કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૩૧. ગ્રીષ્મની એક સાંજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૧. ગ્રીષ્મની એક સાંજ
(પૃથ્વી)

બધો દિન તપી તપી રવિય અસ્ત માર્ગે પળે,
જહી રજનિ તોરણો વિવિધવર્ણ કેરાં સૃજે;
મહેનત કરી કરી સખત કાઠિયાવાડની
જમીન પર ખેડૂતે, નીરખી હાથછાયી દૃગે,
વળે બળદ સાથ, જે શ્રમિત તોય ઉત્સાહથી
જતા ઘરની આશમાં ધૂળ ઉડાડતા, ડોલતા;
વિહંગમગણો કરી કલકલાટ માળે જતાં,
મયૂર પણ સંહરી નિજ કલાપ કેકા કરે
ત્રિભંગ કરી ડોક છેલ્લી, અવ ગામને ગોંદરે;
નમી નમી ભરી હવે રમણી હેલ છેલ્લી, જતી
ભરી ડગ ઉતાવળાં, ઘરનું કામ સંભારતીઃ
રડન્ત નિજ બાળકો દિવસ-થાકથી ભૂખથી,
અધીર થતી ગાય જ્યાં વટતી વેળ દો’વા તણી,
પ્રકાશ ઘરમાં થવા પતિ અધીર રા’ દેખતોઃ
ઘડી-બ-ઘડીમાં પછી રજનિરાણીની આણમાં
ઢળ્યું જગ; તહીંય ઈશ! તવ ચેતના એની એ
દીસે શ્વસતી શાન્તિમાં, અજબ રોમરોમે ભરી.
કદી કદી પરંતુ હા! અનુભવે પ્રભો! ચિત્ત આ
પ્રશાન્તિ જડ કારમી, અહહ! શીત મૃત્યુ સમી;
ન અંતરમહીં ન કે જગતમાંહી શોધું મળે
તવ સ્ફુરતી ચેતના; સકલ મર્મ થીજ્યાં દીસે;
ન ભૂત કંઈ સત્ત્વ પૂરતું, ન ભાવિ આશા ધરે,
અને હૃદયબુદ્ધિએ નિજ-કરેલ આદર્શ, જે
સદા વિપદમાં વિષાદમહીં ને નિરાશામહીં
નિગૂઢ બલ આપીને ચલિત થાતી શ્રદ્ધા-મતિ
કરે અચલ માર્ગગામી, અહ! તે જ આદર્શ એ
બને અસહ ભાર બુદ્ધિ હૃદયે અને આત્મમાં,
– રહે અકથ દર્દમાત્ર મુજ ચેતના-લક્ષણ.
તદા તવ અનન્તમાંથી કંઈ ચેતના પૂરજે,
વિમૂર્ચ્છિત થયેલ ગાત્ર પર અંજલિ છાંટજે,
વિખેરી દઈ મોહને, તું મુજ ચિત્તને પ્રેરજે –
ભલે મલિનદીન હીન પણ, કોઈ કર્તવ્યમાં.

(શેષનાં કાવ્યો, પૃ. ૧૦૦-૧૦૨)