કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/એકલતા
Jump to navigation
Jump to search
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
મોજું આવે કો’ક રહીને અડકે ચરણ જતાં.
ઊડી ગયાં સહુ વિહંગ નભથી
નીરવતા ફરકે છે સઢથી,
દીર્ઘ થયા પડછાયા ધીરે જળમાં ઓગળતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
કરે સ્પર્શ અંધાર શ્વાસને,
સ્મરું આજ જળના ઉજાસને,
કો’ક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
૧૯૬૫
(તમસા, પૃ. ૧૦૦)