંટી ઢીલી થઈ ઢળી
ને ટીંગાતું ઘર
લૂગડાંનો ગોટો વાળી
અમને નોધારા મૂકી
ઝાંપે જઈ ઊભું.’
(‘અથવા અને’, પૃ. ૧૫૨)

આ વાંચતાં ભાવકનેય નોંધારાપણાનો અનુભવ થાય. કેવળ ઘર નહિ, ઘરની સાથે એમનાં કાવ્યોમાં પરિવાર તથા ઘર-વતન-સીમ-માટી-તડકો-અંધકાર – આખો પરિવેશ કાવ્યરૂપ પામે છે – ‘લાકડીના ટેકે / ઊભી ક્ષિતિજને શેઢે / મોતિયામાંથી મારો ખાટલો શોધતી મા.’; થીગડિયાળ, કરચલિયાળ કોટમાં સ્વપ્નમાં ખાટલે આવીને ઊભેલા પિતા; ટ્રેનમાં વિદાય થતાં નીલિમા (પત્ની) તથા સમીરા (દીકરી); બોલતાં શીખતો કબીર (પુત્ર); ઝઘડતા ભાઈઓ; મૃત્યુ, મસ્જિદ, પયગંબર, ઈશ્વર, ભસતાં કૂતરાં, લાલ પ્રભાત, ભૂરી સાંજ, પીળી રાત, આંકડા ફૂલની જાંબલી ઘેરી આંખ, કથ્થાઈ બારીઓ, બદામી કોણીઓ, ગરમાળાનાં પીળાં ફૂલ, શિરીષની ઝીણી કૂંપળો, લીંબોઈની ઊડતી ગંધ, પોતાના પડછાયા પર હીંચકતી છાપરાની બોગનવેલ, મધુમાલતી, રાતરાણી, આંબો, આસોપાલવ, જાસૂદ, લેલાં, મેના, દેવચકલી, ટોચેલાં સીતાફળ અડધાં મૂકી ઊડી ગયેલાં પોપટ, કબર પરનાં થોર, કતલખાનાં, હરાયાં ઢોર, ભોગાવો, ભાદર, લીમડાની બખોલોમાં કીડીઓએ બાંધેલાં કથ્થાઈ ઘર, છીંડામાંથી પ્રવેશતા ઘોરખોદિયા, વીંછી, સાપ, ખિસકોલું ઝડપવા લપાયેલી બિલ્લી, કસાઈવાડે ઊંઘતા બકરાનું ઊંચું-નીચું થતું પેટ, બાવળની કાંટ્યમાં મરતા મંકોડા, ભૂંડ જેવો ભૂખ્યો ચંદ્ર, પિતાની પૂંઠે દોડી આવેલું કબ્રસ્તાન! ‘સ્વપ્નમાં પિતા’ કાવ્યમાં કૌંસમાં મૂકેલી આ પંક્તિમાં કવિનું ઋજુ હૈયું કેવું ધબકે છે! — ‘(દરેક કબ્રસ્તાનમાં મને તમારી કબર કેમ દેખાય છે?)’ (‘અથવા અને’, પૃ. ૯૩)br> અન્ય આધુનિક કવિઓની જેમ આ કવિને શૂન્યતાના ઉછીના, બનાવટી અનુભવોનો જરીકે ખપ નથી. કેફિયતમાં એમણે નોંધ્યું છેઃ ‘...દરેક કૃતિમાં આત્મવૃત્તાંત જોવાની વૃત્તિને સતેજ કરી છે. જાતે પામેલું ઝાઝું, ઊંડું સ્પર્શે છે : વસ્તુધર્મી, આયાસી પાઠ મોળા લાગે છે.’ (‘અથવા અને’, પૃ. ૧૬૯) એમનું જાણીતું કાવ્યગુચ્છ ‘જેસલમેર’ યાદ આવે છે. આ કાવ્યગુચ્છમાં ચિત્રકારની નજરે કેવળ જેસલમેર જોવાયું નથી, પણ કવિએ ‘જીવતર’ને ય અવલોક્યું છે ને આગવી શૈલીથી નિરૂપ્યું છે. આ કવિ ‘ભાષા’, ‘શૈલી’ અને સંરચના બાબતે સભાન છે. લાકડા અને ઝાડના ભેદની એમને ખબર છે. ‘જેસલમેર’ ગુચ્છના ત્રીજા કાવ્યની અંતિમ પંક્તિઓ જોઈએઃ

‘અવાચક, નગ્ન
નગરી
બે ઘડી હેબતાઈ, ઊભી
પછી નફ્ફટ થઈને ડમરીની પૂંઠે ચાલી નીકળી.’
(‘અથવા અને’, પૃ. ૯૯)


આ ગુચ્છના પહેલા કાવ્યમાંની પંક્તિઓ જુઓઃ
‘બારણે લોઢાના કડે
આઠ પેઢીના હાથનો ઘસરકો.’
*
‘લાલચટક ચૂલાની ઝાળ અને ચૂંદડીના અજવાળે
રોટલા ટીપતી સોનેરી કન્યા.’
(‘અથવા અને’, પૃ. ૯૭)

ભગતસાહેબનાં નગરકાવ્યોથી સામે છેડેનાં વિલક્ષણ નગરકાવ્યો આ કવિ પાસેથી મળ્યાં છે. જેમકે, ‘શહેર’, ‘સંસ્કારનગરી’ વગેરે. ફાઈન આર્ટ્‌સનાં વાર્ષિક પર્યટનોમાં એમણે મહાબલિપુરમથી માંડીને રાજસ્થાન, અજન્તાથી માંડીને કોણાર્ક અને ખજૂરાહો ખૂંદ્યા. ફાઈન આર્ટ્‌સનાં કલાપ્રવાસો દરમિયાન આ ચિત્રકાર-કવિની સર્જકચેતનામાં અનેક સ્થળ ઊતર્યાં, ઠર્યાં ને ભૌગોલિક-ઐતિહાસિક-સાંસ્કૃતિક સંદર્ભોના સાહચર્ય થકી કવિતામાં વિસ્તર્યાં. આથી એમની પાસેથી ‘જેસલમેર’, ‘મહાબલિપુરમ્’, ‘કોણાર્ક’, ‘દિલ્હી’, ‘સમરકંદ’ જેવાં સ્થળ-કાળના અવકાશમાં વિહરતાં કાવ્યો મળ્યાં છે. શેખસાહેબનું આગવું ભાષાકર્મ, કવિકર્મ માણવા કેટલીક પંક્તિઓમાંથી પસાર થઈએઃ

‘એવું થાય છે કે
આ થીજેલ કોપરેલ જેવી પોષની ચાંદનીને
મસળીને આખા શરીરે ઘસું,’
(અથવા અને, પૃ. ૧૫)
‘પિત્તળની ચામડીનો બોદો રણકાર
ચૈત્રની હવામાં ડૂસકાં ખાય છે.
યક્ષીના શિલ્પનાં ખંડિત સ્તનોને
આગિયાના ધોળા પડછાયા છંછેડે છે.’
(અથવા અને, પૃ. ૧૬)
‘પાણી તો ત્યાં હતું નહિ
પણ ખાલી છીપમાં
નાસી ગયેલી માછલીનો આકાર તરફડતો હતો.’
(અથવા અને, પૃ. ૨૨)
‘સવારના તડકે ભોળપણમાં
સીમના થોરની વાડને બાથ ભરી લીધી
અને એનાં રૂંવેરૂંવાં છેદાઈ ગયાં.’
(અથવા અને, પૃ. ૨૭)
‘કૂતરાં વગરની વસતિમાં ભસ્યા કરે છે કાળા અક્ષરો’
(અથવા અને, પૃ. ૩૬)
‘સુકાયેલા હાથે પત્ર લખતાં
અક્ષરોની અંદર
પ્રવાહીનો અણસાર...
આંગળાં અક્ષરોમાં ઊતરવા
ફાંફાં મારે છે.’
(અથવા અને, પૃ. ૫૮)
‘ભીની ધૂળમાં
વાંસ લળે પગ તળે સૃષ્ટિ ગળે
બંધ મુઠ્ઠીમાં સમેટું જ્યાં તને
નાભિકુંડ ઝળહળ ઝળહળ ઝળહળે.’
(અથવા અને, પૃ. ૭૨)
`ઘણી વાર શબ્દો હાથમાં ઝાલેલ ફટાકડાની જેમ
ફૂટી પડે છે.'
(અથવા અને, પૃ. ૧૩૫)
`પ્રવાહ ૫૨ ચકતાં ચન્દ્રનાં કે ચમકતાં માછલાં?
આ એક લઈ ઊડી તે સમડી
કે ફફડેલી ડાળની છાયા?'
(અથવા અને, પૃ. ૧૪૫)
`ટોળાં તો ગયાં,
ઘર હજી અકબંધ.
પણ આ વાસ શેની?
તાળું ખોલતાં જ ફોયણે ચડી,
આંગળેથી આગળે, નકૂચે લબડી
જાળી ને સળિયે સળવળી
દીવાનખાને
ઢોલિયે
ઢળી,
ઠરી ઠામડે.
ચોંટી બધે ચીકણી,
હવામાં હણહણી.’
(અથવા અને, પૃ. ૧૫૧)

આમ ગુલામમોહમ્મદ શેખનાં કાવ્યોમાં ટટ્ટાર કાવ્ય-ભાષા થકી સંવેદનો પ્રગટ થતાં રહ્યાં છે કબર પર ઊગી જતા ઘાસની જેમ, (કબર પર ચઢાવેલાં ફૂલોની જેમ નહિ.) બહુમાળી મકાનના કોઈ ફ્લેટની દીવાલે ફરી ફરી ઊગી નીકળતા પીપળાની જેમ, કાઠિયાવાડમાં પડતા દુકાળની જેમ. ગુલામમોહમ્મદ શેખ રૂપ-અરૂપ, મૂર્ત-અમૂર્ત, અ-કલા, વિ-કલા વિશે નિર્ભ્રાન્ત થઈ ચૂક્યા છે. એમણે નોંધ્યું છેઃ ‘પશ્ચિમમાં થયેલા સાર્જનિક-દાર્શનિક ભૂકંપોથી આપણે ધ્રૂજ્યા એમાં પરંપરાના અનેક પુલો ફૂંકાઈ ચૂક્યા છે. આકૃતિધર્મી ને આવેગવાદી, અતિવાસ્તવ અને અસ્તિત્વવાદથી રંજાયેલી એ ત્રસ્ત સંવેદનાના આપણે સાક્ષી છીએ. સાદૃશ્ય અને અમૂર્તની અપરંપાર લીલા ને અ-કલા, વિ-કલાના ખેલ પણ આપણે ભરબજારે જોયા છે.’

(‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પ. આ. ૧૯૮૪,
પુનઃમુદ્રણઃ જુલાઈ ૨૦૧૧, પૃ. ૨૬૬)

આ જ કેફિયત-લેખમાં એમણે નોંધ્યું છેઃ ‘રીતિમોહ ઘટ્યો છે અથવા બધી ભેળવવાનું, સાથે અજમાવવાનું રુચે છે. એવું થાય છે અહીં જ બધાં સમય-સ્થળની ચોપાટ માંડું. ઘાંચીવાડના ઘરથી વડોદરાના હુલ્લડમાં કે દેશવિદેશના રઝળપાટમાં અલપઝલપ કે ઊંડી ઉતારેલી દુનિયા ભેગી કરું. નકરી અનુભૂતિની ચોમેર વસેલી ભાષાની સહસ્રેન્દ્રિયોને છેડુંઃ સાવ અંગત અને સમગ્રને એકીસાથે આલેખવાની આ વેળ છે.’ (‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પૃ. ૨૬૬)
એવું થાય છે કે, ચિત્રકળામાં જેમ શેખસાહેબની સફર સાતત્યપૂર્વક ચાલી તેમ, તેમની કાવ્યયાત્રા પણ સતત વહી હોત તો? – યોગેશ જોષી