કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૪૨.સૈયર

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૪૨.સૈયર

ચિનુ મોદી

લાખ મથીને રાખતો, દિવસે જેને શાંત,
રાતે છાપો મારતું, ડંખીલું એકાંત.

એક સમે ક્યારેક ને આજે બારે માસ
આંસુ ઝાંઝરે પ્હેરતાં, નખ નાખે નિશ્વાસ.

રાત મળી સરખી છતાં હું કેવો લાચાર
તું પ્હેરે છે ચાંદની, હું ઓઢું અંધાર.

આંસુને વરસાવશું, નાહક ના મૂંઝાવ
એક નદી નિપજાવશું, જેેને બન્ને કાંઠે નાવ.

સૈયર, કેવી પ્રીત આ ને કેવો આ સંગાથ ?
આંખો તો થાકી ગઈ ને આંસુ સારે હાથ.
(સૈયર, ૨૦૦૦, પૃ. ૧૬)