કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૪૫. શૂન્યનો વૈભવ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪૫. શૂન્યનો વૈભવ


ગમ નથી જો આંખ ના લૂછે કોઈ પાલવ હવે,
જાળવે છે ધૈર્ય પોતે દર્દનું ગૌરવ હશે.

ઝંખના નિષ્ફળ જતાં ઊઠી ગયો વિશ્વાસ પણ,
મનને ભરમાવી નથી શકતો કોઈ પગરવ હવે.

જ્યાં લગી ના ઝંપલાવ્યું ત્યાં લગી ભ્રમણા હતી;
ક્યાંય સાગરમાં નથી ઊંડાણનો સંભવ હવે.

પ્રેમની ભૂરકીમાં શી તાસીર છે ખુદ જોઈ લે,
કેટલો માદક છે તારા રૂપનો આસવ હવે!

ધૂંધવાયા પ્રાણ, ત્યારે તો હવા દીધી નહીં;
પાળીઆ પર શીશ પટકે છે વૃથા વિપ્લવ હવે.

મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો;
આવ કે જોવા સમો છે શૂન્યનો વૈભવ હવે.

(શૂન્યનો વૈભવ, પૃ. ૪૩૮)