કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૩. આયુષ્યના અવશેષે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩. આયુષ્યના અવશેષે

૧. ઘર ભણી

ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની,
વિજન પથને ચીલે ચીલે તમિસ્ર મહીં ઘન;
સ્વપ્ન મધુરી નિદ્રાનું તે દૃગો મહીં અંજન
ભરતી ઘૂઘરી ધોરી કેરી મીઠા રણકારથી.
ચરમ પ્રહરે ઠંડી ધીમા સમીર મહીં ભળી,
સ્મૃતિદુ :ખ મને વ્યાપે તેવી બધે પ્રસરી રહી.
લઘુક દીવડે સૂતી સીમા બધી બનતી લહી
સજગ, તમ-ને ઓઢી પાછું જતી પડખું ફરી.
પથ-તરુ તણા નીડે પંખી ક્યહીં ફરકે અને
કદિક અથવા તારો કોઈ ખરે, બસ, એટલું
કળિત બનતું, ત્યાંયે ઊંડા મને કરણો સહુ
કણ કણની આ માટી કેરી કથા નીરખી રહે.
જનમ-સ્થલની ઝાંખી આયુષ્યની અવધે કરું,
ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું.

૨. પ્રવેશ

ભર્યું ઘર હતું તેના સૂના રજોમય પ્રાંગણે
લઘુક ગઠડી મૂકી આયુષ્યના અવશેષની,
ત્યહીં ધૂમસથી છાએલા તે વિષણ્ણ ઉજેશની
ટશર ગગને લાગી; જાગી દિશા અનુકંપને.
ખબર પૂછતાં મોટેરાં જે જીવંત રહ્યાં જૂજ,
નજર કરી લૈ કામે લાગી જતી વહુવારુઓ,
કુતૂહલ થકી પ્રેર્યાં આવી વળ્યાં કંઈ બાળકો,
ક્ષણ ભસી પછી શ્વાને સૂંઘી લીધાં ચરણો મુજ.
મુખથી ઊઘડ્યાં તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,
અચલ સ્થિતિમાં ગાત્રો જેનાં જડાઈ ગયાં હતાં;
ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક લાધતાં
ધસી રહી શી! કો પ્રેતે જાણે લહ્યું નિજ મોચન.
ઘર મહીં જતાં અંધારાંએ ઘડી લીધ આવરી;
કિરણપરશે જૂનાં પાત્રો વળી નીરખ્યાં ફરી.

૩. સ્વજનોની સ્મૃતિ

જીરણ થઈને ભીંતે ઝૂકી ઊભો હજી ખાટ આ,
રજનિ નમતાં જે ઢાળીને પિતાજી પુરાણની
જીવનબળને દેતી ક્‌હેતા કથા રસની ભરી,
પુર ઘર સમું હેતે મ્હોર્યું હતું પરસાળમાં.
મુખ મરકતું માનું જેના સ્વરે ઘર ગુંજતું,
નિત નિત વલોણાનાં એનાં અમી ધરતી હતી,
સુરભિ હતી જ્યાં સૌની વાંછા સદા ફળતી હતી,
અવ અહીં ઝૂલે ખાલી સીકું, વિના દધિ ઝૂરતું.
અહીં ઉપરની મેડી જોને કશી વલખી રહી!
પ્રિય! ઊછળતાં બે હૈયાંનો થયો અહીં સંગમ.
અહીં પૂનમની રાતે મોજે ચડ્યાં ભરતી સમ.
ગગન ઝીલતી જાળી જાળાં થકી અવ આંધળી.
ગિરિસર સમું હંસોનો જે કલધ્વનિ રેલતું,
તમરું પણ ત્યાં આજે મૂંગી વ્યથાથી ન બોલતું.

૪. પરિવર્તન

શિશુ હૃદયના ઉલ્લાસે હ્યાં ઊભી ઝરૂખા કને
ઇહ નીરખતો ચીલો, બંકી ધરી ગતિ દૃષ્ટિમાં
ક્ષણ ક્ષણ રમી સંતાતો ને અનંતન સૃષ્ટિમાં
ભ્રમણ અરથે જાતો, પૂંઠે વિમુગ્ધ મૂકી મને.
તલસતું હતું હૈયું કેવું સુદૂર અગમ્યને
પથ વિહરવા કાજે! – જેની અપૂર્ણ કથા તણા
ધૂમસ પર અંકાતી મારી સુરંગીન કલ્પના;
નિજ રચિત, આનંદે જોતાં દૃગો, ભવિતવ્યને.
હજીય ઝરૂખો એનો એ, હું, અને વળી પંથ આ,
પણ અવ અહીં આવી ઘેરી વળે ગતની સ્મૃતિ.
બીન મૂક થયું તોયે એની સુણી રહું ઝંકૃતિ,
વિવિધ સમયે છેડ્યા તે સૌ મળે સ્વર વંૃદમાં.
સરલ મનનાં ચાંચલ્યોનાં હવે નહિ ક્રીડન,
અવ હૃદયના શૂન્યે લાધ્યું પ્રશાન્ત નિમજ્જન.

૫. જીવનવિલય

અવ હૃદયના શૂન્યે પામી રહ્યો લહું છું લય.
અહીં નહિ હવે સંકલ્પો ને નહીં કંઈ વૃત્તિયે,
તદપિ મુજ કર્મોની પેલી પ્રફુલ્લિત સૃષ્ટિ તે
ચહુ દિશ થકી ગર્જે આદ્યંત જીવનનો જય.
શબદ ઊપન્યો તેવો જોકે શમે, પણ એહના
અસીમિત જગે વ્યાપી ર્‌હે છે અનંત પ્રતિધ્વનિ.
નહિવત બની ર્‌હેતું માટી મહીં, પણ બીજની
તરુવર તણાં પર્ણે કેવી રમે શત એષણા!
જીવનનું જરા આઘે ર્‌હૈને કરું અહીં દર્શન,
ઉગમ નહિ વા ન્યાળું કોનાય તે વળી અંતને;
રૂપની રમણા માંહી કોઈ ચિરંતન તત્ત્વને
નીરખું, નિજ આનંદે ર્‌હેતું ધરી પરિવર્તન.
ગહન નિધિ હું, મોજુંયે હું, વળી ઘનવર્ષણ,
અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન.
(સંકલિત કવિતા, પૃ. ૧૨-૧૫)