કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૫૦. ગુજરાતનો તપસ્વી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫૦. ગુજરાતનો તપસ્વી

ન્હાનાલાલ

         મંદિરોમાં પચ્ચાસ દીપમાળા પ્રગટાવો,
પચ્ચાસ પચ્ચાસ આરતીઓ ઊતરાવો,
પચ્ચાસ પચ્ચાસ દેવઘંટા વગડાવો,
આજે પચ્ચાસ વર્ષોનો ઉત્સવ છે.

          અને એ કોણ છે એવો ?
જાણે કોઈક જગત્ ભૂખ્યો,
જાણે કોઈક વિશ્વતરસ્યો,
જાણે સદાનો અપવાસી :
એ કોણ છે એવોક ?
લોકવંદ્ય ને સર્વપૂજ્ય ?
સુદામાનો જાણે કો સહોદર ?

એવાને કાજે આયુષ્ય નથી.
આનંદો, આનંદઘંટા વગાડો.
આજે પચ્ચાસ વર્ષોનો ઉત્સવ છે.

          એ માનવસળેકડું છે શું ?
સળેકડાથી યે રેખાપાતળું
એ કિરણ છે મહાસૂર્યનું –
અડગ અને અવ્યય,
અખંડ અને અપ્રમેય.

          એ તપસ્વી છે
સાભ્રમતીના ઊંચા કિનારાનો :
રિદ્ધિવન્તા રાજનગરની હવેલીઓનો
એ યોગીન્દ્ર છે અવધૂત.
એ તો સંસારી સાધુ છે;
ગૃહસ્થ થઈ સંન્યાસ પાળે છે.
નિરંતર દુઃખને ન્હોતરતો
એશિયાના એક મહાયોગીન્દ્ર ઈસુનો
એ અનુજ છે ન્હાનકડો.
પરપીડા પ્રીછી પ્રજળનાર
મહાવૈષ્ણવોનો એ વંશજ છે :
શ્રીનગરનો જાણે નરસિંહ મહેતો.
હૈયામાં એના હોળી સળગે છે,
જ્વલન્ત અંગારા જેવી છે એની આંખડીઓ,
વદને વિરાજેલી છે વિષાદછાયા.
દેશની દાઝથી દાઝે છે
છણછણતી એની દેહલતા.
વિરોધીઓ પ્રતિ યે પ્રેમીલો,
शठं प्रत्यपि सत्यम् બોધનાર.
‘અન્યાય સ્હામે યે ઉગામ મા’નો અનુયાયી,
‘દેહથી દેહી જયવન્તો છે’નો આચરનાર,
દુઃખતપતી આ દુનિયાનો દરવેશ છે તે.
– એકદા એનો આજ્ઞાડંકો વાગ્યો,
ને નિઃશસ્ત્ર નરનાર ને બાલકોની,
ચાર હજાર દુઃખસજ્જોની સેના
ટ્રાન્સવાલને હુમલે ચાલી.
આશ્ચર્યચકિત જગત નીરખી રહ્યું
જગતના ઇતિહાસમાં અદ્વિતીય
દુભાયેલાં ચાર હજારની તે કૂચ.
મોખરે હતો તે સેનાધિપતિ :
સિંહને શસ્ત્ર ન હોય,
ને ન હતાં તે નરકેસરીને.
પછી તો વર્ષો વીતી ગયાં :
રાત્રિદિવસના ઓછાયા ઊગ્યા ને આથમ્યા.

ઇતિહાસમાં અપૂર્વ છેલ્લા જગસંગ્રામમાં
મદમલપતી જર્મન મહાપ્રજાની
છેલ્લી ભરતીનો જુવાળ ચ્હડ્યો,
જાણે પ્રલયની મેઘાવલિ.

દિશામંડલ ડોલવા લાગ્યું,
ધરતી ધણધણવા માંડી,
ગીધ સરીખડાં વિમાનો
વાતાવરણ ભેદી ઊડી રહ્યાં :
ભયંકર તોપોની ભીષણ ગર્જનાથી
નભોમંડલ ગડગડી ઊઠ્યું.

ચિંતાચકિત નયને સૌ નીરખતું
કે શું થાય છે, ને શું થશે.

જગતે ન જોયેલું,
પૃથ્વીએ ન પ્રીછેલું,
માનવકથાએ ન નોંધેલું,
મનુકુલનાં કાવ્યોમાં ન કલ્પેલું,
પ્રચંડ મહાભારત મંડાણું
ભૂગોળની સર્વ મહાપ્રજાઓનું.

જ્વાળામુખીની મહાજ્વાળાનો છેલ્લો ભભૂકો
ભભૂકતો હતો યૂરોપના જગરણમાં,
ત્ય્હારે રાજરાજેન્દ્રનો સંદેશ આવ્યો,
ને રાજપ્રતિનિધિ મહાસૂબાએ
રાવરાણા ને મહાજનોની
આમંત્રી પ્રજામહાસભા યુદ્ધમંત્રણાને કાજ.

મહારાજ્યોની પ્રાચીનમાં પ્રાચીન પાટનગરીમાં
જામી વળી એકદા
એ યુદ્ધમંત્રણાની મહાસભા.

ત્ય્હારે ત્હેણે તોડ્યાં ત્હેનાં મહાવ્રત.
સામ્રાજ્યની કટોકટીને વિષમ પ્રસંગે
નિઃશસ્ત્રવાદી તે તપસ્વીએ
ઉચ્ચારી છે શસ્ત્ર સજવાની રણહાકલ,
વગાડ્યો છે મહાઘોષ સંગ્રામશંખ.
જગદ્ગુરુ કૃષ્ણચંદ્રે યે, મહાત્મન્ !
શસ્ત્ર સજ્યાં હતાં એકદા કુરુક્ષેત્રમાં,
એકદા તોડ્યાં હતાં નિઃશસ્ત્રતાનાં વ્રત.

હસ્તિનાપુરની યુદ્ધમંત્રણાની એ મહાસભામાં
કેવો શોભતો હતો તે તપસ્વી ?
જાણે વિષ્ણુસભાની વચ્ચે ધ્રુવકુમાર,
જાણે યદુપુરીના સિંહાસનોમાં સુદામો.

          જીવનાદેશ શોધવામાં બ્રહ્મર્ષિ
રણખેલનામાં સુભટ ક્ષત્રિય વીર,
નીતિમંત્રણામાં સુજ્ઞ વૈશ્યવર,
લોકસેવાભાવમાં પરમ શૂદ્ર :
ત્હેનામાં સૌ વર્ણ સમાયેલા છે.
વેળુકણીના તે મણિ રચે છે,
પથ્થરના તે દેવ પ્રગટે છે,
શલ્યાની તે અહલ્યાઓ કરે છે,
અસાધુના તે સાધુ ઘડે છે,
અહંકારીના તે સમર્પણી બનાવે છે.
દુઃખિયાંનો બેલી ને વિસામો,
દાઝ્યાંના અંતરનો આરામ,
ઘાયલના આત્માનો અમૃતૌષધિ :
અનારોગ્યોનો ધન્વંતરિ છે તે.

વાદળાંની અધ્રુવ છાયાફૂદડીમાં
એક એ ધ્રુવ તત્ત્વ :
ઇતિહાસમાં ઉચ્ચારતો
સનાતન સત્યનો એ શબ્દ,
પ્રાચીનતાનો પરમ મંત્ર :
નવામાં નવો તે,
ને જૂનામાં જૂનો છે.
સત્ય ત્હેનો મુદ્રામંત્ર છે,
તપ ત્હેનું કવચ છે,
બ્રહ્મચર્યનો ત્હેનો ધ્વજ છે,
અખૂટ ક્ષમાજલ ત્હેને કમંડલે છે,
સહનશીલતાની ત્હેની ત્વચા છે.
સનાતન યોગીકુલનો યોગવારસ,
રાગદ્વેષના ઝંઝાનિલથી પર,
ભારતનો વર્તમાન મહાગુરુ,
એ તો ગુજરાતનો તપસ્વી.
મહાત્મા મોહનદાસ ગાંધી.

          એવાને કાજે આયુષ્ય નથી.
વિદ્યાના બેપરવા કાજે વિદ્યા નથી.
લક્ષ્મીના બેપરવા કાજે લક્ષ્મી નથી,
આયુષ્યના બેપરવા કાજે આયુષ્ય નથી.
આનંદો, રે આનંદો, નરનાર !
આજે પચ્ચાસ વર્ષોનો ઉત્સવ છે.

          ને યોગીન્દ્ર ! સબૂર.
ત્હારા સમૃદ્ધ આત્મભંડાર
ભર્યાભર્યા ઉઘાડ, ને પારખ.
અનંત આકાશના અંતર્પટ
વીંધીને વિચર, ને ભીતર નિહાળ.
દુઃખમાં, પાપમાં, અંધકારમાં યે
બ્રહ્મકિરણ જ વિરાજમાન છે.
ત્હારે હૈયે છે યજ્ઞકુંજના હુતાશ :
એ અગ્નિ નહીં, ઓ ગુરો !
પણ ત્હેના પ્રકાશ પ્રગટાવ
આત્મન્આત્મન્ના અમૃતદીપમાં.
સાધો ! સત્યના યે આગ્રહ ન હોય.
એ તો છે હઠયોગના પ્રકારાન્તર,
નહીં કે રાજયોગના રાજમાર્ગ.
મનુષ્યની નહીં, પણ પ્રભુની જ ઇચ્છા
પ્રવર્તે છે સત્યના યે પ્રચારમાં.
મનુષ્યે પુરુષાર્થ આદરવાના છે,
પ્રભુએ મનુષ્યના પુરુષાર્થ પૂરવાના છે.
પુરુષાર્થમાં યે પુરુષે પ્રભુઇચ્છાને નમવાનું છે.
– ને ઇતિહાસભૂલેલા વિસારે કે વિચારે,
છતાં આદર્યા’તા તે યોગ બ્રહ્મનિષ્ઠ મનસૂરે,
મહાયોગીન્દ્ર ઈસુ ખ્રિસ્તે,
મેફલાવર જહાજના સફરી યાત્રાળુઓએ
હિન્દસત્કાર્યો હુતાશરવિપૂજક જરથોસ્તીઓએ,
ને અસંખ્ય સદ્ ધર્મોપાસકોએ –

સંતજન ! નયને ભડકા
ને વદને વિષાદસંધ્યાને બદલે
કીકીકુંભમાં ચંદ્રિકા
ને મુખમંડલે સુધાકર માંડ.
બ્રહ્માંડમાં બ્રહ્મતેજ વરસાવ.
તપ તપતાં યે, ઓ તપસ્વી !
કૃ઼ષાંગ છે શા માટે ?
સર્વસમર્પણી ઓ પરમ વૈષ્ણવ !
સમર્પણના આનંદમાં ઉલ્લાસ.
તપના ત્હારા વડા દાવાનળ,
જોજે, આત્મવેલને ન કરમાવે.
સપ્તરંગી જગવિવિધતામાં યે
એક જ શ્વેત કિરણ નિહાળ.
સળગતી સઘડી જેવા
તુજ પ્રાણમાં દેવપ્રસાદ પ્રગટાવ.
ઉરમાં આનંદ ઉછળાવ,
વદનચંદ્રે સ્મિતરેખા રમવા દે.
જગતનો ક્રૂસ ઉપાડી વિચરતાં યે
જગત્ યાત્રા હસતે મુખડે આચર.
ભીષણ કર્મયોગમાં ખેલતાં યે
પ્રેરણા પા ચિત્તપ્રસન્નતાની,
ઉમંગોર્મિઓ ઉછળાવ ઉત્સવના.
નિરંતર બ્રહ્મ છે બ્રહ્માંડમાં,
ને એ બ્રહ્માંગુલિ જ આલેખે છે
જગતના સર્વ સારાનરસા ઇતિહાસ.
માણ ને મણાવ સદા
આ શુભાશુભ બ્રહ્માંડમાં યે બ્રહ્માનંદ.

          સાધુજન ! ધીરો થા.
કર્યાં ભોગવવાનાં છે સૌએ,
પુરુષોએ તેમ જ પ્રજાઓએ.
પ્રાયશ્ચિત્તકાળ પૂરો થયો છે
ભારતનો કે ભારતવાસીઓનો ?
પ્રાયશ્ચિત્તયુગ સમાપ્યા પહેલાં
શે ઊગશે સ્વર્ગમાં સ્હવાર
કોઈનાં, કે ત્હારાં, કે અમારાં યે ?
લાંબા ઇતિહાસના પ્રૌઢા કર્મકોષ
બળી ભસ્મ થઈ ગયા છે ?
– પ્રજાઓ ! પ્રીછજો આ પ્રાયશ્ચિત્તયુગ
ભરતખંડની મહાપ્રજાનો,
ને સારવજો સદ્બોધ એ યુગના. –
કેટકેટલાંએ આદર્યાં છે એ તપ
તુજ સરીખડાં અઘોર ?
થોડાંકની એવી તપશ્ચર્યાથી
કેટલાં ને ક્યારે પ્રજળી રહેશે
પ્રજાના ઐતિહાસિક કર્મભંડાર ?
પ્રજાને પ્રાયશ્ચિત્ત આપે છે,
અપવાસ કરાવે છે તું;
એ જ છે સાચો વિધિ :
પ્રજાપ્રાણના આત્મસંયમન.
સંયમન આત્મશક્તિને ઔર બહલાવે છે.
સિનાઈના શિખરે દોરી જા,
કર્યાંના પશ્ચાત્તાપ કરાવ,
પ્રજાના તપનો સમારંભ આરંભ.
પયગમ્બરી સંદેશ મળશે,
ખુદાઈ નૂર ઊતરશે,
પરમેશ્વરી પરમાનંદ વરસશે.
બ્રહ્માંડભરમાં ભરતી ડોલશે
એ પરમ બ્રહ્માનંદની.

          ને એને પડખે કોણ ?
કસ્તૂરી શી મ્હેકતી તે તપસ્વિની !
સાધુવરની સાધ્વી નાર,
પત્નીઓમાં પરમ પત્ની,
જગતની એ તો આદર્શ ગુજરાતણ :
પ્રાણનાથની પ્રતિકૃતિ,
પ્રિયતમની પરમ શોભા,
જીવનના જીવિતેશ્વરનો
ઓળો આભા તેજમંડળ.
તપોવનની એ તો તાપસી,
નિર્ભય, નીડર, નિઃસંશય.

સુખદુઃખની તડકીછાંયડીમાં,
જીવનવિવિધતાના વનઉપવનમાં,
દેશપરદેશના રણપગથારમાં,
પ્રાણની કાયા સરીખડી,
દેહની છાયા સમોવડી,
સદા સંગાથે પરવરે છે એ કુલકલ્યાણિની.
સ્પાર્ટા કે ચિતોડની કો
ક્ષત્રિયાણીનો જાણે અવતાર.
એ તો પરણેલી બ્રહ્મચારિણી,
એ તો સંસારિણી મહાયોગિની.
ગુજરાતની એ તો ગુણિયલ :
ગુજરાતની એ તો ગુણમૂર્તિ.
આશ્રમની એ માતુશ્રી,
નગરની એ જોગણ,
પ્રજાસંઘની એ પ્રેરણા,
જગતની સત્પત્નીઓનું ભૂષણ,
અમારી એ તો અનુપમ ગુજરાતણ
ભગવતી કસ્તુરબાઈ ગાંધી.

ઓ નિષ્કામ કર્મયોગી !
ઓ ગીતાઘેલા સાધુ !
ઓ મનુકુલના મહાત્મન્ !
નિઃશસ્ત્ર ત્હારે તો
મહાભારત ખેડવાં છે સંસારનાં,
આત્મવાદીએ ત્હારે તો
દેહવાદીઓને જીતવા છે ને ?
શ્રીકૃષ્ણના ઓ સખા !
ઓ સુદામાપુરીના વાસી !
એ કાલજૂનાં સત્યો
સાચાં પાડવાં છે ને ત્હારે ?
સૌ જાણે છે એ સર્વસિદ્ધ વાત
કે દેહથી આત્મન્
અળગો ને ઉપર છે.
સહુ આત્મવાદીઓ ઉચ્ચારે છે આશીર્વાદ,
‘જય હો ! જય હો !
ચૈતન્યપૂજકનો ત્હારો
સ્થૂલપૂજકોના સંઘમાં :
જય હો : જય હો !
આત્મબલવન્તાનો તુજ
દેહબલિષ્ઠ લોકપરિવારમાં.’
નાસ્તિકો વિના સૌ જાણે છે
કે દેહ નશ્વર છે,
ને આત્મા અમર છે.
ને તુજબોધ્યાં આત્મબલે, મહાત્મનૂ !
એટલાં જ છે અમર આત્મદેશમાં.

          પચ્ચાસ વર્ષોનો ઉત્સવ !
અર્ધી સદી વીતી ગઈ
લોકોદ્ધારક પ્રજાકલ્યાણક
એ ત્હારા જન્મયોગ પછી.
આવાંને કાજે ન હોય
આટઆટલાં આયુષ્ય.
ઈસુએ નથી ભોગવ્યાં,
શંકરે એ નથી માણ્યાં.
નખશિખ ઉભયે પ્રજળતી
મહાસત્યોની એવી જ્વાલામૂર્તિઓની
નથી નિર્માઈ લાંબી જીવનઅવધો.
આનંદો, માટે આનંદો, પ્રજાજન !
પચ્ચાસ વર્ષોનો આજે ઉત્સવ છે.

          મંદિરોમાં પચ્ચાસ સ્વસ્તિકો પુરાવો,
પચ્ચાસ દીપમાળા પ્રગટાવો,
પચ્ચાસ ફૂલમંડલિ ભરાવો.
પચ્ચાસ આરતીઓ ઊતરાવો,
પચ્ચાસ દેવઘંટા વગડાવો.
તપમંદિરે આજે, ઓ પૃથ્વીના લોક !
તપસ્વીનો ઉત્સવ છે, ઉત્સવ છે.

(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૮૪-૯૨)