zoom in zoom out toggle zoom 

< કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક

કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૫૦. બા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫૦. બા


(સૉનેટ)
‘સુખી થાજે બેટા!’ શુભવચન આશિષ દઈને

વળાવી તેને યે ભવ વીતી ગયો, તું પણ ગઈ.
કદી આવે બા, તું મુજ વ્યથિતને શાંત કરવા
હવે મારા ખાલીખમ જીવનમાં સાંત્વન થવા.
હજી એની એ તું: નમણું મુખ ને આર્દ્ર નયનો
દબાવી ધીમેથી કર, ટપલી દે ગાલ પર ને
વ્યથા મારી જાણી, સુખદુ:ખ તણી વાત કરતી
ધીરેથી પૂછે છે: ‘દીકરી મીઠડી, શી ખબર છે?
કહે બેટા, તારે જીવનવન શાં શાં દુ:ખ પડ્યાં?
કીધું ન્હોતું કે જે દુ:ખ પણ પડે તેય સહવાં?
અહીં આ સંસારે સુખદુ:ખ સદા સાથ જ જડ્યાં!’
બધી તારી વાતો, શીખ સમજ એળે જ ગઈ, બા,
ફ્ળ્યું ઝાઝું કૈં ના જીવન મમ, આપ્યું સુખ નથી
કરાવી છે ચિંતા, જનની, મુજને માફ કરજે.


(દ્વિદેશિની, પૃ. ૩૩૪)