કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૩. ગુરુદેવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૩. ગુરુદેવ

ન્હાનાલાલ


ગુરુદેવ ! નમોનમઃ
          ગુરુ ! ત્યહાં સુણાશે આ શબ્દ ?
જ્ય્હાં વિચરો છો જ્યોતિરૂપે
ત્ય્હાં મૃત્યુલોકના બોલ પહોંચે છે ?
શિખાવ્યું છે આપે જ, ને સ્મરું છું
કે માનવ વાણીનો પડઘો
શ્રવણેન્દ્રિયમાં પરિસમાપ્તતો નથી.
મનવચનકર્મના મહાધ્વનિ
જગતમાં ને જગતની પાર ઘોરે છે.
તેથી શ્રદ્ધા છે ગુરુબોધમાં
કે શબ્દ નહીં તો શબ્દાર્થ,
ને શબ્દાર્થ નહીં તો શબ્દભાવ
સદા યે સંભળાય છે ત્ય્હાં.

          ‘ત્યહાં’ એટલે ક્ય્હાં ?
સ્વર્ગ ? વૈકુંઠ ? ગોલોક ? અક્ષર ? ક્ય્હાં ?
જગજ્જનો જાણવા ઇચ્છે છે.
મૃત્યુના પડઘા પાછળ જોવા વાંછે છે.
મ્હેં તો વચનામૃત પીધું છે કે
न हि कल्याणप्रकृत् कश्चित्
दुर्गतिं तात ! गच्छति.
કંઈ કંઈનાં કલ્યાણ કીધાં છે,
પ્રાણધન ખરચી પ્રાણ ઉદ્ધાર્યા છે,
તે કલ્યાણ જ પામ્યા છો.
જ્ય્હાં વિહરો છો ત્ય્હાં,
સંસારમુક્ત તે સદગતિમાં
પુણ્યધામે આનન્દમૂર્તિ છો.

          ગુરુરાજ ! મોહન એ મચ્છુનો કાંઠો,
ને હેતાળ એ મોરબીની વસ્તી !
કાળમીટના વજ્રતટની એ વેરાન ભવ્યતા,
ને લોકસંઘના સદ્ ભાવની એ કુમાશ !
દેવ ને મનુદેવ જ્ય્હાં લીલા કરે
તે તીર્થ, અન્ય અતીર્થ,
ગુરુદેવ ! પુણ્યપગલાંથી આપે,
ને સાધુકવિ વેદમૂર્તિ મહર્ષિ
બ્રહ્મસભાના બ્રહ્મરત્ન શંકરલાલજીએ,
એ અતીર્થને તીર્થ કીધાં અમ માટે.
ગંગા અને ગંગાના તટવાસી જેવાં
સ્મરણમાં રમે છે એ સહુ.

          ઘેરે નાદે મુખની મોરલી બોલતી,
ન્હાને ડગલે પૃથ્વી ઉપર પગલાં પાડતા,
પુણ્યના પરિમલે જીવનનું પુષ્પ વિકસતું,
પ્રફુલ્લ બૃહસ્પતિની જોડલી સમોવડી
નયનબેલડી ત્હમારી પ્રોજ્જ્વલ પ્રકાશતી.
વિશાલ તેજસ્વી ભાલદેશે
અનેકરેખ ત્રિપુંડ્ર સમી
તત્ત્વચિંતનની રેખાઓ લંબાતી.
જ્ઞાનભારે ભમ્મરો નમતી,
અનુભવના અંબારથી અંજાયેલાં
પોપચાં ધીમેશથી પડતાં ઊપડતાં.
ફિલસૂફની તત્ત્વલીનતા ને ચિંતનસમાધિના
વદને ઊંડા પડછાયા પથરાતા.
યૌવનનો ઉઘાડ છતાં વિકારહીન,
બુદ્ધિવૈભવ છતાં અડગ શ્રદ્ધાવાન્,
પ્રારબ્ધવાદી છતાં નિરન્તર પુરુષાર્થી,
અદ્વિતીય ગુરુ છતાં સદાના શિષ્ય,
મહાતત્ત્વજ્ઞાની છતાંય
એકાન્તિક ભક્ત ત્હમે હતા.
અભ્યાસના ખાલી કુંભમાં
ટૂંકા જીવનનો ઊભરાતો અનુભવ
નિતારી નિતારી ભર્યો હતો.

જડદેહે બટુકજી જણાતા,
પણ ચેતનદેહે વિરાટરૂપ વિલસતા.
સાદાઈ અને સરળતાની સૌમ્યમૂર્તિ,
ઉન્માદ ને અત્યાચારના અરિ હતા.
વસંતના વાયુ વાય,
ફળે, ને સહકાર નમે :
સંસારનાં સદ્ફળ ફળતાં
તેમ તેમ ત્હમારી ડાળે નમતી :
સન્માનથી સર્વદા ત્હમે વિનયી થતા.
અમારી નિત્યે કલ્યાણકામનાવાળા,
શિષ્યોના નિરન્તર હેતના લોભી,
વિદ્યાર્થીઓની વાતના વિસામા હતા.
બ્રહ્મચારીને બ્રહ્મચર્ય બોધતા,
ગૃહસ્થાશ્રમીને ગાર્હસ્થ્ય ધર્મ શીખવતા :
પ્રેરણાથી પ્રકાશતી એ વાણી હતી.
દેવમંદિરમાં યે દેવકથા કરતા,
પુરાણ વાર્તા નવઉત્સાહે લલકારતા,
સાધુસંતો યે સુણી સત્કારતા તમ વેણ.
પંચેન્દ્રિયો અખંડ પંચ વર્તમાન પાળતી.
એકાદશીનાં જાગરણ ઉપવાસ ધૂન નીરખી
સૂફી અને અગમ્યવાદી સાંભરતા.
ત્હમારા વતન ફરતાં વનમાંના
મહાઘોષ શાર્દૂલની ગર્જના સમોવડો
ત્હમારો ઉપદેશ ગાજતો.
લક્ષ્મીજીએ કુંકુમચન્દ્રકે
ને નારાયણ ભગવાને કેસરતિલકે
ગુરુરાજ ! ત્હમને વધાવ્યા હતા :
ને દેવભાગનું નૈવેદ્ય ધરાવીને જ
દેવદત્ત વૈભવ ત્હમે ભોગવતા.
લીલમલીલી અમ ગુજરાતની અમરાઈએ
નવશિક્ષણની ત્હમે સાખ હતા.
પ્રાચીન-અર્વાચીન ઉભયમાં વિશ્વાસુ,
પૂર્વ-પશ્ચિમ ઉભયમાં શ્રદ્ધાવાળા,
રાજાપ્રજા ઉભયમાં આસ્તિક ર્ હેતા.

સદગુરુ સહજાનંદજી ને મહાત્મા અફલાતુન
ઉભયના પરમ ઉપાસક હતા.
કાલના આદિથી કવિઓ
પુષ્પના ગુણાનુવાદ ગાઈ રહેવા
મથે છે, પણ નથી ખૂટ્યા એ :
મહાનભાવી ગુરુદેવની તો પછી
ગુણગીતા કેમ ગવાઈ રહે ?
નેતિ, નેતિ, નેતિ, ભગવાન ?

          આયુષ્યની ઉજમાળી સ્મૃતિઓ
કોને નથી સતાવતી ?
સુખનાં સ્મરણોમાં ઊંડું દુઃખ છે,
દુઃખનાં સ્મરણોમાં ઊંડું સુખ છે.
પુરાણાં સુખ સંભારતાં યે
દિલ દાઝે છે, ગુરુજી !

          સૂર્યનું કિરણ સપ્તરંગે ઊઘડે,
ને સાતે રંગે પાછા સંકેલાઈ
એક જ્યોત શ્વેત કિરણ સોહાય :
ત્હમારા જીવનનું કિરણ પણ તેમ
સંસારમાં અનેક રંગે ઊઘડ્યું,
ને ઊઘડી પ્રફુલ્લી, ઝળહળ ઝળકી,
અન્તે એક જ્યોત સંકેલાઈ,
ધવલ રંગે ધર્મમાં આથમ્યું,
ને સૂક્ષ્મ અંશ અક્ષરચરણે વિરામ્યો.
જય એ ત્હમારો, ગુરુદેવ!
જગત જીત્યા, ને પછી યે જીત્યા.

          પૃથ્વીને આરા છે.
ને પૃથ્વીમાંની ઉત્ક્રાન્તિને યે આરા છે.
એ પછીના ઉત્ક્રાન્તિમાર્ગ
અવકાશને સ્હામે તીરે છે;
ને મૃત્યુની નદીનાં અંધારાકાળાં નીર
વચમાં ઘેરાં ઘેરાં વહે છે.
એ વારિ તરી ઊતરતાં
મનુષ્યનાં માટીનાં માળખાં
ઓગળી જાય છે, દેવ !
ત્હમે પૃથ્વીના વાઘા સજ્યા,
ત્હમે તેજની પાંખો પ્રસારી ઊડ્યા
એ ઉત્ક્રાન્તિના અગોચર પંથે.
ઊર્ધ્વગામીનું જવું યે ધન્ય છે,
અધોગામીનું જીવવું યે ધૂળ છે.
જગત્ યાત્રામાં જીવન ને મૃત્યુ
ઉભય ત્હમે ધન્ય કર્યાં.

          ટૂંકી આયુષ્યની અવધો ત્હમારી,
પણ લાંબાં ઉરનાં સંભારણાં અમારાં.
સૂર્ય કરતાં સૂર્યપ્રકાશ વિસ્તીર્ણ છે,
પુષ્પ કરતાં પુષ્પના પરિમળ બ્હોળા છે :
પ્રકાશવન્ત ને પરાગમય આયુષ્ય કરતાં યે
એ આયુષ્યના સ્મરણસુગન્ધ દીર્ઘજીવી છે.
यस्मान्नोद्विजते लोको
लोकान्नोद्विजते च यः;
કોઈને દૂભાવ્યાં નથી,
કોઈથી દુભાયા નથી :
વડવાનળની મહાજ્વાલાઓ, દેવ !
જોકે ઘણી યે સળગાવેલી મ્હેં તો,
પણ દિલનો દરિયો ડહોળાયો નથી.
સહુને બધું ક્ષમા કરતાં જ
સંચર્યા છો સંસારના તીર્થમાં.

          આપણો પ્રસંગ શું આલેખું ?
નથી વીસર્યો ને નહીં વીસરાય,
સ્મરણમાંથી નહીં સરી જાય
એ આપેલું જીવતદાન.
ખરાબે લાધતી મ્હારી નૌકાને
વાળી વ્હેણમાં મૂકી,
એ નાખુદો ભૂલશે કદી ?
ગગનના તારકલેખ ભૂંસાશે ?
કે ભૂંસાય એ હઈયાના લેખ ?

          ગુરુદેવ ! નમોનમઃ
એક વાર શરણે આવ્યો, ને તર્યો.
બીજી વાર પુણ્યનામાવશેષ
અહીં લખું છું અધૂરે અક્ષરે.
લોકકવિતા કવે છે કે
રામનામે પથ્થર તર્યા :
તો કાશીરામને નામે
આ પથ્થરે તરશે સ્તો.
ત્ય્હાંથી યે ઉદબોધજો મુજ બુદ્ધિને,
ને પ્રેરણાનાં પીયૂષ પાઠવજો, દેવ !

शिष्यस्तेङहं, शाधि मां त्वां प्रपन्नम्.
(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૯૩-૯૮)