કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૨૬. પાંદડી વાયરાને વળગી શું કામ?...

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૨૬. પાંદડી વાયરાને વળગી શું કામ?


પાંદડી વાયરાને વળગી શું કામ?
ડાળ ઉપર ઝૂલતી’તી
     ડાળ ઉપર ખૂલતી’તી,
આમ એકાએક ડાળીથી અળગી શું કામ?
વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ?
પાંદડી વાયરાને વળગી શું કામ?
હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી.
પાંદડી પર વાસંતી અક્ષર નથી,
હવે ભવના જંગલમાં ભટકતી શું કામ?
પાંદડી વાયરાને વળગી શું કામ?
આમ એકાએક વાયરાથી સળગી શું કામ?


(વિદેશિની, પૃ. ૩૪૦)