કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૪૬. અવતારી નથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૬. અવતારી નથી


છું સદા ચકચૂર એ કૈં મયની બલિહારી નથી;
મારી મસ્તી કોઈ મયખાનાને આભારી નથી.

બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી;
કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી.

તારલાઓની સભા પર મીટ માંડી શું કરું?
દિલ વિનાની કોઈ પણ મહેફિલ મને પ્યારી નથી.

થઇ શકે છે એક મુદ્દા પર કયામતનો રકાસ —
ભાગ્યનું નિર્માણ કૈં મારી ગુનેગારી નથી!

એટલે તો કાળ સમો છું અડીખમ આજે પણ —
બાજીઓ હારી હશે, હિંમત હજી હારી નથી.

પાનખરને મેં વસંતો જેમ માણી છે જરૂર —
પાનખરને મેં વસંતો જેમ શણગારી નથી.

જ્યારે જ્યારે થાય છે ગ્લાનિ ગઝલને વિશ્વમાં —
શૂન્ય દોડે છે વહારે, જોકે અવતારી નથી.

(શૂન્યનો વૈભવ, પૃ. ૪૪૦)