કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૩૯. કેમ ઊગરશે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૯. કેમ ઊગરશે?

ચંદ્રકાન્ત શેઠ

જળને માને જાળ, માછલી કેમ ઊગરશે?
તરવું જેને તાણ, પાર તે કેમ ઊતરશે? –

જળના ઝીણે તેજ ન જેનાં લોચન ઝબકે,
જળને ઝીણે ગાન ન જેનું હૈયું ધબકે,
કાંઠા ભણી સુકાન,
માછલી તે શું કરશે? –

જળનાં ભર્યાં ઊંડાણ નહીં આકર્ષે જેને,
મોતી-રસ્યા ઉઘાડ, નથી ત્યાં વસવાં જેને,
વમળે જે વમળાય,
માછલી ક્યાં તે ઠરશે? –

(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય..., ૨૦૦૪, પૃ. ૩૦)