કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/ઇકેરસ

ઇકેરસ

ફલંગ ભરી તાહરે અતટ અર્ણવો લંઘવા
હતા, ગગનમાં તને વિહરવાની તૃષ્ણા હતી,
હતાં તિમિર ભેદવાં, તિમિર ભેદીને તેજના
પથે વિચરવું હતું, અસીમ અંતરાલો ય તે
હતાં નીરખવાં, ધરા વિહગ-દૃષ્ટિથી જોવી’તી,
સહસ્ર રવિ-રશ્મિનાં પ્રખર તેજ પીવાં હતાં.
મનુષ્ય સહજૈષણાની પરિતૃપ્તિ અર્થે તને
નભોડ્ડયન કાજ તાત તુજ કાષ્ઠની પાંખ દે;
નહીં જ ખગરાજ શક્તિ તુજ પાંખ માંહે હતી
પરંતુ નભદર્શને, વિયતના વિહારે ઊંચે
સુદૂર ઉડુમંડલોડ્ડયન માણવા ને ઊંચે
ઊંચે અધિક એથી યે વિયત-જ્યોતિ સ્નાને ડૂબી
ક્ષણેક નયનો ભરી અયુત ભર્ગ પીધાં, તહીં
તૂટી જ ગઈ પાંખ; એમ કદી કાષ્ઠની પાંખથી
કહીં લગ મનુષ્ય અંબર વિહાર માંહે રમે?
કહીં લગ મનુષ્ય એમ ચિર-જ્યોત ઝીલી શકે?

૨૨-૨-૧૯૪૨(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૧૯-૨૦)