કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૪૬. ભારતતીર્થ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૬. ભારતતીર્થ

ઝવેરચંદ મેઘાણી

જાગો જાગો રે પ્રાણ જાગો ધીરે
ભારતને ભવ્ય લોકસાગર-તીરે
રે પ્રાણ જાગો ધીરે.

આંહીં નર-દેવ પાય, બન્ને બાહુ પસાય*,
ઊભા મહાકાય દેખ ગિરિવર સ્થિરે;
એની કીર્તિના છંદ, ગાતા નાદે બુલંદ,
પરમાનંદે હો પ્રાણ વંદો ધીરે;
જાગો જાગો રે પ્રાણ જાગો ધીરે
ભારતભૂમિને લોકસાગર-તીરે.

કોના એ સાદ સુણી, ક્યાંથી આ ભોમ ભણી
માનવ-ઝરણીના મહાસ્રોત વળી આવ્યા!
આર્યો ચીના દ્રવિડ, હૂણો શક અડાભીડ,
આવી આવીને સર્વ એકમાં સમાયાં.
જુદી જુદી જમાત ભાંગી ઘડિયો વિરાટ,
વિરમ્યા ઘોંઘાટ, એની હાક પડી રે
ભારતભૂમિને લોકસાગર-તીરે.

ખાંડાંને ખણખણાટ, જયના લલકાર ગાત,
મદછક જે ભાતભાત આવ્યા રણ વીંધી;
આવ્યા ભેદીને પ્હાડ, દેતા દસ્યૂ-શી ત્રાડ,
ધરતી ચોગમ ઉજાડ લજ્જત સું કીધી;
આવેલા એ તમામ, થોડા દિન ધૂમધામ
ગજવીને ગયા ગળી લૂણ જેમ નીરે;
મારી રગરગ મોજાર, એ સૌની રક્તધાર
ધબકે અનિવાર આજ યુગયુગથી રે
ભારતભૂમિને લોકસાગર-તીરે.


આજે જે દૂર ખડા, પામર અભિમાની બડા,
તે સૌને થડંથડા*! કાળ નહિ ધીરે;
ગાજો રે રુદ્રવીણા! ભાંજો* સહુની ભ્રમણા!
પાછા આવીને પડે અવનત શિરે
ભારતને ભવ્ય લોકસાગર-તીરે.

એક દિન અહીં અણવિરામ, ગુંજ્યા ૐકાર-ગાન
જનજનને ચિત્તતંત્ર એક મંત્ર રણક્યો
एंकोऽहं અગ્નિ પરે, બહુજન આહુતિ ધરે,
સ્વાર્પણની વેદી તલેથી વિરાટ ડણક્યો*.
આજે એ બીજી વાર, ચેતાયે યજ્ઞ-જ્વાલ,
નમવા વિણ નહિ ઉગાર, મગદૂર શી રે!
ભારતભૂમિને લોકસાગર-તીરે.

આજે એ યજ્ઞકુંડ, માગે છે લાખ રૂંઢ,
દુ:ખની ભેકુંડ* લાલ જલતી જ્વાલા;
એ સબ દુ:ખ વહન કરી, મર્મોનું દહન કરી,
આપે* સળગો અભાગી આતમ મારા!
તારી એ ભસ્મમાંય, લજ્જા ભય વિલય થાય,
લઘુતા ધોવાઈ જાય ગૌરવ-નીરે
ભારતભૂમિને લોકસાગર-તીરે.

આવો, બ્રાહ્મણ ને આર્ય, આવો, શૂદ્રો અનાર્ય,
આવો, ક્રિસ્તાન મુસલમાન ને અછૂતો,
આવો આવો, પતિત, નિશ્ચલ નિશ્ચિંત ચિત્ત,
માની મુક્તિના સર્વ સરખા દૂતો.
માના અભિષેક તણો મંગળ આ કુંભ ઊણો,
સહુને સ્પર્શે જશે ભરાઈ પુણ્યનીરે
ભારતભૂમિને લોકસાગર-તીરે.

જાગો જાગો રે પ્રાણ જાગો ધીરે.
પસાય = પસારીને. અડાભીડ = સમર્થ. થડંથડા = શાબાશીથી ઊલટા ભાવનો સોરઠી શબ્દ. ભાંજો = ભાંગો. ડણક્યો = સિંહની પેઠે ગર્જના કરી. (સિંહની ગર્જનાને ડણક કહે છે.). ભેકુંડ = ભયંકર. આપે = પોતે.
૧૯૪૪
રવીન્દ્રનાથના કાવ્ય ‘ભારતતીર્થ’ પરથી.
(સોના-નાવડી, પૃ. ૭૮-૭૯)